ઐતિહાસિક ગુલબર્ગ ચુકાદાને કેવી રીતે જોશું વારુ? ભારતરત્ન અટલબિહારી બાજપેયીની એમની કોઈક સોજ્જી સહૃદય ક્ષણોમાં કરેલો પદ્યઉદ્દગાર, બને કે ૨૦૦૨ના સંદર્ભમાં હોયઃ
ગીત નહીં ગાતા હૂં
બેનકાબ ચેહરે હૈ
તૂટા તિલિસ્મ આજ,
સચ સે ભય ખાતા હું …
ગુજરાતના તે વખતના ઘટનાક્રમને, રાજ્યના શાસને પ્રગટ કરેલા નિઃશાસન / દુઃશાસન સ્વરૂપ અંગે બડે ભૈયા(દુર્યોધન)ની ભૂમિકાથી પરહેજ કરવા ઇચ્છતા બાજપેયીની લાગણી હતી. વેદના હતી કે ‘બેનકાબ ચહેરે હૈ’ પ્રતિક્રિયામાં શું બન્યું તો કહ્યું કે ‘દાગ બડે ગહરે હૈ.’ ડાઘ (કલંક) ભૂંસ્યાં કેમ ભુંસાય? સરકારને પક્ષે ખરી ને પૂરી તપાસથી, અને ન્યાયથી.
કેમ કે ‘સચ સે ભય ખાતા હું’, અઘરું તો હતું જ. એક તો આપણી અદાલતો, પુરાવાની અદાલતો રહી, નહીં કે ન્યાયની અને પુરાવાતંત્ર બચાડું સત્તાપક્ષને આધીન, સ્વાધીન, પરાધીન! ગોધરા-અનુગોધરામાં જવાબદારોને નસિયત પહોંચાડવામાં ગુજરાતનું નિઃસંતાન/દુઃશાસન આરંભથી બેતમા અને બેપરવા હતું. રાજ્ય સરકારે સર્વોચ્ચ અદાલત સમક્ષ કબૂલ્યા પ્રમાણે આશરે સત્તર હજારથી પણ વધુ કેસ નોંધ્યા નહોતા. સર્વોચ્ચ અદાલતની દરમિયાનગીરી પ્રક્રિયા ફેરઊઘડી અને કેટલાક મોટા કેસોમાં કેસોમાં એની સીધી દેખરેખ નીચે એસઆઈટી મારફતે કામ શરૂ થયું એને પરિણામે નરોડા પાટિયા સહિતના સાત ચુકાદા પછીનો આઠમો છે. હવે નરોડા ગામના ચુકાદાની રાહ જોવાય છે.
દેશનાં કોમી રમખાણોના સિલસિલામાં નાગરિક સમાજ કર્મશીલોની જાગૃતિથી ગુનેગારોને સજા કરાવી શકાઈ હોય તે ઠીક ઠીક પ્રમાણમાં પહેલી વાર બની રહ્યું છે. અપેક્ષા કરતાં ઓછું બન્યું હોય તો પણ પૂર્વે કદાપિ નહોતું તે હદે શક્ય બન્યું છે. ગુજરાતમાં નેતૃત્વનો મુદ્દો તો ખેર ક્ષણવાર છોડો. પણ પબ્લિક પ્રોસિક્યુટરો વિશ્વ હિંદુ પરિષદના સક્રિય કાર્યકરો હોય અને તે વિહિંપ પ્રેરિત કોમ હુમલાખોરોને ‘ન્યાયિક પ્રક્રિયા’નો લાભ આપી શકે એવો ઉઘાડે છોગ અભિગમ હતો. ગુલબર્ગ ચુકાદા પછી પણ ગુજરાત વિહિંપની સત્તાવાર પ્રતિક્રિયા છે કે અમે જેઓ દોષિત ઠર્યા છે એમને બચાવવા સઘળું કરીશું. કેમ કે તે સૌ હિંદુ રાષ્ટ્ર માટે લડ્યા છે. ગુજરાતના ઘટનાક્રમ વિશે સંઘ પરિવારના એક વગદાર હિસ્સાનો સત્તાવાર અભિગમ છે કે ગોધરા-અનુગોધરા હિંદુરાષ્ટ્રનો સવાલ હતો. કાયદો, વ્યવસ્થા, ન્યાય બધું માર્યું ફરે!
ગુજરાતમાં સરકાર અને સત્તાપક્ષના અનવતર અવરોધ છતાં જો એક સો પચાસ જેટલા ગુનેગારોને સજા ફરમાવી થઈ શકી હોય તો સામાન્ય વાત નથી તે સંદર્ભમાં ગુલબર્ગ ચુકાદાને જોવો જોઈએ. ૧૯ મકાનો અને ૮ ફ્લેટના રહેવાસી પર (સાથી નાગરિકો પર) મચાવાયેલા બેરહમ આતંક સબબ ૧૪ દોષિત અને ૩૬ નિર્દોષ હોય કે હોય પણ શંકાનો લાભ રળ્યા. મૂળે આલા પોલીસ અફસર અને નવધારાશાસ્ત્રી રાહુલ શર્માએ કહ્યું છે કે અદાલતે તો તેની સામે જે રજૂ થયું તેને આધારે કહ્યું પણ રાઘવનના વડપણ હેઠળની એસઆઈટીએ જો તપાસમાં કચાશ છોડી હોય તો શું કરી શકાય. અહીં મનોજ મિટ્ટાની ભરી બંદૂક કિતાબ ‘ધ ફિક્શન ઑફ ફૅક્ટફાઇન્ડિંગ ઇન ગોધરા’ – તપાસને નામે કલ્પનાવિલાસનું સ્મરણ થઈ આવે છે. ગુલબર્ગ ઘટના વિશે એણે સાદો પણ બુનિયાદી વિગતમુદ્દો ઉઠાવ્યો હતો કે મુખ્યમંત્રી નમો, એમના કહેવા પ્રમાણે રમખાણ પર ઝીણી નજર રાખી રહ્યા હતા. તો ગુલબર્ગમાં શરૂ થયેલા આતંકના પાંચ કલાક પછી પણ બેખબર હતા. આવું કેમ.
અહીં જરી દૂરાકૃષ્ટ લાગે તો પણ જલિયાંવાલા ઘટનાનું સ્મરણ થઈ આવે છે. જનરલ ડાયરે જનસમુદાય સાથે બેછૂટ ગોળીદાવ ખેલ્યો ત્યારે અંગ્રેજ સરકારે હંટર કમિશન નીમ્યું હતું. કમિશન પરના ત્રણ હિંદી સભ્યોએ અલગથી પોતાનો ‘માઇનોરિટી રિપોર્ટ’ આપ્યો હતો. એમાં ડાયરની (બે)જવાબદારીથી માંડીને દેશના વડા તરીકે ચેમ્સફોર્ડની જે મર્યાદાઓ સંદર્ભમાં જણાઈ આવી તે બતાવવામાં પણ કસર છોડી નહોતી. રિપોર્ટ લખવામાં અગ્રકામગીરી સર ચિમનલાલ સેતલવાડની હતી, અને તેમ કરતાં તેમણે વાઇસરોયની એક્ઝિક્યુટીવ કાઉન્સિલ પર લૉ મેમ્બર તરીકે બેસવાનો મોકો ખોવાની ચિંતા કરી નહોતી. (જોગાનુજોગ, સર ચિમનલાલ તે તીસ્તાબહેનના પ્રપિતામહ – ગુજરાત ગૌરવ પરંપરામાં કેવી રીતે જોશું આ બીનાને?) ગમે તેમ પણ, એસઆઇટીનો તપાસ હેવાલ ઇપીસી ૧૨૦ (બી) એટલે કે આયોજિત કાવતરાને મુદ્દો ઊલોઅલૂણો તો રહ્યો જ. એને કોઈ સર ચિમનલાલ જેવું જુદું પડતું જણ, કમનસીબે, મળી શક્યું. હશે, સ્વરાજ એટલું ઢૂંકડું નયે હોય.
મુદ્દે, ગુલબર્ગ કેસમાં ૨૦૧૦માં સ્પેિશયલ પ્રૉસિક્યુટરે રાજીનામું આપેલું. એમનો મુદ્દો હતો કે જજસાહેબ બાયસ્ડ (પૂર્વગ્રહદૂષિત) છે અને એસઆઇટી આખી પ્રક્રિયામાં અમારી સાથે સંકલન સાચવતી નથી. તે પછી બે વરસે એસઆઇટીએ ‘કૉન્સપિરસી ઍંગલ’થી કિનારો કરતું (કહો કે સેનિટાઇઝ્ડ) તારણ આપ્યું. મેટ્રોપોલિટન કોર્ટે એસઆઇટીનો હેવાલ પ્રકાશિત કરવાની તેમ જ ક્લોઝર સામેની રજૂઆતને ફગાવી. ગુલબર્ગ કેસ સંદર્ભે, કેમ કે એમાં પૂર્વસાંસદ અહેસાન જાફરીનોયે ભોગ લેવાયો હતો, ખાસી ચર્ચા થતી રહી છે. જાફરીને કેવળ પૂર્વસાંસદ કહેવા અપૂરતું થશે. ૧૯૬૯માં ભોગ બની રાહત છાવણીમાં ઓશિયાળો આશરો લેવાના અનુભવમાંથી પસાર થયા હતા, પણ કોમી એકતાનો અભિગમ એમણે કદાપિ ન છોડ્યો. ઉમદા ખવાસનું સાહિત્યરસિક જણ હતા.
ગુલબર્ગ સોસાયટી અને સ્થળપસંદગી પાછળ પણ સહિયારા વારસાનો ધક્કો હતો. આજે ઝકિયા જાફરી ચૌદ વરસની તાવણી અને કંઈ કેટલી દુવા-ઈબાદત-ખેરાત પછી પણ પૂરા ન્યાયના ધ્રુવતારક ભણી જોઈ જિંદગી બસર કરે છે. ઉલટ પક્ષે, ચિંતાનો મુદ્દો છે કે, કસુરવારોને સજા બાબતે અગાઉ કરતાં ઠીક કામગીરી છતાં, લોકદરબારમાં વાનું કેમ જાણે નહીંવાનું છે.
વણઝારાની વીરકથા અને વીરનો રાગ આસારામ … ને સંઘ શિબિરની મુલાકાત, કોઈને કશો થડકો નથી.
ચેહરે બનેકાબ હૈ, બીજું શું.
લખ્યા તા. ૩ જૂન, ૨૦૧૬
સૌજન્ય : “નિરીક્ષક”, 23 જૂન 2016; પૃ. 15