દિલ્હીની વિધાનસભાની ચૂંટણી દરમિયાન એમ હતું કે ભારે દુઃસાહસરૂપ ઝેરી પ્રચારની ગરમાગરમીમાં ક્યાંક કોમી હુલ્લડ ફાટી તો નહીં નીકળે ને! પણ ગમે તેવી અને ગમે તેટલી ઉશ્કેરણી પછી પણ ‘ટોળાં’ઓએ સંયમ રાખ્યો અને બધું સમું સૂતરું પાર ઊતર્યું ! અલબત્ત, પરિણામોના બીજે જ દિવસે એક ચૂંટાયેલા પ્રતિનિધિ પર થયેલ ગોળીબાર સમેત આ ચૂંટણી નિમિત્તે કમસે કમ ત્રણ જણે તો ગોળીબાર કર્યા. તેનાથી બે ઘવાયા અને એકે જાન ગુમાવ્યો. ઓછામાં પત્યું કે આ ય ઘણું કહેવાય ? રાહતનો દમ તો એ વાતનો ય છે કે ઇ.વી.એમ. સાથે ચેડાં થતાં હોવાનો આક્ષેપ આ વખતે પુરવાર કરી શકાય તેમ નથી.
કેન્દ્રના સત્તાધારી પક્ષ પાસે ગૃહમંત્રાલય દિલ્હીની પોલીસ અને અઢળક નાણાં સમેત શું નહોતું? કહેવાય છે કે કેન્દ્ર સરકારની સમગ્ર કૅબિનેટ, ૨૫૦થી વધુ જેટલા સાંસદો, પાંચ-પાંચ વગદાર મુખ્યમંત્રીઓએ સાથે મળી જીતવાનો પડકાર ઉપાડ્યો હતો. દેશભરમાંથી ઊતરી હતી કાર્યકર્તાઓની ફોજ ! એ બધું ઓછું હોય તેમ હડહડતાં જૂઠાણાંનો ઉપયોગ કરીને બનાવેલી વીડિયોએ ક્લિપો દ્વારા વૉટ્સએપ એજ્યુકેશન થતું હતું. છાપાંના અહેવાલ મુજબ ભા.જ.પે. આશરે પાંચ હજાર ચૂંટણીરેલીઓ યોજી. મોદીએ બે, અમિત શાહે ૩૬, નડ્ડાએ ૬૩, રાજનાથે ૧૨ રેલીઓ સંબોધી. દિલ્હીના મતદારને ‘ટુકડે ટુકડે ગેંગ’, ‘આવી રહેલા મોગલરાજ’, ‘ભારત-પાકિસ્તાન મૅચ’ અને ‘અભડાઈ જનારાં મંદિર’ જેવા અસ્તિત્વ વિનાના સાવ જ કલ્પનિક ભૂતોનો ભય લાગ્યો જ નહીં. કોઈ ‘ઘેર-ઘેર આવીને મહિલાઓ ઉપર બળાત્કાર’ કરી જવાનું નહોતું તેની પાકી ખબર હોવાથી એવી વાતો કરવાવાળાની મુરાદ વિશે દિલ્હીવાસીઓને કોઈ શંકા નહોતી. તેમને તેની પણ ખાતરી હતી કે, ‘ગદ્દારોને ગોળી મારો’ના નારા બોલાવનાર પારકાનાં સંતાનોને જ કુરબાન કરવા માંડે છે.
‘શાહીનબાગ’ના તકસાધુઓ મતદાતાઓ ઉપર કોઈ ભૂરકી નાંખી શક્યા નહીં, ઊલટું મતદાતાઓએ જ ભારે ‘કરંટ’ લગાડી દીધો. યાદ રહે, આ બધા શબ્દપ્રયોગ બીજું કોઈ નહિ, પણ ‘રાષ્ટ્રવાદી’ સરકારના સાંસદો અને મંત્રીઓ કરતા હતા. તેમને એમ હતું કે ‘ધિક્કારની ખેતી’ કરીને ‘સત્તાનો પાક’ લણાશે. પણ આખરે જે વાવ્યું તે જ લણાશે! ગૃહમંત્રીઓ કરકતા હતા. તેમને એમ હતું કે ‘ધિક્કારની ખેતી’ કરીને ‘સત્તાનો પાક લણાશે. પણ આખરે જે વાવ્યું તે જ લણ્યું! ગૃહમંત્રીએ ‘ગોળી મારો જેવાં ભડકાઉ નિવેદનો ન કરવાં જોઈએ’, એવી ટકોર હાર્યા પછી કરી તેને બદલે ચૂંટણીપ્રચાર વખતે જ કરી હોત, તો લોકશાહી થોડી મજબૂત જણાત. શું ચૂંટણી જીતી ગયા હોત, તો આવી કબૂલાત કરી હોત? અલગ મત ધરાવનારાને ગોળીઓ મારવી એ લોકશાહીનું નહીં પણ સરમુખત્યારશાહીનું લક્ષણ છે. ઇટાલીમાં ફાસીવાદી મુસોલિનીનું વલણ હતું કે, ‘જેઓ અમારી સાથે સંમત ન થાય તેમની સાથે અમે દલીલ નથી કરતાં, અમે તેમનો નાશ કરીએ છીએ.’ શું ‘રાષ્ટ્રવાદ’ એટલે સરમુખત્યારશાહી?
ગોળી મારવાનું કામ હિન્દુ મહાસભાનો એક એકમ દર ૩૦મી જાન્યુઆરીએ અચૂક કરે છે. ચૂંટણી-પ્રવચનોમાં ઓકાતા રહેતા ઝેરનું બીજું નામ શું ‘રાષ્ટ્રવાદ’ છે? ‘રાષ્ટ્રવાદ’ અને ‘દેશના હિતમાં’ જેવા શબ્દોની વ્યાખ્યા બદલાતી હોય, તો ‘ગદ્દાર’, ‘આંતકવાદી’, ‘દેશવિરોધી’ અને ‘રાષ્ટ્રદ્રોહી’ની વ્યાખ્યા પણ બદલવી જોઈએ. આખરે દિલ્હીની પ્રજાએ ‘આતંકવાદી’માં જ વિશ્વાસ રાખીને આ શબ્દની નવી વ્યાખ્યા નેતાઓએ શિખવાડી છે. નેતાઓ કરતાં નાગરિકો વધુ શાણા અને પુખ્ત પુરવાર થયા છે. આ વખતે સૌથી મોટી જીત મેળવી છે નાગરિકે અને તેની આગવી કોઠાસૂઝે ! ચાર દાયકા પહેલાંની કટોકટીની કાળરાત્રી પછી આ જ કોઠાસૂઝે મદમસ્ત સત્તાધારીઓને પાઠ ભણાવેલો. સામાન્ય નાગરિકને સૌહાર્દપૂર્વકના અને વિશ્વાસપૂર્વકના તાણાવાણાથી રચાયેલ સમાજજીવનમાં રસ છે. તેને તો પોતાના રોજિંદા જીવન માટે સુખેથી મળતા રોજગાર અને રોટલામાં રસ છે. તેને શિક્ષણ, પાણી, ગટર અને સ્વાસ્થ્યસેવાઓ જેવી સારી નાગરિક સેવાઓ જોઈએ છે. તેને પોતા ભરેલા કરનો ભ્રષ્ટાચારમુક્ત અને પારદર્શક વહીવટ જોઈએ છે. તેને બંધારણે આપેલા અધિકારો જોઈએ છે. ભિન્ન મત રજૂ કરવાની આઝાદી આપણને – એટલે કે નાગરિકને કે સરકારને – ખપે છે ખરી?
ચૂંટણી દરમિયાન ચૂંટણીપંચ અને ન્યાયાલયોની જવાબદારી પણ ઓછી નથી. જ્યારે ચૂંટણીપંચે એક જ નેતાને બબ્બે વાર પ્રતિબંધિત કરે, ત્યારે રાહત લાગે પણ મુખ્યમંત્રીને ‘આતંકવાદી’ કહેનારા એક નેતાને સજા અને બીજા નેતા પર કોઈ પગલાં ન ભરાય, ત્યારે સંવેદનશીલ નાગરિકોને ચિંતા પણ થાય. ‘ચૂંટણીપંચે આ નેતાઓ સામે એફ.આઈ.આર. કેમ દાખલ ન કરી,’ એવો ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી-કમિશ્નરનો સવાલ અસ્થાને નથી. દેશના ન્યાયતંત્રે આ મુદ્દે સુઓ મોેટો પગલાં કેમ ન ભર્યાં? શું દિલ્હીના પોલીસતંત્રે એ સાબિત કરવાનું બાકી છે કે પોતાને સાધન તરીકે વાપરી શકાય છે? ઇન્દિરા ગાંધીએ આ સંસ્થાઓના કરેલ દુરુપયોગનું શું પુનરાવર્તન (અઘોષિત કટોકટી રૂપે જ સ્તો) થઈ રહ્યું છે? શાહબાનુ કેસ કેમ ભુલાય?
આપ પણ કંઈ દૂધે ધોયું તો નથી જ. તેના જન્મ પહેલાંના અભિયાનમાં જોડાયેલા મહત્ત્વના પ્રજાનિષ્ઠ નેતાઓ અને બૌદ્ધિકો કેમ આઘા થઈ ગયાં? દિલ્હીના નિવાસી અને સ્વરાજ ઇન્ડિયાના યોગેન્દ્ર યાદવ લખે છે, “આમ આદમીપાર્ટી આ દેશમાં રાજનીતિના માળખાને બદલવા આવી હતી, પરંતુ ચૂંટણીમેદાનમાં ઊતરતાં જ આમ આદમીપાર્ટીએ એ બધા જ ગુણ-અવગુણ શીખી લીધા. જે વર્તમાન રાજનીતિના ઉપયોગમાં આવે છે. આંદોલનમાં આદર્શવાદી કાર્યકર્તાઓના સ્થાને સ્થાપિત રાજનીતિના ચાલુ કાર્યકર્તાઓને સ્થાન આપવું, બોલવું કંઈ અને કરવું કંઈ, પોતાનાં નિવેદનોમાં પલટી મારી જવી, વ્યક્તિપૂજાની સંસ્કૃતિ અને હાઈ કમાન્ડની નજીકના લોકોના સામ્રાજ્ય જેવી તમામ બીમારીઓ આમ આદમી પાર્ટીમાં પ્રવેશી ગઈ છે.”
આપ સરકારની સફળતાના દાવા સાચા હોઈ શકે છે, પણ ચિંતા એ વાતની ય છે, ચૂંટણી પહેલાંના ત્રણ મહિના દરમિયાન ‘મફત’ સેવાઓ શરૂ કરવાની જરૂર આપ સરકારને કેમ પડી ? આજના નેતાઓ મતદાતાને બજારમાં વેચાતી કોઈ ચીજ ગણે, ત્યારે નાગરિક તરીકે આપણને તેની શરમ નથી આવતી? યોગેન્દ્ર યાદવના મત પ્રમાણે “વીજળીબીલ ઘટાડીને ગરીબવર્ગને રાહત કરી આપી છે, પરંતુ પાણીની સ્થિતિ યથાવત્ છે, શાળાની ઇમારતો સુધરી છે, પણ શિક્ષણ સુધર્યું નથી. ભ્રષ્ટાચાર, પર્યાવરણ અને પરિવહન જેવા સવાલોની સ્થિતિ અગાઉ કરતાં બગડી છે, પરંતુ પ્રચારતંત્રથી ઢાંકી દેવાઈ છે.” તેઓ લખે છે, “મીડિયા ભા.જ.પ.ની પડખે હતું, એટલે ‘આપે’ સરકારી પૈસા અને રાજકીય ઊર્જાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે.
હવે કેજરીવાલ પણ ‘મંગળ’વારે બજરંગ બલીને યાદ કરે છે! જીત્યા પછી બજરંગ બલીના દર્શને જતી વખતે પકડેલ ધજા ઉપર લખ્યું છે, ‘જય શ્રીરામ’. શાબ્બાશ, તેમનેય આવડી ગયું!! તેમની આ ધજા મતદારોને રાજી કરવા હોઈ શકે અથવા ભગવાન રામના ઠેકેદારોને કોઈ પ્રકારનો સંદેશો આપવા હોઈ શકે. આ બધા ઉધામા ‘સંયોગ’ હોય કે ‘પ્રયોગ’, ચિંતાજનક તો છે જ!
આઇન્સ્ટાઇન જેમનાં પુસ્તકોના કવરપેજ માટે અવતરણો લખી આપતા તેવા અમેરિકન દગોનિક દરૉબર્ટ રુન્સનું એક વાક્ય નોંધપાત્ર છે, ‘સરમુખત્યારોએ લાંબા સમયથી શોધી કાઢ્યું છે કે વ્યાપક પ્રેમ કરતાં વ્યાપક ધિક્કાર વડે પ્રજાને સંગઠિત કરવી સહેલી છે.’ શું આપણે આ વાતનું એક વધુ પ્રમાણ રજૂ કરવું છે ? ભારતનો નાગરિક કોમ અને ધર્મના નામે ફેલાવાતા ધિક્કારની, ‘મફત’ યોજનાઓની લાલચમાંથી અને ‘રાષ્ટ્રવાદ’ અને ‘દેશના હિતમાં’ નામની ચૉકલેટથી ક્યારે ઓચાશે? અર્થશાસ્ત્રનો તુષ્ટિગુણનો નિયમ રાજકારણમાં પણ લાગુ પડે તો સારું! પેલી વાર્તા મુજબ ખૂબ કઢી પી-પીને કોઈ સાધુ ‘કઢીપ્રેમ’માંથી મુક્ત થઈ શકતો હોય અને અસ્વાદની સાધના કરી શકતો હોય, તો હવે ભારતમાં નાગરિકે પણ આ મીઠાઈઓ પ્રત્યે અસ્વાદ કેળવવાની ઘડી આવી ગઈ હોય, તેવું નથી લાગતું?
ખેર! ભૂતકાળનો સદુપયોગ તેને વાગોળવાથી નહીં, તેમાંથી બોધપાઠ લઈને નવી ભૂલો ન કરવામાં છે! હવે પછીની ચૂંટણીઓ દરમિયાન પ્રજાને વાગોળવા, રમાડવા, રંજાડવા કે ખરેખર જાગૃત કરવા શું અપાય છે, તે જોવાનું રહ્યું! ભારતમાતાનાં ફરજંદોએ ધર્મ અને કોમને નામે માતાને વિભાજિત કરવી છે? પક્ષ અને સત્તા મહત્ત્વના છે કે દેશ? નાગરિકધર્મથી મોટો બીજો કયો ધર્મ હોય? લાલચમાં કે ઝનૂનમાં ફસાયા વગર દૂરંદેશી રાખીને જાગૃતિપૂર્વક મત આપનાર નાગરિક એ લોકશાહીની બુનિયાદ છે, તે વાત ન ભૂલીએ. લોકશાહીમાં ‘યથા પ્રજા તથા રાજા.’ મજલ લાંબી છે.
E-mail : jatantrust@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2020; પૃ. 07 તેમ જ 10