હું એક અભ્યાસી છું, કર્મશીલ કે રચનાત્મક કાર્યકર નથી. હાલમાં હું ગાંધીજીના જીવન અંગે બે ભાગમાં પ્રકાશિત થનાર પુસ્તકના લેખનમાં રોકાયેલો છું. ગાંધીજીનાં દક્ષિણ આફ્રિકામાં વીતેલાં વર્ષો અંગેના પહેલા ભાગ પછી, હવે બીજા ભાગમાં તેઓ જાન્યુઆરી ૧૯૧૫માં પરત આવ્યાથી માંડીને ૩૩ વર્ષ બાદ તેમની હત્યા થઈ તે અંગેની વિગતો છે.
ગાંધીનાં જીવન અને સંઘર્ષ અંગેનાં મારાં સંશોધન તેમ જ અનેક વિદ્યમાન ગાંધીજનોની મુલાકાતના આધારે આ પ્રવચનમાં હું આપનું ધ્યાન દોરવા માગું છું કે, ગાંધીનું જીવન ન માત્ર ગાંધીના વતન ગુજરાતમાં બલકે ભારતમાં અને સમગ્ર વિશ્વમાં આજે આપણને શું કહી રહ્યું છે.
પ્રવચનનો પ્રારંભ હું વિશ્વના નજીકના ઇતિહાસમાંથી એક જાણીતી અને આજના સમયમાં કુખ્યાત(!) તારીખ ૯/૧૧થી કરવા ઇચ્છું છું. આ એક એવી તારીખ છે કે જેની સાથે ન્યુયૉર્ક શહેરના લોકોની લાગણી અને ભાવનાઓ પ્રબળપણે જોડાયેલી છે. આ દિવસ અને તારીખની નોંધ વિશ્વમાં યાદ કરવામાં આવે છે. ૯/૧૧ એક એવો દિવસ છે, એક એવી તારીખ છે, જે મનુષ્યની બર્બરતા અને તેના જુસ્સાની ચરમસીમાનું પ્રતીક છે. બર્બરતાનું પ્રતિનિધિત્વ જેણે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો તેનું છે, અને જુસ્સાનું પ્રતિનિધિત્વ વિવિધ નાગરિકતા ધરાવતાં સ્ત્રીપુરુષો જેમણે પોતાનાં પ્રિયજનોને ગુમાવ્યાં હોવા છતાં અસાધારણ ધૈર્ય અને હિંમત રાખીને પોતાના નવજીવનની શરૂઆત કરી.
અલબત્ત, હું એક બીજી ૯/૧૧ અંગે આપનું ધ્યાન દોરવા માગું છું. જે ઘટના એક બીજા શહેરમાં અને બીજા ખંડમાં થઈ હતી. હું એ ૯/૧૧ અંગે વાત કરી રહ્યો છું, જેમાં વિનાશના સ્થાને નવસર્જન, મનુષ્યના જીવનના અવમૂલ્યન અને વિસ્થાપનની સામે વિકાસ અને માનવગૌરવ જળવાય તે માટે સંઘર્ષ થયો હતો. આ એ ૯/૧૧ છે, જેનો સંદેશો આપણે જો સાચા અર્થમાં સમજીએ અને અમલમાં મૂકીએ, તો તેનામાં લોકશાહીને મજબૂત કરવાની, હિંસાનું નિર્મૂલન કરવાની અને ન્યાયિક તથા પરસ્પરનું ધ્યાન રાખે તેવા સમાજની રચના કરવાની તાકાત અને ક્ષમતા છે.
૧૯૦૬ના સપ્ટેમ્બર મહિનાની ૧૧ તારીખ ને રવિવાર પર નજર કરીએ. આ ૧૧ સપ્ટેમ્બર હાલ વધુ જાણીતી ૯/૧૧ કરતાં ૯૫ વર્ષ પૂર્વેની હતી. જોહાનિસબર્ગના ઍમ્પાયર થિયેટરમાં લગભગ ૩,૦૦૦ સ્ત્રીપુરુષો એકઠાં થયાં હતાં, જેમાંનાં મોટા ભાગનાં ભારતીયો અને ચીની હતાં. એ લોકો ટ્રાન્સવાલ સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલા એ નવા વંશીય કાયદાનો વિરોધ કરવા એકત્ર થયાં હતાં, જેમાં અશ્વેત લોકોના નાગરિકત્વના પ્રાથમિક અધિકારને નકારવામાં આવ્યો હતો.
એ દિવસોમાં ટ્રાન્સવાલની સરકારે એક વટહુકમ જાહેર કરેલો, જેને કારણે એશિયન કાયમી વસાહતી પર સખત પ્રતિબંધ અને નિવાસી એશિયનો ઉપરનાં નિયંત્રણ કડક બને. તેમને આંગળાની છાપ આપવી પડતી, દરેક વખતે ઓળખપત્ર સાથે રાખવું પડતું. તેમને એવો હુકમ પણ હતો કે તેઓએ તેમના નિર્ધારિત વિસ્તારોમાં જ રહેવું, જેથી કરીને તેઓ ત્યાંના સત્તાધારી ‘શ્વેત’ લોકોને ‘પ્રદૂષિત ન કરે’. મોહનદાસ કરમચંદ ગાંધીના નેતૃત્વમાં આ હુકમનો વિરોધ થયો. એક જમાનાના વકીલ ગાંધી હવે સંપૂર્ણપણે એક કર્મશીલ આંદોલનકારી હતા, જેઓ નિવાસી વસાહતીઓમાં અધિકૃતતા ધરાવતી વ્યક્તિ હતી.
આ વટહુકમનો વિરોધ કરવા ટ્રાન્સવાલના ભારતીયોએ ૧૧મી સપ્ટેમ્બરે એક જાહેરસભાનું આયોજન કર્યું હતું. ભારતીયો દ્વારા ચલાવાતી તમામ દુકાનો સવારે ૧૦ વાગ્યાથી બંધ કરી દેવામાં આવી હતી. બપોરે ત્રણ વાગે સભાની શરૂઆત થઈ. જો કે બપોરથી જ દરવાજા તો ખુલ્લા જ રાખવામાં આવ્યા હતા, જેથી પરાં અને દૂરનાં ગામડાંઓમાંથી આવતા લોકો તેમાં પોતાની જગ્યા લઈ શકે. દોઢ વાગે તો આખો હૉલ ભરાઈ ગયો. એ સમયના ‘રેન્ડ ડેઇલી મેઇલ’ અખબારના પ્રતિનિધિએ કરેલું અંદરના દૃશ્યનું વર્ણન આ મુજબ છે :
“એના સુવર્ણકાળમાં પણ (પત્રકારે લખ્યા મુજબ) આ જૂના થિયેટરમાં ક્યારે ય આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યાં નહોતાં, જેટલા ગઈ કાલે આવ્યાં હતાં. ગૅલરીની છેલ્લામાં છેલ્લી હારથી લઈને આગલી હરોળ સુધીની તમામ બેઠકોમાંથી એક પણ બેઠક ખાલી ન હતી. બૉક્સમાં પણ ક્યારે ય ન જોઈ હોય, તેવી ભીડ જોવા મળતી હતી. સ્ટેજ પર પણ ચડીને લોકો બેસી ગયાં હતાં. જ્યાં નજર પડે ત્યાં ફેંટા અને પાઘડી નજરે પડતાં હતાં. આ બધા જોહાનિસબર્ગથી હજારો કિલોમીટર દૂર આવેલી જગ્યાએ એકત્રિત થયેલા ભારતીયો હતા, જેમના હૃદયમાં કોઈએ આશા જગાવી હતી.”
બેઠકમાં પાંચ ઠરાવો રજૂ થયા અને મંજૂર થયા હતા. રજૂ થયેલ ઠરાવમાંથી એકમાં વટહુકમમાં જે વાંધાજનક હતું તે કહેવાયું હતું. બીજા ઠરાવમાં ટ્રાન્સવાલ સરકારને તે પાછો ખેંચી લેવાનું કહેવામાં આવ્યું હતું. બીજા બે ઠરાવમાં લોકોની ઘવાયેલી લાગણી અંગે લંડનસ્થિત રાજસત્તાને જણાવવામાં આવ્યું હતું. સૌથી મહત્ત્વના ઠરાવમાં હાજર રહેલા લોકોને માંગ પૂરી ન થાય તેવી સ્થિતિમાં ધરપકડ વહોરવા માટે જણાવાયું હતું.
“ધારાસભા, સ્થાનિક સરકાર તથા રાજકીય સત્તાધીશો એશિયન કાયદામાં સુધારા માટેના વટહુકમના મુસદ્દા અંગે ટ્રાન્સવાલના બ્રિટિશ ભારતીય સમુદાયની નમ્ર અરજ ન સ્વીકારે, તો અહીં એકત્રિત થયેલ બ્રિટિશ ભારતીયોની સમૂહસભા એકી અવાજે અત્યંત દુઃખ સાથે ઠરાવે છે કે, આ મુસદ્દામાં રહેલી ચિંતાજનક, તાનાશાહીયુક્ત અને બિનબ્રિટિશ જરૂરિયાતોને તાબે થવાના સ્થાને ટ્રાન્સવાલમાં વસતા બ્રિટિશ ભારતીયો કારાવાસ પસંદ કરશે અને જ્યાં સુધી મહામહિમ રાજા આ દૂર નહિ કરે, ત્યાં સુધી કારાવાસમાં જવાનું ચાલુ રાખશે.”
સભાને સંબોધિત કરતાં ગાંધીએ કહ્યું કે લોકોને જેલમાં જવાની સલાહ આપવા માટે પોતે જવાબદાર છે. ‘આ પગલું ગંભીર પણ અનિવાર્ય છે’. તેમણે ઉમેર્યું કે, ’આમ કરવાથી આપણે ધમકી નથી આપતા, પરંતુ જણાવીએ છે કે, ભાષણો કરવા અને પિટિશન જમા કરાવવા ઉપરાંત આ સમય કરી બતાવવાનો છે.’ તેમણે ઉમેર્યું કે, ’તેમને દેશવાસીઓમાં પૂર્ણ વિશ્વાસ છે.’ તેઓ જાણતા હતા કે ‘તેમનામાં વિશ્વાસ મૂકી શકું છું અને મને એ પણ ખબર છે કે વીરતાપૂર્ણ પગલાં માટેનો પ્રસંગ આવે પ્રત્યેક વ્યક્તિ તેમ કરી શકશે’.
ગાંધી સાથે સાથે સાથીદારોને મુશ્કેલીઓ અંગે ચેતવણી આપતા રહેતા. તેઓ કહેતા કે ‘એ શક્ય છે કે, જેમણે પ્રતિજ્ઞા લીધી છે તેમાંના કેટલાક પહેલા તબક્કામાં જ નબળા પડી જાય. કારણ કે આપણે કદાચ ભૂખ્યા રહેવું પડે અને આકરાં ટાઢ-તાપ સહન કરવાં પડે, જેલમાં આપણી ઉપર સખત મજૂરી કરવાનું લાદવામાં આવે, વૉર્ડન આપણું દમન કરી શકે.’ તેમ છતાં ગાંધી તેમના સાથીદારોને જોડાવાની વિનંતી કરતા. ‘આપણે નબળા પડ્યા વગર આપણી વાતને રજૂ કરવા સારુ આ બધું સહન કરવું જ પડશે.’ એ નેતા (ગાંધી) સ્પષ્ટ હતા કે, ‘લડત લાંબી ચાલવાની છે’, પણ જો આખી વસાહત વીરતાપૂર્વક આ કટોકટીનો સામનો કરે તો – એના નેતાને ખાતરી હતી કે, ‘આ સંઘર્ષનો એક જ અંત છે, અને તે માત્ર વિજય જ.’
અત્યાર સુધી દક્ષિણ આફ્રિકામાં વસાહતી ભારતીયોને ન્યાય અપાવવા માટે સંપૂર્ણપણે ચુસ્ત ન્યાયિક અને કાયદાકીય રસ્તો જ અપનાવવામાં આવ્યો હતોઃ પત્રો, અરજી, કોર્ટ કેસ, પ્રતિનિધિ સભ્યોનું મંડળ મોકલવું. ગાંધી અને તેમના સાથીદારોએ અયોગ્ય રીતે લાદવામાં આવેલી નીતિઓને પડકારવાનો પ્રયત્ન કર્યો હતો. હવે તેઓ નવા કાયદાઓનો પ્રતિકાર કરવા માટે જેલમાં જવા પણ તૈયાર હતા.
૧૯૦૬ સપ્ટેમ્બર ૧૧ની એ બેઠકમાં પિટિશન લખનારાઓની સાવચેતીપૂર્વક આગળ વધવાની નીતિને ફગાવી દેવામાં આવી. પણ તેણે એ હિંસક હુમલાની પ્રવૃત્તિનો પણ વિરોધ કર્યો, જે એ દિવસોમાં તત્કાલીન ક્રાંતિકારીઓમાં અત્યંત પ્રચલિત હતી. યુરોપમાં અરાજકતાવાદીઓ અને સામ્યવાદીઓ, રાજાઓ, સેનાપતિઓ કે વડાપ્રધાનોની હત્યા કરીને રાજકીય પરિવર્તન લાવવા માંગતા હતા. આ પદ્ધતિઓનું એ દિવસોમાં ભારતમાં પણ અનુકરણ થતું હતું. ક્રાંતિકારીઓ અને અંતિમવાદી યુવાઓ એ જ રીતે ઉપખંડના વહીવટદારોની હત્યા કરીને અંગ્રેજોને દેશ છોડી દેવાની ધમકી આપતા હતા. જ્યારે ટ્રાન્સવાલ સરકારે નમતું જોખવાની ના પાડી દીધી, ત્યારે ગાંધી અને તેમના સહયોગીઓએ ધરપકડ વહોરી. તેમણે પાસ સાથે રાખવાનો ઇનકાર કર્યો કે પછી તેને બાળી નાંખ્યા, રાતના કફ્ર્યુ પાળવાનો વિરોધ કર્યો, દુકાન ચલાવવા માટેનો પરવાનો લેવાની ના પાડી દીધી અને ખુલ્લેઆમ ફરવાનું શરૂ કર્યું. ૧૯૦૭થી ૧૯૧૪ દરમિયાન દક્ષિણ આફ્રિકામાં સત્તાધીશો દ્વારા હજારો ભારતીયોને જેલમાં પૂરવામાં આવ્યા. ગાંધીએ ખુદ ત્રણ લાંબા કારાવાસ ભોગવ્યા.
૯/૧૧ના રોજ વિરોધ પ્રદર્શિત કરવાની એટલે કે – પહેલી ૯/૧૧ના રોજ વિરોધ કરવાની – આ રીતનું ગાંધીએ વિશેષ નામાભિધાન કર્યું ‘સત્યાગ્રહ’. ‘સત્યનું બળ’. ૧૯૧૫માં ભારત પરત ફર્યા બાદ રાજકીય આઝાદી મેળવવા માટે સત્યાગ્રહનો તેમણે વધુ જુસ્સાથી પ્રયોગ કર્યો. ગાંધીએ અંગ્રેજ રાજ સામે ત્રણ મોટાં નાગરિક અસહકાર આંદોલનોનું નેતૃત્વ કર્યું, જેણે હિંસાના મહત્ત્વને લગભગ ખતમ કરી નાખ્યું. લાખો ભારતીયો આ આંદોલનમાં જોડાયા. આ આંદોલનમાં અંગ્રેજ સરકારની જેલો ઊભરાઈ ગઈ. સમાજના તમામ સ્તરના લોકો સાથે મળીને વિરોધમાં જોડાયા. વકીલો અને ખેડૂતો, કારીગરો અને મિલમાલિકો સૌ ખભેખભા મિલાવીને લડ્યા.
(૨)
ભારતમાં ગાંધી ‘રાષ્ટ્રપિતા’ તરીકે ઓળખાય છે. બીજા કોઈ પણ કરી શકે તેના કરતાં વધુ સઘન રીતે તેમણે ભારતીયોને આઝાદી માટે તૈયાર કર્યા. તેમને ધર્મ, નાતજાત અને લિંગના ભેદભાવોથી અવગત કરાવ્યા. લોકશાહી અને ભારતીય બંધારણની આચારસંહિતા માટે કેળવ્યા. ભારત પર ગાંધીનું અત્યંત ઋણ છે અને ગાંધી સ્વયં ભારત ઉપરાંત અનેક દેશોના ઋણી છે. અહિંસાના સ્થાનિક, પરંપરાગત સાધનથી પ્રભાવિત થયેલા ગાંધીના વિચાર રશિયન લીઓ ટૉલ્સ્ટૉય, અંગ્રેજ જ્હૉન રસ્કિન અને અમેરિકન હેન્રી ડેવિડ થોરોના લખાણના વાચનથી વધુ સ્પષ્ટ અને વેધક થયા. એ દક્ષિણ આફ્રિકા હતું, ભારત નહિ – જે ગાંધીના અહિંસક વિરોધ કરવાના પ્રયોગોની પ્રથમ મહત્ત્વની ખરલ બન્યું.
ગાંધી સાચા અર્થમાં વૈશ્વિક પ્રતિભા હતા અને છે. તેમના વિચારોની અને કામગીરીની આંતરદેશીય સ્તરે પહોંચ હતી. તેમના મૃત્યુ બાદ અહિંસક વિરોધની તેમની પ્રયુક્તિઓ કેટલાક ખંડોમાં સફળતાપૂર્વક વપરાઈ છે. અમેરિકન સરકારને નૈતિક રીતે શરમમાં નાંખવા, વંશીય ભેદભાવની નીતિ સામે માર્ટીન લ્યુથર કિંગ અને તેમના સાથીદારોએ સત્યબળનો ઉપયોગ કર્યો. સોવિયેત સંઘના તાબામાં રહેલા પૂર્વ યુરોપના દેશોમાં લેચ વાલેસા, વોક્લેવ હોવેલ અને તેમના સાથીઓએ પણ સામ્યવાદી સરકારોને ઉથલાવીને લોકશાહી રાજ્યની સ્થાપના કરવા અહિંસાના સાધનનો ઉપયોગ કર્યો. ગાંધીના વારસા અને પદ્ધતિનો ઉપયોગ આરબ દેશોમાં નજીકના ભૂતકાળમાં થયેલાં લોક-આંદોલનોમાં થયો છે. ભારતની આસપાસના દેશોમાં જોઈએ તો, સ્વતંત્રતા અને ગૌરવ માટેની ઑંગ સાન સૂ ચી અને દલાઈ લામાની લડતમાં પણ એ જોઈ શકાય છે.
જોહાનિસબર્ગની ૧૯૦૬ના સપ્ટેમ્બરની એ બેઠકે સમગ્ર વિશ્વમાં સંસ્થાનવાદી સત્તાનાં અને અંગ્રેજ સામ્રાજ્યનાં મૂળ ઉખાડવા માટેની લડતનાં અને લોકશાહીની સ્થાપના માટેનાં બીજ ઠેકઠેકાણે રોપ્યાં; ઉપરાંત જે દેશ અધિકૃત રીતે આઝાદ હોય અને ઔપચારિક રીતે લોકશાહી હોય, ત્યાં પણ અહિંસા અન્યાય અને ભેદભાવની સામે વિરોધ નોંધાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ૧૯૫૦ અને ’૬૦ના દાયકામાં અમેરિકામાં આવું જ થયું. આફ્રિકી મૂળના અમેરિકનોને સમાન નાગરિક – અધિકાર આપવાનો ઇનકાર થયો, ત્યારે પણ અહિંસક માર્ગે જ લડત જીતવામાં આવી. આજે ભારતમાં પણ કંઈક એવી જ સ્થિતિ છે. જ્યાં બહુપક્ષીય લોકશાહી છે અને એક સ્વતંત્ર ન્યાય-વ્યવસ્થા તમામ વિકૃત સામાજિક અસમાનતાઓની લગોલગ અસ્તિત્વ ધરાવે છે.
ગાંધીના ખુદના દેશમાં ગાંધીના સત્યાગ્રહના સાધનનો અનેક વાર જુદા-જુદા સંજોગોમાં જુદી-જુદી રીતે ઉપયોગ થયો છે. ૧૯૭૦માં હિમાલય વિસ્તારમાં ખેડૂતોએ ચિપકો આંદોલન છેડ્યું, જેમાં લાકડાના વેપારીઓ દ્વારા કરાઈ રહેલા જંગલછેદનની સામે વૃક્ષોને ભેટીને વિરોધ દર્શાવ્યો. ૧૯૮૦માં મધ્ય ભારતમાં ખેડૂતોએ આદિવાસી વિસ્તારમાં બંધાઈ રહેલા વિશાળ બંધના વિરોધમાં તથા ડૂબમાં જતાં પોતાનાં મકાન, ગામ, ખેતીલાયક જમીન, ધર્મસ્થળ વગેરેને બચાવવા માટે તથા વિશાળ જંગલોના રક્ષણ માટે સત્યાગ્રહનો આશ્રય લીધો. અને હાલમાં જ, ૨૦૧૧માં, દિલ્હીમાં દેશના રાજકીય વર્ગ દ્વારા મોટા પાયે થતા ભ્રષ્ટાચારનો વિરોધ કરવા માટે વિશાળ સંખ્યામાં રેલી અને ધરણાં કરવામાં આવ્યાં. આ તમામ આંદોલનોએ ગાંધીમાંથી પ્રેરણા લીધી. તેમનાં ચિત્રો-તસવીરો લઈને ચાલ્યાં, તેમને ગમતાં ભજનો-ધૂનો ગાયાં. તેમના જન્મદિન ૨ ઑક્ટોબરે કે તેમના મૃત્યુિદન ૩૦ જાન્યુઆરીએ પોતાના કાર્યક્રમોનો પ્રારંભ કર્યો અથવા પૂર્ણાહુતિ કરી.
બે દિવસો દરેક વ્યક્તિના જીવન માટે મહત્ત્વના હોય છે; તેનો જન્મદિવસ અને મૃત્યુિદવસ, એ પછી જાણીતી હોય કે અજાણી. પરંતુ ભૂતકાળમાં મહત્ત્વ અને વર્તમાનમાં પ્રસ્તુતતા ધરાવતી ઐતિહાસિક વ્યક્તિ એવા ગાંધી માટે આ ત્રીજો દિવસ પણ તેટલા જ મહત્ત્વનો દિવસ છે. એટલે ૧૯૦૬ સપ્ટેમ્બરની ૧૧મી તારીખ કે જ્યારે વેપારીઓ, ફેરિયાઓ, મજૂરોની સામે જોહાનિસબર્ગની એ સભામાં ગાંધીએ અન્યાયી કાયદાઓ અને સત્તાધારીઓનો વિરોધ કરવા માટે અહિંસક રીતે પ્રતિકારના વિચારને જન્મ આપ્યો.
૯/૧૧ કે જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટરને ધ્વસ્ત કરી નંખાયું, એવું ફરીથી ન થાય. પરંતુ એ ૯/૧૧ના; કે જેનાં વલયો અને પડઘાએ રંગભેદનો ઝડપથી અંત લાવવામાં મદદ કરી, ભારતને આઝાદીની ભેટ આપી, આફ્રિકી-અમેરિકનોને સમાન અધિકારોનો દાવો કરવા સક્ષમ બનાવ્યા, પૂર્વ યુરોપમાં સામ્યવાદી સત્તાનો અહિંસક માર્ગે અંત આણ્યો; તે લોકોની સ્મૃિતમાં જીવંત રહો અને લોકશાહી અને સામાજિક ન્યાય જ્યાં અનિવાર્ય છે, એવા આપણા અપૂર્ણ અને અસલામત વિશ્વમાં અહિંસક સંઘર્ષને જીવંત રાખો.
(૩)
નિઃશંકપણે જાહેરજીવનમાં અહિંસાના સિદ્ધાંત અને વ્યવહાર એ ગાંધીનું સૌથી મહત્ત્વનું પ્રદાન છે. જો કે અન્ય એટલાં જ મહત્ત્વનાં કહી શકાય તેવાં પ્રદાન પણ છે જ. જેમાંનું એક એટલે આંતરિક શાંતિ અને આંતરધર્મીય સંવાદિતાનો સિદ્ધાંત અને વ્યવહાર. ગાંધીનો જન્મ થયો ૧૮૬૯માં. ચાર્લ્સ ડાર્વિને લખેલ પુસ્તક ‘ધ ઓરિજીન ઑફ સ્પેસીઝ’ના પ્રકાશનને એક દસકો થયા બાદ યુરોપમાં શિક્ષિત વર્ગમાં મોટા પાયે સંશયવાદ પ્રવર્તતો હતો. થોમસ હાર્ડીના કાવ્ય ‘ગૉડ’ઝ ફ્યૂનરલ’માં આ લાગણી પ્રગટ થઈ છે. યુરોપ બહાર આ સમય સઘન મિશનરી પ્રવૃત્તિનો હતો. આફ્રિકા અને એશિયામાંનાં તેમનાં નવાં સંસ્થાનોમાં યુરોપિયન પાદરીઓ અસભ્ય સમાજને ખ્રિસ્તીધર્મના વિવિધ વાડામાં લાવવા માટે ખેંચતાણ કરતા હતા.
પોતાના પક્ષે ગાંધીએ બૌદ્ધિકોની નાસ્તિકતા અને મિશનરીઓના અહંકારને નકાર્યા. એ એવું નહોતા વિચારતા કે જગતનાં તમામ રહસ્યોનો વિજ્ઞાન પાસે ઉત્તર છે. મનુષ્યની ઊંડાણની જરૂરિયાતોનો જવાબ શ્રદ્ધા છે. તેમ છતાં ગાંધી નહોતા વિચારતા કે ઈશ્વર સુધી પહોંચવાનો કોઈ એક વિશેષ માર્ગ છે. તેઓ માનતા કે ધાર્મિક પરંપરાઓ સત્યો અને ભૂલોનું બનેલું અસ્થાયી મિશ્રણ છે. આ ત્રણ માન્યતાઓને આધારે ચોથી માન્યતા ઘડાઈ. ગાંધીએ ધર્માંતર અને મિશનરી કામનો અસ્વીકાર કર્યો. એમણે આંતરધર્મીય સંવાદને પ્રોત્સાહન આપ્યું, જેથી વ્યક્તિઓ સ્વધર્મને અન્યની ટીકા દ્વારા સમજી શકે.
ગાંધીએ પોતાની શ્રદ્ધા અંગે એક વાર કહ્યું હતું કે, “મારા હિંદુધર્મનો વિસ્તાર હું અન્ય ધર્મોને મારા ધર્મ જેટલો જ પ્રેમ કરીને કરી શકું.” તેમણે આંતરધર્મીય પ્રાર્થનાસભાઓનો પ્રારંભ કર્યો, જ્યાં વિવિધ ધર્મોના લોકો વચ્ચે સર્વધર્મનાં લખાણો ગાવા-વાંચવામાં આવતાં. જાન્યુઆરી, ૧૯૨૮માં સાબરમતી આશ્રમ ખાતે આંતરધર્મીય સમભાવ પરિષદ યોજાઈ. તેમાં તેમણે જણાવ્યું હતું કે, “આપણે માત્ર પ્રાર્થના કરીએ. જો આપણે હિંદુ હોઈએ તો નહિ કે ખ્રિસ્તી હિંદુ બને અથવા જો આપણે મુસલમાન હોઈએ તો હિંદુ કે ખ્રિસ્તી મુસલમાન બને. આપણે મનમાં પ્રાર્થના નહિ કરીએ કે કોઈ પણ (આપણા) ધર્મમાં ધર્મપરિવર્તન કરે. પરંતુ આપણી અંદરની પ્રાર્થના એવી હોવી જોઈએ કે હિંદુ સારો હિંદુ બને, મુસલમાન સારો મુસલમાન બને અને ખ્રિસ્તી સારો ખ્રિસ્તી. ભાઈચારાનું આ મૂળભૂત સત્ય છે.”
વધુ સારા હિંદુ-મુસલમાન કે ખ્રિસ્તી હોવું એટલે શું? બધા જ ધર્મનાં પુસ્તકોમાં વિરોધાભાસી પ્રવાહો અને લાગણીઓ રહેલી છે, જે એક વાતને સમર્થન આપે છે, તો તેનાથી તદ્દન વિરોધી વાતને પણ. ગાંધી કહે છે કે, ‘જે પ્રવાહો હિંસા અને ભેદભાવનો વિરોધ કરે અથવા અહિંસા અને ન્યાયને પ્રોત્સાહન આપે, તેનું સમર્થન કરીએ.’ હિંદુ ધર્માચાર્યો દલીલ કરે છે કે અસ્પૃશ્યતાનો વ્યવહાર ધર્મગ્રંથોએ પણ માન્ય કરેલ છે. આ કિસ્સામાં ગાંધી જવાબ આપે છે, “ધર્મગ્રંથો શ્રદ્ધા અને વિશ્વાસની સાચી પરંપરાનું પ્રતિનિધિત્વ કરતા નથી. ઇસ્લામિક લખાણોમાં ક્યાંક સ્ત્રીઓ અંગે વાંધાજનક શબ્દો વપરાયા છે, તો બીજે ઠેકાણે સ્ત્રીઓ માટે માન-સન્માનભરી રીતે લખાયું છે. ન્યાયપ્રિય મુસ્લિમો સ્વાભાવિક રીતે જ બીજો વિકલ્પ પસંદ કરશે. એ જ રીતે ખ્રિસ્તીઓ પણ બાઇબલમાં જણાવ્યા મુજબ વિધર્મી સાથે વેર રાખવાને બદલે ઈસુના શાંતિના સંદેશાને જ મહત્ત્વનો માનશે.”
ગાંધીનાં જીવન અને કવનમાં ધાર્મિક બહુલતા વચ્ચે અતૂટ સંબંધ રહેલો છે. ૧૯૩૦ના અંતિમ દાયકામાં યહૂદી વસાહતીઓ અને પેલેસ્ટાઇનના ખેડૂતો વચ્ચે હિંસક તોફાનો થયાં હતાં. બંને તેમના ધર્મના નામે લડવા ઊતરી પડ્યા હતા. ગાંધી એ અંગે નોંધે છે કે, “બંદૂકની અણીએ કે બૉમ્બ વડે ધર્મનું પાલન કરાવી શકાય નહિ.” એક દાયકા બાદ ગાંધી ૭૭ વર્ષની વયે કોમી હુલ્લડોથી ક્ષત-વિક્ષત થયેલા પૂર્વ બંગાળના લોકોના ઘા પર મલમ લગાડવા પહોંચી જાય છે. જ્યારે ઑગસ્ટમાં આઝાદી આવી ત્યારે ગાંધી તેની ઉજવણીનો વિરોધ કરે છે, કેમ કે રાજકીય આઝાદી સાંપ્રદાયિક હિંસાની પીઠે સવાર થઈને આવી હતી. જ્યારે હિંસા કાબૂમાં આવતી નહોતી, ત્યારે ગાંધીએ કોલકાતામાં આમરણ ઉપવાસ શરૂ કરી દીધા. તેમના આ પગલાથી લોકો વિક્ષુબ્ધ થઈ ગયા, શરમાયા અને ધીમે-ધીમે શાણા થયા. હિંદુ અને મુસ્લિમ જૂથના પ્રતિનિધિઓ “શાંતિ અને સુલેહની કોલકાતામાં પુનઃ સ્થાપના થશે,” એવી એક લેખિત બાંયધરી સાથે તેમને મળ્યા. તેમણે બાંયધરીમાં ઉમેર્યું કે, “અમે હવે શહેરમાં ક્યારે ય કોમી હિંસા થવા દઈશું નહિ અને એને રોકવા માટે અમે મરણિયા પ્રયાસ કરીશું.”
ગાંધીએ તેમના ઉપવાસ છોડ્યા અને દિલ્હી તરફ રવાના થયા. અહીં શહેરના ૯ મુસ્લિમો ઉપર હિંદુઓ અને શીખોએ ક્રૂર હુમલો કર્યો હતો. પાકિસ્તાનમાં તેમના સમધર્મીઓ પરના હુમલાના વળતા પ્રહાર રૂપે આ હતું. ગાંધીએ બદલા અને વળતા પ્રહારના આ રાજકારણને વખોડી કાઢ્યું. તેમણે તેના વિરોધમાં પુનઃ ઉપવાસ આદર્યા. તેમની તબિયત ઝડપથી લથડવા લાગી. બધા જ રાજકીય પક્ષોના આગેવાનોએ તેમને ઉપવાસ છોડવા વિનંતી કરી. તેમણે બાંયધરી આપી કે, “દિલ્હીમાં મુસલમાનોની મિલકત, જીવન અને ધાર્મિક આસ્થાનું અમે રક્ષણ કરીશું અને તેને નુકસાન પહોંચાડતા જે પ્રસંગો થયા છે, તે હવે ભવિષ્યમાં થશે નહીં, તેની ખાતરી આપીએ છીએ.’
એક વૃદ્ધ, અશક્ત પુરુષ નૈતિક બળથી બે મોટાં શહેરોમાં શાંતિ લાવવામાં મદદરૂપ થાય છે. હવે તેમની ઇચ્છા પંજાબ જવાની હતી, જ્યાં કોમી રમખાણોએ વિકરાળ સ્વરૂપ લીધું હતું. તેઓ જઈ શકે તે પહેલાં એક ધર્મઝનૂની વ્યક્તિ દ્વારા તેમની હત્યા કરાઈ. પરંતુ તેમનું જીવન, ઉદાહરણ અને સિદ્ધિઓ આપણી સામે છે. આજે હવે આપણે ઉદ્ધત નાસ્તિકતા અને કટ્ટર ધર્માંધતાના સમયમાં જીવી રહ્યા છીએ. પુસ્તકોની દુકાનો ‘ઈશ્વર છે જ નહિ’ એવાં પુસ્તકોથી ઊભરાઈ રહી છે. કટ્ટરવાદીઓની સ્પર્ધાથી શેરીઓ લોહિયાળ થઈ ગઈ છે. અહીં જે લોકો જુદા-જુદા ઈશ્વરને ભજે છે, તેમની વચ્ચે કે જેઓ ઈશ્વરમાં જરા ય માનતા નથી, તેમની વચ્ચે ગાંધીની આસ્થા શાંતિ અને સંવાદિતા સ્થાપવા સહાયરૂપ બની શકે.
૧૯૧૯માં જઈએ. બે મોટાં ધાર્મિક જૂથો વચ્ચે મૈત્રીપૂર્ણ કરાર થાય તે માટેની ધીમી પણ મક્કમ શરૂઆત કરાવતી વેળાએ ગાંધીએ તેમની પાસે સંયુક્તપણે આ મુજબની પ્રતિજ્ઞા કરાવી :
“ઈશ્વર-ખુદાને નજર સમક્ષ રાખીને અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે, અમે હિંદુ અને મુસલમાનને સગા ભાઈની જેમ ગણીને બંને માટે જરા પણ ભેદભાવ નહિ રાખીએ. અમે એકબીજાને દુઃખે દુઃખી થઈશું અને દુઃખના નિવારણ કાજે અમારી શક્તિ મુજબ સંપૂર્ણપણે ભાગ લઈશું. અમે એકબીજાના ધર્મનો કોઈ પણ રીતે વિરોધ નહીં કરીએ, એકબીજાની ધાર્મિક લાગણીઓ નહિ દુઃભવીએ, એકબીજાના ધર્મના પાલનમાં વચ્ચે નહિ આવીએ અને એકબીજા તરફ માનપૂર્વક વર્તીશું. અમે પરસ્પર ધર્મના નામે થતી હિંસાથી દૂર રહીશું.”
અહીં મારે એટલું જ ઉમેરવાનું છે કે, ગાંધીએ જે હિંદુ અને મુસલમાનોને ભારતમાં ૧૯૧૯માં કહ્યું એ આજે તેમણે ફરીથી કહેવાની જરૂર છે. યહૂદીઓ અને આરબોને પેલેસ્ટાઇનમાં, હિંદુ અને બૌદ્ધોને શ્રીલંકામાં તથા ખ્રિસ્તી અને મુસલમાનોને યુરોપ, ઉત્તર અમેરિકા, મધ્ય-પૂર્વના દેશો અને આફ્રિકાના દેશોના લોકોને પણ આ જ વાત કહેવાની જરૂર છે.
(૪)
આમ કહી શકાય કે, ગાંધી એક બહુઆયામી સમાધાનકારી હતા. તેમણે હિંદુ અને મુસલમાનોનો પરસ્પર સુમેળ કરાવ્યો, તથા સ્ત્રીઓ અને પુરુષોનો, ઉચ્ચ અને નિમ્ન જાતિઓનો અને ઉત્તર અને દક્ષિણ ભારતીયોનો પણ મેળ કરાવ્યો. સત્યાગ્રહની ઝુંબેશ મારફતે કોઈ પણ આધુનિક રાજકારણી કરતાં વધુ મોટી સંખ્યામાં તેઓ મહિલાઓને જાહેરજીવનમાં લાવ્યા. મહાન દલિત નેતા આંબેડકરને બાદ કરતાં ભાગ્યે જ કોઈ હશે કે જેણે અસ્પૃશ્યતા અયોગ્ય ઠેરવવા માટે ગાંધીએ કર્યું તેટલું કામ કર્યું હશે. ને ગાંધીએ સાથોસાથ ભાષાકીય બહુલતાને તો પ્રોત્સાહન આપ્યું જ છે.
આજે ભારત એક અનેક ભૂલો કરી ચૂકેલો લોકશાહી દેશ છે, પરંતુ તે લોકશાહી તો છે જ. અન્ય પૂર્વસંસ્થાનોની સરખામણીમાં ભારત સરકાર નિયમિત રીતે મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજે છે, મહિલાઓને બંધારણમાં સમાન અધિકાર મળ્યા છે, અહીં ભાષાકીય વૈવિધ્ય સફળતાપૂર્વક કેળવાયું છે. રાજ્ય કોઈ એક ધર્મવિશેષની ઓળખ બન્યું નથી. અને આ દેશ વંચિતો અને ગરીબો માટે હકારાત્મક અને સઘન કાર્યક્રમો કરે છે. આ સર્વે સિદ્ધિઓ રાષ્ટ્રનિર્માણમાં રહેલા નેતાઓની એક પેઢીના કારણે પ્રાપ્ત થઈ છે, જેના ગાંધી પૂર્વસૂરિ હતા.
ભારતના બહુ મોટા વિસ્તારમાં ફેલાયેલી ગરીબી, મોટા પ્રમાણમાં પર્યાવરણીય અવનતિ, રાજકીય ભ્રષ્ટાચાર, અને વધતા જતા મૂડીવાદ જેવી ઘટનાઓને અવગણવાનું દુનિયાના ઘણા દેશો પસંદ કરે, પરંતુ તેઓ ભારતની સિદ્ધિઓમાંથી હજુ પણ એકબે પદાર્થપાઠ લઈ શકે છે. જો કે કેટલાક શીખ્યા પણ છે. ૧૯૧૨માં સ્થાપના બાદનાં પચાસ વર્ષે આફ્રિકન નેશનલ કૉંગ્રેસે પણ અહિંસાનો માર્ગ અપનાવીને આઝાદી મેળવી હતી. આ માર્ગ થોડી આનાકાની અને લાંબી ચર્ચા બાદ નક્કી કરાયો અને નિર્ણય લેવાયો કે, શ્વેતવંશીય સત્તાનાં મૂળિયાં એટલાં ઊંડાં છે કે માત્ર સત્યાગ્રહ દ્વારા હલી શકે નહિ. તેમ છતાં આફ્રિકન નેશનલ કૉંગ્રેસે જેટલી પણ હિંસાનો ઉપયોગ કર્યો, તે ખૂબ જ લક્ષિત હતી, તે વિચારપૂર્વક કરાયેલી હતી ને મનુષ્યજીવનનું ન્યૂનતમ નુકસાન કરનારી હતી. સરકારી કચેરીઓ અને આંતરમાળખાકીય પ્રકલ્પો પર હુમલો કરાયો; પણ રાજ્યના અધિકારી કે નાગરિકો પર હુમલા કરાયા નહિ. ૩૫ વર્ષના આ સશસ્ત્ર સંઘર્ષમાં કદાચ સોએક લોકો મૃત્યુ પામ્યા. આ હિંસા નહોતી, દાયકાઓની લોકચળવળની સંચયી અસર હતી કે જેના કારણે રંગભેદની નીતિનો અંત આવ્યો અને લોકશાહી રાજકીય વ્યવસ્થાની સ્થાપના થઈ.
વિરોધકર્તા તરીકે નેલ્સન મંડેલાએ ગાંધીની જ પદ્ધતિઓનો ચુસ્તપણે ઉપયોગ કર્યો નહોતો, પણ એક શાસક તરીકે જરૂર. રંગભેદની નીતિનો અંત આવ્યા બાદ નેલ્સન મંડેલાએ શ્વેત પ્રજા સાથે પુનઃ સુમેળના પ્રયાસ શરૂ કર્યા અને દક્ષિણ આફ્રિકાના વિવિધ લોકોને મળવાનું ચાલુ રાખ્યું. પ્રજાસત્તાક આફ્રિકાનું બંધારણ કોઈ પણ જાતિ, ધર્મ કે ભાષાકીય જૂથના વિશેષાધિકારને નકારે છે. ભારતીય અથવા ગાંધીના અનુભવના આધારે આનો અસ્વીકાર થયો છે.
સુમેળ સાથેની આઝાદી અને ન્યાય – આ જ સંદેશો છે ગાંધી અને મંડેલાનો, કિંગ અને હોવેલનો, દલાઈ લામા અને ઓંગ સાન સૂચીનો. સરમુખત્યારશાહી અને ધાર્મિક કટ્ટરતામાંથી હાલમાં જ મુક્ત થયેલા લોકશાહી ધરાવતા એશિયાઈ અને આફ્રિકી દેશો માટે આ જ સંદેશ છે.
(૫)
૧૯૯૮માં ટાઇમ મૅગેઝિનના તંત્રીઓએ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનને ‘પર્સન ઑફ સેન્ચ્યુરી’ તરીકે જાહેર કર્યા. તેમણે ફ્રેંક્રલિન રુઝવેલ્ટ સાથે ગાંધીને બીજા ક્રમે મૂક્યા. રુઝવેલ્ટ વિશે તો કહી ન શકાય, પણ ગાંધીથી આગલા ક્રમે મુકાતાં આઇન્સ્ટાઇન આઘાત અને શરમની લાગણી અનુભવે અને પોતાને ગાંધીથી આગળ કેમ મૂક્યા તે અંગે અપીલ પણ કરી દે. ગાંધી માટે આઇન્સ્ટાઇનને ખૂબ જ પૂજ્યભાવ હતો. ૧૯૩૧ના સપ્ટેમ્બરમાં તેમણે ગાંધીને લખ્યું કે,
“જે લોકો હજુ હિંસા છોડી શક્યા નથી, તે લોકોને આપે આપના કામ દ્વારા સાબિત કરી આપ્યું છે કે, અહિંસક માર્ગે કામ કરવાથી સફળ થઈ શકાય છે. અમે આશા રાખીએ છીએ કે આપના કામની ખ્યાતિ સરહદો વળોટીને દેશપરદેશ સુધી પહોંચે અને યુદ્ધ અને મતભેદના સ્થાને સમગ્ર વિશ્વમાં આપણે સૌને માટે આદર સ્થાપિત કરી શકીએ.”
લાગે છે કે આ પત્રની અંતિમ લીટીઓ સંયુક્ત રાષ્ટ્રસંઘના સર્જનની દિશા ચીંધે છે. આઠ વર્ષ બાદ આઇન્સ્ટાઇને આથી પણ વધુ સુંદર પત્ર ગાંધીજીની પ્રશંસામાં લખ્યોઃ “પોતાના લોકોનો એ નેતા, જેને બહારની સત્તાનો ટેકો નથી; એક રાજકારણી, જેની સફળતાનો આધાર હોશિયારી કે તક્નિક સાધનોની નિપુણતા ઉપર નહિ, પરંતુ લોકોને સમજાવવાની તેની આવડત ઉપર હતો; એક વિજયી યોદ્ધો જે બળપ્રયોગને હંમેશાં અવગણીને આગળ વધતો રહ્યો, માનવતા અને શાણપણ ધરાવતો, એ મનુષ્ય જે દૃઢનિશ્ચયો અને સાતત્ય ધરાવતો હતો, જેને પોતાની સંપૂર્ણ શક્તિ પોતાના લોકોના ઉદ્ધાર અને તેમના જીવનધોરણને સુધારવા માટે ખર્ચી નાંખી, એ મનુષ્ય કે જેણે યુરોપની અમાનવીયતાનો સામનો સામાન્ય માણસના ગૌરવ માટે કર્યો અને સદાકાળ ઊંચે ને ઊંચે જ ઊઠતો રહ્યો.
“આવનારી સદીઓમાં ભાગ્યેજ કોઈ માનશે કે હાડમાંસનો બનેલો આવો કોઈ માનવી સાચ્ચે જ આ પૃથ્વી પર વિચર્યો હશે.”
આઇન્સ્ટાઇનને કોઈ જ શંકા નહોતી કે ગાંધી તેમના સમયના જ નહિ, પરંતુ કોઈ પણ સમયના સૌથી મહાન નેતા હતા. ૧૯૩૦નાં શરૂઆતનાં વર્ષોમાં તેઓ (આઇન્સ્ટાઇન) બર્લિનમાં ભણાવતા હતા, ત્યારે તેમના અભ્યાસખંડમાં વિશ્વની ત્રણ મહાન પ્રતિભાની તસવીરો રહેતી હતી. તે હતા ભૌતિકશાસ્ત્રી મેક્સ પ્લાંક, માઇકલ ફેરેડે અને મોહનદાસ ક. ગાંધી. ૧૯૫૦ના દાયકામાં આઇન્સ્ટાઇન ક્રિસ્ટન આવ્યા. ત્યારે તેમની ઑફિસમાં ગાંધીની તસવીર તો હતી જ; મેક્સ પ્લાંક અને માઇકલ ફેરેડે અદૃશ્ય હતા. આ અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે જણાવ્યું કે હાલમાં ભૌતિકશાસ્ત્રની શોધનાં પરિણામો એટમબૉમ્બ સ્વરૂપે આવ્યાં છે જ્યારે બીજા પક્ષે ગાંધીની પ્રતિભા ઉત્તરોત્તર વધતી જ જાય છે.
ગાંધીનું આજે શું શેષ રહ્યું છે ? ગાંધીનું શું શેષ રહેવું જોઈએ ? તેમણે શીખવેલી કેટલીક વાતો તદ્દન અપ્રસ્તુત છે. જેમ કે ખોરાક અંગેનો તેમનો ખ્યાલ (તેઓ ખોરાકમાં મુખ્યત્વે ફળ, બાફેલાં શાકભાજી અને સૂકો મેવો લેતા હતા), દવાઓ (તેમણે કૅન્સરના દર્દીઓની પાણીના સ્નાનથી સારવાર કરાવી હતી) અને જાતીયતા (તેમણે તેમના અનુયાયીઓ ઉપર કઠોર બ્રહ્મચર્ય લાદ્યું હતું). આ વાતોની ભાગ્યે જ કોઈ તરફેણ કરશે. તેમ છતાં, આટલું કહ્યા પછી પણ, વર્તમાન સમયમાં ઓછામાં ઓછાં ચાર એવાં ક્ષેત્ર છે, જ્યાં ગાંધીની કહેલી વાત આજે પણ રસપ્રદ અને મહત્ત્વની બની રહેલ છે.
સૌથી પહેલું અને કદાચ સૌથી મહત્ત્વનું ક્ષેત્ર એટલે અહિંસક પ્રતિરોધ. અહિંસક માર્ગે આવેલું સામાજિક પરિવર્તન ઓછું નુકસાનકારક અને સંપોષિત હોય છે. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ લોકશાહી વ્યવસ્થામાં સંક્રાંત થયેલા લગભગ ૬૦ દેશોના ફ્રીડમ વિચાર જૂથે કરેલા અભ્યાસ અનુસાર પરિવર્તનનો આધાર સામાન્ય સમજણ કરતાં અલગ એવો વિસ્તૃત અહિંસક નાગરિક પ્રતિકાર હોય છે; જેમાં બહિષ્કાર, સમૂહ વિરોધ, નાકાબંધી, હડતાલ અને નાગરિક અસહકારની પ્રયુક્તિઓ દ્વારા શાસકોની સત્તાને ગેરકાયદાકીય, તેમના આધારનો સ્રોત તેમ જ સૈન્યની વફાદારીને ઓછી કરવા માટે અસરકારક બની રહે છે. અલબત્ત, વિરોધની આ બધી પ્રયુક્તિઓનો પ્રારંભ ગાંધીએ જ કર્યો હતો.
બીજું ક્ષેત્ર આસ્થા. ગાંધી બંનેનો વિરોધ કરે છે; એક તો બિનસાંપ્રદાયિકો કે જેઓ દૃઢતાપૂર્વક ઈશ્વરની અંતિમ ક્રિયાની રાહ જુએ છે અને બીજા એકેશ્વરવાદીઓ કે જેઓ ભારપૂર્વક જણાવે છે કે પોતાનો ઈશ્વર એકમાત્ર અને સાચો ઈશ્વર છે. ગાંધી માને છે કે કોઈ પણ ધર્મનો સત્ય ઉપર એકાધિકાર નથી. તેઓ દલીલ કરે છે કે પોતે જે ધર્મમાં જન્મ્યા હોઈએ, તેનો આદર કરવો જોઈએ. (એથી સ્તો તેઓ સામાન્યપણે ધર્મપરિવર્તનના વિરોધી છે.) અને અત્યંત ખુલ્લા મનથી અને અહિંસક રીતે તેનું પાલન કરવું જોઈએ. તેમણે આંતરધર્મીય મિત્રતાને સક્રિય પ્રોત્સાહન આપ્યું. ખુદ તેમના પ્રિય મિત્ર સી.એફ. ઍન્ડ્રૂઝ એક ખ્રિસ્તી પાદરી હતા. તેમના વિચાર વિચિત્ર લાગ્યા, પરંતુ પાછા વળીને જોતાં અગમચેતીપૂર્વકના જણાય છે. જ્યારે વિશ્વ ધાર્મિક ગેરસમજના આ સમયમાં દોરવાયું છે, ત્યારે પારસ્પરિક સન્માન અને ઓળખ માટે અને મતભેદ અને હિંસાના નિર્મૂલન માટે તે મદદરૂપ થઈ શકે.
ત્રીજું ક્ષેત્ર એટલે પર્યાવરણ. ચીન અને ભારતનો ઉદય એક લાંબા સમયથી દબાયેલા અને મૂળભૂત ગાંધીય પ્રશ્નને કેન્દ્રમાં ઉપસ્થિત કરે છેઃ “એક માણસે કેટલી વપરાશ કરવી જોઈએ?” જ્યાં સુધી પશ્ચિમનો આધુનિક જીવનશૈલી પર એકાધિકાર છે, ત્યા ંસુધી આ પ્રશ્ન ઉપસ્થિત ન થવો જોઈએ, પરંતુ મોટા ભાગના ચીની અને ભારતીય જો બહુમતી અમેરિકન અને અંગ્રેજોની જેમ પોતાની માલિકીની મોટર ચલાવે, તો આ પૃથ્વી પર અસહ્ય બોજો આવે.
૧૯૨૮માં ગાંધીએ પશ્ચિમના દેશોની ઉત્પાદન અને ઉપભોગની તરેહ વૈશ્વિક સ્તરે બિનસંપોષિત હોવાની ચેતવણી આપી હતી “પશ્ચિમના આંધળા અનુકરણથી ભારતને ઈશ્વર બચાવે”. તેમણે કહ્યું કે, “એક નાનકડા ટાપુ રાજ્ય(ઇંગ્લૅન્ડ)ના આર્થિક સામ્રાજ્યવાદે વિશ્વને જંજીરોમાં જકડી રાખ્યું છે. જો ભારતના ૩૦ કરોડ લોકો આવા આર્થિક શોષણનો સહારો લેશે, તો વિશ્વને તીડની પેઠે ભરખી જશે.”
આજે આપણે જે રીતે રહીએ છીએ અને પર્યાવરણ સાથે સંકળાયા છીએ, તેમાં ‘ગાંધીના જીવન અને વારસા’ના પ્રબળ સૂચિતાર્થો છે. ગાંધીના નામે જાણીતું થયેલું સૂત્ર છે કે “પૃથ્વી પાસે દરેકની જરૂરિયાતને પહોંચી વળવા માટે ઘણું છે પણ કોઈના લોભને પહોંચી વળવા માટે પર્યાપ્ત નથી.” આજે કેટલાક અભ્યાસીઓએ શોધી કાઢ્યું છે કે, ગાંધીએ શબ્દશઃ આવું જણાવ્યું ન હતું. અલબત્ત, તેમાં વ્યક્ત થયેલી લાગણી અને વિચાર નિઃશંકપણે તેમનાં છે.
ગાંધીના અન્ય ધર્મ, વંશ અને પ્રજાતિ પ્રત્યેનો આદર તેમના અહિંસાનાં દર્શન (અને વ્યવહાર) સાથે નિકટતાથી સંકળાયેલો હતો. એ અન્યાય અને આપખુદશાહીનો વિરોધ કરે છે, પણ શસ્ત્રો વગર. પૂરતા આદર અને સમજણ સાથે બીજા ધર્મના લોકો સુધી તે પહોંચે છે. જ્યારે ધર્માંતર કરાવનાર મૂર્તિપૂજકો સમક્ષ ધર્મનું પુસ્તક બંદૂક અથવા બૉમ્બ સાથે લઈ જાય, ત્યારે ગાંધી હિંદુ ધર્મગ્રંથોની જેમ જ મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મગ્રંથોનો ખુલ્લા અને અલોચનાત્મક મન સાથે અભ્યાસ કરવાનું પસંદ કરતા હતા. કુદરતી સંસાધનનો બચાવ કરતી જીવનશૈલીને પ્રોત્સાહિત કરી ગાંધી પૃથ્વી પરની હિંસાને પણ ઓછી કરતા હતા.
ગાંધીની નિસબતનું ચોથું ક્ષેત્ર એટલે જાહેર જીવન. જ્યૉર્જ ઓરવેલ પોતાના પુસ્તક ‘રિફ્લેક્શન ઑન ગાંધી’માં કહે છે, “સામાન્ય રીતે રાજકારણી તરીકે જાણીતા અને આપણા સમયના આગળ પડતા રાજકારણીઓ સાથે જેની તુલના થતી હતી” તેવા ગાંધી તેમની પાછળ એક નિર્ભેળ સુવાસ મૂકી જવાનું કેવી રીતે કરી શક્યા હશે ?” એ ભયાવહ સમયમાં રાજકારણીઓ ગાંધીની જેમ ખુલ્લેઆમ રહી શકતા નહોતા. એમના આશ્રમની બહાર કોઈ ચોકીદાર રાખવામાં આવતો નહોતો. કોઈ પણ જાતિ અને રાષ્ટ્રીયતાના મુલાકાતીઓ ઇચ્છે, ત્યારે એમને મળવા આવી શકતા હતા. જો કે આજના રાજકારણીઓને તેમના ઢાંકપિછોડા વગરના અને ‘ફેરવી તોળવા’ પરના મદાર પર સંપૂર્ણ ભરોસો ન હોય તેવું જીવન જીવવાનું અનુકરણ કરી શકે. એમના સવિનય કાનૂનભંગનાં આંદોલનોની હંમેશાં આગોતરી જાહેરાત કરવામાં આવતી. એમના સામાજિક પ્રયોગની બહુ સૂક્ષ્મતાથી ટીકા થતી અને તેમના અખબારમાં એમના લેખની લગોલગ એને પ્રકાશિત કરવામાં આવતી. જે લોકો દુનિયાને બદલવા માંગે છે, તેમના માટે ગાંધીના રાજકીય પ્રયોગો સન્માનનીય પ્રકરણો છે. ગાંધીએ એક વાર પોતાની ‘હિમાલય જેવડી ભૂલ’ અંગે વાત કરી હતી. આજના જમાનામાં રાજકારણીઓ કે કર્મશીલો ભાગ્યે જ પોતાની ભૂલ કબૂલ કરવાની હિંમત કરી શકે. એમને ભૂલ કબૂલ કરવાનું ક્યારે ય ગમતું નથી. ગાંધીની પ્રદીપ્ત સ્વજાગૃતિ અને પોતાની ટીકા માટેનું ખુલ્લાપણું આજના જમાનાના સત્તાધીશો સામે એક નજરે ચડે તેવો વિરોધાભાસ છે : એમણે કુખ્યાત ૯/૧૧ના એક દાયકા બાદ બદલા અને ધિક્કારની નીતિઓને પ્રોત્સાહન આપ્યું છે. હિંસા અને પ્રતિહિંસાના ચક્રને વધુ વેગવંતું બનાવ્યુ ં છે જે કદાચ લાંબું ચાલે પણ ખરું. કદાચ આ એ બીજા ૯/૧૧(જોહાનિસબર્ગ)ને યાદ કરવાનો અવસર છે, જેમાં આંદોલનકારીઓએ વિરોધીઓને ક્રૂર કે દુશ્મનો તરીકે દર્શાવ્યા ન હતા. પરંતુ માનવ અને તેમાં પણ તેમની જેમ ભૂલ કરી શકે, તેવા માનવ તરીકે જોયા હતા.
ગાંધી એક પયંગબર હતા, પણ આનંદવિહોણા નહીં. ૧૯૩૧માં તેમની લંડન મુલાકાત સમયે તેઓ બ્રિટિશ રાજાને પહેલી અને છેલ્લી વાર મળ્યા. જ્યૉર્જ છઠ્ઠાને મળીને તેઓ બકિંગહામ પૅલેસની બહાર નીકળી રહ્યા હતા, ત્યારે એક પત્રકારે તેમને પૂછ્યું, કે તેમને માત્ર લંગોટીમાં ઠંડી ન લાગી? ગાંધીએ જવાબ આપ્યો, “રાજાએ એમને બંનેને થઈ રહે તેટલાં કપડાં પહેર્યાં હતાં.” બીજી રીતે ગાંધી કહે છે કે “રાજાએ ચાર વધારાનાં પહેર્યા હતાં અને મેં ચાર ઓછાં.” આમ, પોતાની ટીખળ કરતી આ ગમ્મતમાં બહુ મોટું સત્ય છે, જેમાં આજે પણ પ્રસ્તુત હોય તેવું ડાહપણ છુપાયેલું છે.
એમના મૃત્યુને ૬૦થી વધુ વર્ષ થઈ ગયાં છે. ગાંધી પ્રસ્તુત છે વિરોધ માટેના તેમના અહિંસાના શસ્ત્ર માટે, ‘સત્યાગ્રહ’ માટે, ધર્મસહિષ્ણુતા અને સર્વધર્મસમભાવ સારુ પોતાની જાતને હોમી દેવા માટે, વિશ્વની દરેક વ્યક્તિ અને પૃથ્વીના તેમના આદર માટે : પોતાના અંગત અને જાહેરજીવનમાં પારદર્શિતા અને ઇમાનદારી માટે, આ અને આના જેવાં અનેક કારણો સારુ ગાંધી આજે પણ પ્રસ્તુત છે.
ગૂજરાત વિદ્યાપીઠ ખાતે દીક્ષાન્ત અભિભાષણ (૧૮-૧૦-૨૦૧૬)માંથી સાભાર
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2016; પૃ. 03 થી 07 તેમ જ પૃ. 13