૨૦૧૦ની સાલ સુધીમાં ચીન અને ભારતનાં નામ સાથે લેવામાં આવતાં હતાં. આ બન્ને દેશોને એશિયન ટાઈગર્સ તરીકે ઓળખાવવામાં આવતા હતા. પરંતુ ૨૦૧૦ પછીથી ભારતની ગાડી પાટેથી ઊતરી ગઈ. એક કારણ હતું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન. ડરના માર્યા શાસકો અને અધિકારીઓ નિર્ણયો લેવાનું ટાળવા માંડ્યા હતા. ૨૦૧૦થી લઈને ૨૦૧૪ સુધીમાં ભારતમાં જાણે કે કોઈ સરકાર જ નહોતી. એમ કહી શકાય કે શાસનનો અક્ષરશ: શૂન્યાવકાશ હતો. એ તો તમે જાણો જ છો કે જે જે બાબતે ભ્રષ્ટાચાર થયો હોવાનું કહીને આંદોલન થયાં હતાં એ બાબતે કોઈ ભ્રષ્ટાચાર અદાલતોમાં સાબિત થયો જ નથી. એક પણ આરોપ સાચો સાબિત નથી થયો પછી તે સ્પેક્ટ્રમ હોય કે કોલસાની ખાણોની ફાળવણીનો મુદ્દો હોય. અત્યારે એમ લાગે છે કે એ કૉન્ગ્રેસને બદનામ કરવાનું કાવતરું હતું. આનું પરિણામ એ આવ્યું કે ભારતે ચાર વરસ વેડફી નાખ્યાં અને ચીનને મોકળું મેદાન મળી ગયું.
૨૦૧૪માં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ સ્થિર સરકાર આવી ત્યારે એમ લાગતું હતું કે હવે વેડફાયેલાં વર્ષોનું સાટું વાળવામાં આવશે, પરંતુ અનુભવ એનાથી જુદો થયો. ચીન અને ભારત વચ્ચેનું અંતર દૂર કરવાની વાત બાજુએ રહી, તેમણે નોટબંધીનું દુસાહસ કરીને અંતર ઊલટું વધાર્યું. આટલું ઓછું હતું એમ જટિલ જી.એસ.ટી. લાગુ કરીને ભારતના અર્થતંત્રની ગતિ હતી એ પણ તોડી નાખી. આ સિવાય અનુભવ એમ કહે છે કે બી.જે.પી.ની વર્તમાન હિંદુ રાષ્ટ્રવાદી સરકારને હિંદુ રાષ્ટ્રવાદ સિવાય બીજા કશામાં રસ નથી અને બીજી કશી આવડત પણ નથી. ૨૦૧૦ અને ૨૦૨૦. એક દશકને અંતે સ્થિતિ એવી છે કે ભારત હવે ચીનને નજીકના ભવિષ્યમાં આંબી શકે એમ નથી. ટૂંકમાં એશિયન ટાઈગર તરીકેની ભારતની સ્ટોરી નિષ્ફળ સ્ટોરી છે આને માટે ભારતના શાસકો જવાબદાર છે.
જગત આખાના વિકસિત દેશો મંદીના શિકાર છે અને વિકાસશીલ દેશોમાં જેના ઉપર આખા જગતની આશા હતી એ ભારત શિવધનુષ ઊંચકવામાં નિષ્ફળ નીવડ્યું છે. આની હવે અણધાર્યી પ્રતિક્રિયા પેદા થઈ છે. જગત આખાને એમ લાગવા માંડ્યું છે કે ચીનની સક્સેસ સ્ટોરી લોકતંત્રના અભાવની સ્ટોરી છે. હવે જગત આખામાં લોકશાહી દેશોમાં પ્રજાને એમ લાગવા માંડ્યું છે કે આપણે લોકતાંત્રિક રીતરસમોને કારણે ઝડપી નિર્ણયો લઈ શકાતા નથી અને આપણે પાછળ રહી ગયા છીએ અને ચીન આગળ નીકળી ગયું છે. જે ચીનની એક સમયે લોકતંત્રના અભાવ માટે નિંદા કરવામાં આવતી હતી એનું હવે અનુકરણ કરવામાં આવી રહ્યું છે.
ઓછું લોકતંત્ર ચાલશે, ઓછા નાગરિક અધિકારો ચાલશે, અંકુશિત-નિયંત્રિત સમાજ ચાલશે; પણ ઝડપી, આક્રમક અને હિંમતભર્યા નિર્ણયો જોઈએ. જુઓ આપણે મૂલ્યોનું જતન કરતા રહ્યા અને ચીન આગળ નીકળી ગયું. ભારતે હમણાં જમીનના અને મજદૂરીના કાયદામાં જે સુધારો કર્યો એ બીજું કાંઈ જ નથી પણ ચીનનું અનુસરણ છે. લોકતંત્ર જાળવી રાખીને વિકાસનું સક્સેસફૂલ મોડલ શક્ય છે અને ભારત એ જગતને આપી શકે એમ છે એવી ભારત પાસેથી જગતની અપેક્ષા હતી, પણ એની જગ્યાએ ભારત આજે કુંઠિત લોકતંત્રના ચીનના મોડેલને અપનાવે એ શરમની વાત છે.
જો ભારતે અમૂલ્ય વર્ષો સંસદ નહીં ચાલવા દેવામાં, ભ્રષ્ટાચારના ખોટા ગોકીરામાં અને વિકાસની જગ્યાએ હિન્દુ રાષ્ટ્રવાદની પાછળ વર્ષો ન બગાડ્યાં હોત અને લોકતંત્ર અને લોકતાંત્રિક જીવનમૂલ્યો જાળવી રાખીને એક આદર્શ સક્સેસ સ્ટોરીનો જગતને પરિચય કરાવ્યો હોત તો મને એમ લાગે છે કે ભારતની પ્રતિષ્ઠા ક્યાં ય હોત. ભારતની પ્રતિષ્ઠા હતી જ. ભારત તરફ જગત આશાની નજરે જોતું પણ હતું, પરંતુ આપણે ઊણા ઉતર્યા. સત્તાંધ સંસદીય રાજકારણે ભારતને પરાજીત કર્યું. દેશ ભલે પાછળ રહી જાય પણ સત્તા બીજાને ન મળવી જોઈએ કે પછી કોઈ પ્રકારની સિદ્ધિનો જશ બીજા કોઈને ન જવો જોઈએ.
અર્થતંત્રની દોડમાં જપાન ક્યારનું ય પરાજીત થયું છે. ભારતે સામે ચાલીને આત્મઘાત કર્યો અને હવે અમેરિકા અને યુરોપના દેશો પણ પરાજીત થયા છે. ચીનની અત્યારની હરકતો જોતાં એમ લાગે છે કે ચીન મદમાં છે. ચીન ઉતાવળમાં છે. ચીનને અત્યારે એમ લાગવા માંડ્યું છે કે હવે ચીનના દિગ્વિજયને કોઈ રોકી શકે એમ નથી. ચીને એક સાથે અનેક મોરચા ખોલ્યા છે. ચીનની અંદર હોંગકોંગની પ્રજાને લોકતંત્રનું આપેલું વચન પણ ચીન તોડી રહ્યું છે. આમાં કોરોના વાઈરસનું રહસ્ય શંકા પેદા કરે એવું છે. વાઈરસ ચીનમાં પેદા થયો હતો અને જ્યાં વાઈરસ પેદા થયો એ દેશ અત્યારે લગભગ વાઈરસમુક્ત છે અને જગત આખાને પરેશાન કરી રહ્યો છે. ચીન એનો લાભ લઈ રહ્યું છે.
લાગ જોઇને ચીને લડાખમાં ભારતની ભૂમિમાં પ્રવેશ કર્યો છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 05 નવેમ્બર 2020