જ્યારે દેશની ત્રણ સુપ્રીમ કોર્ટમાંની એક હતી મુંબઈમાં!
અંગ્રેજ ગવર્નરે અંગ્રેજ તંત્રીને કર્યો તડીપાર
ભીમા ડોસા અને તેમના તેંતાલીસ ચોર
માનશો? એક જમાનામાં આપણા દેશમાં એક નહિ, બે નહિ, પણ ત્રણ ‘સુપ્રીમ કોર્ટ’ હતી! ૧૭૭૩માં ‘રેગ્યુલેટિંગ એક્ટ’ પસાર થયો અને વોરેન હેસ્ટિન્ગઝની નિમણૂક બંગાળના ગવર્નર જનરલ તરીકે થઈ. ચાર જજ સાથે કલકત્તા ખાતે ‘સુપ્રીમ કોર્ટ’ શરૂ થઈ. ૧૮૨૩માં બ્રિટિશ પાર્લામેન્ટે કાયદો પસાર કરીને બ્રિટનના તાજને મુંબઈ ખાતે પણ ‘સુપ્રીમ કોર્ટ’ સ્થાપવાની સત્તા આપી. અને ૧૮૨૪ના મે મહિનાની આઠમી તારીખે બોમ્બે સુપ્રીમ કોર્ટ કામ કરતી થઈ. સર એડવર્ડ વેસ્ટ તેના પહેલા ચીફ જસ્ટીસ. આપણે અગાઉ જોયું છે તેમ આ કોર્ટ પણ એડમિરાલ્ટી હાઉસ ખાતે શરૂ થયેલી અને ૧૮૬૨ સુધી ત્યાં જ કામ કરતી હતી. ત્રીજી સુપ્રીમ કોર્ટ સ્થપાઈ મદ્રાસ (હાલનું ચેન્નાઈ) ખાતે. આ ત્રણ સુપ્રીમ કોર્ટને પ્રતાપે દેશમાં ખરા અર્થમાં ‘બ્રિટિશ કાનૂની ન્યાયપ્રથા’ની શરૂઆત થઈ.
સર એડવર્ડ વેસ્ટ
આ મુંબઈની સુપ્રીમ કોર્ટના કેટલાક મજેદાર ખટલામાંનો એક : ૧૮૨૪ના જુલાઈમાં આ કોર્ટમાં એક કેસ ચાલી રહ્યો હતો. તેને અંગે શો નામનો એક જુનિયર સિવિલ સર્વન્ટ કોર્ટમાં હાજર હતો. તેણે એક ‘દેશી’ કારકૂનને હુકમ કર્યો કે મારે લખવા માટે કાગળ અને પેન લઈ આવ. કારકૂને જવાબ આપ્યો કે હું અહીં જે કામ કરું છું તે નામદાર જજસાહેબના હુકમથી કરું છું, અને તેમના હુકમ વગર હું આ જગ્યા છોડીને બીજે જઈ શકું નહિ. પણ પટાવાળાને કહીને આપને જોઈતી વસ્તુઓ મંગાવી આપીશ. અ સાંભળીને પેલા જુવાન અંગ્રેજનો પિત્તો ગયો. તેણે ભરી અદાલતમાં કારકૂનને જોરથી લાફો માર્યો. તરત જ અદાલતનો તિરસ્કાર કરવાનો ગૂનો પેલા અંગ્રેજ અધિકારી સામે નોંધાયો. ન્યાયાધીશે એડવોકેટ જનરલને એ કેસ ચલાવવા કહ્યું. એડવોકેટ જનરલ નોર્ટને તરત જજને જવાબ આપ્યો કે નામદાર ગવર્નર કહે તો જ હું આવો ખટલો ચલાવી શકું. છતાં ખટલો તો ચાલ્યો. પેલો શો નામનો જુવાન અંગ્રેજ અધિકારી ગુનેગાર સાબિત થયો. પણ ન્યાયાધીશ સાહેબોએ ઉદારતા દાખવીને તેને માત્ર એક રૂપિયાનો દંડ કર્યો.
ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિનસ્ટન
એ વખતે મુંબઈમાં બે જ અંગ્રેજી છાપાં, બોમ્બે કુરિયર અને બોમ્બે ગેઝેટ. તેમાં બોમ્બે ગેઝેટે યુવાન અંગ્રેજ સિવિલ સર્વન્ટ પર ચાલેલા ખટલાની, તેને થયેલા દંડની, અને તે કરનાર ન્યાયાધીશોની આકરી ટીકા કરી. મુખ્ય ન્યાયાધીશ સર એડવર્ડ વેસ્ટે આ અંગે ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનનું ધ્યાન ખેંચ્યું. એટલે ગવર્નરે બોમ્બે ગેઝેટના તંત્રી મિસ્ટર સી.જે. ફેર[C J Fair]ને ઠપકો આપતો પત્ર લખ્યો. સર ચાર્લ્સ ચેમ્બર્સ નામના બીજા જજે પણ ગવર્નરને ફરિયાદ કરી કે આ છાપાએ મેં કહેલી વાતને મારીમચડીને ખોટી રીતે રજૂ કરી છે. આ પત્ર મળતાંવેંત જાહેરમાં અને સ્પષ્ટ શબ્દોમાં અદાલતની માફી માગવા તંત્રી ફેરને ગવર્નરે હુકમ કર્યો. ફેરે ઉભડક રીતે ઉપરછલ્લી માફી માગતું લખાણ પ્રગટ કર્યું. એ વાંચીને ગવર્નરે લખી જણાવ્યું કે તમે જે રીતે માફી માગી છે તે સ્વીકાર્ય નથી. અને એટલે મારી સરકાર તમારું રક્ષણ કરે એવી અપેક્ષા તમારે હવે રાખવી નહિ. હિન્દુસ્તાનના કંપનીના રાજમાં રહેવા માટે તમને આપેલો પરવાનો આથી રદ્દ થાય છે. જો તમે હાથમુચરકાના ત્રીસ હજાર રૂપિયા તાબડતોબ ભરી દો તો તમે ત્રણ મહિના અહીં રહી શકશો. ફેરે લખ્યું કે આવડી મોટી રકમ આપવાનું મારે માટે શક્ય નથી. આથી ગવર્નરે પોલીસ મેજિસ્ટ્રેટને હુકમ કર્યો કે મિસ્ટર ફેરની ધરપકડ કરીને સ્વદેશ જતા જહાજ એચ.સી.એસ. ‘લંડન’ પર વહેલામાં વહેલી તકે ચડાવી દેવા. પણ ફેર કાંઈ ગાંજ્યો જાય તેવો નહોતો. ગવર્નરે તેને જે પત્રો લખેલા તેની નકલો છપાવીને મિત્રો-પરિચિતોમાં સ્વદેશ જતાં પહેલાં વહેંચી દીધી, અને એ રીતે ખાનગી પત્રવ્યવહારને જાહેર કરી દીધો.
બોમ્બે ગેઝેટ
ફેરને જે જહાજ પર ચડાવી દેવામાં આવ્યો હતો તે મુંબઈથી સીધું લંડન જતું નહોતું, પણ ચીનનાં અને બીજાં બંદરો પર રોકાઈને, લાંબે રસ્તે જવાનું હતું. એટલે એ વહાણ મુંબઈના બારામાં હતું ત્યારે જ એ અંગે વિરોધ નોંધાવતો પત્ર ગવર્નરને લખ્યો. તેમાં લખ્યું કે મારી વિરુદ્ધની તમામ કાર્યવાહી ગેરકાનૂની, એકપક્ષી, અને મને અન્યાય કરનારી છે, અને એટલે તેની સામે મારો વિરોધ જાહેર કરવાની હું મારી ફરજ સમજું છું. ગવર્નરનાં આ આકરાં પગલાં વિષે એ વખતનાં છાપાંમાં ચર્ચા થઈ હતી. ખાસ તો, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ ફેરને તડીપાર કરવાની એ માગણી કરી જ નહોતી, છતાં ગવર્નરે આટલું આકરું પગલું કેમ લીધું એની ઘણાને વિમાસણ થતી હતી.
એલ્ફિન્સ્ટન જેવા સાલસ, સમજુ, ઉદાર, ગવર્નરે આટલું કડક પગલું કેમ લીધું હશે એની આપણને પણ નવાઈ લાગે. આ કોયડો ઊકલે છે ૧૮૨૪ના નવેમ્બરની ૧૭મી તારીખે એલ્ફિન્સ્ટને ખંડાલાથી પોતાના ખાસ મિત્ર સ્ટ્રેચીને લખેલા પત્રથી. તેમાં તેઓ લખે છે કે ફેર સામે પગલાં લીધાં તેના છ મહિના પહેલાં મને લંડનથી કંપનીના ડિરેકટરોએ જણાવ્યું હતું કે અમે ફેરનો હિન્દુસ્તાનમાં વસવાટ કરવાનો પરવાનો રદ્દ કર્યો છે, માટે તેને વહેલી તકે બ્રિટન પાછો મોકલી દેવો. પણ ખાસ કશા કારણ વગર આમ કરવું મને યોગ્ય લાગતું નહોતું, એટલે હું એ વાતને લંબાવ્યા કરતો હતો. તેમાં સુપ્રીમ કોર્ટના માનનીય ન્યાયાધીશો સામેના ફેરના ગંભીર આક્ષેપો આવી પડ્યા. એટલે હવે તેને તડીપાર કર્યા સિવાય મારો છૂટકો નહોતો. ચીનના લાંબે રસ્તે જતી સ્ટીમરમાં ડેક ક્લાસના મુસાફર તરીકે તેને મોકલ્યો તેની પાછળ પણ સરકારી નિયમો જવાબદાર હતા. એ નિયમો પ્રમાણે તડીપારની સજા થઈ હોય તેને સૌથી પહેલાં રવાના થતા જહાજમાં ડેકના મુસાફર તરીકે જ મોકલવો જોઈએ. લંડનનું સીધું જહાજ બીજા આઠ-દસ મહિના પછી રવાના થવાનું હતું. એટલે તેને આ જ વહાણમાં, અને સરકારી નિયમ પ્રમાણે ડેકના મુસાફર તરીકે મોકલ્યા સિવાય છૂટકો નહોતો. તેના ભાડાના ૭૦૦ રૂપિયા, નિયમ પ્રમાણે, સરકારે ચૂકવ્યા હતા. ડિરેકટરોએ તેનો પરવાનો રદ્દ કર્યો હતો. એટલે હવે તેને તડીપાર કર્યા સિવાય મારો છૂટકો નહોતો.
મુંબઈના બારામાં મછવામાં માલ ઉતારતાં વહાણો
મુંબઈની સુપ્રીમ કોર્ટ પાસે આવા અંગ્રેજોના ઝગડાના કેસ આવતા, તો ‘દેશી’ઓ વિશેના વિલક્ષણ કેસ પણ આવતા. આવો એક કેસ તે ભીમા ડોસા અને તેમના તેંતાલીસ ચોરનો કેસ. અને આ ચોર પણ કેવા! રીતસરની કંપની કાઢેલી. મુંબઈના બંદર નજીક નવ ગોડાઉન ભાડે રાખેલાં. રોજ રોજ એમાં નવો માલ આવે અને મોટા ભાગનો જૂનો માલ વેચાઈ જાય, બજાર ભાવ કરતાં થોડી ઓછી કિંમતે! પણ આમ કરવું પોસાય કઈ રીતે? પોસાય, કારણ જે માલ આવતો તે બધો ચોરીનો માલ હતો. એ વખતે હજી મુંબઈમાં એકે ગોદી – ડોક નહિ. એટલે મોટાં માલવાહક વહાણો મુંબઈના કિનારાથી થોડે દૂર દરિયામાં નાંગરે. બંદર પરથી નાના-મોટા મછવા વહાણ પાસે જાય તેમાં પોતાનો માલ ઠાલવે. મછવા એ માલ કિનારે લઈ આવે. હવે ભીમા ડોસા એન્ડ કંપનીએ કેટલાક મછવાવાળા સાથે સાઠગાંઠ કરેલી. વહાણમાંનો માલ લાદીને મછવા કિનારે આવતાં પહેલાં થોડો થોડો માલ એ ચોર કંપનીના મછવામાં ઠાલવે. પછી બંને મછવા પોતપોતાને રસ્તે. ભીમાભાઈના મછવા એ માલ ઠાલવે પોતાના ગોદામમાં. એ માલ વેચીને વરસે છ-સાત લાખ રૂપિયાનો નફો કરે. (એ જમાનામાં આ રકમ ઘણી મોટી કહેવાય.) અને હિસાબ એકદમ ચોખ્ખો. આગલા દિવસે કેટલો નફો થયો તેનો હિસાબ રોજ સવારે થાય. નફાની રકમના ૪૬ ભાગ પડે. તેમાંથી ૪૪ ભાગીદારોને એક-એક ભાગ, અને બે ભાગ ધર્માદા માટે! વર્ષો સુધી આ ‘ધંધો’ કશી રોકટોક વગર ચાલ્યો. પણ એક વાર કંપની અને તેના એક ‘નોકર’ વચ્ચે ઝગડો થયો. નોકર પર ચોરીનું આળ મૂકાયું અને તેને ૬૦ રૂપિયાનો દંડ થયો. એટલે એ પહોંચ્યો પોલીસ પાસે, અને ભીમાભાઈ અને એમના ૪૩ ચોરનો ભાંડો ફોડી નાખ્યો.
સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલ્યો. ‘કંપની’નાં ૧૯ ચોપડા, નવ ગોદામ અને તેમાંનો માલ જપ્ત. પણ એકાદ જણ પણ આ માલ તો મારો છે એમ કહેવા અદાલતમાં હાજર થયો નહિ. અદાલતે જોયું કે ચોપડામાં રોજ કેટલો માલ આવ્યો તે નોંધાતું, પણ ક્યાંથી આવ્યો તે નોંધવા માટે M, V, C જેવા અંગ્રેજી અક્ષરોનો જ ઉપયોગ થતો. તપાસ કરતાં ખબર પડી કે આ અક્ષરો માંડવી, વાસીદ, કર્નાક, જેવા બંદરોના સૂચક હતા. ચોરીનો માલ લાવનાર મછવો જે બંદરે આવ્યો હોય તે બંદરનું નામ. ભીમભાઈ અને તેમના સાથીઓએ અદાલતમાં બચાવ કરવા માટે એ જમાનાની જાણીતી લો-ફર્મ કોચરેન એન્ડ ક્રાફર્ડને રોકી. તેણે અદાલતમાં દલીલ કરી કે કંપનીના એક પણ સભ્યે ચોરીનો માલ ખરીદ્યો, સંઘર્યો કે વેચ્યો નથી. વેપારમાં જે નફો થતો તે જ તેમણે લીધો છે. વેપાર માટેનો માલ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ તેમણે કોઈને પૂછ્યું નહોતું, અને કોઈએ કહ્યું નહોતું. વળી નવ ગોદામોમાં સંઘરાતો માલ ચોરીનો માલ છે એવો કોઈ પુરાવો મળ્યો નથી. પણ જ્યુરીએ બધા ભાગીદારોને ગુનેગાર ઠરાવ્યા, અને દસ કે પંદર વરસ માટે મુંબઈમાંથી તડીપાર કર્યા.
પણ પછી, અગાઉની કોર્ટોની જેમ મુંબઈની સુપ્રીમ કોર્ટનો જ અંત આવ્યો અને તેને બદલે … એ વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 05 જૂન 2021