પોલિસ કમિશનરની ઓફિસમાંથી તેમનું જ બાવલું ગુમ!
બંગલો ભલે એક દિવસ જ વાપરો, ભાડું તો એક મહિનાનું લઈશ
એવું તે શું થવાનું હતું બીજી મે, ૧૮૭૧ના દિવસે?
મુંબઈના જાણીતા કાપડના વેપારી શેઠ માધવદાસ રૂગનાથદાસની દોડાદોડ છેલ્લા થોડા દિવસથી વધી ગઈ છે. ના, ધંધાને કારણે નહિ. બલકે વર્ષોના જૂના મુનિમને બોલાવીને તેમણે કહી દીધું છે કે હમણાં થોડા દિવસ પેઢી પર અવાય ન અવાય તો તમે બધું કામ સંભાળી લેજો. ઘરમાં બે ઘોડાની ગાડી છે, પણ ગાડીવાનને કહ્યું છે કે હું બોલાવવા માટે માણસ ન મોકલું ત્યાં સુધી તારે કામ પર આવવાની જરૂર નથી! અને હા, ચિંતા ન કરતો, તારો પગાર ચાલુ રહેશે. કામ માટે બહાર નીકળે ત્યારે શેઠ માધવદાસ પહેલાં થોડું ચાલે અને પછી કોઈ ઓળખીતું જોતું તો નથી ને એની ખાતરી કરીને ભાડાની વિક્ટોરિયામાં બેસી જાય. પણ હતા વેપારી માણસ. એટલે બધી બાજુનો વિચાર કરીને પછી જ આગળ વધે. એટલે પહેલાં તો બે ખાસ નજીકના મિત્રોને પોતાને ઘરે બોલાવ્યા. કેખશરૂ નવરોજી કાબરાજી અને કરસનદાસ મૂળજી સાથે પેટ છૂટી બધી વાત કરી. કાબરાજી એટલે એ જમાનાના આગળ પડતા સમાજ સુધારક, લેખક, રંગકર્મી, પત્રકાર. અને કરસનદાસ તો મુંબઈના જ નહિ, ગુજરાતના પણ મોટા ગજાના સુધારક, લેખક, પત્રકાર. વળી, માધવદાસ અને કરસનદાસ બંને ચીની કાપડના ધંધામાં પણ સાથે. કરસનદાસની વાત સાંભળીને બંનેએ કહ્યું કે અમે તમારી સાથે છીએ. એટલે આ કામ પાર કઈ રીતે પાડવું તેની વિગતોની ત્રણે મિત્રોએ ચર્ચા કરી.
કરસનદાસ મૂળજી
પહેલે દિવસે કરસનદાસ મૂળજીને સાથે લીધા અને પહોંચ્યા મુંબઈના પોલિસ કમિશનર સર ફ્રેન્ક સોટિયેરને મળવા તેમની ઓફિસે. સર ફ્રેન્ક સોટિયેર એટલે મુંબઈ શહેરના પહેલવહેલા પોલિસ કમિશનર. ૧૮૬૪થી ૧૮૮૮ સુધી, પૂરાં ચોવીસ વરસ સુધી મુંબઈના પોલિસ કમિશનર રહ્યા. અને પોતાના કામને એવા વફાદાર કે ચોવીસ વરસમાં તેમણે માત્ર બે જ દિવસની રજા લીધેલી! ૧૮૭૫માં પ્રિન્સ ઓફ વેલ્સ પાસેથી સરનો ઈલ્કાબ મળેલો. ૧૮૮૮ના એપ્રિલની ૩૦મી તારીખે નિવૃત્ત થયા પછી તેઓ નિલગિરિ રહેવા ગયા, જ્યાં પહોચ્યા પછી ત્રણ જ મહિનામાં તેમનું અવસાન થયું હતું.
અહીં એક ઉપકથા જોડી દઈએ. ૨૦૧૮ની સાલમાં સર ફ્રેંક સોટિયેરને શોધવા માટે મુંબઈ પોલીસે દોડાદોડ કરી મૂકી હતી. હેં? ૧૮૮૮માં જેનું અવસાન થયું હોય તેને ૨૦૧૮માં શોધી શકાય કઈ રીતે? પણ પોલીસ શોધતી હતી તે તેમને નહિ, તેમના ખોવાયેલા બાવલાને. મુંબઈના પોલિસ કમિશનરની કચેરીના મુખ્ય દરવાજા પાસે વરસો સુધી તેમનું બાવલું હતું. કોઈ પણ પોલિસ ઓફિસર આ મુખ્યાલયમાં જોડાય ત્યારે સૌથી પહેલી સલામ એ બાવલાને કરતો. પણ પછી કોણ જાણે ક્યારે, કઈ રીતે, એ બાવલું અલોપ થઈ ગયું. અને વખત જતાં એ બાવલું અને સર ફ્રાંક સોટિયેરનું નામ પણ ભૂલાઈ ગયું. પણ પછી મુંબઈ પોલિસનું અલગ મ્યુઝિયમ બનાવવાનું નક્કી થયું. ત્યારે તેમાં મૂકવા માટે પહેલા પોલિસ કમિશનરનું બાવલું યાદ આવ્યું. પણ એ જગ્યા તો હતી ખાલીખમ્મ. બાવલું ગયું ક્યા? પોલીસ માંડી શોધવા. પહેલાં તો મુખ્યાલયના મકાનનો ખૂણેખૂણો જોઈ વળ્યા. જૂની ફાઈલો કાઢીને તેમાંનાં કાગળિયાં ફંફોસ્યાં. અને કોઈકના મનમાં બત્તી થઈ: આ બાવલું ભાઉ દાજી લાડ મ્યુઝિયમમાં તો નહિ પહોંચી ગયું હોય ને? ૧૯૭૦ની આસપાસ મુંબઈ શહેરમાંનાં બ્રિટિશરોનાં ઘણાં પૂતળાં ખસેડી લીધાં હતાં અને એ બધાંને એ મ્યુઝિયમમાં ધકેલી દીધાં હતાં. એટલે પોલીસની ટુકડી પહોંચી મ્યુઝિયમની મુલાકાતે. આવાં ઘણાંખરાં પૂતળાં મ્યુઝિયમની પાછળની ખુલ્લી જગ્યામાં પડ્યાં હતાં. પણ તેમાં મુંબઈના પહેલા પોલિસ કમિશનરનું પૂતળું નહોતું. એટલે પછી શોધ્યું આખું મકાન. અને એ મળી આવ્યું મ્યુઝિયમના પહેલા માળ પરથી, સાજીસારી દશામાં.
પણ આપણે પાછા ૧૯મી સદીમાં જઈએ. શેઠ માધવદાસ અને કરસનદાસ મૂળજી પહોંચ્યા પોલિસ કમિશનરની કચેરીએ. એક ચિઠ્ઠીમાં પોતાનાં નામ લખી ચોપદાર સાથે સાહેબને મોકલ્યાં. થોડી વાર રાહ જોવી પડે તેમ હતું કારણ સાહેબ બીજા કોઈ કામમાં રોકાયેલા હતા. પછી તેડું આવ્યું એટલે ગયા. કુરનિશ બજાવી પોતાની ઓળખાણ આપી. સાહેબે બેસવા કહ્યું પછી બેઠા. સાહેબ વરસોથી મુંબઈમાં હતા એટલે હિન્દી, મરાઠી, ગુજરાતી સમજતા અને બોલતા પણ ખરા, પણ ઉચ્ચારો ગોરા સાહેબો જેવા. બંને જણાએ પોતાની વાત સાહેબને વિગતે સમજાવી અને મદદ કરવા અરજ કરી. તેમની વાત સાંભળી લીધા પછી સાહેબે કહ્યું: ‘ટુમે લોક જે કામ કરવાના છે તે તો બહુ સારા ને નેક કામ છે. અને સારા કામ કરનાર નેક માણસોની મડડ કરવી એ તો પોલિસના રિલીજિયન – ટુમેં લોક સુ કહો, હા, ઢરમ છે. એટલે મુંબઈ પોલિસ ટુમને બઢી મદદ કરશે.’ પોતાના સહાયકને બોલાવી સાહેબે તેને અંગ્રેજીમાં કહ્યું તેની મતલબ : ‘આ લોકો એક બહુ સારું અને નેક કામ કરવાના છે. તેઓ કહે તે રીતે, તે દિવસે અને તે જગ્યાએ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરજો. કંઈ મુશ્કેલી હોય તો મને તરત જણાવજો.’ સાહેબનો આભાર માની, સલામ કરી, બંને બહાર નીકળ્યા. કરસનદાસે મિત્ર માધવદાસને કહ્યું: ‘ચાલો, શુકન તો સારાં થયાં.’
મુંબઈના પહેલા પોલિસ કમિશનર સર ફ્રેન્ક સોટિયેર અને તેમનું બાવલું
બીજે દિવસે કાબરાજીને સાથે લઈને માધવદાસ એક જાણીતા પારસી વેપારીને મળવા ગયા. તેમનો ચીન સાથે અફીણનો મોટો ધંધો હતો. તેમણે કાબરાજી અને માધવદાસને ઉમળકાભેર આવકાર્યા. કાબરાજીએ ઓળખાણ કરાવી: ‘આ મારા મિત્ર માધવદાસ. ચીની કાપડના મોટા વેપારી છે. તેઓ એક બહુ જ હિંમતભર્યું, વખાણવા લાયક કામ કરવાના છે. અને તેમાં આપની મદદ જોઈએ છીએ.’ પારસી શેઠ : ‘અરે, કાબરાજીશેઠ. એમાં તમુએ આંઈ સુધી ધક્કો કાંઈ ખાઢો? બોલો, કેટલી રકમ …' માધવદાસ કહે : ‘આપનો આભાર, શેઠ. પણ અમે ફંડફાળો ઉઘરાવવા નથી આવ્યા.’ ‘ટો બીજું સું કામ ચે?’ ‘અમારે આપનો ચીંચપોકલીનો બંગલો જોઈએ છીએ.’ ‘પન એ કંઈ વેચવો નથી મારે.’ માધવદાસ : ‘નહિ, નહિ, શેઠ. અમારે તો એ ફક્ત ભાડે જોઈએ છીએ, અને તે પણ એક જ દિવસ માટે.’ ‘એક જ ડિવસ માટે?’ હવે કાબરાજી વચમાં પડ્યા. કહે : ‘વાત જાને એમ છે કે …' અને આખી વાત તેમણે સમજાવી. એ સાંભળીને પારસી શેઠ કહે : ‘જુઓ કાબરાજી સેટ! ટમે જાટે અહીં સુધી આવિયા એટલે બંગલો ટો હું આપસ. પણ આય બંગલો હું એક મહિના કરતાં ઓછા ટાઈમ માટે ભાડે આપટો નઠી.’ કાબરાજી : ‘એટલે માધવદાસ એક દિવસ માટે ભાડે લે તો પણ ભાડું તો એક મહિનાનું જ આપવું પડે, બરાબર? પણ ભાડું કેટલું?’ ‘ડોર સો રુપ્યા.’ કાબરાજીએ માધવદાસ સામે જોયું. જરીક વિચાર કરીને માધવદાસ બોલ્યા : ‘આપની વાત મને કબૂલ-મંજૂર છે, પણ એક શરતે.’ શેઠ પૂછે એ પહેલાં કાબરાજીએ જ પૂછ્યું : ‘શરત? કેવી શરત?’ માધવદાસ : ‘ઠરાવેલી તારીખે સાંજ સુધીમાં અમે બંગલામાં પગ મૂકીએ તો જ ભાડાના ૧૫૦ રૂપિયા આપવાના, નહીંતર નહિ.’ જરીક વિચાર કરીને પારસી શેઠ કહે : ‘આમ ટો હું કોઈની બી સરત માનું નહિ. પણ ટુમેં પરવર દિગારને ગમે ટેવું નેક કામ કરવા માટે બંગલો ભાડે માગો ચો એટલે તમારી વાત કબૂલમંજૂર.’ શેઠનો આભાર માનીને બંને મિત્રો ત્યાંથી રવાના થયા.
આવો કોઈક બંગલો ભાડે રાખ્યો હશે માધવદાસે
પછી માધવદાસ ગયા પંડિત વિષ્ણુ પરશુરામ શાસ્ત્રીને મળવા. ૧૮૨૭માં સાતારા જિલ્લાના નાનકડા ગામડામાં જન્મેલા પંડિતજી એટલે એ જમાનાના એક જાણીતા મરાઠી લેખક, પત્રકાર, અને સમાજસુધારક. સરકારી નોકરીમાંથી છૂટા થઈ તેમણે ૧૮૬૨માં મુંબઈથી ‘ઇન્દુપ્રકાશ’ નામનું મરાઠી અઠવાડિક શરૂ કરેલું. તેનો મુખ્ય સૂર સમાજ સુધારાનો હતો. બાળલગ્ન, વિધવા પુનર્લગ્ન, કજોડાંના લગ્ન, કેશવપન, વગેરે વિશેના પોતાના સુધારાવાદી વિચારો પંડિતજી તેમાં છડેચોક વ્યક્ત કરતા. તેઓ વિધવાનાં પુનર્લગ્નના જબરા હિમાયતી હતા. પોતાની વાત પોથીમાંનાં રિંગણાં નથી એ બતાવી આપવા માટે તેમણે પોતે એક વિધવા સાથે લગ્ન કરેલાં. પંડિતજીને મળીને કરસનદાસે બધી વાત પેટ છૂટી કરી, અને કહ્યું કે આ કામ માટેની બધી તૈયારી આપે કરી આપવી અને ઠરાવેલા દિવસે આપે ચીંચપોકલીના બંગલામાં પધારવાની તસ્દી લેવી. કરસનદાસની વાત સાંભળી શાસ્ત્રીજી પ્રસન્ન થયા અને કહ્યું કે ‘અમે જરૂર ઉપસ્થિત રહેશું, અને બધી તૈયારી પણ કરી આપશું. એ અંગે હવે તમારે ચિંતા કરવાના નહિ.’
પંડિત વિષ્ણુ પરશુરામ શાસ્ત્રી અને ‘ઇન્દુપ્રકાશ’
ત્યાંથી નીકળીને કરસનદાસ પહોંચ્યા એક તબેલાના માલિક પાસે. તેને કહ્યું કે હું જણાવું તે દિવસે બપોરે બાર વાગ્યે તેજીલા તોખાર જોડેલી બે ઘોડા ગાડી વાલ્કેશ્વર ખાતે આવેલા શેઠ લખમીદાસ ખીમજીના બંગલે હાજર કરી દેવી. અને પછી કરસનદાસ મળ્યા શેઠ લખમીદાસ ખીમજીને. કાપડના મોટા વેપારી અને માધવદાસના ખાસ મિત્ર અને સાથીદાર. આજે પણ કાલાબાદેવી વિસ્તારમાં તેમના નામની કાપડ માર્કેટ છે. અત્યાર સુધી પોતે કોને કોને મળ્યા, શું શું નક્કી કર્યું તેની વિગતે વાત કરી. એ સાંભળીને લખમીદાસ શેઠ કહે : માધવદાસ, તમે આવું હિંમતભર્યું કામ કરો છો તો ઠરાવેલા દિવસે ચીંચપોકલીના બંગલામાં બપોરે ત્રણ વાગ્યે એક અંગ્રેજી બેન્ડ-વાજું, ફૂલના તોરા અને હાર, મહેમાનો માટે પાનનાં બીડાં, ગુલાબદાની અને સાથે ગુલાબજળ, બધી તૈયારી કરવાનું કામ મારે માથે. પણ પછી કૈંક યાદ આવતાં પૂછ્યું : ‘પણ વર-વધૂ અહીંથી ચીંચપોકલી જશે કઈ રીતે?’ માધવદાસ કહે : ‘ઠરાવેલા દિવસે બપોરે બાર વાગ્યે તેજીલા તોખાર જોડેલી બે ગાડી અહીં હાજર થઈ જશે. એ નક્કી કરીને સીધો ત્યાંથી જ અહીં આવ્યો છું. લખમીદાસ શેઠ કહે : ‘માધવદાસ, કામની ચોકસાઈની બાબતમાં તમને કોઈ ન પહોંચે.’ માધવદાસ કહે : ‘એ તો નીવડ્યે વખાણ.’ પછી માધવદાસ શેઠે પહેલાં કોટની પોલિસ કોર્ટના મેજિસ્ટ્રેટ રાવબહાદુર નાના મોરુજીની અને પછી ગિરગામ પોલીસ કોર્ટના મેજિસ્ટ્રેટ રાવબહાદુર મહાદેવ ગોવિંદ રાનડેની મુલાકાત લીધી અને ઠરાવેલા દિવસે કોર્ટનું કામ વહેલું આટોપીને પણ ચીંચપોકલીવાળા બંગલે હાજર રહેવા અરજ ગુજારી જે બંનેએ સહર્ષ સ્વીકારી.
જસ્ટિસ મહાદેવ ગોવિંદ રાનડે
અને પછી માધવદાસ શેઠ ઘરે ગયા. પહેલાં તો ઊના ઊના પાણીએ નાહીને તાજામાજા થયા. પછી ઇષ્ટદેવની છબી પાસે ચાંદીની દીવીમાં ઘીનો દીવો કરી મનોમન પ્રાર્થના કરી. અને પછી પોતાના ખંડમાં જઈ કાળા સીસમના નકશીદાર મેજ પાસેની કિરમજી રંગના મખમલથી મઢેલી ખુરસી પર બેઠા. મેજ પર કોરા કાગળની થપ્પી હતી, ચાંદીના બે ખડિયામાં લાલ અને કાળી મશી કહેતાં શાહી હતી, અને બાજુમાં ચાંદીના પતરાથી મઢેલી ત્રણ-ચાર કલમ હતી. તેમાંની એક કલમ લાલ શાહીમાં બોળી તેમણે લખવાનું શરૂ કર્યું:
મારાં ભવિષ્યનાં થનારાં પ્યારાં ધનકોર:
ઈશ્વરે તમને બહુ જ ડહાપણ ભરેલો વિચાર સૂચવેલો છે. માટે તમો ખચિત માનજો કે આ કામમાં ઈશ્વરનો હાથ જરૂર છે. હવે આપણું ધારેલું કામ પાર પાડવાનો શુભ દિવસ સંવત ૧૯૨૭ના વૈશાખ સુદ ૧૨ને મંગળવાર, તા. બીજી મે, ૧૮૭૧નો દિવસ ઠેરવ્યો છે. તે દિવસે બપોરના એક વાગતાને સુમારે તમો તૈયાર થઈને તમારા ઘરની બારીએ ઊભાં રહેજો. હું સર્વે કામની તૈયારી કરી મથુરાદાસ ખેતસીને તમારા ઘરની બારીની સામે આવીને ઊભો રહેવા મોકલું એટલે તમો નીચે ઊતરીને તેની પાછળ પાછળ ચાલી આવજો. હું અને મારો મિત્ર કરસનદાસ મૂળજી, શેઠ લખમીદાસ ખીમજીના બંગલા પાસે ગાડી તૈયાર રાખીને ઊભા રહેશું. હવે બીજી ચિઠ્ઠી હું તમોને લખવાનો નથી, માટે આ ચિઠ્ઠી છેવટની જ સમજજો. હાલ એ જ.
લિ. હું છું તમારો હાથ મેળવવાનો ઉમેદવાર મા.રૂ.
આ પત્રમાં જણાવેલી તારીખે મુંબઈમાં એક અભૂતપૂર્વ ઘટના બની, પણ તેની વાત હવે પછી.
(વાચકોને વિનંતી : ઘણા પ્રયત્નો પછી પણ માધવદાસ રૂગનાથદાસનો ફોટો મેળવી શકાયો નથી. જો કોઈ વાચક પાસે હોય તો નીચેના ઈમેલ પર સંપર્ક કરવા વિનંતી.)
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ :”ગુજરાતી મિડ-ડે”, 09 જાન્યુઆરી 2021