ત્રણ સવાલ : ફ્રેરે ફાઉન્ટન કેમ બન્યો ફ્લોરા ફાઉન્ટન?
ફુવારો બંધાવનાર ખરશેદજી ફરદુનજી પારખ હતા કોણ?
ગવર્નર ફ્રેરેએ મુંબઈ માટે શું શું કર્યું?
સાચા મુંબઈગરાએ ભલે એકાદ વાર, પણ ફ્લોરા ફાઉન્ટનનો ફુવારો ન જોયો હોય એવું ન બને. સહેલાણીઓ અને મુલાકાતીઓ પણ અહીંથી પસાર થયા વગર ન રહ્યા હોય. પણ એ ફુવારાના નીચેના ભાગમાં એક આરસની તકતી લગાડેલી છે તે ભાગ્યે જ કોઈએ વાંચવાની તકલીફ લીધી હશે. એ વાંચીએ તો આ ફુવારા વિશેની કેટલીક પાયાની વાતો જાણવા મળે. પહેલી વાત એ કે આ ફુવારો સરકારે નહિ, પણ ‘ધ એસપ્લનેડ ફી ફંડ કમિટી’એ ૪૭ હજાર રૂપિયાના ખર્ચે બાંધ્યો હતો. બીજી વાત એ કે તેમાંની ૨૦,૫૦૦ની રકમ શેઠ ખરશેદજી ફરદુનજી પારખે આપી હતી. ત્રીજી વાત એ કે આ ફુવારાનું ઉદ્ઘાટન ૧૮૬૯ના નવેમ્બરની ૧૮મી તારીખે થયું હતું. પણ એ કોને હાથે થયેલું એ લખ્યું નથી. અને ચોથી મહત્ત્વની વાત એ કે તેમાં આ ફુવારાનું નામ જ લખ્યું નથી.
ખરશેદજી ફરદુનજી પારખ
પહેલો સવાલ એ થાય કે આ ખરશેદજી ફરદુનજી પારખ હતા કોણ? પારસીઓ વિશેના આકર ગ્રંથ ‘પારસી પ્રકાશ’ના બીજા અને ત્રીજા દફતર(ભાગ)નાં બે હજાર જેટલાં પાનાં ખૂબ જ વ્યવસ્થિત સૂચિની મદદથી ઉથલાવો ત્યારે જાણવા મળે કે ખરશેદજીનો જન્મ ૧૮૧૨માં, બેહસ્તનશીન થયા ૮૫ વરસની જૈફ ઉંમરે, ૧૮૯૬ના ઓગસ્ટની આઠમી તારીખે. તેઓ એ જમાનાના મુંબઈના એક મોટા વેપારી અને વહાણવટી હતા. પોતાના અલાયદા વેપાર ઉપરાંત સર જમશેદજી જીજીભાઈની કંપનીમાં ભાગીદાર હતા. આજે તાતા કે બિરલાની કંપનીમાં કોઈ ભાગીદાર હોય અને તેનો જેવો વટ પડે તેવો એ જમાનામાં સરસાહેબના ભાગીદારનો પડે. ખરશેદજીએ વેપાર માટે ચીનની મુસાફરી કરેલી અને ચીન ઉપરાંત ગ્રેટ બ્રિટન અને યુરપના કેટલાક દેશો સાથે વેપાર. તેમની માલિકીનાં કેટલાંક જહાજોનાં નામ : સર જમશેદજી ફેમિલી, આલ્બર્ટ વિક્ટર, અને એક વહાણનું તો નામ જ ખરશેદજી ફરદુનજી. બોમ્બે ગ્રીન્સની જે પહેલી આઠ અર્ધગોળાકાર ઇમારતો બંધાઈ તેમાંની એક ખરશેદજીની માલિકીની હતી, જે ૧૮૬૪માં બંધાઈ હતી. પોતાની હયાતી દરમ્યાન તેમણે ૧૧ લાખ ૧૯ હજાર, ૯૭૦ રુપિયાની સખાવત કરી હતી. એ વખતે આ ઘણી મોટી રકમ ગણાય. તેમની સખાવતથી કોલાબામાં ધર્માદા દવાખાનું, માહિમમાં એન્ગલો-વર્નાક્યુલર સ્કૂલ, ચોપાટી પર પારસીઓ માટેની ધરમશાળા, દહીંસર અને સાયનનાં સ્ટેશનોની સામે ધરમશાળા, વગેરે બંધાયાં હતાં. તેમનું મૂળ વતન હતું સુરત, એટલે ત્યાં પણ ઘણી સખાવત કરેલી. ૫૦ હજાર રૂપિયાને ખર્ચે ફરદુનજી સોરાબજી પારખ સ્કૂલ ઓફ આર્ટ એન્ડ ઇન્ડસ્ટ્રી શરૂ કરી. પારખ ચેરિટેબલ ડિસ્પેન્સરી સ્થાપી. સુરતના રેલવે સ્ટેશન સામે ૨૫ હજારના ખર્ચે મોટી ધરમશાળા બાંધી.
મુંબઈના ગવર્નર સર બાર્ટલ ફ્રેરે
ફ્લોરા ફાઉન્ટનના ફુવારા અંગે પણ કેટલીક વાત ‘પારસી પ્રકાશ’માંથી જાણવા મળે છે. ખરશેદજીએ ૨૦,૫૦૦ રૂપિયાનું જે દાન આપેલું તે એ વખતના વિક્ટોરિયા ગાર્ડનમાં લંડનથી મગાવીને ફુવારો મૂકવાને માટે આપેલું. અને એ ફુવારાની સાથે નામ જોડવાનું હતું મુંબઈના ગવર્નર સર બાર્ટલ ફ્રેરેનું. ખરશેદજીના દાનમાંથી ૬૮૦ પાઉન્ડ ફુવારો બનાવવા માટે સોસાયટીએ લંડન મોકલ્યા હતા. પણ ફુવારાનું કામ ધાર્યા પ્રમાણે થયું નહિ, એટલે સોસાયટીએ પૈસા પાછા માગ્યા. પણ પાછા મળ્યા માત્ર ૧૯૨ પાઉન્ડ અને બાકીના ૪૮૮ પાઉન્ડ પાણીમાં ગયા. બીજો ફુવારો બનાવતાં ૯૦૬ પાઉન્ડનું દેવું થયું એટલે એ ફુવારો સોસાયટીને સોંપી દીધો. સોસાયટીએ એટલી રકમ ખર્ચીને ફુવારો તો તૈયાર કરાવ્યો, પણ બે મોટા ફેરફાર કર્યા. એક તો, વિક્ટોરિયા ગાર્ડનને બદલે ફુવારાને હાલની જગ્યાએ ગોઠવ્યો, અને બીજું, તેની સાથે સર બાર્ટલ ફ્રેરેનું નામ ન જોડતાં નામ રાખ્યું ‘ફ્લોરા ફાઉનટન.’ જો કે ૧૮૬૯માં આ ફુવારાનું ઉદ્ઘાટન થયું ત્યારે એનું નામ ‘ફ્રેરે ફાઉન્ટન’ હશે અને પાછળથી નામ બદલાયું હશે તેમ લાગે છે. કારણ ૧૮૭૧માં આ ફુવારાનું વૂડ એન્ગ્રેવિંગ પદ્ધતિથી છપાયેલું ચિત્ર પ્રગટ થયું છે તેની નીચે ‘ધ ફ્રેરે ફાઉન્ટન, બોમ્બે, ઇન્ડિયા’ એમ લખેલું છે.
ફ્લોરા ફાઉન્ટન પર મઢેલી તકતી
સર હેન્રી બાર્ટલ ફ્રેરેનો જન્મ ૧૮૧૫ના માર્ચની ૨૯મી તારીખે, અવસાન ૬૯ વર્ષની વયે ૧૮૮૪ના મે મહિનાની ૨૯મી તારીખે. ૧૮૬૨થી ૧૮૬૭ સુધી તેઓ મુંબઈના ગવર્નર હતા. ૧૮૬૭ના માર્ચની છઠ્ઠી તારીખે તેમણે મુંબઈ છોડ્યું. એટલે કે ૧૮૬૯માં ફુવારાનું ઉદ્ઘાટન થયું ત્યારે તેઓ મુંબઈના ગવર્નર નહોતા. તેમની જગ્યાએ વિલિયમ વેસી ફિટઝિરાલ્ડ બિરાજમાન થયા હતા. સર બાર્ટલ ફ્રેરેએ મુંબઈ શહેરને સાફસૂથરું અને તેના વહીવટને અસરકારક બનાવવા અનેક પગલાં લીધાં હતાં. ૧૮૬૫માં તેમણે પહેલી વાર મુંબઈને મ્યુનિસિપાલિટી આપી હતી. ૧૮૬૫માં પસાર થયેલો બોમ્બે મ્યુનિસિપલ એક્ટ હિન્દુસ્તાનમાં એ પ્રકારનો સૌથી પહેલો કાયદો હતો. તેઓએ જોયું કે શહેરના રક્ષણની દૃષ્ટિએ કિલ્લો ઉપયોગનો રહ્યો નથી, કારણ હવે જમીન માર્ગે મુંબઈ પર કોઈ ચડાઈ કરે એવો સંભવ નથી. અને દરિયાઈ રસ્તે કોઈ દુશ્મન ચડી આવે તો તેની સામે કિલ્લો ખાસ કામ આવે તેમ નથી. તેઓ નિયમિત રીતે કોટ વિસ્તારમાં તેમ જ કોટ બહારના ‘દેશી’ વિસ્તારોમાં નિયમિત રીતે ફરવા નીકળતા. તેમણે જોયું કે કિલ્લાની અંદરનાં જમીન અને મકાનો હવે અંગ્રેજો માટે પૂરતાં નથી. તો કોટની બહારના ‘દેશી’ રહેણાકના વિસ્તારોમાં જે ગંદકી, રોગચાળો, અરાજકતા ફેલાયેલાં હતાં તે પણ તેમણે નજરે જોયાં હતાં. એક કિસ્સા પરથી આ વાતનો ખ્યાલ આવશે. ‘દેશી’ વિસ્તારોની મુલાકાતો દરમ્યાન એક મકાન તેમના ધ્યાનમાં આવ્યું. થોડે થોડે વખતે તેના પર એક નવો માળ ચણાતો હતો. જ્યારે સાતમા માળનું બાંધકામ શરૂ થયું ત્યારે તેઓ મકાન માલિક પાસે ગયા અને પૂછ્યું : ‘તમારું કુટુંબ એવડું તે કેવડું મોટું છે કે તમારે થોડે થોડે વખતે નવો માળ ચણાવવો પડે છે?’ પેલાએ જવાબ આપ્યો : ‘હવે તો બસ, એક જ દીકરો બચ્યો છે.’ ‘એટલે?’ ‘અહીંનાં ગંદકી, રોગચાળો, ગંદુ પાણી વગેરેને કારણે અગાઉ મારાં પાંચ સંતાનો મરી ગયાં. દરેકના મોત પછી હું મકાનમાં એક માળ ઉમેરતો, એવી આશાએ કે આ બધાથી થોડા ઉપર રહીને જીવવાથી મારાં બાળકો બચી જશે. હવે આ સાતમો માળ ચણાવું છું અને ભગવાનને પ્રાર્થના કરું છુ કે મારો આ દીકરો હવે બચી જાય.’
મુંબઈનો વિકાસ કરવો હોય, તેને સાફસૂથરું બનાવવું હોય તો કિલ્લો તોડી પાડ્યા વગર છૂટકો નહોતો. પણ સાધારણ રીતે અંગ્રેજ અમલદારો વિગતોની ચકાસણી કર્યા પછી જ આવાં કામ કરતા. એટલે સર બાર્ટલ ફ્રેરેએ મુંબઈમાં વસ્તી ગણતરી કરાવવાની દરખાસ્ત વાઈસરોયને મોકલી. તેમણે એ લંડન મોકલી. ત્યાં તે નામંજૂર થઈ એટલે ના પાડ્યા સિવાય વાઈસરોય માટે બીજો કોઈ રસ્તો નહોતો. પણ ફ્રેરે વાર્યા વરે તેવા નહોતા. તેમણે વસ્તી ગણતરીને ‘બિન-સરકારી’ અને ‘સ્વૈચ્છિક’ બનાવી દીધી! અને ૧૮૬૪ના ફેબ્રુઆરીની બીજી તારીખે મુંબઈમાં પહેલી વાર વસ્તી ગણતરી થઈ. તેને આધારે તેમણે નક્કી કર્યું કે મુંબઈના વિકાસ માટે કેટલી જમીન જોઈએ. છેવટે કિલ્લો ગયો. એના ત્રણ દરવાજા ગયા, દીવાલની બહારની ખાઈ ગઈ, ખાઈમાંનું ગંધાતું, ગંદું પાણી ગયું. નવા રસ્તા અને મકાનો બંધાયાં, લોકોને મોકળાશભરી ખુલ્લી જગ્યા મળી.
આ બધું થતું હતું ત્યારે મુંબઈમાં રુપિયાની રેલમછેલ હતી – અમેરિકન સિવિલ વોરને પ્રતાપે. એ અંગે આપણે અગાઉ વિગતવાર વાત કરી છે. પણ ‘દેશી’ શેઠિયાઓ પાસે જે પૈસો ઊભરાતો હતો તેનો સદુપયોગ કરવા તરફ ફ્રેરેએ તેમને વાળ્યા. નવાં સ્કૂલ, કોલેજ, પુસ્તકાલયો વગેરે ઊભાં કરવા તેમને સમજાવ્યા. એ વખતે જે સંખ્યાબંધ ‘રેક્લમેશન સ્કીમ’ ફૂટી નીકળી હતી તેને પણ તેમણે ટેકો આપ્યો કારણ નવી જમીન મેળવ્યા વગર મુંબઈનો વિકાસ ઝાઝો થઈ શકે તેમ નથી, તેની એમને ખાતરી થઈ ચૂકી હતી. ફ્રેરે મરાઠીમાં ભાષણો પણ કરી શકતા. પૂનામાં ડેક્કન કોલેજની સ્થાપનામાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનના જમાનાથી મુંબઈ ઇલાકામાં શિક્ષણ અને ધર્મપ્રચારને અલગ રાખવાની નીતિ અમલમાં હતી. પણ ખ્રિસ્તી પાદરીઓનું એક પ્રતિનિધિ મંડળ ફ્રેરેને મળવા ગયું અને જણાવ્યું કે નિશાળ પૂરી થાય તે પછીના સમયમાં ખ્રિસ્તી ધર્મનું શિક્ષણ આપવાની પાદરી-શિક્ષકોને છૂટ આપવી જોઈએ. એ અંગેનો ખર્ચ પણ ચર્ચ ઉપાડી લેશે. પણ ફ્રેરેએ ઘસીને ના પાડી દીધી. પાદરીઓએ કલકત્તા ધા નાખી. ત્યાંથી થોડી ઉદાર નીતિ અપનાવવાની સૂચના મળી, છતાં ફ્રેરે એકના બે ન જ થયા. હા, બેંક ઓફ બોમ્બે ફડચામાં ગઈ અને ઘણીખરી રેક્લમેશન કંપનીઓ પાણીમાં બેસી ગઈ તેમાં સર બાર્ટલ ફ્રેરેના નામને થોડી ઝાંખપ લાગેલી ખરી. છતાં જે ફુવારો બાંધવાની યોજના તેમણે કરી હતી, જે ફુવારા સાથે તેમનું નામ જોડવાનું નક્કી થયું હતું, તે ફુવારા સાથે પછીથી તેમનું નામ કેમ ન જોડાયું એ એક કોયડો છે.
૧૮૭૧માં પ્રગટ થયેલું ફ્રેરે ફાઉન્ટનનું ચિત્ર
ફ્લોરા ફાઉન્ટનની બાંધણીમાં નીઓ ક્લાસિકલ અને ગોથિક સ્થાપત્ય શૈલીનું મિશ્રણ જોવા મળે છે. આખો ફુવારો વિદેશી પથ્થરનો બનેલો છે. તેની ડિઝાઈનમાં પથ્થર અને પાણીનો સુમેળ સાધવાનો પ્રયત્ન જોવા મળે છે. તેના મથાળે રોમન દેવી ફ્લોરાની મોટી મૂર્તિ મૂકેલી છે જેના પરથી આ ફુવારાનું નામ પડ્યું છે. આ ફ્લોરાને ફળફૂલ, વસંત, પ્રેમ, અને ફળદૃપતાની દેવી માનવામાં આવે છે. એક જમાનામાં વિક્ટોરિયા ટર્મિનસથી ગેટ વે ઓફ ઇન્ડિયા સુધી બ્રિટિશ સ્થાપત્યની આણ પ્રવર્તતી હતી. સરકારી ઓફિસો ઉપરાંત દેશની અને વિદેશની અનેક મોટી કંપનીઓની ઓફિસો અહીં આવેલી હતી. વ્હાઈટ-વે લેડલો અને ઇવાન્સ ફ્રેઝર જેવા જ્યાં મોટે ભાગે અંગ્રેજો જ ખરીદી કરવા જાય તેવા સ્ટોર આવેલા હતા. વી.ટી. અને ચર્ચગેટ બંને સ્ટેશનો નજીક હોવાથી આખો વિસ્તાર રાત-દિવસ ધમધમતો રહેતો હતો. અને આ વિકાસરેખાના લગભગ મધ્યબિંદુએ આવેલ હતો ફ્લોરા ફાઉન્ટનનો ફુવારો. જાણે કિલ્લો તોડી પડાયા પછી વિકસેલા મુંબઈનાં ઊભરાતાં ઉત્સાહ, વિકાસ, સમૃદ્ધિનું પ્રતીક ન હોય!
૧૯૬૦ પછી આ વિસ્તારનું સત્તાવાર નામ બદલાઈને હુતાત્મા ચોક બન્યું. ફુવારાથી થોડે દૂર સંયુક્ત મહારાષ્ટ્ર માટેની ચળવળમાં શહીદ થયેલાઓના સ્મારક રૂપે નવું સ્થાપત્ય ઊભું થયું. પણ જેમ કિલ્લો તોડી પડાયા પછી એલ્ફિન્સ્ટન સર્કલ ઝાંખું પડ્યું તેમ નરીમાન પોઈન્ટનો વિસ્તાર વિકસ્યા પછી ફાઉન્ટન અને તેની આસપાસનો વિસ્તાર પણ થોડો ઝંખવાયો. કેટલાંક વર્ષો ફુવારા માટે પણ દુર્દશાનાં વીત્યાં. આડેધડ સમારકામ થયું, સફેદ રંગના લપેડા લગાવાયા. તેને ‘સુશોભિત’ કરવા માટે કેટલાક વાહિયાત નુસખા અજમાવાયા. પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં શહેરની ‘હેરિટેજ’ ઈમારતોની જાળવણી અને તેના સમારકામ અંગેની દૃષ્ટિ બદલાઈ છે તેનો લાભ ફ્લોરા ફાઉન્ટનને પણ મળ્યો છે. ઊછળતું, કૂદતું, વહેતું પાણી એ જીવનનું પ્રતીક છે. અને આવું પાણી જ્યાં સતત જોવા મળે છે તે ફ્લોરા ફાઉન્ટન પણ મુંબઈ જેવા સતત ઊછળતા, કૂદતા, વહેતા શહેરનું જાણે કે પ્રતીક છે.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 26 સપ્ટેમ્બર 2020