બાવલા ખૂન કેસમાં ઊલટતપાસ માટે છેક દિલ્હીથી વાઈસરોયની મંજૂરી કેમ મેળવવી પડી?
૧૩ જાન્યુઆરી ૧૯૨૫. સવારે દસને ટકોરે પોલિસ કમિશનર કેલી પોતાની ઓફિસમાં દાખલ થયા. દરવાજાની બરાબર સામે કિંગ જ્યોર્જ ધ ફિફ્થનો સોનેરી ફ્રેમમાં મઢેલો ફોટો દીવાલ પર લટકતો હતો. બાજુમાં એક ખૂણામાં યુનિયન જેક ચાંદી મઢેલી કાઠી પર લટકતો હતો. કેલીએ પહેલાં યુનિયન જેકને અને પછી બ્રિટિશ મોનાર્કના ફોટાને સેલ્યૂટ કરી. ઓફિસમાં બીજો એક પણ ફોટો નહોતો. ખુરસી પર બેઠા પછી મોનાર્કનો ફોટો જરા ય ઢંકાય નહિ એટલી ઊંચાઈએ ફોટો હતો. કાળા સીસમની રિવોલ્વિંગ ચેર પર કેલી બેઠા. સામે વિશાળ ટેબલ. એ પણ કાળા સીસમનું. ઉપરના ભાગમાં મરૂન કલરનું વેલવેટ મઢેલું, અને તેની ઉપર કાચ. ટેબલને એક ખૂણે કાળો ટેલિફોન. બીજે ખૂણે IN અને OUT લખેલી બે ટ્રે. પહેલીમાં એક ફાઈલ. બીજી ટ્રે ખાલી.
ટેબલની ડાબી બાજુએ ઝગારા મારતી પિત્તળની કોલબેલ. કેલીએ બેસતાં વેંત એ વગાડીને ઓર્ડર્લી ગંગારામ વાઘમારેને બોલાવ્યો. એ આવીને કુર્નિશ બજાવીને ઊભો રહ્યો. કેલીએ શુદ્ધ મરાઠીમાં કહ્યું : સુપરિન્ટેન્ડન્ટ સાયકિઝલા પાચારણ દ્યા (બોલાવ). તેઓ બાજુના વેઈટિંગ રૂમમાં રાહ જોતા બેઠા હતા, એટલે તરત હાજર થયા. આવીને સેલ્યૂટ કરીને ઊભા રહ્યા. કેલીએ બેસવા કહ્યું પછી અદબપૂર્વક ટટ્ટાર બેઠા.
નાગપાડા પોલિસ હોસ્પિટલમાં મુમતાઝ
કેલી : અત્યારે મુમતાઝને ક્યાં રાખી છે?
સાયકિઝ : સર, જે.જે. હોસ્પિટલના કેઝ્યુઅલ્ટી વોર્ડમાં.
કેલી : હાલ ને હાલ તેને નાગપાડાની પોલીસ હોસ્પિટલમાં ખસેડો. ત્યાં અલગ રૂમમાં રાખો. બહાર ચોવીસ કલાક ચોકી પહેરો. કોઈ મુલાકાતીને મળવાની પરવાનગી નહિ. અને આ કામ એવી રીતે કરવાનું છે કે આપણા બે-ચાર માણસો સિવાય બીજા કોઈને ખબર ન પડે. અને હા, એને ખસેડ્યા પછી તરત મને ખબર આપજો. ગોડ સેવ ધ કિંગ.
સાયકિઝે પણ જવાબમાં ગોડ સેવ ધ કિંગ કહ્યું. અદબપૂર્વક ઊભા થઈ સાયકિઝ ચાલતા થયા.
નાગપાડા પોલિસ હોસ્પિટલ
એ ગયા પછી કેલીએ બેલ વગાડવાને બદલે બૂમ પાડી : ગંગારામ! એ આવીને ઊભો રહ્યો એટલે કહ્યું : માઝા સ્ટેનોલા પાચારણ દ્યા. સ્ટેનો આવીને ઊભો રહ્યો એટલે બેસવા માટે ઈશારો કર્યો. ગવર્નર સર લેસ્લી વિલ્સનને તાબડતોબ મોકલવાનો પત્ર ડિક્ટેટ કરાવ્યો. તેમાં સાત ઇસમનાં નામ-ઠામ લખ્યાં હતાં અને તેમની પૂછપરછ (Interrogation) કરવા માટેની મંજૂરી વહેલી તકે આપવા વિનંતી કરી હતી. આ સાત તે :
૧. પુષ્પશાલ પાંડે, ઉંમર વરસ ૨૨, ૨. શ્યામરાવ દિઘે, ઉ.વ. ૩૨, ૩. મુમતાઝખાન સૈયદ મોહમ્મદ, ઉ.વ. ૨૫, ૪. અકબરશાહ મોહમ્મદશાહ ખાન, ઉ.વ. ૨૨, ૫. કરામતખાન નીઝામતખાન, ઉ.વ. ૨૫, ૬. બહાદુરશાહ મોહમ્મદશાહ ખાન, ઉ.વ.૨૫, ૭. અબ્દુલ લતીફ મોહિદ્દિન ઉર્ફે કાળા લતીફ, ઉ.વ. ૨૦.
બે-પાંચ મિનિટમાં પત્ર ટાઈપ થઈને આવી ગયો એટલે કેલીએ સહી કરીને જાતે કવરમાં મૂકી ઉપર પોતાનું સીલ માર્યું અને પછી કહ્યું : અત્યારે જ ગવર્નરસાહેબને હેન્ડ ડિલિવરીથી મોકલો.
સાંજ પડતાં પહેલાં ધાર્યા પ્રમાણેનો ગવર્નરનો જવાબ આવી ગયો : મારી ભલામણ સાથે મેં તમારી વિનંતી વાઈસરોય સર રીડીંગને મોકલી આપી છે. પછી એક-બે દિવસમાં વાઈસરોયની મંજૂરી પણ આવી ગઈ. પણ તેમણે આદેશ આપ્યો હતો કે હવે પછીની કામગીરી સંબધિત પોલિટિકલ રેસિડન્ટને વચમાં રાખીને જ કરવી અને પૂછપરછ વખતે સ્થાનિક પોલીસના અધિકારીઓ પાસે જ કરાવવી.
પ્રિય વાચક! તમે જરૂર વિચારતા હશો કે શું આ સાત નામ એવી મોટી હસ્તીનાં હતાં કે તેમની પૂછપરછ કરવા માટે પણ છેક વાઈસરોયની પરવાનગી લેવી પડે? ના. પણ એ સાતે સાત બ્રિટિશ ઇન્ડિયાના નાગરિક નહોતા. તો? એ બધા જ હતા ઇન્દોરના દેશી રાજ્યના નાગરિક! બાવલાના ખૂનનો ગુનો બન્યો હતો મુંબઈમાં. પણ આખું કાવતરું ઘડાયું હતું ઇન્દોરના દેશી રાજ્યમાં. અને મલબાર હિલ પર બનેલી ઘટના પછી તરત એ જ રાતે આ સાતે ઇસમ મુંબઈથી ઇન્દોર જવા ટ્રેન દ્વારા રવાના થઈ ગયા હતા. લાલ મેક્સવેલ મોટરને પણ ગુડ્સ ટ્રેન દ્વારા ઇન્દોર મોકલી દીધી હતી. મુંબઈ પોલીસ ઇન્દોર જઈને તેમની ધરપકડ કરી શકે તેમ નહોતું. મંજૂરી મળી હતી તે માત્ર પૂછપરછ કરવાની. ૧૯૨૫માં, બાવલા ખૂન કેસ વખતે મહારાજા તુકોજીરાવ ત્રીજા (હોલકર વંશના ૧૩મા રાજા)નું રાજ ચાલતું હતું. તેમનું સત્તાવાર આખું નામ હતું : ‘હિઝ હાઈનેસ મહારાજાધીરાજ હોલકર રાજરાજેશ્વર સવાઈ શ્રી સર તુકોજી રાવ ત્રીજા હોલકર, ઇન્દોરના તેરમા મહારાજા.’
વાઈસરોયની મંજૂરી આવી ત્યાં સુધીમાં કેલી પર દબાણ વધવા લાગ્યું. ઇન્દોર રાજ્યે લોભામણી દરખાસ્ત મોકલી. ખુદ અંગ્રેજ ઉપરીઓએ પણ આડકતરાં સૂચન કર્યાં કે આ કેસમાં હળવે હાથે હલેસાં મારો. અત્યારે હોબાળો મચ્યો છે, પણ થોડા વખતમાં લોકો વાત ભૂલી જશે. ઈન્દોરની ઓફર તો ઠુકરાવી જ, પણ ઉપરી અધિકારીઓને પણ સ્પષ્ટ જણાવી દીધું કે મારા પર દબાણ લાવશો તો હું પોલિસ કમિશનરના હોદ્દા પરથી રાજીનામું આપીશ.
ઇન્દોરના મહારાજા તુકોજી રાવ હોલકર, ત્રીજા
બીજા તો સમજ્યા, પણ મુંબઈ અને દિલ્હીના ખેરખાંઓ ઇન્દોરના રાજવીને બચાવવા કેમ માગતા હતા? એક કારણ એ કે પહેલા વિશ્વયુદ્ધ વખતે ઇન્દોર રાજ્યે સરકારને ઘણી મદદ કરી હતી. બીજું, ૧૯૨૦થી ગાંધીજીના નેતૃત્ત્વ નીચે શરૂ થયેલી અસહકારના આંદોલને વેગ પકડ્યો હતો. બ્રિટિશ ઇન્ડિયાનો મોટો ભાગ તેમાં ભળતો જતો હતો. પણ ઘણાંખરાં દેશી રાજ્યો બ્રિટિશ શાસકોની પડખે ઊભાં રહ્યાં હતાં. ઇન્દોર જેવા અગ્રણી રાજ્યના રાજવી જો આ કેસમાં સંડોવાય તો તેનું પરિણામ કેવું આવે તે કહી શકાય એમ નહોતું. ઇન્દોર ઉપરાંત બીજાં કેટલાંક દેશી રાજ્યો પણ બ્રિટિશ સરકાર વિરોધી ચળવળને ઉત્તેજન આપે તો?
પણ કેલી પોતાના નિર્ણયમાં અફર હતા. સાતે શંકાસ્પદ વ્યક્તિઓને પૂછવાના સવાલો તૈયાર થઈ ગયા. સિનિયર ઇન્સ્પેક્ટર સ્મિથની આગેવાની નીચે આઠ અધિકારીઓની ‘તપાસ સમિતિ’ ઇન્દોર જવા તૈયાર થઈ. પણ સવાલો તેમણે નહોતા પૂછવાના. એ કામ ઇન્દોર પોલિસનું હતું. મુંબઈ પોલિસે માત્ર નોંધ લેવાની હતી. કેલીએ ખાસ સૂચના આપી કે સાતે શંકાસ્પદ વ્યક્તિઓને પૂછવાના સવાલ એક સાથે ઇન્દોરના અધિકારીઓને આપતા નહિ. એક-એક સાક્ષી આવતો જાય તેમ તેમ તેને પૂછવાના સવાલો ઇન્દોર પોલિસના હાથમાં મૂકજો. જેથી પોલિસ પોતે સાક્ષીઓને અગાઉથી ચેતવી ન શકે. પછી કેલીએ ઇન્દોરના પોલિસ કમિશનરને તાર કરીને આઠ અધિકારીઓના આવવાની જાણ કરી અને તેમને પૂરેપૂરો સહકાર મળી રહેશે એવી આશા વ્યક્ત કરી.
બાવલા ખૂન કેસની સુનાવણીના અહેવાલ રોજેરોજ બધાં છાપાંમાં પ્રગટ થતા
૧૯૨૫ના જાન્યુઆરીની ૧૯મીએ મુંબઈ પોલિસની ટીમ ઇન્દોર પહોંચી. પહેલું કામ ઇન્દોરના પોલિસ કમિશનરને મળીને બધી વ્યક્તિઓ સામેના પુરાવા રજૂ કર્યા. પણ ધાર્યા પ્રમાણે ઇન્દોરના પોલીસ કમિશનરે તો એક જ રાગ આલાપ્યો : ‘અમારા બધા નાગરિકો તો દૂધે ધોયેલા છે. એ આવું કોઈ કામ કરે જ નહિ. તમને કોઈએ ખોટી માહિતી આપીને ભરમાવ્યા છે. એ સાંભળીને તરત જ ઇન્સ્પેક્ટર સ્મિથે પોતાના સાથીઓને ઈશારો કર્યો. એટલે એ સાથીઓ પોતપોતાના ‘શિકાર’ને શોધવા નીકળી પડ્યા. એકને બાદ કરતાં બીજા બધા આરોપી ઇન્દોર દરબારના નોકરો હતા. બાતમીદારો પાસેથી પાકી માહિતી મેળવી હતી એટલે થોડી જ વારમાં બધા આરોપીને લઈને એ સાથીઓ પાછા આવ્યા. ઇન્દોર પોલિસના હાથમાં પકડાવેલાં કાગળિયાં પ્રમાણે તેમણે એક-એક આરોપીની ઊલટતપાસ લેવી પડી. ઊલટતપાસ પૂરી થતાં વેંત સ્મિથે કહ્યું કે વધુ પૂછપરછ માટે અમારે આ બધાને મુંબઈ લઈ જવા પડશે. ઇન્દોરના પોલિસ કમિશનર હા-ના કરે એ પહેલાં તો મુંબઈ પોલિસના બીજા અધીકારીઓ આવી પહોંચ્યા. ઊલટતપાસ ચાલતી હતી એ જ વખતે તેમણે દરેક આરોપીના ઘરની ઝડતી લીધી હતી. અને દરેકને ત્યાંથી એક યા બીજી વાંધાજનક વસ્તુ મળી આવી હતી. તેમાં ઇન્દોરથી મુંબઈની ટ્રેન ટિકિટોથી માંડીને બંદૂકની કારતૂસો સુધીની વસ્તુઓનો સમાવેશ થતો હતો. બીજી બાજુ સ્મિથે પોતે દરબારી કચેરી જઈને દસ્તાવેજી પુરાવા એકઠા કર્યા. બધા આરોપીઓએ ૧૨મી જાન્યુઆરીની આસપાસના દિવસોએ નોકરી પરથી રજા લીધી હતી, અલબત્ત, જુદાં જુદાં અને ખોટાં કારણો આપીને. જપ્ત કરેલી બધી વસ્તુઓનું પંચનામું કર્યું.
પણ હજી એક મહત્ત્વની વિધિ બાકી હતી: ઓળખ પરેડ. ૧૨મી જાન્યુઆરીની ઘટના વખતે જે જે ઇસમો હાજર હતા અને જેમણે હુમલાખોરોને નજરોનજર જોયા હતા તેવી અગિયાર વ્યક્તિઓને ‘ચશ્મદિદ ગવાહ’ તરીકે ટ્રેન દ્વારા મુંબઈથી ઇન્દોર લાવવામાં આવી. ઇન્દોર પોલિસની હાજરીમાં ૨૨ જાન્યુઆરીએ ઓળખ પરેડ કરવામાં આવી જેમાં બધા જ સાક્ષીઓએ બધા જ ગુનેગારોને ઓળખી બતાવ્યા. હવે ઇન્દોર પોલિસના હાથ હેઠા પડ્યા.
સ્મિથ અને તેના સાથીઓ બધા આરોપીઓને લઈને ઇન્દોરથી મુંબઈ જવા રવાના થયા – અલબત્ત, તેમની ‘વધુ પૂછપરછ’ કરવા માટે. સાતે આરોપીને મુંબઈના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.એસ. રાંગણેકર સમક્ષ ઊભા કરી, વોરંટ મેળવી, તેમને ૧૪ દિવસ માટે રિમાન્ડ પર લીધા. પણ આ બધા તો કાવતરાના હાથ-પગ હતા. તેમને ચલાવનાર ‘ભેજું’ હજી ઇન્દોરમાં જ હતું. એ ભેજાનો ભેદ કઈ રીતે ખૂલ્યો એની વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 19 એપ્રિલ 2025