મુંબઈનું મહામૂલું ઘરેણું રાજાબાઈ ટાવર
મુંબઈના બેતાજ બાદશાહ પ્રેમચંદ રાયચંદે બંધાવ્યો એ ટાવર
જ્યારે માર્ક ટ્વેને મુલાકાત લીધી પ્રેમોદ્યાન બંગલાની
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે એક વિચાર આવ્યો : મુંબઈમાં એવી કેટલી જાહેર ઇમારતો છે જેની સાથે એક યા બીજી સ્ત્રીનું નામ જોડાયું હોય. અને હા, એ સ્ત્રી અંગ્રેજ નહિ, પણ ‘દેશી’ હોય. જે ત્રણ-ચાર નામ યાદ આવ્યાં તેમાં પહેલું નામ યાદ આવ્યું રાજાબાઈ ટાવર. બોલ ટાવર અને બેલ ટાવર કરતાં મુંબઈમાં ઘણા વધારે જોવા મળે કલોક ટાવર. તેમાં રાજાબાઈ ટાવર એટલે મુંબઈનું ઘરેણું. પણ આ રાજાબાઈ હતાં કોણ? ઘણું ઘણું શોધો : માત્ર એક જ વાત મળશે : રાજાબાઈ તે ૧૯મી સદીના મુંબઈના પ્રખ્યાત વેપારી, શેર બ્રોકર, દાનવીર શેઠ પ્રેમચંદ રાયચંદનાં માતા. જૈન વણિક લાકડાના વેપારી દીપચંદભાઈનાં પત્ની. બીજું કશું જાણતા નથી આપણે તેમના વિષે. હા, ૧૯૧૩માં દિનશા એદલજી વાચ્છાએ પ્રેમચંદભાઈનું જીવનચરિત્ર લખ્યું છે : Premchand Roychand : His Early Life and Career. તેના છેક છેલ્લા પાના પર રાજાબાઈનો ફોટો છાપ્યો છે.
એક જમાનાના મુંબઈના બેતાજ બાદશાહ શેઠ પ્રેમચંદ રાયચંદ
રાજાબાઈના દીકરા પ્રેમચંદનો જન્મ સુરતમાં, ૧૮૩૨માં. એ જમાનાના બીજા ઘણા ગુજરાતવાસીઓની જેમ દીપચંદભાઈ પણ પોતાનું નસીબ અજમાવવા સુરત છોડી મુંબઈ આવ્યા. બે પાંદડે થયા. દીકરા પ્રેમચંદને એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂશન(પછીથી કોલેજ)માં ભણાવ્યો. ૧૬ વરસની ઉંમરે પ્રેમચંદભાઈ શેર બ્રોકર બન્યા. કહેવાય છે કે એ વખતે અંગ્રેજી બોલી-લખી શકે તેવા તેઓ એકમાત્ર શેર બ્રોકર હતા, મુંબઈમાં. કમાયા, ઘણું કમાયા. મુંબઈના બેતાજ બાદશાહ બન્યા. મોટા મોટા અંગ્રેજ અમલદારો જ નહિ, ખુદ ગવર્નર સર બાર્ટલ ફ્રેરે સાથે પણ ઘરોબો.
૧૯૫૭માં યુનિવર્સિટી ઓફ બોમ્બે શરૂ થઈ ત્યારે એની પાસે પોતાનું મકાન નહોતું. એટલે શરૂઆત થયેલી ટાઉન હોલના મકાનમાં. થોડાં વરસ પછી યુનિવર્સિટી માટે અલગ મકાન બાંધવાની હિલચાલ શરૂ થઈ. આજે જે કોન્વોકેશન હોલ તરીકે ઓળખાય છે તે મકાન બાંધવા માટે સર કાવસજી જહાંગીરે એક લાખ રૂપિયાનું દાન આપ્યું. શરૂઆતમાં તેમણે એવી શરત મૂકી કે યુનિવર્સિટીનાં મકાન બાંધવા માટે બીજા કોઈ પાસેથી દાન લેવું નહિ. પણ દેખીતી રીતે જ આ રીતે યુનિવર્સિટી પોતાનાં કાંડાં કાપી આપી ન શકે. થોડી સમજાવટ પછી સરસાહેબે એ શરત પડતી મૂકી.
પ્રેમચંદ રાયચંદે યુનિવર્સિટીને લખેલો પત્ર
અને થોડા દિવસ પછી યુનિવર્સિટીને એક કાગળ મળ્યો : લાયબ્રેરીનું મકાન બાંધવા માટે બે લાખ રૂપિયાનું દાન આપવાનું જણાવ્યું હતું શેઠ પ્રેમચંદ રાયચંદે, ૧૮૬૪ના ઓગસ્ટની ૨૭મી તારીખે લખાયેલા એક પત્રમાં. પણ પ્રેમચંદભાઈને દાનની રકમથી સંતોષ નહોતો. એટલે ૧૮૬૪ના ઓક્ટોબરની છઠ્ઠી તારીખે ફરી પત્ર લખીને તેમણે બીજા બે લાખ રૂપિયાનું દાન આપ્યું, લાયબ્રેરીના મકાન સાથે કલોક ટાવર બાંધવા માટે. અને એ જ પત્રમાં વિનંતી કરી કે આ ટાવર સાથે તેમનાં માતા રાજાબાઈનું નામ જોડવામાં આવે.
આ ટાવર બંધાવવાનો વિચાર પ્રેમચંદભાઈને કેમ આવ્યો એ અંગે એક માનવી ગમે તેવી, પણ માનવાનું શક્ય નથી એવી દંતકથા પ્રચલિત છે. માતા વૃદ્ધ થયાં હતાં. આંખે લગભગ અંધાપો આવ્યો હતો. જૈન ધર્મના ક્રિયાકાંડ સમયસર કરવા માટે માતા આગ્રહી. એટલે દર પંદર મિનિટે ટાવરના ડંકા સાંભળીને માતા સમય જાણી શકે એટલા ખાતર પ્રેમચંદભાઈએ આ દાન આપ્યું! પણ આમાં ન માનવા જેવું છે શું? એ જમાનો હતો મુંબઈના શેર મેનિયાનો. અને એના મુખ્ય ખેલાડી હતા શેઠ પ્રેમચંદ. લાખો-કરોડોમાં આળોટતા હતા. માતૃભક્તિથી પ્રેરાઈને બે લાખનું દાન કરવું એ તો એ વખતે એમને માટે રમત વાત હતી.
પણ આ દંતકથા માની શકાય એમ નથી એનું કારણ રાજાબાઈ ટાવર અને પ્રેમચંદશેઠના રહેઠાણ વચ્ચેનું અંતર. રાજાબાઈ ટાવર તો જ્યાં હતો ત્યાં જ આજે પણ છે. પણ પ્રેમચંદશેઠ જે બંગલામાં રહેતા હતા એ બંગલો પણ હજી આજે ય મોજૂદ છે. એનું તે વખતનું નામ ‘પ્રેમોદ્યાન.’ યથા નામ તથા ગુણ. આજની ભાષામાં ગ્રાઉન્ડ પ્લસ વનનો બંગલો. તેના ફરતું મોટું, સુંદર ઉદ્યાન કહેતાં બગીચો. અને એ આવેલો છે ભાયખળામાં. હવે તમે જ કહો, ફોર્ટ વિસ્તારમાંના રાજાબાઈ ટાવરના ડંકા છેક ભાયખળામાં કઈ રીતે સંભળાય? માન્યું કે એ વખતે આજની જેમ મુંબઈમાં ઊંચાં ઊંચાં મકાનો નહોતાં, હવા અને અવાજનું પ્રદૂષણ નહોતું, વસ્તી ઘણી ઓછી હતી, ટ્રાફિક અને તેનો ઘોંઘાટ નહોતો. પણ તો ય ડંકા છેક ભાયખળામાં બેઠેલાં પ્રેમચંદશેઠનાં વૃદ્ધ, અશક્ત માને સંભળાય? યે બાત કુછ હજમ નહિ હોતી. માતૃપ્રેમથી પ્રેરાઈને ટાવર બંધાવ્યો એ ખરું.
પ્રખ્યાત અમેરિકન લેખક માર્ક ટ્વેન ૧૮૯૬માં મુંબઈની મુલાકાતે આવેલા. ૧૮૯૫માં તેમણે બ્રિટિશ સામ્રાજ્યના દેશોની મુલાકાત લેવા માટે લેકચર ટૂર શરૂ કરેલી. કારણ? કારણ માથે ઘણું દેવું ચડી ગયું હતું. આ દેશોમાં જાહેર ભાષણો આપીને તેમાંથી જે આવક થાય તેમાંથી દેવું ચૂકવાઈ જશે એવો તેમનો ખ્યાલ. ટ્વેન ઉતરેલા એ જમાનાની પ્રખ્યાત વોટ્સન હોટેલમાં. ઘણા અંગ્રેજો અને રાજા-મહારાજાએ તેમના માનમાં ડિનર પાર્ટીઓ યોજેલી. પ્રેમચંદશેઠે પણ પોતાના ‘પ્રેમોદ્યાન’ બંગલામાં પાર્ટી રાખેલી. માર્ક ટ્વેન લખે છે કે જ્યારે અમે ભાયખળાની લવ લેનમાં આવેલા પ્રેમચંદ રાયચંદના બંગલે પહોચ્યા ત્યારે ભોંયતળિયાનો મોટો હોલ લગભગ આખો ભરાઈ ગયો હતો. અને હજી તો મહેમાનોની ઘોડા ગાડીઓ આવ્યે જતી હતી. ત્યાં હાજર લોકોને જોઈને મને લાગ્યું કે અહીં જાણે કે રંગોનો મેળો જામ્યો છે. ખાસ તો પુરુષોએ માથે પહેરેલા સાફામાં જે રંગવૈવિધ્ય હતું તે મેં બીજે ક્યાં ય ભાગ્યે જ જોયું હશે. મને કહેવામાં આવ્યું કે દરેક પ્રદેશ અને દરેક જ્ઞાતિને પોતાનો આગવો સાફો હોય છે એટલું જ નહિ, એ પહેરવાની આગવી રીત પણ હોય છે. પણ સૌથી વધુ રંગબેરંગી કપડાં કેટલાક છોકરાઓએ પહેર્યાં હતાં. એ કપડાંના રંગ એટલા તો ભડક હતા કે છોકરાઓ જાણે સળગી રહ્યા હોય એવું લાગે. મને કહેવામાં આવ્યું કે આ છોકરાઓ ધંધાદારી નાચનારા છે. એમણે કપડાં પહેર્યાં હતાં છોકરી જેવાં, પણ હકીકતમાં એ બધા હતા છોકરા. તેમાંથી બે કે ચાર છોકરા એક સાથે ઊભા થઈને ઘોંઘાટિયા સંગીત સાથે નાચતા હતા. તેમના હાવભાવ, અભિનયમાં વૈવિધ્ય હતું, પણ તેમના અવાજ મને તો કર્કશ લાગ્યા. અને સંગીતમાં એકતાનતા હતી, વૈવિધ્ય ઘણું ઓછું હતું.
ભાયખળામાં આજે ય અડીખમ ઊભેલો પ્રેમોદ્યાન બંગલો
આજે આપણને સવાલ થાય કે ભાયખળા જેવા વિસ્તારમાં બંગલો કેમ બંધાવ્યો હશે, પ્રેમચંદશેઠે? કારણ એ વખતે ભાયખળાનો વિસ્તાર, પરળનો વિસ્તાર, આજની ભાષામાં ‘અપ માર્કેટ’ કે ‘પોશ ’વિસ્તાર ગણાતો હતો. ત્યાંની ઘણી જમીન ડેવિડ સાસૂનની માલિકીની હતી. એ વખતે પણ આ વિસ્તારમાં પચરંગી વસ્તી હતી. પારસીઓના જરબાઈ બાગ અને રુસ્તમ બાગ પણ આ જ વિસ્તારમાં. જૈનોએ અહીં મોતીશા દેરાસર અને ઉપાશ્રય બાંધ્યું. ડેવિડ સાસૂને મેગન ડેવિડ સાસૂન સિનેગોગ બાંધ્યું. અને ૧૯૧૧માં ગ્લોરિયા ચર્ચને મઝગાંવથી ભાયખળા ખસેડવામાં આવી. અને ખુદ મુંબઈના ગવર્નરનો બંગલો હતો પરળમાં. ખાસ ધ્યાનપાત્ર વાત તો એ છે કે આ બધી જ ઇમારતો આજે પણ ઊભી છે.
પ્રેમચંદશેઠે બંધાવેલો બંગલો પણ આજે ય ઊભો છે, પણ ત્યાં હવે ચાલે છે આઠથી અઢાર વરસની અનાથ કન્યાઓ માટેનું છાત્રાલય! અને તે ઓળખાય છે ધ રેગીના પેસિસ કોન્વેન્ટ તરીકે. પ્રેમચંદશેઠ પાસેથી સાધ્વીઓએ આ બંગલો ખરીદી લીધો હતો. ૧૯૫૧માં ઇન્ટરનેશનલ ઓર્ગનીઝેશન ઓફ ધ કોન્ગ્રગેશન ઓફ ધ રિલીજિયસ ઓફ મેરી ઇમેક્યુલેટે આ બંગલો ખરીદ્યો. શરૂઆતમાં આ બંગલાનો ઉપયોગ સેન્ટ વિન્સેન્ટ મારિયા હોમ ફોર ડેસ્ટીટ્યૂટ ગર્લ્સ (છોકરીઓ માટેના અનાથાશ્રમ) તરીકે થયો. પછી ત્યાં રહેતી છોકરીઓને ભણાવવા માટે પ્રથમિક શાળા શરૂ થઈ. પછી તેમાં માધ્યમિક શાળા, રાત્રી શાળા, નોકરી કરતી સ્ત્રીઓ માટેની હોસ્ટેલ, વગેરે ઉમેરાતાં ગયાં. બંગલાના વિશાળ કંપાઉન્ડમાં આ માટે નવાં મકાનો બાંધવામાં આવ્યાં. પણ મૂળ બંગલામાં કશો જ ફેરફાર કરવામાં આવ્યો નથી અને બહુ જતનપૂર્વક તેની જાળવણી કરવામાં આવે છે.
યુનિવર્સિટી ઓફ બોમ્બેના ફોર્ટ કેમ્પસમાં આવેલા રાજાબાઈ ટાવરના ડંકાનો અવાજ ભાયખળા પહોંચે કે ન પહોંચે, આપણે તો રાજાબાઈ ટાવરની વાત કરવાને બદલે ભાયખળા જઈને, પ્રેમચંદશેઠનો બંગલો જોઈને વિખ્યાત અમેરિકન લેખક માર્ક ટ્વેનને મળી આવ્યા. હવે પછી ફરી ભાયખળાથી રાજાબાઈ ટાવર જશું. એના બાંધકામની અવનવી વાતો તો જાણશું જ. પણ બે પારસી છોકરીઓના મોતની વાત પણ કરશું. એમનું મૃત્યુ એ આપઘાત હતું? ખૂન હતું? કે માત્ર અકસ્માત? વધુ રસિક ભાગ આવતા શનિવારે.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 12 માર્ચ 2022