આજે, આનન્દવર્ધન વિશે —
એમનો સમય છે, નવમી શતાબ્દીનો પ્રારમ્ભ. એમનો ગ્રન્થ છે, “ધ્વન્યાલોક”.
કાવ્યમાં ‘ધ્વનિ’- તત્ત્વની આત્મા રૂપે પ્રસ્થાપના કરનારા આનન્દવર્ધન ‘ધ્વનિ’-ની સ્થિતિ અને સ્વરૂપના નિરૂપણનો પ્રારમ્ભ કરતાં કહે છે :
કાવ્યસ્યાત્મા ધ્વનિરિતિ બુધૈર્ય: સમામ્નત:પૂર્વસ્તસ્યાભાવમ્ જગદુરપરે ભાક્તમાહુસ્તમન્યે I કેચિદ્ વાચામ્ સ્થિતમવિષયે તત્ત્વમૂચુસ્તદીયમ્ તેન બ્રૂમ: સહૃદયમન:પ્રીતયે તત્સ્વરૂપમ્ II
એટલે કે —
વિદ્વાનો કાવ્યના આત્મા રૂપે ધ્વનિનો નિર્દેશ કરતા આવ્યા છે, પરન્તુ કેટલાક વિદ્વાનો એનો અભાવ માને છે. બીજા કેટલાક એને ‘ભાક્ત’ એટલે કે ગૌણ કે લક્ષણાગમ્ય ગણે છે. તો, કેટલાક એના રહસ્યને વાણીનો ‘અવિષય’ ગણે છે, એટલે કે, એને અનિર્વચનીય લેખે છે. તેથી અમે, આનન્દવર્ધન કહે છે, સહૃદયોના મનની પ્રીતિ માટે, એના, એટલે કે ધ્વનિના, સ્વરૂપ વિશે કહીશું.
મને આનન્દવર્ધનના એ કથનથી વિચાર આવ્યો કે જે કોઈ વિષયનો જે કોઈ સિદ્ધાન્ત જેને ‘આત્મા’ ગણે છે તેની છણાવટભરી ચર્ચાઓ દરેક જમાનામાં થાય છે. જેમ કે, અદ્વૈત વેદાન્તની ચર્ચામાં પ્રભવેલા શુદ્ધાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, વગેરે વિવિધ સમ્પ્રદાયો. જેમ કે, રૂપ અથવા આકાર – ફૉર્મ – સાહિત્યસર્જનનો આત્મા છે; પણ એની આપણે ત્યાં થયેલી ચર્ચા-પ્રતિચર્ચા, ખાસ તો, “સરસ્વતીચન્દ્ર”-ના સંદર્ભમાં. વગેરે.
રસપ્રદ વાત એ છે કે આનન્દવર્ધને એ ‘અભાવ’-વાદીઓના પાંચેક વિકલ્પને બરાબર પડકાર્યા છે. એટલું જ નહીં, ઉમેર્યું છે કે સમસ્ત સત્કવિઓના કાવ્યોના રહસ્યભૂત અને અતિરમણીય ધ્વનિતત્ત્વના સ્વરૂપને સૂક્ષ્મતર બુદ્ધિવાળા કાવ્યલક્ષણવિધાયકો પણ સ્ફુટ કરી શક્યા નથી. તેથી, રામાયણ, મહાભારત વગેરે ગ્રન્થોમાં એના પ્રસિદ્ધ વ્યવહારને સર્વત્ર પામનારા સહૃદયોના મનને આનન્દ થાય એટલા માટે અમે એને અહીં પ્રકાશિત કરીએ છીએ — સહૃદયાનામ્ આનન્દો મનસિ લભતામ્ પ્રતિષ્ઠામિતિ પ્રકાશ્યતે.
આનન્દવર્ધન કહે છે કે ધ્વનિના સ્વરૂપનું નિર્માણ કરવા માટેની આધારભૂમિ – ભૂમિરિવ ભૂમિકા – માટે કહું કે —
યોડર્થ: સહૃદયશ્લાઘ્ય: કાવ્યાત્મેતિ વ્યવસ્થિત: I
વાચ્યપ્રતીયમાનાખ્યૌ તસ્ય ભેદાવુભૌ સ્મૃતૌ II
એટલે કે —
સહૃદયો દ્વારા પ્રશંસિત અને કાવ્યના આત્મા રૂપે પ્રતિષ્ઠિત અર્થના, વાચ્ય અને પ્રતીયમાન એવા બે ભેદ કહેવાયા છે.
જાણીતું છે કે અર્થ આપનારી અભિધા, લક્ષણા અને વ્યંજના ત્રણ શબ્દશક્તિઓ છે. વ્યંજનાશક્તિથી મળતા અર્થને ‘વ્યંગ્ય’ ‘સૂચ્ય’ કે ‘પ્રતીયમાન’ કહેવાય છે. આનન્દવર્ધને આપેલી ‘પ્રતીયમાન’-ની વિસ્તૃત સમજૂતીને આધારે કહી શકાય કે જેને આપણે ‘વ્યંગ્યાર્થ’ કહીએ છીએ તેનું અવરનામ ‘ધ્વન્યાર્થ’ છે. એમના ‘ધ્વન્યાલોક’-ના કેન્દ્રમાં ‘ધ્વનિ’ છે, અને એ ધ્વનિને એમનો એ ગ્રન્થ આલોકિત કે પ્રકાશિત કરે છે.
કહે છે : વાચ્ય અર્થ તો, ઉપમા વગેરે ગુણાલંકારથી પ્રસિદ્ધ છે; કાવ્યલક્ષણકારોએ એ વિશે અનેકશ: કહ્યું છે. એટલા માટે, અમે એનું વિસ્તારથી પ્રતિપાદન નથી કરતા. જરૂરત પડશે ત્યારે તેના અનુ-વાદ કરીશું.
કહે છે : રમણીઓના પ્રસિદ્ધ અવયવોથી ભિન્ન જેમ એમનું લાવણ્ય ભાસિત થતું હોય છે તેમ મહાકવિઓની સૂક્તિઓમાં પ્રતીયમાન અર્થ ભાસિત થતો હોય છે – વાચ્ય અર્થથી તે ભિન્ન હોય છે.
દર્શાવે છે કે : વિવિધ પ્રકારના શબ્દ, અર્થ અને સંઘટનાના પ્રપંચથી મનોહર કાવ્યનો સારભૂત પ્રતીયમાન અર્થ જ કાવ્યનો આત્મા છે. જેમ કે, સહચરીના વિયોગથી કાતર ક્રૉંચના ક્રન્દનથી મહાકવિ વાલ્મીકિનો શોક શ્લોક રૂપે પરિણત થયો —
મા નિષાદ પ્રતિષ્ઠામ્ ત્વમગમ: શાશ્વતી: સમા: I
યત્ક્રૌંચમિથુનાદેકમવધી: કામમોહિતમ્ II
++
એમણે જેનાથી રસભંગ થાય એ રસ-વિરોધી તત્ત્વો ગણાવ્યાં છે. એ મુદ્દાની વિશેષતા એ છે કે એ માટે ઉદાહરણો એમણે સંસ્કૃત સાહિત્યકૃતિઓમાંથી જ આપ્યાં છે, અન્ય આચાર્યોની જેમ જાતે બનાવી કાઢ્યાં નથી :
૧ :
ધારણા કરી હોય તે, પ્રસ્તુત, રસથી વિરોધી રસને તેના વિભાવાદિ સાથે રજૂ કરવામાં આવે ત્યારે રસભંગ થાય છે. જેમ કે, શાન્ત રસના વિભાવાદિનું નિરૂપણ કર્યા પછી તરત જ શ્રુંગારના વિભાવાદિ જોડવાથી. જેમ કે, પ્રણય-કલહથી કુપિત કામિનીઓને સમજાવવા વૈરાગ્યચર્ચા રજૂ કરવાથી. જેમ કે, માનિની પ્રસન્ન ન થતી હોય એટલે કોપાવિષ્ટ નાયકના રૌદ્રાનુભવનું વર્ણન કરવાથી.
૨ :
પ્રસ્તુત રસ સાથે કશો જ સમ્બન્ધ ન હોય તેવી વસ્તુનું વિસ્તારથી વર્ણન કરવાથી રસભંગ થાય છે. જેમ કે, કવિ કોઇ નાયકના વિપ્રલમ્ભ શ્રુંગારનું વર્ણન શરૂ કરે પણ પોતાને યમકાદિ ગમતા-ફાવતા હોય એટલે એ અલંકારો જોડવા મંડી પડે એથી. આનન્દવર્ધને “કીરાતાર્જુનીયમ્”-ના સુરાંગનાવિલાસાદિ તેમ જ “હયગ્રીવવધ”-ના હયવધનાં વિસ્તૃત વર્ણનોનો ઉદાહરણ રૂપે ઉલ્લેખ કર્યો છે.
૩ :
અવસર ન હોય છતાં રસને વિચ્છિન્ન કરવાથી રસભંગ થાય છે. જેમ કે, નાયકને નાયિકા સાથે સમાગમ અભીષ્ટ હોય, નાયિકા સાથે રતિ પરિપુષ્ટ થયો હોય, એ બન્નેને પરસ્પરના અનુરાગનો ખયાલ આવી ગયો હોય, ત્યારે, સમાગમને અનુરૂપ વ્યાપારના ચિન્તન કરવાને સ્થાને, કશાક બીજા જ વ્યાપારનું સ્વતન્ત્રપણે વર્ણન કરવાથી. “રત્નાવલી”-માં ‘બાભ્રવ્ય’-ના આગમનથી થયેલી સાગરિકાની વિસ્મૃતિનો ઉદાહરણ રૂપે ઉલ્લેખ કર્યો છે.
અવસર ન હોય છતાં રસનો વિસ્તાર કરવાથી પણ રસભંગ થાય છે. જેમ કે, અનેક વીરોના વિનાશક પ્રલય જેવો ભીષણ સંગ્રામ શરૂ થયો હોય, વિપ્રલમ્ભ શ્રુંગારનો પ્રસંગ પણ ન હોય, કશું ઉચિત કારણ પણ ન હોય, તોપણ રામચન્દ્ર જેવા દેવપુરુષને એ કથામાં દર્શાવવાથી રસભંગ થઈ શકે છે. ઉદાહરણ છે, “વેણીસંહાર”-નો બીજો અંક. મહાભારત યુદ્ધનો પ્રારમ્ભ થઇ ચૂક્યો હતો, છતાં, ભાનુમતી અને દુર્યોધનનું શ્રુંગારવર્ણન.
૪ :
વિભાવાદિ સામગ્રીથી રસ પરિપુષ્ટ થઈ ગયો હોય તો પણ એને વારંવાર ઉદ્દીપ્ત કરવાથી રસભંગ થાય છે – જેમ વારંવાર સ્પર્શ કરવાથી કુસુમ ચીમળાઈને મલિન થઇ જાય છે —પુન: પુન: પરામુશ્યમાણ: કુસુમકલ્પ: કલ્પ્યતે.
૫ :
વ્યવહારનું અનૌચિત્ય રસભંગનું કારણ છે. જેમ કે, કોઈ નાયિકાને ઉચિત હાવભાવ વિના નાયક પ્રતિ સ્વયં સમ્ભોગાભિલાષ વ્યક્ત કરતી દર્શાવવાથી. આનન્દવર્ધન ઉમેરે છે કે ભરત મુનિએ વર્ણવેલી કૈશિકી વગેરે વૃત્તિઓનું અનૌચિત્ય અથવા ભામહકૃત કાવ્યાલંકારમાં તેમ જ તે પરના ભટ્ટોભટકૃત “ભામહવિવરણ”-માં પ્રસિદ્ધ ઉપનાગરિકા વગેરે વૃત્તિઓનું જે અનૌચિત્ય છે, અવિષયમાં તેનું નિબન્ધન છે, તે પણ રસભંગનું કારણ બની શકે છે.
રસભંગનાં ઉક્ત પાંચ કારણોના સંદર્ભમાં એક પ્રકારનની નીતિ સૂચવાય છે. એ સંદર્ભમાં, આનન્દવર્ધન સત્કવિઓને સાવધાન કરે છે :
કહે છે, સત્કવિઓના વ્યાપારનો મુખ્ય વિષય રસાદિ છે. એના નિબન્ધનમાં એમણે હમેશાં પ્રમાદરહિત રહેવું જોઈએ.
કહે છે, કવિનું નીરસ કાવ્ય એના માટે મહાન અપશબ્દ છે. એ નીરસ કાવ્યને કારણે કોઈ એને કવિ તો ગણે જ નહીં.
કહે છે, પ્રસિદ્ધ પૂર્વકવિઓ સ્વચ્છન્દ કાવ્યો કરતા હતા, પરન્તુ બુદ્ધિમાનોએ એમનો દાખલો ન લેવો, અને એ પ્રકારે આ નીતિનું સદા પાલન કરવું.
આનન્દવર્ધન સરસ ઉમેરે છે : અમે આ નીતિ વાલ્મીકિ, વ્યાસ વગેરે પ્રાચીન કવીશ્વરોના અભિપ્રાયથી વિરુદ્ધની નથી નક્કી કરી !
++
એમણે ‘રસધ્વનિ’ ઉપરાન્ત, ‘વસ્તુધ્વનિ’થી વસ્તુને તેમ જ ‘અલંકારધ્વનિ’થી અલંકારને ધ્વનિત કરનારા બીજા બે પ્રકારો પણ દર્શાવ્યા છે. જોઈ શકાશે કે એથી એમણે મુખ્ય અને ગૌણ વિશે સમદૃષ્ટિપૂર્વકની શાસ્ત્રીયતા દાખવી છે.
એટલું જ નહીં, એમણે ધ્વનિના પણ ભેદ વર્ણવ્યા છે : અવિવક્ષિતવાચ્ય, જે લક્ષણામૂલ છે. વિવક્ષિતાન્યપરવાચ્ય, જે અભિધામૂલ છે. બન્નેનાં એમણે ઉદાહરણ પણ આપ્યાં છે.
ઉમેર્યું છે કે અવિવક્ષિતવાચ્યધ્વનિના બે પ્રકાર પડે છે; વાચ્ય ‘અર્થાન્તર-સંક્રમિત’ થાય ત્યારે અને ‘અત્યન્ત-તિરસ્કૃત’ થાય ત્યારે. પરન્તુ એ બન્ને વાચ્યથી વ્યંગાર્થનો જ ઉત્કર્ષ થાય છે.
એમ પણ ઉમેર્યું છે કે વિવક્ષિતવાચ્યધ્વનિનો આત્મા, એટલે કે એનું સ્વ રૂપ, અસંલક્ષિત ક્રમ અને સંલક્ષિત ક્રમ એમ બે પ્રકારનું છે. પ્રધાન રૂપથી પ્રકાશિત થનારો વ્યંગાર્થ જ ધ્વનિનું સ્વ રૂપ છે. એ ક્યારેક વાચ્યાર્થની અપેક્ષાએ અલક્ષિત ક્રમથી અને ક્યારેક સંલક્ષ્ય ક્રમથી સંભવે છે, એમ મનાયું છે.
જોઈ શકાશે કે એમણે વાચ્ય અને પ્રતીયમાનમાંથી પ્રતીયમાનનું જ ગૌરવ કર્યું છે, પરન્તુ આ રીતે, વાચ્યને કદી વીસર્યા નથી, એમણે કહેલું એમ જરૂરત પડી ત્યારે આ પ્રકારે તેનો અનુ-વાદ કર્યો જ છે. એ રીતે પણ એમણે સમદૃષ્ટિપૂર્વકની શાસ્ત્રીયતા દાખવી છે.
કહે છે, પ્રતીયમાન અર્થને પ્રવાહિત કરનારી મહાકવિઓની વાણી એમના અલૌકિક પ્રતિભાસવાન પ્રતિભા-વિશેષને વ્યક્ત કરે છે. વિચિત્ર કવિપરમ્પરાનું વહન કરતા આ સંસારમાં, એ કારણે, કાલિદાસ વગરે બે-ત્રણ કે પાંચ-છની જ મહાકવિઓમાં ગણના થાય છે — યેન અસ્મિન્નતિવિચિત્ર કવિપરમ્પરાવાહિની સંસારે કાલિદાસપ્રભૃતયો દ્વિત્રા: પંચષા એવ વા મહાકવય ઇતિ ગણ્યતે.
આનન્દવર્ધન એટલે સુધી કહે છે કે પ્રતીયમાન અર્થ અને તેને અભિવ્યક્ત કરનારો સમર્થ શબ્દ, છે જ વિશિષ્ટ ! બીજા બધા શબ્દોમાં એ સામર્થ્ય છે જ નહીં — સ વ્યંગોર્થસ્તદ્વ્યક્તિનામસામર્થ્યયોગી શબ્દશ્ચ કશ્ચન, ન શબ્દમાત્રમ્.
++
Worthy Amplification, સાર્થક વિસ્તૃતિ.
Pic courtesy : Image Credits
આમ, એથી પ્રતીયમાન શું થાય છે? ધ્વનિત શું થાય છે? ઉત્તર છે, રસ. આ સ્વરૂપે આનન્દવર્ધને રસની સમજ માટે અતિ અનિવાર્ય તત્ત્વ ધ્વનિની સ્થાપના કરી; એ વિશિષ્ટ સંકેતમાં સંસ્કૃત કાવ્યશાસ્ત્રને meaningful amplification, સાર્થક વિસ્તૃતિ, સાંપડી છે, એવું મારું નમ્ર મન્તવ્ય છે.
===
(12/27/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર