મેં કહ્યું કે ભરત મુનિના “નાટ્યશાસ્ત્ર”-માં જીવવિજ્ઞાનીની શાસ્ત્રીયતા છે, એમાં ઉમેરું કે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર સમગ્રમાં એ છે.
જેમ જીવવિજ્ઞાનમાં કે વિજ્ઞાન માત્રમાં પરિભાષા હોય એમ કોઈપણ શાસ્ત્રમાં પણ હોય, તેમ કાવ્યશાસ્ત્રમાં પણ હોય જ ! ઇતિ અલમ્. આ બાબત એટલી સ્પષ્ટ છે કે ઘૂંટીએ તો પુનરાવર્તન દોષ થાય.
ભરત મુનિએ આપેલું રસસૂત્ર : વિભાવાનુભાવ વ્યભિચારિ સંયોગાત્ રસનિષ્પત્તિ: – વિભાવ અનુભાવ અને વ્યભિચારી ભાવના સંયોગથી રસ નિષ્પન્ન થાય છે.
આમાં, ‘વિભાવાદિ’ પારિભાષિક સંજ્ઞાઓ છે. એને આત્મસા્ત કરવી એ પાયાની જરૂરિયાત છે. હું એટલે સુધી કહીશ કે એ પરિભાષાની ઉપેક્ષા કરનારને કશું હાથ આવશે નહીં, એ માત્ર ફાંફાં મારી શકશે.
હવે, કાવ્યના પ્રાગટ્યમાં જવાબદાર ૮ સ્થાયી ભાવ, ૩૩ વ્યભિચારી ભાવ, ૮ સાત્ત્વિક ભાવ, બધું મળીને ૪૯ ભાવોના સંયોગથી જ રસની નિષ્પત્તિ થાય છે; તો એ ભાવોને જાણવા જ જોઈએ. એથી કંટાળીને વિદ્યાર્થી ભાગી જાય તે સ્વાભાવિક છે, પણ, ‘આની કંઈ જરૂર નથી, વધારે પડતું છે’, એમ બકવાસ કરીને અધ્યાપક ચાતરી કે કાતરી જાય એ મૂષકવૃત્તિ છે, એ પ્રજ્ઞાપરાધ પણ છે.
રસસૂત્રમાં વધારે નૉંધપાત્ર શબ્દ બે છે, ’ભાવ’ અને ‘રસનિષ્પત્તિ’. પ્રત્યેક મનુષ્ય ભાવ કે ભાવોનો સમૂહ ધરાવે છે. પણ યાદ રહે કે રસ કે રસસમૂહ તો કાવ્ય કહેતાં, સાહિત્યમાં અને કલાઓમાં જ સંભવે છે.
ભરત સરસ કહે છે : જે અર્થ હૃદયસંવાદી હોય, હૃદયને સ્પર્શે, એનો ભાવ સૂકા લાકડામાં જેમ અગ્નિ વ્યાપી વળે છે, એમ શરીરમાં વ્યાપી વળે છે, એ ભાવ રસનો ઉદ્ગમ છે. શ્લોક છે :
યોડર્થો હૃદયસંવાદી તસ્ય ભાવો રસોદ્ભવ: I
શરીરમ્ વ્યાપ્યતે તેન શુષ્કમ્ કાષ્ઠમિવાગ્નિનામ્ II
રસસૂત્રનો સાર એ છે કે વિભાવાદિ ભાવોનો સંયોગ થવાથી રસ નિષ્પન્ન થતો હોય છે. પણ અહીં અનેક પ્રશ્નો છે, અથવા અધ્યેતાને થવા જોઈએ :
ભાવ એટલે શું? વિભાવ અનુભાવ કે વ્યભિચારી ભાવ એટલે શું? સંયોગાત્ એટલે શું? રસનિષ્પત્તિ એટલે શું? અથવા એમ પ્રશ્ન થવો જોઈએ કે આ બધી સંજ્ઞાઓને શાસ્ત્રકારે કેવાક સંકેતાર્થો માટે પ્રયોજી છે. પ્રશ્ન થાય તો ઉત્તરની અપેક્ષા જાગે.
A colorful person with a creative mind, exploding inner world, emotions, imagination and creative concept.
AI generated By Blackdorian
ભરતે પ્રત્યેક સંજ્ઞાની વિશદ વ્યાખ્યા કરી છે :
ભાવ :
એ સ્મરણમાં રાખવું જરૂરી છે કે “નાટ્યશાસ્ત્ર” મુખ્યત્વે નાટ્યકલાનું શાસ્ત્ર છે તેથી ભરત લગભગ બધી ચર્ચા અભિનય વગેરે નાટક સાથે જોડાયેલી બાબતોના સંદર્ભે કરતા હોય છે.
ભાવ વિશે પહેલાં તો એમણે પોતે જ પ્રશ્નો મૂક્યા – ભાવા ઇતિ કસ્માત્? – ભાવ શાથી કહેવાય છે? કિમ્ ભાવયન્તીતિ ભાવા:? ભાવ કોને ભાવિત કરે છે? ઉત્તરમાં કહ્યું કે વાણી, અંગ અને સત્ત્વને ભાવિત કરે છે, તેથી એ ભાવ છે. અહીં, અભિનયના પ્રકાર, વાચિક આંગિક અને સાત્ત્વિકનો નિર્દેશ છે. પણ કાવ્ય અથવા સાહિત્યકૃતિમાં પણ વાણી વગેરેનો વિનિયોગ તો હોય જ છે, અને તે પણ ભાવિત તો થાય જ છે.
વિભાવ :
વિભાવ એટલે કોઈ કાર્યનું કારણ, હેતુ, કે નિમિત્ત. વાણી, અંગ અને સત્ત્વનો આશ્રય કરનારા અનેક અર્થો વિશેષત: ભાવિત થાય છે, વિભાવિત થાય છે, તેથી એ વિભાવ કહેવાય છે.
અનુભાવ :
વાણી, અંગ તથા સત્ત્વથી અનેક પ્રકારના અર્થસંકેતો ઊભા થતા હોય છે. એનો અભિનેતાએ કરેલો અભિનય અનુભાવિત થાય છે, તેથી એ અનુભાવ કહેવાય છે. બીજી રીતે કહીએ તો, અનુભાવ એટલે અભિનય.
વ્યભિચારી ભાવ :
ગત્યર્થવાચક ‘ચર્’ ધાતુ, ‘વિ’ અને ‘અભિ’ ઉપસર્ગ – એને કારણે ‘વ્યભિચારી’. આ એવા ભાવ છે જે આવે ખરા પણ ટકે નહીં, ચાલ્યા જાય; એટલે, એને ‘સંચારી ભાવ’ પણ કહે છે.
‘ચરન્તી’-નો એક અર્થ છે, લઈ આવવું. વ્યભિચારી ભાવો સંભાવ્ય રસને અભિમુખ થઈને વાણી, અંગ તથા સત્ત્વના મેળને તે રસ પ્રતિ લઈ જાય છે. કેવી રીતે લઈ જાય છે? કહ્યું કે, નક્ષત્રને કે દિવસને સૂર્ય બાહુ પકડીને કે ખભે બેસાડીને નહીં પણ સહજપણે લાવે છે, વ્યભિચારી ભાવોનું સંચરણ પણ એવું સહજ હોય છે.
મારું નમ્ર મન્તવ્ય છે કે આપણા સાહિત્યવિચારમાં વ્યભિચારી ભાવની વિશિષ્ટ પર્યેષણા નથી થઈ.
ગ્રન્થમાં, એ ૩૩ વ્યભિચારી ભાવોનો નામો સહિતનો ઉલ્લેખ છે : નિર્વેદ, ગ્લાનિ, શંકા, અસૂયા, મદ, શ્રમ, આલસ્ય, દૈન્ય, ચિન્તા, મોહ, સ્મૃતિ, ધૃતિ, વ્રીડા, ચપલતા, હર્ષ, આવેગ, જડતા, ગર્વ, વિષાદ, ઔત્સુક્ય, નિદ્રા, અપસ્માર, સુપ્ત, પ્રબોધ, અમર્ષ, અવહિત્થ, ઉગ્રતા, મતિ, વ્યાધિ, ઉન્માદ, મરણ, ત્રાસ, વિ તર્ક.
દરેક ભાવ માટેનો અંગ્રેજી શબ્દ જાણવાથી એનો અર્થ વધારે સ્પષ્ટ થશે, અને દરેક ભાવની સૂક્ષ્મતાનો પણ પરિચય થશે. જોઈ શકાશે કે એ સૂક્ષ્મતા ખાતર અંગ્રેજીના અર્થચ્છાયાસૂચક બે બે શબ્દ પ્રયોજવા પડ્યા છે :
નિર્વેદ – indifference, apathy. ગ્લાનિ – fatigue, exhaustion. શંકા – doubt, suspicion. અસૂયા – jealousy, envy. મદ – pride, arrogance. શ્રમ – toil, labor. આલસ્ય – laziness, sloth. દૈન્ય – humility, meekness. ચિન્તા – worry, anxiety. મોહ – attachment, infatuation. સ્મૃતિ – memory, recollection. ધૃતિ – courage, perseverance. વ્રીડા – anger, wrath. ચપલતા – fickleness, inconstancy. હર્ષ – joy, delight. આવેગ – excitement, agitation. જડતા – inertia, sluggishness. ગર્વ – pride, arrogance. વિષાદ – sorrow, sadness. ઔત્સુક્ય – eagerness, enthusiasm. નિદ્રા – sleep. અપસ્માર – fainting, swoon. સુપ્ત – asleep. પ્રબોધ – awakening, waking up. અમર્ષ – resentment, ill will. અવહિત્થ – distraction, agitation. ઉગ્રતા – intensity, severity. મતિ – intelligence, intellect. વ્યાધિ – illness, disease. ઉન્માદ – madness, insanity. મરણ – death. ત્રાસ – distress, anguish. વિ તર્ક – argument, debate.
મનુષ્યમાત્રને આ ૩૩ વ્યભિચારી ભાવોનો અવારનવાર અનુભવ થતો હોય છે. દિવસ દરમ્યાન એમાંનો કયો ભાવ ક્યારે પ્રગટ્યો અને ક્યારે ચાલી ગયો, એની ખબર નથી પડતી. પણ આ દરેક ભાવ વિશે ધીરજથી વિચારતાં સમજાશે કે એમાં કેટલી તો સચ્ચાઇ છે.
મનોવિજ્ઞાન અનેક મનોભાવોનો નિર્દેશ જરૂર કરે છે, પણ એમાં આટલી સૂક્ષ્મતા નથી.
વિશ્વના અપ્રતિમ અભિનેતાઓના અભિનયમાં વ્યભિચારી ભાવોની અવરજવર હમેશાં જોવા મળે છે. સામાન્યો તો સાદાંસીધાં લટકાંમટકાં કરતા હોય છે.
એક સર્જક તરીકે મારે મન આ વ્યભિચારી ભાવોનું ખૂબ મહત્ત્વ છે. સર્જકે પોતાના સર્જનમાં કરેલા સૂક્ષ્મ કામનો એથી પરચો મળે છે. સિદ્ધ-પ્રસિદ્ધ સાહિત્યકારોની સૃષ્ટિમાં એનાં નિરૂપણો અવશ્ય જોવા મળે છે. સુજ્ઞ કથાસ્વામીઓનાં પાત્રો પણ એ સૂક્ષ્મતા દાખવતાં હોય છે પણ સામાન્ય લેખકોનાં પાત્રો એટલું બધું ઝીણું નથી જીવતાં હોતાં, કેમ કે એ લેખકોએ એમને એવું જી-વ-ન નથી બક્ષ્યું હોતું; એવા લેખકોનું બધું ‘જાડું’ માત્રલેખન જ હોય છે.
એ પણ નૉંધો કે વિભાવ અને અનુભાવની તુલનામાં વ્યભિચારી ભાવો જીવનની વધારે નજીક છે. વિભાવ અનુભાવ પરત્વે કલાપરક આયોજનો કરી શકાય છે, પણ વ્યભિચારી ભાવોનાં નિરૂપણો માટે આયોજકો પાસે જીવનનું ગભીર અને ગમ્ભીર અનુભવજ્ઞાન હોવું અનિવાર્ય છે.
(ક્રમશ:)
(11/16/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર