બે દિવસ પર ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૩-ના રોજ વૉશિન્ગ્ટન ડી.સી.માં ‘એ.આઈ.’ સાથે કોઈ ને કોઈ ભૂમિકાએ જોડાયેલા સુન્દર પિચાઇ, ઍલન મસ્ક, માર્ક ઝુકરબર્ગ, બિલ ગેટ્સ અને અન્ય ટૅક-સી.ઇ.ઓ. તેમ જ કાયદાના કેટલાક ઘડવૈયાઓની એક મીટિન્ગ થઈ.
સુન્દર પિચાઇ “અલ્ફાબેટ અને ગૂગલ”-ના, ઍલન મસ્ક “ટૅસ્લા” “સ્પેસઍક્સ” અને “ટ્વિટર”-ના, માર્ક ઝુકરબર્ગ “ફેસબુક” તથા બિલ ગેટ્સ “માઇક્રોસૉફ્ટ”-ના કો-ફાઉન્ડર છે તેમ જ “બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન”-ના ફાઉન્ડર છે. સાઠ સૅનેટર હાજર હતા, સૅનેટ મૅજોરિટી લીડર ચક શુમર આ મીટિન્ગના હોસ્ટ અને કન્વીનર હતા.
photo courtesy : CNN
‘એ.આઈ.’ પર નિયમન – રૅગ્યુલેશન – હોવું જોઈએ એનો વિમર્શપરામર્શ આ મીટિન્ગનો આશય હતો.
બધા એ વાતે સમ્મત થયા કે ‘એ.આઈ.’ એક સામર્થ્યવાન ટૅક્નોલૉજિ છે, એથી સારું પણ થઈ શકે અને ખરાબ પણ. અને તેથી બહુ જરૂરી છે કે એને માટેનાં નિયમનો વિકસાવાય, જેથી ‘એ.આઈ.’-નો સલામતીભર્યો વિકાસ થાય, ઉપયોગ થાય.
જો કે, ચૉક્કસ કયાં નિયમનો મૂકવાં જોઈએ એ વિશે બહુસમ્મતિ સાધી શકાઈ ન્હૉતી.
ઍલન મસ્ક નિયમનના જોરદાર સમર્થક હતા. એમણે કહ્યું, ‘એ.આઈ ’ બે-ધારી તલવાર છે, અને તેથી અતિ કાળજી રાખવી પડશે કે એને આપણે કઈ રીતે વિકસાવીએ છીએ. એમણે ‘એ.આઈ.’ માટે ‘રૅફરી’-ની રચનાનો, એવી સમિતિનો, આગ્રહ આગળ કર્યો. રૅફરી સ્વતન્ત્ર એકમ તરીકે ‘એ.આઈ.’-ના વિકાસ તેમ જ ઉપયોગ પર નજર રાખે.
માર્ક ઝુકરબર્ગે નિયમન બાબતે ઘણી સાવધતાભરી વાત કરી. એમણે કહ્યું કે ઇન્નોવેશન – નવ્ય શોધો – અને સલામતી વચ્ચેની સમતુલા બરાબ્બર સચવાવી જોઈશે. સરકારે ‘એ.આઈ.’ અંગે ઉચ્ચ ધૉરણોના મુદ્દાને લક્ષમાં લેવો જોઈશે, પણ સાથોસાથ એણે ટૅક્નોલૉજિના વિકાસને માઇક્રોમૅનેજ નથી કરવાનો, એટલે કે, એટલા બધા ઊંડે નથી ઊતરવાનું.
સુન્દર પિચાઇએ કહ્યું કે ‘એ.આઈ.’ એક એવી સમર્થ ટૅક્નોલૉજિ છે કે વિશ્વમાં એ વડે ઘણું બધું સારું થઈ શકે એમ છે, પણ સમજી લેવું પડશે કે તેનાં જોખમો શું છે. એમણે કહ્યું કે ‘એ.આઈ.’-ને જવાબદારીપૂર્વક વિકસાવવાને ગૂગલ પ્રતિબદ્ધ છે; ‘એ.આઈ.’-ના ઉચિત ઉપયોગ માટે કમ્પની વિશ્વ આખામાં નિયમનો અનુસાર કામ કરી રહી છે.
શું પ્રયોજવાથી પૂર્વગ્રહો અને ભેદભાવોથી બચી શકાય; ઉપયોગ સ્વાસ્થ્યસેવાઓ, કેળવણી તેમ જ પર્યાવરણના સંરક્ષણ માટે જ થાય, સમાજના હિતમાં જ થાય; ‘એ.આઈ.’-થી બેકારી વધે કે દુરાશયોથી એનો દુરુપયોગ થવા માંડે, તો શું પગલાં લેવાં વગરે મુદ્દા પણ હાથ ધરાયેલા.
+++
આમે ય ‘એ.આઈ.’ પર નિયમનો અને ઍથિક્સ કહેતાં નીતિમત્તા અને તદનુસારી આચારસંહિતાની રચના અનિવાર્ય છે. હું નૉંધી ચૂક્યો છું કે હરારીએ વારંવાર આ અનિવાર્યતાને જુદા જુદા શબ્દોમાં વાચા આપી છે.
નીતિમત્તા એમ કહે છે કે ‘એ.આઈ.’ સિસ્ટમ્સ પ્રજાજનો માટે ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ – પારદર્શક. લોકોને ખબર પડવી જોઈએ કે એ કેવા પ્રકારે નિર્ણયો લે છે અને એના કેવા કેવા ઉપયોગો છે. ’એ.આઈ.’ સિસ્ટમ્સ એકાઉન્ટેબલ હોવી જોઈએ. એ જે નિર્ણયો લે એ માટે કોઇક જવાબદાર હોવું જોઇએ. ‘એ.આઈ.’ સિસ્ટમ્સ પાસે ફૅઅરનેસની અપેક્ષા રહે છે. એ જે નિર્ણયો લે તે રૂડા અને પક્ષપાતરહિત હોવા જોઈએ. ‘એ.આઈ.’ સિસ્ટમ્સે વપરાશકારોની અંગતતાની રક્ષા કરવી જોઈએ.
આ બધી નીતિનું એ પાલન કરે જ છે પણ જેમ જેમ એનો વિકાસ થશે તેમતેમ એની આચારસંહિતાનો પણ વિકાસ થશે.
છેવટે તો ‘એ.આઈ.’-ને અંકુશમાં રાખે એવા કાયદાકાનૂનનો હજી વધુ વિકાસ થવો જોઈશે.
બાકી, ‘એ.આઈ.’-ની મદદથી સ્વયંસંચાલિત શસ્ત્રો બની શકે છે, સ્વયંસંચાલિત એવાં કે સામાને હણી નાખવા માટે માણસોની જરૂર ન પડે.
“એ.આઈ.’-ની મદદથી સર્વેઇલન્સ સિસ્ટમ વિકસાવી શકાય છે, જે મનુષ્યજીવોની બધી જ બાતમી આપે, દરેક હિલચાલ દર્શાવે.
‘એ.આઇ.’-ની મદદથી ખોટી માહિતી સાથે મતલબી પ્રચારઝૂંબેશો ચલાવી શકાય છે.
‘એ.આઇ.’-ની મદદથી ‘ડીપફેક્સ’ સરજી શકાય છે. એ ટૅક્નિક વડે ડીપ જનરેટિવ મૅથડથી ચહેરાઓનું સાદૃશ્ય સરજી શકાય છે, અને લોકોને છેતરી શકાય છે.
ભેદભાવ, પક્ષપાત કે વ્હૅરોઆંતરો કરવા માટે ‘એ.આઈ.’ સિસ્ટમ્સનો દુરુપયોગ થઈ શકે છે. એને એવા ડેટાથી તાલીમ અપાઇ હોય કે અમુક કામની જગ્યાએ પુરુષો સફળ થાય છે, સ્ત્રીઓ નહીં, તો એ સેવાઓ માટે પુરુષોને આરામથી પ્રાધાન્ય આપી શકાય. વગેરે વગેરે.
+++
‘એ.આઈ.’ પર નિયમનો માટેની પહેલી મીટિન્ગ આમ અમેરિકામાં થઈ. આવનારા સમયમાં સંભવ છે કે વિમર્શપરામર્શ માટેની વધુ મીટિન્ગો યોજાય. મીટિન્ગમાં માંધાતાઓ, ખરેખર તો ‘એ.આઈ.’-ના પ્રત્યક્ષ-પરોક્ષ જન્મદાતાઓ, મળ્યા કહેવાય, અને સૌએ આશાસ્પદ વિચારો કર્યા, તે શુભ ચિહ્ન છે.
= = =
(09/15/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર