પ્રાચીન મનુષ્ય કશીક ભાવદશામાં અનાયાસ સહજપણે ગાઈ ઊઠતો’તો, નાચી ઊઠતો’તો. એમાં એને કિંચિત્ ઉમેરો કરીને કશુંક જુદું અને નવું કરવાનો વિચાર આવ્યો.
એ વિચાર નાનકડી ‘કળ’ કરવાથી ફળીભૂત થયો; ત્યારે ગાવું ‘ગાયન’ બન્યું, નાચવું ‘નૃત્ય’ બન્યું. છેવટે આપણે એને ‘કળા’ કહેવા લાગ્યા. ધીમે ધીમે સંગીતકળા નૃત્યકળા શાસ્ત્રીય સંગીત સુગમ સંગીત ભરતનાટ્યમ્ કથક કે બ્રેકડાન્સ કહેવા લાગ્યા.
એ ઉમેરામાં વાંસળી વીણા સિતાર શરણાઇ વાજાપેટી ક્લેરોનેટ આદિ વાદ્યો ઉમેરાયાં, એમાં ઘૂંઘરું ઘૂઘરા મંજીરા ઢોલ તબલાં કે ટ્રમ્પેટ ઉમેરાયાં એટલે પણ પેલી ‘કળ’-નો અને તેથી ‘કળા’-નો વિકાસ થયો.
માણસ લખતો થયો એટલે વાણી ભાષા કહેવાઇ. લેખનવ્યવસ્થાએ માણસને જુદી જુદી રીતે લખતાં અને લખેલું બોલતાં શીખવ્યું. એ પેલા ગાયનને લખતાં શીખ્યો જેમાંથી ગીત જનમ્યું. ન ગાઈ શકાયું તેને એણે કાવ્ય ગણ્યું. જીવનમાં બનેલી ઘટનાઓની માણસે કથાઓ કરી અને લખી. એ જ રીતભાતમાં નાટકો કર્યાં ને લખ્યાં. પ્રેસ અને કમ્પ્યૂટરે લેખનવ્યવસ્થાને સાવ બદલી નાખી. આ બધાં જ ઐતિહાસિક સ્થિત્યન્તરો દરમ્યાન કલાસર્જન માટે જવાબદાર પેલો આયાસ ટિપાતો અને ઘડાતો, બદલાતો રહ્યો છે.
તાત્પર્ય, મનુષ્યના ભાવોમાં કશોક સાયાસ વધારો કરાય છે ત્યારે જે પ્રગટે છે એ કલા છે. આયાસના એ સંયોગને કારણે ભાવો રસમાં રૂપાન્તરિત થાય છે અને અનુભવાય છે. જે સહજ રૂપે હતું એ બદલાઈને અ-સહજ રૂપનું થઈ જાય છે. એ અ-સહજ રૂપને આપણે કલાસૌન્દર્ય કહીએ છીએ.
એ અર્થમાં કલા પોતે જ કૃત્રિમ પદાર્થ છે.
આ વાત આમ છેડવાનું કારણ એ છે કે ‘એ.આઈ.’-પાવર્ડ કલાઓ – સંગીતિ – ગાયન – નર્તન – વાદન – ચિત્ર – શિલ્પ – સ્થાપત્ય કે સાહિત્યકૃતિઓ રચાય ત્યારે એ કૃત્રિમતા ઘણી વધી ગઈ હોય, પેલો આયાસ અતિ દીર્ઘકાય થઈ ગયો હોય. કહો કે ‘એ.આઈ.’-સર્જનોની પછીતે એ આયાસ તો અનેકશ: અનેકગણો મોટો થઈ ગયો હોય છે. અને નૉંધવા સરખો મુદ્દો એ છે કે પછીતના એ આયાસમાં માનવ-બુદ્ધિનો ઘણો ખર્ચ થયો હોય છે. ‘એ.આઈ.’-ને એનાં કલાસર્જનોની તાલીમ આપવા ભલે નિષ્ણાતોની જરૂરત પડે પણ ત્યારે નિષ્ણાતો માણસો જ હશે.
આટલે લગી મને બધું લગભગ સરખું દીસે છે : પેલી મનુષ્યનિર્મિત કલાસૃષ્ટિ અને ‘એ.આઈ.’-નિર્મિત કલાસૃષ્ટિ બન્ને સાયાસ છે, કળામય છે અને બન્નેમાં મનુષ્ય હાજર છે. હું એટલે લગી માનું છું કે બન્ને સૃષ્ટિઓ તત્ત્વાર્થમાં મૌલિક છે કેમ કે મૅનમેડ છે. બન્નેનાં ફન્કશન, કાર્ય કે પરિણામ સરખાં છે કેમ કે બન્ને સૌન્દર્યાનન્દ આપે છે.
પણ ચિન્તાકારક મોટું પરિબળ એ છે કે ‘એ.આઈ.’ ઍક્સ્પોનેન્શિયલી વિકસી રહ્યું છે, એટલે કે, નિત્યવર્ધમાન ઝડપે, ગતિએ, કદમાં તેમ જ સામર્થ્યમાં.
જરા નિરાંતે સમજીએ :
કમ્પ્યૂટરોની શક્તિને આધારે જ ‘એ.આઈ.’ વિકસી શકે, તેથી બધાંને બાથ ભીડી શકે એવાં સમર્થ કમ્પ્યૂટરોની જરૂરત પડવાની. પરન્તુ હવે, એ જરૂરત સારી પૅઠે સંતોષાઈ રહી છે. કમ્પ્યૂટરોનું સામર્થ્ય ઝડપથી વિકસી રહ્યું છે. એને સમજવા માટે નિષ્ણાતો ‘મૂર્સ લૉ’-ને આગળ કરે છે.
મૂર્સ લૉ દર્શાવે છે કે માહિતીને પ્રોસેસ કરનારા ચાવીરૂપ ઘટકની – ટ્રાન્ઝિસ્ટર્સની – સંખ્યા લગભગ દર બે વર્ષે બે-ગણી થઈ જતી હોય છે, તેથી કમ્પ્યૂટરોના સામર્થ્યમાં ઘણો ઝડપી સુધારો થયો છે. એથી ઑલ્ગોરિધમને ઘણાં જટિલ પણ શક્તિશાળી બનાવી શકાયાં છે તેમ જ વપરાશમાં પ્રયોજી શકાયાં છે.
આજકાલ મશીન-લર્નિન્ગ ઑલ્ગોરિધમમાં પ્રગતિ થઈ રહી છે; એ ઘણી ઝડપે આધુનિક અને કાર્યદક્ષ બની રહ્યાં છે. કમ્પ્યૂટરોને એથી વગર ભણ્યે, એટલે કે કશા નિયત પ્રોગ્રામિન્ગ વિના, કામ કરવાની જાણે કે છૂટ મળી ગઈ છે. એ ઑલ્ગોરિધમ વિશાળ ડેટાસૅટ્સ પાસેથી ઘણું શીખી લે છે અને ચૉક્કસ આગાહીઓ કરી શકે છે. ‘એ.આઈ.’ એને કારણે ‘સૅલ્ફ-ડ્રાઇવિન્ગ કાર’ કે ‘ફેસિયલ રૅક્ગનિશન સૉફટવૅઅર’ જેવાં અનેક ઉપકરણો સરજી શક્યું છે.
આ પ્રકારે, ડેટાસૅટ અગત્યની ચીજ બની રહે છે. પરન્તુ તાજેતરનાં વરસોમાં વિશાળ ડેટાસૅટ્સ ઉપલબ્ધ થવા લાગ્યા છે. જેમ કે, ઇમેજીસ માટે imageNet અને ટૅક્ટ્સ માટે Google Books. પણ બન્યું છે એમ કે એથી કરીને ‘એ.આઈ.’ ઑલ્ગોરિધમને વધુ ને વધુ વિશાળ ડેટાસૅટ્સ માટે વિકસાવી શકાયાં છે. તેથી પરિણામો અનેકશ: સુધર્યાં છે.
આ બધા વિકાસ માટે નાણું જોઈએ. એ વાતે પણ તાજેતરનાં વરસોમાં પ્રાઇવેટ અને પબ્લિક બન્ને સૅક્ટર્સમાંથી મોટાં મોટાં રોકાણ થઈ રહ્યાં છે અને વધી રહ્યાં છે. એથી ‘એ.આઈ.’-ક્ષેત્રે વિકાસલક્ષી સંશોધનો વધી રહ્યાં છે, એથી પણ વિકાસ વિકસી રહ્યો છે.
Exo Insight અનુસાર, ૨૦૨૨માં, ગૂગલે $30.7, ફેસબુકે $12.7, ઍમેઝોને $10.9, માઇક્રોસૉફ્ટે $9.8 અને આઈ.બી.ઍમે. $7.8 બિલિયન રોકેલા. આ કમ્પનીઓ ‘એ.આઈ.’-ટૅક્નોલૉજિમાં નવોન્મેષો માટે નાણાં રોકી રહી છે તેની સીધી અસર બીજી કમ્પનીઓ પર પણ થઈ રહી છે. સૂચવાય છે એમ કે આ સમગ્રમાં કોઈ દેશ મૉખરે હોય, નેતા હોય, તો તે છે અમેરિકા.
આ વિકાસશીલ પગરણ બે ભય સ્પષ્ટપણે ચીંધી રહ્યું છે :
‘એ.આઈ.’ મોટા પાયે મારી-તમારી ને સૌની માહિતી – ડેટા – મેળવીને તેનો સંગ્રહ કરી રહ્યું છે, તેનાં વિશ્લેષણ કરી રહ્યું છે. અંગતતા પરની એ તરાપ ચિન્ત્ય છે.
બીજો ભય એ છે કે સ્વયંસંચાલિત શસ્ત્રોના ઉત્પાદનની સિસ્ટમ્સ માટે ‘એ.આઈ.’-નો સીધો જ ઉપયોગ કરવામાં આવે એમ થવું વૈશ્વિક રાજકારણ જોતાં પૂરેપૂરું સંભવિત ભાસે છે. બને કે એથી પૃથ્વી પરનો દરેક દેશ અસલામતિ અનુભવે.
’એ.આઈ.’-નો ઇતિહાસ વેગળો નથી. વીસમી સદીના છઠ્ઠા અને સાતમા દાયકાઓ ‘એ.આઈ.’ વિકાસનો શરૂઆતનો ગાળો છે. ત્યારે નિષ્ણાતો અલ્પવિકસિત બહુ સાદાં ઑલ્ગોરિધમ તૈયાર કરી શકેલા. આઠમા અને નવમા દાયકાઓમાં થોડાં મુશ્કેલ કામો કરી આપી શકે એવાં ઑલ્ગોરિધમ વિકસ્યાં – પણ બહુ બહુ તો એ ચૅસ રમી શકે એટલાં બહોશ હતાં.
દસમા અને એકવીસમી સદીના પહેલા દાયકામાં નિષ્ણાતોએ મશીન-લર્નિન્ગ ઑલ્ગોરિધમ વિકસાવ્યાં. એથી કમ્પ્યૂટરોને જાણે વગર તાલીમે મ્હાલવાની છૂટ મળી ગઈ. એથી ‘એ.આઈ.’ સિસ્ટમ્સની શક્તિમાં નાટ્યાત્મક વધારો થઈ ગયો.
પરન્તુ હાલ જે બની રહ્યું છે એ પૂર્ણ નથી થયું છતાં જે બની રહ્યું છે એને ‘એ.આઈ.’-નો અભૂતપૂર્વ વિકાસ કહેવો જોઈશે. હવે એ વિકાસનું નામ છે, AGI – આર્ટિફિશ્યલ જનરલ ઇન્ટેલિજન્સ.
માનવબુદ્ધિનો જેટલો મહિમા કરીએ છીએ એટલો ‘એ.આઈ.’-ના એ અદ્યતન રૂપનો કરવો જોઈશે. કેમ કે માણસ કરી શકે એ તમામ કામો ‘AGI’ કરતું હશે.
ટ્રેન પ્લેન સાઇકલ કે સ્કુટરના આગમને કરીને માણસના ગતિવિષયક ખયાલો બદલાયા છે. કૅમેરાની શોધ પછી ચિત્રકલામાં ‘તાદૃશતા’ ‘મૌલિકતા’ અને ‘કલાસૌન્દર્ય’-ના સંકેતાર્થો બદલાયા છે. કૅમેરાએ શિલ્પ અને સ્થાપત્ય કલાઓને પણ પ્રકાશ-છાયાપરક અસરો પ્હૉંચાડી છે. કૅમેરાએ સાહિત્યસર્જનને પણ પ્રભાવિત કર્યું છે. કથામાં વીગતખચિત વર્ણનોને સ્થાને સૂચક દૃશ્યો અને દૃશ્યાવલિઓનાં નિરૂપણ આવકાર્ય બન્યાં છે. કાવ્યમાં દૃશ્ય-શ્રાવ્ય કલ્પનોનો મહિમા વધ્યો છે. આ વારાફેરા દરમ્યાન ‘કલા વિશેની રુચિ’ ‘કલાનો આસ્વાદ’ ‘કલાની સમીક્ષા’ ‘કલાના સિદ્ધાન્ત’ વગેરે સંકેતાર્થો પણ બદલાયા છે.
જે કલાકારોએ આ બદલાવોને હૃદયંગમ કર્યા, આત્મસાત્ કર્યા, તેઓ ગતિશીલ રહી શક્યા છે. પણ ‘એ.આઈ.’-ના આગમને જે લોકો કચવાશે અને કલાઓ વિશેની પોતાની સમગ્ર સંચિત સૂઝસમજને બરાબર બદલીને નહીં વિકસાવે, તો તેઓ ગતિશીલ નહીં રહી શકે, એ સ્પષ્ટ છે.
જો કે દુ:ખદ પ્રશ્ન એ નથી પણ એ છે કે ‘એ.આઈ.’-ના આગમનને કલાકારો અને સાહિત્યસર્જકો પૂરું જાણવા માગે છે ખરા -?
હવે પછીના લેખમાં જોઈશું કે ‘એ.આઈ.’-ના આ ઍક્સ્પોનેન્શ્યલ વિકાસ અંગે હરારી શું કહે છે.
= = =
(08/08/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર