વતન કી ખાક મેં મિટ જાને કો જી કરે / સિંધુ ઔ બ્રહ્મપુત્રમેં ઘુલ જાને કો જી કરે
વિમલાતાઈ ગયાં. છયાસી વરસનું પૂણાર્યુષ, ક્ષણેક્ષણમાં જીવન ભરીને એમણે જીવી જાણ્યું અને સત્યાસીમે વરસે ધુળેટીને દિવસે હિમાલયજૂના આબુજીની ગોદમાં એ અનંતમાં લય પામ્યાં. શરીર સહજક્રમે સંકેલાતું આવતું હતું. હજુ નવેમ્બરમાં ‘ચેતના’ની વૈજ્ઞાનિક ગવેષણાના ઉપક્રમ સાથે એમના સૂચનથી દેશપરદેશના મિત્રો આબુમાં મળ્યા ત્યારે પણ એમને સારુ એમાં પ્રત્યક્ષ ભળવું શકય નહોતું. અંતેવાસીઓને સમજાવા લાગ્યું હતું કે તરતના મહિનાઓમાં, કહો કે શિવરાત્રિ- રામનવમીના અરસામાં તાઈ દેહ મૂકશે, અને ધુળેટીએ તો…
કેવી રીતે ઓળખાવીશું વિમલાતાઈને? ભાઈ, વિમલાતાઈ એટલે વિમલાતાઈ. આપણી સગવડ માટે વિશેષણો તો પ્રયોજી શકીએ. વિદૂષી કહીએ, જીવનસાધક કહીએ,મરમી ચિંતકથી માંડીને ભૂદાનકાળનાં ઝંઝાવાતી ઝુંબેશકાર સહિતની ઓળખો પ્રયોજીએ. પણ આ એકોએક શબ્દને અને વિશેષણને ખુદને ઓળખાવે એવાં એ હતાં. માટે કહ્યું કે વિમલાતાઈ એટલે વિમલાતાઈ.
નાનપણમાં મિત્રો સાથે મળીને વિવેકાનંદ મંડળ જેવી પ્રવૃત્તિઓ ચલાવતી આ મેધાવી છોકરીના રંગઢંગ એવા બિનદુનિયાદારી હતા કે કોઈ કુટુંબીજનોના કહ્યાથી એ કોઈ મનોરોગી તો નથી ને એવી દાકતરી તપાસ કરાવાયાનુંયે સાંભળ્યું છે. હતીયે ફાંટાબાજ. આંતરકોલેજ વકતૃત્વ સ્પર્ધામાં છોકરીને નહીં મોકલવાનો વણલખ્યો નિયમ ચાલ્યો આવતો હતો એના વિરોધમાં કોલેજ છોડી દીધેલી! રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ અને સર્વોદયચિંતક દાદા ધર્માધિકારી બેઉ સાથેનો નિકટનાતો, દરમિયાન, એના ભાવજગતનું ઘડતર જરૂર કરતો રાો હશે. પણ કુમારી વિમલા ઠકાર એકદમ ઊંચકાયાં અને પોંખાયાં તે ૧૯૫૧-૫૨ આસપાસ. ફિલસૂફીમાં એમ.એ. થયેલાં અને વર્લ્ડ એસેમ્બલી ઓફ યૂથ (વે) પ્રકારનાં આયોજનોમાં ભાગ લેવા પરદેશ ગયાં ત્યારે એવા કોઈક પ્રસંગે વિજયાલક્ષ્મી પંડિતની નજરમાં એવાં વસી ગયાં કે એમણે ભાઈને (જવાહરલાલ નેહરુને) તાર કર્યો: આ તરુણીને ઝડપી લેવા જેવી છે!
જોકે દેશના ઘટનાક્રમ બાબતે દાદા ધર્માધિકારી સાથેના પત્રવ્યવહારથી વાકેફ વિમલાને ભૂદાન આંદોલનનાં ખેંચાણ હતાં. ઝંઝાવાતી ઝુંબેશનાં એ વર્ષોમાં વિમલા જયપ્રકાશનાં વ્યાખ્યાનોની નોંધ લેનાર તરીકે, સ્વતંત્ર વકતા તરીકે, નશામાં ધૂત જમીનદારને ‘ભાઈ’ના સંબોધને જીતી લઈ ભૂદાન મેળવનાર તરીકે એમ અનેકધા ઝળકયાં. પણ મોટી વાત જે બની તે ચાલુ પદયાત્રાએ ભારતની સમસ્યાઓ અને વિશ્વની વિચારધારાઓના અભ્યાસની. ધર્માધિકારીએ, જયપ્રકાશે, અરયુત પટવર્ધને બનાવેલી પુસ્ત સૂચિને અનુસરતાં વિમલા એમને જાગતા સવાલોના જવાબ વિનોબાજીથી માંડીને આ ત્રણે ઉપરાંત ક્રિવાલાણી, લોહિયા, કાલેલકર પાસે મેળવતાં ગયાં અને એમ આંદોલન યુનિવર્સિટીના નિંભાડામાં પાકતાં ચાલ્યાં.
પણ સમાજવિજ્ઞાની અને જીવનશોધકને નાતે ભરભૂદાનેય એમને એક અજંપો હતો કે લેનાર અને આપનાર બેઉ ‘દાન’ની માનસિકતામાં જીવે છે. શંકરાચાર્યે ભલે (દાદા અને વિનોબા ટાંકતા તેમ) દાનને સંવિભાગ કહ્યું હોય, પણ આ પ્રક્રિયામાં બેઉ પક્ષે કોઈ ચિતવૃત્તિનું પરિવર્તન (માલિકીભાવનું વિસર્જન) માલૂમ પડતું નથી.
એક રીતે, જો જરીક છૂટ લઈને પેરેલલ દોરવો હોય તો શ્રીમન નથુરામ શર્માની પાટે આવી શકત એવા પ્રસાદજી (નૃસિંહપ્રસાદ કહેતાં નાનાભાઈ ભટ્ટ) જેવો આ એક કિસ્સો હોઈ શકત, કે પછી જગદગુરુ જાહેર થવાને મામલે અણી ટાંકણે ‘ઓર્ડર ઓફ ધ સ્ટાર’ વિખેરી નાખતા જે. કૃષ્ણભૂર્તિ જેવી પણ આ એક સંભાવના હોઈ શકતી હતી: વિમલાજીની વિશેષતા એ રહી કે ભૂદાનથી હટવાની મંથનપળોમાં એમને (અલબત્ત, પોતાની ગુંજાશે કરીને) કૃષ્ણમૂર્તિના સાંનિઘ્ય ને સેવનની કુમક ખાસી રહી, પણ તે સીધાં ન સંકળાયાં હોય ત્યારે પણ પ્રત્યક્ષ કર્મક્ષેત્ર સાથે આજીવન રહ્યાં. હમણાં જેમ છૂટ લીધી તેમ થોડી વધુ છૂટ લઈને કદાચ એમ પણ કહી શકીએ કે જયપ્રકાશ અને કૃષ્ણમૂર્તિની વચમાં (પોતીકી વિશેષતાઓ સાથે) કયાંક એમનું સંતુલન બની આવ્યું. નિ:શંક વિમલોપમ એવું એ સંતુલન હતું. ભૂદાનથી દેખીતાં હટયાં ત્યારે એમણે આંદોલનના મિત્રોને જે પત્ર લખેલો, જરા જુદી રીતે એનો મહિમા એવો ને એટલો છે જેવો ને જેટલો સર્વોદય આંદોલન સાથે સંકળાતાં જયપ્રકાશે સમાજવાદી સાથીઓને લખેલા પત્રનો છે.
આબુ-ડલહાઉસી વાસ અને વિશ્વપ્રવાસનાં આ વર્ષોજીવનનિષ્ઠ અઘ્યાત્મ અગર અઘ્યાત્મનિષ્ઠર જીવનની રીતે તેમ શિબિરો ને સંવાદોના દોર વચ્ચે જાહેર જીવન સાથે (એમાં સીધાં ન પડયાં હોય ત્યારે પણ) સાર્થક સંધાનનાં રહ્યાં. એમને એટલું અવશ્ય સમજાઈ રહ્યું હોવું જોઈએ કે ગંગાસતી ને પાનબાઈએ ‘નહીં વરણ, નહીં વેશ’નો ને એવાં ‘નવલા દેશ’નો સાક્ષાત્કાર મનોમય જગતમાં કર્યે નભી ગયું હશે, પણ ગાંધી પછીની દુનિયામાં આ સાક્ષાત્કાર પ્રત્યક્ષ સમાજજીવનમાં કરવો રહે છે. કટોકટી સામેના લોકસંઘર્ષમાં પોતાની રીતે સહભાગિતા, જેપી જનતા પર્વ ઓલવાતું લાગ્યું ત્યારે ‘આપે (જેપીએ) ચેતાવેલી મશાલને બુઝાવા નહીં દઈએ’ની ભૂમિકાએથી લોકજાગૃતિ- લોકશકિત અભિયાનો, ધર્મસંપ્રદાયવાદથી મુકત એવી આઘ્યાત્મિક લોકશાહીનું એમનું અધિષ્ઠાન, સાંકડા ખયાલોથી મુકત નવી દુનિયા માટેની મથામણમાં આસામના છાત્ર આંદોલનથી માંડીને વાલેસાના સોલિડારિટી આંદોલન તેમ ગ્રીન મૂવમેન્ટના મિત્રો સાથે દિલી આપલે, ગુજરાત બિરાદરી થકી નિસબત ધરાવતા નાગરિકો પેદા કરવાનો પ્રયાસ, યુનાઇટેડ નેશન્સને સ્થાને યુનાઇટેડ પીપલ્સની પરિકલ્પના, દક્ષિણ એશિયાઈ બિરાદરી… શું સંભારવું ને શું ભૂલવું. કહ્યું ને તાઈ એટલે તાઈ.