કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હોય, યોજનાઓ હોય, બજાર હોય કે રાજકીય પક્ષો : આપણા દેશમાં સઘળું લોલમલોલ ચાલે છે અને અરાજકતા સતત વધી રહી છે. ૬૦ના દાયકામાં ભારતમાં અમેરિકી રાજદૂત રહેલા જ્હોન કેનેથ ગાલબ્રેથે 'ભારત કાર્યરત અરાજકતા છે' તેમ કહેલું તે વાત આજે ય સાચી પડે છે
આપણો દેશ અનેક પ્રકારની સામાજિક-ધાર્મિક-રાજકીય-સાંસ્કૃિતક વિવિધતાઓથી ભરેલો છે. જો કે, સૌથી મોટું અચરજ તો આપણો દેશ હજીયે લોકશાહી પ્રણાલી ધરાવે છે એ જ ગણી શકાય. આજકાલ ઘટી રહેલી ઘટનાઓ અને રોજેરોજ ઠલવાતા સમાચારો જાણે કે એ જ જૂની વાત તરફ લઈ જાય છે. કાં તો દેશ આખો રામ ભરોસે (અથવા તો અલ્લાહ ભરોસે) ચાલે છે અથવા તો એમ પણ કહી શકાય કે ઈશ્વર-અલ્લાહ કે રામ-રહીમ જે હોય તે આપણા આ દેશને ભરોસે ચાલે છે! દેશનું લિખિત બંધારણ છે, લિખિત કાયદાઓ છે, કાયદાના અમલ માટે તંત્ર છે, અક્કલ ગિરવે ન મૂકી હોય તેવા જૂજ માણસો પણ છે દેશમાં, છતાંયે સમગ્ર રીતે જોઈએ તો અરાજકતા સતત ચાલ્યા જ કરે છે અને દિનપ્રતિદિન વધતી જાય છે. ૧૯૬૧થી ૧૯૬૩ વચ્ચે ભારત ખાતેના અમેરિકી રાજદૂત જ્હોન કેનેથ ગાલબ્રેથે એક વાર કહેલું કે, ભારત એ કાર્યરત અરાજકતા છે. આ એક વાક્યમાં રજૂ થયેલું સત્ય જાણે આજે પણ આપણો પીછો છોડતું નથી. આજે પણ પ્રતિદિન ગાલબ્રેથની વાત સાચી જ પડતી જણાય છે. તમે માનવા તૈયાર નથી? આવો, જરા તાજેતરની ઘટનાઓ તરફ નજર નાખીએ.
ઉત્તર પ્રદેશમાં સ.પા.ના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવના મતક્ષેત્ર તથા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત ક્ષેત્રમાં બોગસ મતદારો વિશે તાજેતરમાં ખુલાસો આવ્યો. ઉત્તર પ્રદેશમાં ૩ કરોડ ૮૭ હજાર ૧૩૫ બોગસ મતદારોની સંખ્યા બહાર આવી છે. આ આંકડો લોકસભાની ચૂંટણીને પછી બાહર આવ્યો છે તે જણાવવાની જરૂર નથી. આ ત્રણ કરોડ મતોએ પરિણામ પર કેવી અસર કરી હશે તેનો વિચાર જવા દઈએ પણ એ સવાલ તો રહે જ કે ચૂંટણીમાં બધું લોલમલોલ ચાલે છે. જે મત ક્ષેત્ર પરથી દેશના વડા પ્રધાન ચૂંટાયા હોય એ જ મત ક્ષેત્રમાં ૩ લાખ બોગસ વોટર જાહેર થતાં હોય તો લોકશાહીની પાયારૂપ એવી ચૂંટણી પ્રથાની વિશ્વસનીયતા વિશે કેવડો મોટો સવાલ ખડો કરી શકાય? હશે, આવો સવાલ કોણ કરે, વારાણસીના લોકોને કે આખા ઉત્તર પ્રદેશના લોકોને બીજા કાંઈ કામધંધા તો હોયને! વાત લોકતંત્રની પ્રારંભિક બાબત એવી મતની પ્રામાણિકતાની છે પણ આ ૩ કરોડ બોગસ મતદારો કાંઈ રાતોરાત નહીં બન્યા હોય. એમનું સર્જન કરવામાં બીજા ત્રણ કરોડ લોકો સામેલ હશે. આ સામેલ લોકો એટલે બાબુઓ યાને કે અફસરો. આ ઘટના બંધારણીય સંસ્થાઓ કે પછી સામાજિક સંસ્થાઓમાં વ્યાપ્ત ઘોર અરાજકતાની દ્યોતક છે.
આવી જ અન્ય એક વાત જોઈએ. આપણા જૂનાગઢમાં થેલેસિમિયા પીડિત બાળકોને એચ.આઈ.વી.નો ચેપ અને તેને પગલે ૬ બાળકોનાં મોતની ઘટના એ આવા જ લોલમલોલનું જ પરિણામ નથી શું? બાળકોને ચેપ લાગે, તપાસ સરખી ન થાય, અદાલત સી.બી.આઈ.ને તપાસ સોંપે અને સી.બી.આઈ.નો અહેવાલ શું કહે છે ? બ્લડબેંકનું વ્યવસ્થાપન અતિ અરાજકતાભર્યું હોવાથી આ કેસમાં તેમની ભૂમિકા સાબિત કરી શકાય તેમ નથી. દરેક કેસ અદાલતમાં સાબિત ન પણ થઈ શકે તે કબૂલ પણ આ ઘટનામાં નીતિનિયમો કે કાયદાઓની ઐસીતૈસી કરવાની હદ સુધી કોઈ પણ તંત્ર ગયું તો છે જ એ વાત સ્વીકારવી જ પડે. જીવનની રક્ષા માટે ઘડવામાં આવેલી માર્ગર્દિશકાઓ જીવનની રક્ષા કરનારા ડોક્ટર્સ કે અસ્પતાલના સ્ટાફ પણ માળિયે ચડાવી દે તે દર્શાવે છે કે ન તો દેશમાં કાયદાનું શાસન છે ન તો નાગરિકોમાં પોતીકી અંગત પ્રામાણિકતા કે નૈતિક જવાબદારીનો અહેસાસ. સરકારી દવાખાનાં, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વ્યાપેલી અરાજકતા, અસંવેદનશીલતા જોઈએ તો માણસને માંદા પડવા કરતાં મરી જવું બહેતર લાગે તેવો માહોલ છે. ઉપર આપ્યાં છે તેવાં અને તેથી વધારે યોગ્ય ગણાય તેવાં અનેક ઉદાહરણો આપી શકાય આ બાબતે.
સામાજિક સંસ્થાઓ, રાજકીય પરિબળો, વહીવટીય તંત્ર અને આર્થિક બાબતોને સુશાસન સાથે સીધી લેવાદેવા હોય છે. આ ચારે ય અરાજકતાના માહોલમાંથી દેશને સ્થિર સુશાસન આપી શકે છે. આ બાબતોમાં જરીક તરીકે પ્રગતિ તો થઈ છે પણ તો ય ગાલબ્રેથના વચનને નાબૂદ કરી શકાય એવી સ્થિતિ નથી. પહેલાં વાત કરીએ રાજકીય પરિબળોની. દેશની દોરવણી કરનારા વિવિધ રાજકીય પક્ષના નેતાઓમાં વિચારધારાઓની ભેળસેળ એવી તો જટિલ થઈ પડી છે કે એકેયમાં તાત્ત્વિક ભેદ કાઢવો મુશ્કેલ છે. કદાચ જૂજ નેતાઓમાં જરીક સમજણ અને નાગરિક નિસબત હશે પણ તેમના પક્ષીય રાજકારણમાં તો કોઈ ભેદ નજરે પડતો નથી એટલે એક પ્રકારની અરાજકતા ઊભી થાય છે અને વકર્યા કરે છે. પક્ષ જયારે સત્તામાં હોય ત્યારે જે કરવા માગતો હોય એ જ વાતનો તે વિપક્ષમાં બેસીને વિરોધ કરે છે. આ બાબતે કાળાં નાણાંથી લઈને અનેક પ્રકારના મુદ્દાઓ બાબતે વિવિધ રાજકીય પક્ષોનાં વલણો સાક્ષી છે. સત્તા અને વિરોધ જાણે કે બેઉ ટાઈમ પાસ બનીને રહી જાય છે અને સરવાળે સુશાસન નામનું ગાડું કોઈ પણ દિશા-દર્શન વગર આમ તેમ ગબડયા કરે છે.
રાજકીય અરાજકતા સીધી વહીવટી ય અરાજકતાને અસર કરે છે અથવા તો બેઉ એકમેકને અસર કરે છે. એક સડક તરફ ટ્રાફિકના નિયમન માટે ઊભેલા કોન્સ્ટેબલને કોઈ ગણકારતું નથી અને ઠોકીને નીકળી જાય છે અને બીજી સડક પર બીજો કોન્સ્ટેબલ સાહેબે આપેલો ટાર્ગેટ પૂરો કરવામાં વ્યસ્ત છે. રાજકીય આશ્રય હેઠળ જીવતું વહીવટીતંત્ર પોતાની મૂળભૂત જવાબદારી વિસરીને એન્કાઉન્ટરથી લઈને પોતપોતાના સાહેબોનાં સેટિંગ પાર પાડવા સુધીનાં કાર્યોમાં વ્યસ્ત રહે છે. સિટીઝન ચાર્ટર જેવી વાતને લોકો ઘોળીને પી જાય છે.
હવે સમાજની અને સામાજિક સંસ્થાની વાત. પગથી ગળા સુધી નક્કર નાગરિક નિસબત અને માનવીય ધોરણોને અનુસરતી સામાજિક સંસ્થાઓની સંખ્યા અને તેમની પહોંચ બેઉ મર્યાદિત થઈ રહી છે. સમાજ યાને કે લોકો કે વ્યક્તિને દેશના બંધારણ કે કાયદા સાથે નહીં પણ પોતાના ખિસ્સામાંથી શું જશે અને શું આવશે તેની સાથે જ લેવાદેવા છે. પ્રામાણિક અને કાયદાના શાસનને માનનારને ડફોળ ગણવામાં આવે છે.
અરાજકતાના માહોલમાંથી આર્થિક બાબતોને બાદ કેવી રીતે કરી શકાય? તકનીકી પ્રસાર થતા આ બાબતે ઘણી રાહત થઈ છે પણ નીતિઓ તો એની એ જ રહી છે. એક તરફ માલેતુજાર ઉદ્યોગગૃહો પાસે બેંકોના કરોડો રૂપિયા બાકી નીકળે છે અને બીજી તરફ સામાન્ય માણસ પાસે કડક ઉઘરાણીઓ ચાલે છે. સબસિડીનું પોલિટિક્સ એવું તો જોરદાર છે કે ભલભલા ખેરખાં તેનો પાર ન પામી શકે. ખોટ ખાનારને મોટી સબસિડી આપવાની ભલામણ કરનાર લોકો પાછા કલ્યાણ યોજનાઓમાં નાણાંના વેડફાટની બૂમો પાડે છે. લક્ષ્મી લક્ષ્મીને ખેંચે એ ન્યાયે ધનિકોના ધનમાં તોતિંગ વધારો થાય છે પણ તેના થકી ધારણા મુજબ ગરીબોના જીવનમાં પરિવર્તન આવતું નથી. સરકાર તરફથી ધનિકોને મળતી રાહતો ગરીબોને મળતી રાહતો કરતાં અનેક ગણી વધારે છે તેવું વરિષ્ઠ ગ્રામીણ પત્રકાર પી. સાંઈનાથ અનેક દાખલા દલીલ સાથે નોંધે છે. આર્થિક સાહસો પ્રથમ તો સરકારી અંકુશમાં રુંધાય છે અને પછી તે અંકુશમાંથી નીકળવા પોલિટિક્સ-માર્કેટનું મિશ્રણ તૈયાર થાય છે જે આર્થિક અસમાનતાઓને વકરાવે છે.
કુલ મિલાકર, દેશમાં આજે એકે ય ક્ષેત્ર એવું નથી જેમાં અરાજકતા નથી. શિક્ષણથી લઈને નોકરી સુધી અને બજારથી લઈને કાયદા-કાનૂનો સુધી અફરાતફરી ચાલ્યા જ કરે છે. હવે સવાલ એ રહે છે કે આ લોલમલોલને રોકશે કોણ? જે સવાલ પૂછશે એ જ રોકી શકશે, એ સવાલનો જવાબ છે.
e.mail : mmehul.sandesh@gmail.com
સૌજન્ય : ‘વિગતવાર’ નામે લેખકની કટાર, “સંદેશ”, 03 ડિસેમ્બર 2014
http://www.sandesh.com/article.aspx?newsid=3016418
![]()



ગુજરાત સરકાર અને ઉદ્યોગગૃહોની સાઠગાંઠથી વિકાસના નામે ખેડૂતવર્ગનો કેવો વિનાશ થઈ રહ્યો છે તેનો આંખે દેખ્યો, પુરાવા સાથેનો, હચમચાવી દેનારો ચિતાર તળપદા કર્મશીલ સાગર રબારીના ‘ગુજરાતમાં ખેતી અને ખેડૂત : ટકી રહેવાની મથામણ’ નામના દસ્તાવેજી પુસ્તકમાંથી મળે છે.
કૉંગ્રેસમુક્ત ભારત એટલે શું ? કૉંગ્રેસ એટલે ફક્ત સોનિયા, ઇન્દિરા ગાંધી કે પંડિત નેહરુ નહીં. કૉંગ્રેસને તેનું બંધારણ છે, તેનો સ્વતંત્રતાના સંઘર્ષનો ભવ્ય વારસો છે. કૉંગ્રેસ ફક્ત નેહરુની ન હતી. કૉંગ્રેસમાં ગાંધી અને સરદાર પણ હતા. ચાલો, સોનિયા ગાંધીથી મુક્ત કૉંગ્રેસની વાત સમજ્યાં ! પણ કૉંગ્રેસમુકત દેશ એટલે શું ? તમારે દેશને નેહરુમુક્ત દેશ બનાવવો છે ? પણ એટલે શું ? નેહરુ તો ફક્ત વડાપ્રધાન ન હતા, તે સાથે એક વિચારધારા હતા. નેહરુએ સને ૧૯૪૭માં દેશને એક રાષ્ટ્રીય ફિલોસૉફી હોવી જોઈએ અને તે કેવી હોવી જોઈએ, તેના પર પોતાના વિચારો પ્રદર્શિત કર્યા હતા.
અમે થોડાક મિત્રો, ભાઈ ઇન્દુકુમાર જાની, પ્રકાશભાઈ શાહ, ઉત્તમ પરમાર, મનીષી જાની અને હું, એકબીજા સાથે બૌદ્ધિક વેવલૅંથ પર એક પ્રકારની મથામણ અનુભવતા હતા. ૧૬મી મે, ૨૦૧૪ની ચૂંટણીના પરિણામ પછી મોદી સરકારના કાર્યકાળના એકસો દિવસ પૂરા થઈ ગયા છે. સરકારે ન્યાયતંત્ર, શિક્ષણ અને સામાન્ય વહીવટી ક્ષેત્રે જે નિર્ણયો લીધા છે અને સાથે આર.એસ.એસ. એક સંસ્થા તરીકે અને તેના વડા મોહન ભાગવત દ્વારા જે વિચારો રજૂ કરવામાં આવે છે અને વર્તન બતાડવામાં આવે છે, તેના પરથી આ સ્પષ્ટ બહુમતીને આધારે લોકસભામાં ચૂંટાઈ આવેલો પક્ષ, દેશને કઈ દિશામાં લઈ જવા માંગે છે તે જાણવા માંગતા હતા. તટસ્થભાવે તે પ્રવાહોનો અભ્યાસ કરવા માંગતા હતા. આ ઉપરાંત ગુજરાતભરમાં ચારે ય ખૂણામાં ફેલાયેલી જુદી-જુદી સ્વૈચ્છિક સંસ્થાઓનું વિકેન્દ્રિત નેતૃત્વ છે, તેના મિત્રો સાથે આ સંદર્ભમાં કોઈ પણ સંસ્થાના લેબલ કે મથાળા સિવાય એક કે બે દિવસ માટે વિચારવિમર્શની તક ઊભી થાય, તેવા ચિંતનમાં અમે બધા હતા. તે માટે અમે બે કામ હાથ પર લીધાં.
આજની આ વિચારગોષ્ઠિમાં મારા વિચારો રજૂ કરું તે પહેલાં આશરે પાંચ કે છ દાયકા પહેલાં અમે વડોદરા મુકામે પ્રો. રાવજીભાઈ પટેલ(મોટા)ને ત્યાં લગભગ નિયમિત રીતે દર પંદર દિવસે મળતા હતા તે દિવસો યાદ આવ્યા. ત્યાં આવી જ વિચારગોષ્ઠિ આધારિત ચર્ચા કરતા હતા. અમે કોઈ વિચાર કે ઘટનાની તરફેણ કે વિરુદ્ધનો પક્ષ લેવાને બદલે તટસ્થ રીતે ઝીણી તપાસ વાસ્તવિક સત્ય અને તત્ત્વજ્ઞાનને આધારે કરતા હતા. ત્યાં સમગ્ર ચર્ચાનો અભિગમ વાદવિવાદ(પોલેમિક્સ)નો ન હતો પણ બૌદ્ધિક હતો. આવી વિચારગોષ્ઠિમાંથી રાવજી મોટાની એક ચોપડી (કલેક્ટેડ વર્ક્સ ઑફ આર. સી. પટેલ) બહાર કાઉન્ટર પર પ્રદર્શિત કરવામાં આવેલી છે. આજની વિચારગોષ્ઠિ પાછળ પણ બિપિનભાઈ શ્રોફ અને મારો અભિગમ એ જ છે અને રહેશે.
મારી ભીખુભાઈ સાથે આ મુદ્દા પર સંમતિ છે કે નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ બી.જે.પી.એ જે સ્પષ્ટ બહુમતી લોકસભામાં મેળવી છે, તેમાંથી ભવિષ્યમાં ઘણા પ્રવાહો પેદા થવાના છે. એક બૌદ્ધિક તરીકે મને રસ છે, તેના કરતાં વધારે જવાબદારી છે કે આ ચૂંટણીનાં પરિણામોએ કેવા ગતિશીલ પ્રવાહો પેદા કર્યા છે અને તે ગતિશીલ પ્રવાહો દેશને કઈ તરફ લઈ જશે, તેનું પૃથક્કરણ કરવાની ખાસ જરૂર છે.
નવી લોકસભાની ચૂંટણીના સૂચિતાર્થો અથવા તેનાં પરિણામોથી જે પ્રવાહો પેદા થયા છે, તે આંખોએ ઊડીને વળગે તેવા છે. એક, દેશમાં એક રાષ્ટ્રીય પક્ષ સ્વપ્રયત્ને છેલ્લાં પચીસ વર્ષ પછી લોકસભામાં સંપૂર્ણ બહુમતી સાથે સત્તા પર આવ્યો છે. અત્યાર સુધી જે રાજકીય પક્ષો વચ્ચે કામચલાઉ સત્તાનાં સમીકરણોનું ગઠબંધન ચાલતું હતું, તેનો અત્યારે અંત આવ્યો હોય તેમ લાગે છે. બીજું, આઝાદી પછી પહેલી વાર સૌથી ઊંચું મતદાન દેશના ૬૬ ટકા મતદારોએ કર્યું છે, જે મતદાનના ઇતિહાસમાં સૌથી વધારે છે. ત્રીજી બાબત ડાબેરી પરિબળોનું ધોવાણ થયું છે અને જમણેરી પરિબળો મજબૂત થયાં છે. મળેલા મતોના આધારે પૃથક્કરણ કરવામાં આવે, તો ભા.જ.પ.ને ફક્ત ૩૧ ટકા મતો મળ્યા છે. ભલે તે બહુમતી પક્ષ તરીકે ઊભર્યો હોય. આ ચૂંટણીમાં ભા.જ.પ.ના પોતાના ગઢ સિવાય અન્ય વિસ્તારોમાં પ્રભાવ વધ્યો છે.
મારા મત મુજબ હવે આ દેશમાં નથી બી.જે.પી. કે નથી આર.એસ.એસ.. જો કંઈ હોય તો તે મોદીત્વ છે. આ મોદીત્વ એવું છે કે તે આર.એસ.એસ.ના મોદી કરતાં સિનિયર પ્રચારક સંજય જોષીની પાછળ પડી ગયા, સંઘમાં જોષીને ઝીરો કરી નાંખ્યા, અને એટલી હદે કે જોષીને મુંબઈથી દિલ્હી જવું હતું, તો આ મોદીએ તે ગુજરાતમાં અમદાવાદ થઈને દિલ્હી ન જઈ શકે તેટલી દાદાગીરી કરેલી. બીજી વાત હું કરવા માંગું છું કે બીજી સપ્ટેમ્બરે મોદીને વડાપ્રધાનની ખુરશીમાં બેઠે એક સો દિવસ પૂરા થયા. આમ તો હું બીજા કોઈ સંજોગો હોય, તો આ એક સો દિવસોની ચર્ચા જ ન કરું. પણ બાબા રામદેવ હોય કે નરેન્દ્ર મોદી હોય તેઓએ સો દિવસની મર્યાદા બાંધી હતી કે અમારી સત્તા આવે એટલે દેશનું કાળું નાણું જે વિદેશની બૅંકોમાં જમા છે, તે સો દિવસમાં અમે પરત લઈ આવીશું. અમે સો દિવસમાં મોંઘવારી અને ભાવ-વધારો ઘટાડી દઈશું. આ બધું એ લોકોએ ગાઈ-વગાડીને કહેલું. માટે આપણને થયું કે આપણે આ સમયગાળાનું મૂલ્યાંકન કરવું જોઈએ કે આ એક સો દિવસોમાં શું શું થયું ?
આ દેશના હિંદુધર્મ આધારિત ગ્રંથો વાંચી, સમજીને મારી માન્યતા બંધાઈ છે કે અમારા પૂર્વજો, જેમાં દલિતો, આદિવાસીઓ, સ્ત્રીઓ અને સર્વ પ્રકારના વંચિતોની જો કોઈ ઓળખ હતી, તો તે ઉપલા વર્ગનાં હિતો સાચવવા માટેની પ્રજા કે રૈયતથી વધારે ન હતી. દેશના સમાજ-જીવનમાં આઝાદીની ચળવળ દરમિયાન માર્ક્સ, ગાંધી અને આંબેડકરના વિચારોને કારણે અમારી માનવીય ગૌરવવાળી ઓળખ ઊભી થઈ હતી. તે પહેલાં અમારી ઓળખ ભગવદ્દગીતાના શબ્દોમાં કહીએ, તો ઉપલા વર્ગ કે વર્ણોનાં હિતો સાચવવા ‘નિષ્કામ કર્મ’ એટલે કે ‘વેઠ’ કરનારી પ્રજા તરીકેની હતી. ગાંધીના નેતૃત્વમાં આઝાદીના આંદોલને અમને નવું જીવન આપ્યું છે. જો આઝાદીનું આંદોલન સંઘ પરિવારના હાથમાં ગયું હોત તો આજે હું અને તમે અહીંયાં ન હોત. ગાંધી આવ્યા પછી મારા પૂર્વજો અને મારો ઇતિહાસ શરૂ થાય છે. આઝાદી પછી નેહરુકાળમાં સમગ્ર દેશમાં અને એકેએક રાજ્યમાં સામાજિક, આર્થિક અને રાજકીય રીતે જે બધા સર્વહારા હતા, તેમની ઓળખ ઊભી થઈ અને તે બધાના સ્વપ્રયત્નો અને રાજ્યના હકારાત્મક સહકારથી પોતાનું ભાવિ બદલી શકાશે, તેવી નક્કર આશા બંધાઈ.
ચૂંટણીનાં પરિણામો સાથે ભારતના ઐતિહાસિક લાંબા સ્વાતંત્ર્યસંગ્રામે પેદા કરેલાં રાષ્ટ્રીય મૂલ્યો આધારિત રાજ્ય સંચાલન માટેના પેદા થયેલા સર્વસંમતિના (કન્સેન્સસ) ખ્યાલને ભુલાય તેમ નથી. આ ઐતિહાસિક ફાળામાં કૉંગ્રેસનો એક પક્ષ કરતાં ચળવળ તરીકે જે ફાળો હતો, તે આજની રાજકીય સત્તાલક્ષી કૉંગ્રેસથી ભુલાઈ ગયો છે. વિસ્મૃત થઈ ગયો છે. બીજી બાજુએ આ ઐતિહાસિક સર્વસંમતિને બાજુ પર મૂકીને મોદી સરકાર આકાશમાં વિકાસની ખેતી અને ધરતી પર કોમવાદની ફસલ લણે છે. આખા ઉત્તરપ્રદેશમાં અમિત શાહ અને આદિત્યનાથ શું કરી રહ્યા છે ? આની સામે પેલી આઝાદીની ચળવળે પેદા કરેલ સર્વસંમતિવાળાં મૂલ્યોના આધારે વર્તમાન પ્રવાહોને તપાસ્યા કરવા જોઈએ. આટલા મોટા ઐતિહાસિક પ્રવાહોનો કોઈ એક છેડો પકડવાથી દેશનું દળદર ફીટે નહીં. ભાગ (પાર્ટ) એ પૂર્ણ (ફુલ) બની શકે નહીં, પૂર્ણ હોય તે ભાગ બની શકે નહીં. સ્વરાજ્ય સંગ્રામની જે વિરાસતમાં ગાંધી સાથે નેહરુ અને સરદારના સહિયારા પ્રયત્નોથી જે મૂલ્યો આધારિત સર્વસ્વીકૃતિ ઊભી થઈ હતી તે લક્ષમાં રાખીએ. હા, જરૂર પડે તેમાં સુધારાવધારા અવશ્ય કરીએ.
ગુજરાતમાં વ્યાપક સ્તરે ઇન્ટલેક્ચુઅલ-બૌદ્ધિક ને સેક્યુલર જેવા શબ્દોને ગાળ બનાવી દેવામાં આવ્યા છે, ત્યારે પ્રોફેસર પારેખ જેવાની બૌદ્ધિક દરમિયાનગીરીનું વિશેષ મહત્ત્વ છે. તેમણે જે રીતે મુદ્દા ઊભા કરી આપ્યા છે એ રીતે, મુદ્દાસર અને ઊંડાણથી ચર્ચા આગળ ધપાવવાની જરૂર છે. બાકી, અત્યાર લગી ઘણા વિદ્વાનો-ઍકૅડૅમિશિયનો ચંદ્રગુપ્તની ફરતા ચાણક્ય જેવા લાગ્યા છે. જે શાસક તેમની થિયરી સાકાર કરી બતાવે એવો લાગે, તેના બીજા મૂલ્યાંકનમાં આ ‘ચાણક્યો’ તટસ્થતા કે ધોરણ જાળવી શકતા નથી. તે સગવડે એવું માની લે છે કે બાકીની બાબતોમાં તો એ ‘સુધરી જશે’.
આ વિચારગોષ્ઠિમાં આપણે ૧૬મીએ પેદા કરેલા પ્રવાહોનું પૃથક્કરણ કરીએ છીએ ત્યારે મને શ્રીમતી થેચરની રૂઢિચુસ્ત પાર્ટી સતત એક પછી એક ચૂંટણી જીતતી હતી અને અમારી લેબર કે મજૂરપાર્ટી સતત ચૂંટણી હારતી જતી હતી તે દિવસો યાદ આવ્યા. તે સમયની ડિબેટ મને યાદ આવી. બ્રિટનના સર્વોચ્ચ (ટોપ મોસ્ટ) સમાજવાદી અને માર્ક્સવાદી બૌદ્ધિકોએ તારણ કાઢ્યું કે જો તમારી અંગત કે સામાજિક સમસ્યાનું નિદાન (ડાયગ્નોસીસ) ખોટું હશે તો રસ્તો નીકળવાનો નથી. મને એમ લાગે છે કે આપણા રોગના નિદાન ઉપર આપણી પકડ આવતી નથી. અમે ઇંગ્લૅન્ડમાં થેચરની આર્થિક નીતિઓ સમજવામાં નિષ્ફળ ગયા. સને ૧૯૭૯માં થેચર સત્તા પર આવ્યાં ત્યારે તેમણે ખરેખર પોતાની આર્થિક નીતિ પહેલેથી ઘડી જ ન હતી. ‘થેચરોનૉમિક્સ’ જેવો તેમનો એજન્ડા જ નહોતો. અમારી લેબર પાર્ટીનો જે અર્થતંત્રનાં જુદાં – જુદાં ક્ષેત્રોનો રાષ્ટ્રીયકરણનો એજન્ડા હતો, તેને બદલે તેમણે ડીનેશનાલાઇઝેન કે તે ક્ષેત્રોનું ખાનગીકરણ શરૂ કર્યું. આ બની ગયું ‘થૅચરોનૉમિક્સ’. અમે લેબર પાર્ટીવાળાએ ધારી લીધું કે તેઓ મૂડીવાદી વિચારસરણીનું મૂર્ત સ્વરૂપ (ઍમ્બૉડીમેન્ટ) છે. અમે વડાંપ્રધાન થેચરના વિચારો અને નીતિઓને જરૂર કરતાં વધારે પ્રાધાન્ય આપ્યું હતું.