
રમેશ ઓઝા
‘શું ભારત સરમુખત્યારશાહી ધરાવતો દેશ બની રહ્યો છે?” જાણીતા યુ ટ્યુબર ધ્રુવ રાઠીએ આવો સવાલ કરીને તેનાં પ્રમાણ આપતો અડધો કલાકનો વીડિયો યુ ટ્યુબ પર વાયરલ કર્યો, અને એની એટલી અસર થઈ કે શાસકોએ તેની નોંધ લેવી પડી. એક જ અઠવાડિયામાં એક કરોડ ૬૦ લાખ લોકોએ તેને જોયો અને આજે જોનારાઓની સંખ્યા લગભગ બે કરોડ લોકો સુધી પહોંચી ગઈ છે. પોતાને નરેન્દ્ર મોદીના ફેન ગણાવતા એક ભાઈ સર્વોચ્ચ અદાલતમાં પહોંચી ગયા. નરેન્દ્ર મોદીને તાનાશાહ તરીકે સિદ્ધ કરવામાં આવ્યા એ જોઇને તેમનું દિલ દુભાયું હતું. ગાંધીજી અને નેહરુની બાબતે સાવ જૂઠો, નીચતાપૂર્વકનો અને પાછો મર્દાનગી વિનાનો નનામો પ્રચાર કરવામાં જેમને શરમ નથી આવતી એ લોકો વળી દિલ ધરાવે છે! તેમને જાણ છે કે આ દેશમાં હજુ મોટી સંખ્યામાં હિંદુ છે જેમને વિચારવામાં ડર નથી લાગતો અને ટોળે વળીને (હા, ટોળે વળીને) મુસલમાનોને ડરાવવા જેટલી નીચતા નથી આચરતા. તેઓ ભારતનાં નાગરિક છે, મતદાર છે અને સમયાન્તરે ચૂંટણીઓ લડવી પડતી હોવાથી તેમના મતનો ખપ છે.
વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું કે લોકતંત્ર આદર્શ શાસન વ્યવસ્થા તો નથી, પરંતુ જેટલી શાસનવ્યવસ્થા ઉપલબ્ધ છે તેમાં તે શ્રેષ્ઠ છે. આ કથનને સમજવા જેવું છે. શ્રેષ્ઠ મુખ્યત્વે એ અર્થમાં કે તેમાં નાગરિકને અધિકાર મળે છે અને અધિકાર માત્ર બહુમૂલ્ય હોય છે. કોઈ મૂર્ખ હોય એ જ પોતાના અધિકારનું જતન ન કરે અને આ જગતમાં મૂર્ખાઓની સંખ્યા પણ ઘણી મોટી છે અને એ અર્થમાં તે આદર્શ વ્યવસ્થા નથી. લોકતંત્રમાં પ્રજાને મૂર્ખ બનાવી શકાય છે, પ્રજાને મૂર્ખ બનાવવા માટેની પ્રચારયંત્રણા વિકસાવી શકાય છે, સમૂહ માધ્યમોને ખરીદી શકાય છે, પત્રકારો અને વિચારનારાઓને કે વિચારતા કરનારાઓને ડરાવી શકાય છે, જે તે અસ્મિતાના કેફ ચડાવી શકાય છે, પ્રજાને ડરાવી, રડાવી અને પોરસાવી શકાય છે.

ધ્રુવ રાઠી
આવું એ લોકો કરે છે જે પ્રચંડ માત્રામાં સત્તા ભૂખ ધરાવતા હોય અથવા તેમની કોઈ વિચારધારા હોય. તેમની કલ્પનાના દેશની રચના કરવા માટે તેઓ આ બધું કરતા હોય છે, કારણ કે તેમને ડર હોય છે કે મુક્ત તેમ જ ન્યાયી લોકતંત્રમાં એ લોકો પણ પાછા સત્તામાં આવી શકે જેમની સમાજ તેમ જ દેશની કલ્પના તેમની કલ્પનાથી અલગ છે. જો પ્રતિસ્પર્ધીને નેસ્તનાબૂદ કરી દેવામાં આવે તો સત્તાભૂખ પણ સંતોષાય અને ખાસ વિચારધારા આધારિત રાષ્ટ્ર કે સમાજનો એજન્ડા પણ દાયકાઓ સુધી ટકાવી શકાય. માટે ચૂંટણી મુક્ત (free) હોવી જોઈએ કે જેથી લોકોને અને દુનિયાને એમ લાગે કે ભારત લોકતાંત્રિક દેશ છે, પરંતુ તે દરેકને એક સમાન તક આપનારી ન્યાયી (fair) ન હોવી જોઈએ. ધ્રુવ રાઠીએ તેમના વીડિયોમાં આ વાત ઊઠાવી છે અને કઈ રીતે અન્યાયી વર્તણુક (unfair practices) દ્વારા પ્રતિસ્પર્ધીઓને નેસ્તનાબૂદ કરવામાં આવી રહ્યા છે તેની વિગતો આપી છે. કોઈ મતાંધ મૂર્ખ પણ ધ્યાનપૂર્વક સાંભળે તો હકીકત સમજી શકે એ રીતે સરળ ભાષામાં અને જડબાતોડ વિગતો તેમાં આપવામાં આવી છે. માટે શાસકોને તેની નોંધ લેવી પડી છે.
સમસ્યા એ છે કે બીજા વિશ્વયુદ્ધ પછી સો કરતાં વધુ દેશો સ્વતંત્ર થયા એમાંથી જે દેશોમાં સરમુખત્યારશાહી આવી એ સરમુખત્યારશાહીનું સ્વરૂપ સ્થૂળ હતું. લશ્કર બળવો કરે, ચૂંટાયેલી સરકારને બરતરફ કરે, શાસકોને કેદ કરે કે મારી નાખે, રસ્તાઓ ઉપર રણગાડીઓ ફરે, રેડિયો અને ટી.વી.નો કબજો લઈ લેવામાં આવે, પ્રતિનિધિગૃહને બરખાસ્ત કરવામાં આવે, બંધારણ સ્થગિત કરવામાં આવે, અખબારો પર સેન્સોર્શિપ લાદવામાં આવે, વગેરે. પાકિસ્તાન સહિત આપણા પાડોશી દેશોમાં આવું અનેકવાર બન્યું છે. આને કારણે લોકશાહી જગતમાં લોકો એવું માનતા થયા છે કે જ્યાં સુધી લોકતંત્ર પર આવો સ્થૂળ હુમલો ન થાય ત્યાં સુધી લોકતંત્ર સલામત છે. ચૂંટણીઓ યોજાય છે, આપણને મતદાન કરવાનો અબાધિત અધિકાર છે, કોઈ રોકટોક નથી, જે લોકો રાજ કરી રહ્યા છે એ પ્રજાએ ચૂંટેલા છે એટલે લોકતંત્ર સલામત છે. તેમને free અને fair વચ્ચેનો ફરક જ ખબર નથી. free અલગ છે અને fair અલગ છે. લોકશાહી વ્યવસ્થામાં fair હકીકતમાં free કરતાં પણ વધુ મહત્ત્વ ધરાવે છે.
સમર્થકોને નશામાં રાખો, તેમની અંદર રહેલા વેરભાવને સંતોષો અને વિરોધીઓને લંગડા કરો. ધનથી કરો, ઈ.ડી. અને સી.બી.આઈ. જેવી સંસ્થાઓનો દુરુપયોગ કરીને કરો, સરકારો તોડીને કરો, પક્ષોને તોડીને કરો, પેગાસસ જેવા પ્રોગ્રામ દ્વારા જાસૂસી કરીને કરો, લોકતાંત્રિક સંસ્થાઓ પર કબજો કરીને કરો. ખરીદીને કરો, ડરાવીને કરો. બરોબર સમય આવ્યે ચૂંટણી યોજીને ખુલ્લી લોકતાંત્રિક સ્પર્ધા યોજવાની, જેમાં પ્રતિસ્પર્ધી હોય પણ એ લંગડો હોય. આ સિવાય ચૂંટણીઓને મોંઘી કરતી જવાની. એટલી મોંઘી કે લંગડો ટકી જ ન શકે. એક બાજુ કેફ ચડાવેલા મતદાતાઓ, વિવેકનો કોઈ શબ્દ કાને ન પડે એવો જાણીબૂજીને મચાવવામાં આવતો ઘોંઘાટ અને બીજી બાજુ અપંગ પ્રતિસ્પર્ધી. હા, ચૂંટણી સમયસર યોજવાની.
લોકતંત્રનું કલેવર જાળવી રાખવાનું અને પ્રાણ હરી લેવાના. ધ્રુવ રાઠીએ એક એક રમતની ક્લીપ બતાવીને આખો ખેલ ઊઘાડો કરી આપ્યો એટલે તેઓ ડરી ગયા છે. તેમને જાગેલાઓનો ડર છે એનાં કરતાં વધુ સૂતેલા જાગી જાય એનો ડર છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 07 માર્ચ 2024
સૂચિત વીડિયોની આ રહી આ કડી :
![]()


સ્પેનના આંતરવિગ્રહમાં લોર્કાની શહાદત સાથે નેરૂદાની કવિતા એક નવી જ પ્રતિબદ્ધ પ્રતીતિમાં ઠરી કે આ કોઈ ‘ધીમંત ક્રીડા‘ નથી, પ્રેમનું અફીણડોડું નથી; પણ માનવીય બિરાદરીમાં ન્યાય અને સમતા માટેનું બુલંદ જાહેરનામું છે

