
સુમન શાહ
સાહિત્યકારોના નામોના નિર્દેશનું રાજકારણ નર્મદથી શરૂ થયું છે. જે લોકો સામાન્યપણે નર્મદનું નામ લેતા હતા તેઓ દલપતરામનું ન્હૉતા લેતા, અને દલપતરામનું લેતા હતા એ લોકો નર્મદનું ન્હૉતા લેતા. ન્હાનાલાલને ‘નાનિયો’ કહેનારો ય વિદ્વાન તો હતો જ !
એ રાજકારણ સામ્પ્રત લગી ચાલતું આવ્યું છે, એ માત્ર આધુનિક કે અનુ-આધુનિક સમયોમાં જ છે એવું નથી. નામો લેવાયાં-ન લેવાયાંની ફરિયાદોમાં પણ એ રાજકારણ નથી એમ નથી.
તેમછતાં, મેં મારી કારકિર્દીમાં સાહિત્યિક કારણ વિના કોઈના ય નામનો નિર્દેશ કર્યો નથી. નામ લેતી વખતે હું હમેશાં તેના સંદર્ભને મુખ્ય ગણતો હોઉં છું. બાકી, હકીકત એ છે કે સુમન શાહને ખુશ કરો કે ધમકાવો, એથી એ તમારું નામ લે? રામરામ ભજો !
શું બનતું હોય છે તેની એક સર્વસાધારણ વાત કરીએ :
૧ : નામ લેવાય તેની અને ન લેવાય તેની ફરિયાદો – એટલે કે ટીકાટિપ્પણી, નામોની જ થાય છે, નામો જે સંદર્ભે લેવાયાં હોય તેની નહીં.
૨ : જેનું નામ લેવાયું હોય એને જે-તે સંદર્ભમાં કશો જ દોષ દેખાતો નથી, એ તો બસ રાજી થઈને મ્હાલે છે. એને રાજી જોઈને બીજાઓ ચૂંકાય છે ને મનમાં આવે એ બોલવા માંડે છે. રાજગી-નારાજગી એ રાજકારણમાં ઘી હોમે છે.
૩ : જેનું નામ ન લેવાયું હોય એ બધા ભેગા થઈને તે લેખક સમ્પાદક વિવેચક કે અધ્યાપકને ઉતારી પાડે છે. એણે હાથ ધરેલા પ્રકલ્પનું સાહિત્યિક મૂલ્ય શું છે તેની વાત થતી નથી. પ્રકલ્પમાં મુકાયેલા સાહિત્યિક આશયને ય ધ્યાનમાં નથી લેવાતો. ઉતારી પાડનારાઓ વિવેચનનોને અને વિવેચકોને કોણ વાંચે છે એવી લપડાક લગાવતા જાતે ને જાતે ‘સર્જકો’ રૂપે ખડા થઈ જાય છે, ને પછી એવાઓ ભેગા થઈને કાખલી કૂટવા માંડે છે.
આખું દૃશ્ય સાવ સબ્જેક્ટિવ હોય છે, અને ચર્ચાનું સ્વરૂપ જરાપણ ઑબ્જેક્ટિવ હોતું નથી. સમજી રાખો કે આ સબ્જેક્ટિવિઝમ ચાલુ રહેશે તો ચોખ્ખાં મૂલ્યાંકનો મળવાનો સંભવ રૂંધાયેલો જ રહેવાનો છે.
મારા છેલ્લા લેખો બાબતે જણાવું કે —
પહેલો લેખ આપણા અનુ-આધુનિક સાહિત્યનું ક્ષેત્ર દર્શાવતો એક નકશો છે. એના દરેક ઇલાકાની ચર્ચા થવી જોઈતી’તી.
બીજો લેખ આપણું અનુ-આધુનિક સાહિત્ય કેટકેટલા સંદર્ભોમાં પ્રસરી રહ્યું છે તે દર્શાવે છે. એ દરેક સંદર્ભનાં સ્વરૂપ અને કાર્યની સમજ પડે તે માટે કેટલાંક નામો ‘દાખલા તરીકે’ મૂકવામાં આવેલાં. એ સંદર્ભોમાં ઊતરવાને બદલે, નામોની જ વાતો ચાલી.
મારે જણાવવું જોઈએ કે—
૧ – હું નામો ગણવા ન્હૉતો બેઠો, સંદર્ભ આપી રહ્યો’તો. નામો સંદર્ભ અર્થે હતાં. નામો સંદર્ભના સમર્થન માટે હતાં.
આ હતા એ બધા સંદર્ભો —
1 અનુ-આધુનિકતાનું પ્રસરણ દર્શાવતાં, સમીક્ષાત્મક લેખનો, એ સંદર્ભ.
2 અનુ-આધુનિકતાનું પ્રસરણ દર્શાવતાં, કેટલાંક સામયિકો, એ સંદર્ભ.
3 અનુ-આધુનિક સાહિત્યમાં જીવનપરક સાહિત્યના – લાઇફ લિટરેચરના – મહિમાનો સંદર્ભ.
4 અનુ-આધુનિકતાનું પ્રસરણ દર્શાવતા, સોશ્યલ મીડિયા પરના કેટલાક બ્લૉગ્સ, એ સંદર્ભ.
5 અનુ-આધુનિકતાનું પ્રસરણ દર્શાવતી, કેટલીક સ્વાયત્ત મંડળીઓ, કેટલાંક સંગઠનો કે ફાઉન્ડેશનો, એ સંદર્ભ.
6 પ્રસરણશીલ અનુ-આધુનિકતાએ સાહિત્યનાં વસ્તુજગતમાં કોરાણે મુકાયેલા કે છોડી દેવાયેલા વિષયોનું સાહિત્ય, બ્લૅક તેમ જ ફૅમિનિસ્ટ લિટરેચર, સરજ્યું, એ ક્ષેત્રો સર કર્યાં.
અને, એમાં આ મુદ્દો તો સૌ ચાતરી જ ગયા કે – આપણે ત્યાં દલિત અને નારી તત્ત્વો કેન્દ્રમાં આવ્યાં અને એ ક્ષેત્ર એ પ્રકારે સર થયું છે.
7 અનુ-આધુનિકતાનું પ્રસરણ દર્શાવતા, સ્ટેજ-શોઝ પાછળની ભાવના હવે સવિશેષે પ્રસરી રહી છે, એ સંદર્ભ.
8 પ્રસરણ દરમ્યાન, પ્રવર્તમાન સાહિત્યિક પરિદૃશ્યની એક અવ્યાખ્યાયિત આછીપાતળી પર્યેષણા – critique – શરૂ થતી હોય છે, એ મુદ્દો પણ ચાતરી ગયા.
9 અનુ-આધુનિકતાનું પ્રસરણ પરિવર્તનકારી હોય છે, એ સંદર્ભ.
10 સાહિત્યસર્જન-લેખન જ્યારે એક ઇઝમથી – ISMથી – બીજા ઇઝમ અનુસારના વાદવિચાર જનમાવે, ત્યારે એણે આગલા ઇઝમ સાથે ડિસ્કન્ટિન્યુઇટી સાધી હોય છે, વિચ્છેદ સાધ્યો હોય છે. એ મુદ્દો પણ ચાતરી ગયા.
11 વિચ્છેદ પરિવર્તનોથી સધાતો હોય છે, એ સંદર્ભ.
12 પહેલેથી પૂર્ણરૂપેણ અનુ-આધુનિક સાહિત્યકારો, એ સંદર્ભ.
13 ક્રમશ: લખાતી આ શ્રેણી માટે મેં કહ્યું કે લિરિકલ અને નૅરેટિવ ગણાતા સાહિત્યખણ્ડોની વાત થઈ, ડ્રામેટિકની વાત હવે પછી. એ મુદ્દા માટે ધીરજ રાખવાની હતી, પણ ચાતરી ગયા.
જુઓ, સમસામયિક પરિદૃશ્યની નુક્તેચિની બહુધા અને બહુશ: બે જ વ્યક્તિઓ કરે છે : બાબુ સુથાર અને સુમન શાહ : એ નુક્તેચિની કેટલી તો જરૂરી છે, કેટલી તો પ્રેરણાદાયી છે, મેં આપ્યા એમ કેટલા બધા મહદંશે નૂતન સંદર્ભો, અવનવા મુદ્દા, વીગતો, પુસ્તકોના નિદેશો રજૂ કરે છે, તેની કોઈને જાણે કશી વિસાત જ નથી ! ઊલટું, મોઢાં માત્રનામો ભણી જોવા મળે છે !
સાર એ આવે છે કે આપણને ગમ્ભીર લખાણો વાંચતાં આવડતું નથી. એવાં લખાણોથી આપણી જ્ઞાનેન્દ્રિય પ્રેરાતી નથી. કીર્તિ, વાહ-વાહી, નામના, રૅક્ગ્નિશન, ગણના વગેરે માટેની લાલસા ચગેલી રહે છે. આપણી જૂની જરઠ આદતોનો નાશ થતો નથી.
મને લાગે છે કે આપણે સમ્યક સાહિત્યકાર હોવાનો ડૉળ કરવાનું હવે બંધ કરવું ઘટે.
મને એવું પણ લાગે છે કે વિદ્વદ ચર્ચાવિચારણાનો આપણે ત્યાં મારા પૂરતો અન્ત આવી ગયો છે, અને તેથી નુક્તેચિની કરતાં લેખનો હું જરૂર કરીશ, પણ સંકલ્પ કરું છું કે હવેથી હું જાહેર ચર્ચામાં નહીં જોડાઉં. જે મિત્રો મારાં લેખનો માટે નાનામોટા સરસ અને અર્થપૂર્ણ પ્રતિભાવો આપે છે તેઓ મારા આ સંકલ્પને ક્ષમ્ય ગણશે. તેઓ અંગત ધૉરણે ચર્ચા ઇચ્છશે, તો કરીશ.
(21 Jul 24: USA)
= = =
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()





નરેન્દ્ર મોદીના ત્રણ પુરોગામીઓમાં પડકારોનો સામનો ઇન્દિરા ગાંધીને કરવો પડ્યો હતો અને એ પણ એક કરતાં વધુ વખત અને અલગ અલગ પ્રકારના પડકારો. ઇન્દિરા ગાંધીનો ૧૯૬૬થી ૧૯૭૭ એમ ૧૧ વરસનો વડા પ્રધાનપદનો પહેલો દોર હતો અને બીજો ૧૯૮૦ના પ્રારંભથી ૩૧ ઓકટોબર ૧૯૮૪માં તેમની હત્યા થઈ ત્યાં સુધીનો લગભગ પાંચ વરસનો. એની વચ્ચે અઢી વરસ વિરોધ પક્ષમાં રહીને પક્ષની અંદર સુદ્ધાં ઝંઝાવાતોનો સામનો કર્યો હતો. જેલમાં પણ ગયાં હતાં. એમાં આ ૧૧ અને પાંચ એમ કુલ ૧૬ વરસનાં શાસનમાં ઇન્દિરા ગાંધી અલગ અલગ હતાં. ૧૯૬૬થી ૧૯૬૯ સુધી કાઁગ્રેસના દિગ્ગજ નેતાઓથી ડરનારાં અને ઓછો આત્મવિશ્વાસ ધરાવનારાં હતાં. ડૉ. રામમોહન લોહિયાએ તેમને ગૂંગી ગુડિયા તરીકે ઓળખાવ્યાં હતાં. ૧૯૭૧થી ૧૯૭૪ સુધી તેઓ દુર્ગાનો અવતાર હતાં. ૧૯૭૪થી ૧૯૭૭નાં વર્ષોમાં ભાવવધારો, ભ્રષ્ટાચાર અને વિરોધ પક્ષોના સામૂહિક હુમલા સામે તેઓ કોઈ પણ માર્ગે લડતાં હતાં અને તેમાં ઈમરજન્સી લાદવાનો અને વિરોધ પક્ષોના નેતાઓને જેલમાં પૂરવાનો પણ સમાવેશ થતો હતો. ૧૯૮૦થી ૧૯૮૪નાં વર્ષોમાં પંજાબ અને આસામમાં દેશની અંદરથી પ્રજાકીય પડકારો પેદા થયાં હતાં અને દેશની એકતા અખંડતાનો પ્રશ્ન હતો. દેશને પહેલીવાર ત્રાસવાદનો પરિચય થયો હતો. સંજય ગાંધીનાં અવસાનને કારણે અંગત ખાલીપો અનુભવતાં હતાં. ૧૯૮૦થી ૧૯૮૪નાં વર્ષોમાં ઇન્દિરા ગાંધી કઠોર પણ વાત્સલ્યમૂર્તિ નજરે પડતાં હતાં. પ્રજા અને પક્ષ એ બે અલગ ચીજ છે એ તેઓ જાણતાં હતાં.