ઇન્દિરા ગાંધી પછી પહેલી વાર એવું જોવા મળી રહ્યું છે

રમેશ ઓઝા
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીનાં પ્રચારમાં અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણીનાં પ્રચારમાં એક ફરક છે. એ ફરક રાહુલ ગાંધીના પક્ષે છે. લોકસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીની, ભા.જ.પ.ની અને સરકારની ટીકા કરતા. હાથમાં બંધારણની નકલ બતાવીને કહેતા કે નરેન્દ્ર મોદીની સરકારને આ બંધારણ સ્વીકાર્ય નથી, તેઓ તેને બદલવા માગે છે અને અનામતની જોગવાઈને ખતમ કરવા માગે છે. બીજી બાજુ ભારતનું બંધારણ સશક્તો સામે અશક્તોને રક્ષણ આપે છે. તેઓ નરેન્દ્ર મોદીની સરકાર કઈ રીતે શ્રીમંત તરફી છે અને ખાસ કરીને બે ઉદ્યોગગૃહોને મદદ કરે છે એમ પણ કહેતા.
આ વખતે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીની ટીકા ઓછી કરે છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વધુ કરે છે. નિશાના પર સીધો સંઘ છે. તેઓ કહે છે કે લડાઈ વિચારોની છે અને એટલે ખરી લડાઈ સંઘ અને કાઁગ્રેસ વચ્ચે છે. કાઁગ્રેસની કલ્પનાનું ભારત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સ્વીકાર્ય નથી અને સંઘની કલ્પનાનું ભારત કાઁગ્રેસને સ્વીકાર્ય નથી. ભા.જ.પ. તો સંઘનું એક પ્યાદું છે. તેઓ કહે છે કે સંઘર્ષ સત્તા માટેનો નથી, પણ ભારત વિષેની કલ્પના માટેનો છે. એ પછી તેઓ કહે છે કે સહિયારા લોકતાંત્રિક ભારતમાં સ્ત્રીઓનું, દલિતોનું, આદિવાસીઓનું અને દરેક વર્ગના વંચિતોનું અથવા ગરીબોનું કલ્યાણ છે. સંઘની કલ્પનાના ભારતમાં સવર્ણ હિંદુઓની સરસાઈ હશે. તે રાજ કરશે. રાહુલ ગાંધી વિનાયક દામોદર સાવરકરનું પણ નામ લે છે.
રાહુલ ગાંધીએ પહેલી વખત શબ્દો ચોર્યા વિના કહ્યું છે કે કાઁગ્રેસની અંદર પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારો અને માનસિકતા ધરાવનારા લોકો છે. તેમનો ઈશારો હિમાચલ પ્રદેશના કેબીનેટ પ્રધાન વિક્રમાદિત્ય સિંહ તરફ હતો. તેમણે યોગી આદિત્યનાથને અનુસરીને

રાહુલ ગાંધી
અને તેમનો હવાલો આપીને કહ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં પણ હોટલ પર હોટલના માલિકનું નામ હોવું જોઈએ. રાહુલ ગાંધીએ તેમને દિલ્હી બોલાવીને ઠપકો આપ્યો હતો. આવું જ આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વાનું. તેઓ યોગી આદિત્યનાથ કરતાં પણ વધારે આકરા હિન્દુત્વવાદી વિચારો ધરાવે છે. હેમંત બિસ્વા પહેલાં કાઁગ્રેસમાં હતા. મુખ્ય પ્રધાન બનવા મળ્યું નહીં એટલે તેઓ બી.જે.પી.માં ગયા હતા. હિંદુ માનસિકતા ધરાવતા લોકો કાઁગ્રેસમાં હોય એ કોઈ નવી વાત નથી. ગાંધીજીના જમાનાથી આવું જોવા મળી રહ્યું છે. તેઓ કાઁગ્રેસમાં રહીને સંઘ માટે સહાનુભૂતિ ધરાવતા હતા.
બીજી બાજુ નરેન્દ્ર મોદી એ જ વાત કરે છે જે લોકસભાની ચૂંટણીમાં કરતા હતા. રાહુલ ગાંધી અને કાઁગ્રેસ પર આક્ષેપો કરીને સીધા પ્રહારો કરે છે. ભ્રષ્ટાચાર, વંશવાદ વગેરે. હિંદુઓને ડરાવે છે. તેઓ નથી વિકાસની વાત કરતા કે નથી તેમની કે હરિયાણાની સરકારની સિદ્ધિઓની વાત કરતા. ભવિષ્ય વિષે સપનાં બતાવવાનું તો તેમણે બંધ જ કરી દીધું છે. રહી વાત રાહુલ ગાંધી દ્વારા ઉપસ્થિત કરાતી ભારત વિશેની કલ્પનાની તો તેનો તો તેઓ કોઈ ઉલ્લેખ જ નથી કરતા. નથી સંઘની કલ્પનાના ભારતનો બચાવ કરતા, કે નથી કાઁગ્રેસની કલ્પનાના ભારતનો સ્વીકાર કે અસ્વીકાર કરતા.
શા માટે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીને લગભગ બાજુએ રાખીને સીધો સંઘ ઉપર પ્રહાર કરે છે? અને બીજો સવાલ એ કે આમ કરવું કાઁગ્રેસ માટે હિતકારી છે? કે પછી નુકસાન થઈ શકે? ઇન્દિરા ગાંધી પછી પહેલી વાર એવું જોવા મળી રહ્યું છે કે કાઁગ્રેસનો કોઈ નેતા આર.એસ.એસ.નો ખુલ્લીને વિરોધ કરતો હોય કે નિંદા કરતો હોય.
મને એમ લાગે છે કે રાહુલ ગાંધીની રણનીતિ યોગ્ય દિશાની છે. હિન્દુત્વના જે સમર્થકો છે એ પહેલાં પણ જન સંઘ/બી.જે.પી.ની સાથે હતા અને ભવિષ્યમાં પણ બી.જે.પી.ની સાથે રહેવાના છે. જે લોકો એમ માનતા હતા કે ભારત હિંદુઓની બહુમતી ધરાવનારો દેશ છે એટલે હિંદુઓનું થોડુંક સાંસ્કૃતિક વર્ચસ હોવું જોઈએ, પણ એ સાથે કોઈ કોમ સાથે ભેદભાવ ન કરવો જોઈએ, કોઈને હેરાન ન કરવા જોઈએ અને દેશનો વિકાસ કેન્દ્ર સ્થાને હોવો જોઈએ એ લોકો હવે દૂર જઈ રહ્યા છે. આ સિવાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભા.જ.પ.ના નેતાઓ હિંદુ રાષ્ટ્રની કોઈ કલ્પના રાખી શકતા નથી અથવા રાખતા નથી એટલે વિચારનારા હિંદુઓને સમજાવા લાગ્યું છે કે સંઘની કલ્પનાનું હિંદુરાષ્ટ્ર એટલે હિંદુઓનું માથાભારેપણું. મુસલમાનોને હેરાન કરવાનું, ધોલધપાટ કરવાનું સુખ મેળવો અને ભા.જ.પ.ને મત આપતા રહો. જેમને આવું માથાભારે હિંદુ રાષ્ટ્ર સ્વીકાર્ય નથી એ લોકો હિંદુવાદી હોવા છતાં કે હિંદુ હોવા માટે ગર્વ લેતા હોવા છતાં સંઘને સમર્થન કરતા નથી.
તેઓ સમર્થન કરતા બંધ થઈ ગયા છે કે થઈ રહ્યા છે એનું બીજું પણ એક કારણ છે. દસ વરસમાં તેમને સમજાવા લાગ્યું છે કે આ દેશમાં એટલી બધી વિવિધતા છે કે તેનાથી બચી શકાય એમ નથી. સાથે રહેવું એ નિયતિ છે. મુસલમાનો દેશનું કશું બગાડી શકે એમ નથી, તેમની એટલી શક્તિ જ નથી. જે કહેવામાં આવે છે એ પ્રચાર છે. ઊલટું લડાઈ હિંદુઓ વચ્ચે ચાલી રહી છે અને એક હિંદુ બીજા હિંદુ સાથે લડે છે. પરિવારોમાં ઝઘડો પ્રવેશ્યો છે. ટૂંકમાં દેશમાં પાકું ધ્રુવીકરણ થઈ ગયું છે એટલે હવે હિંદુઓની નારાજગીની ચિંતા કરવાની જરૂર નથી. જે ત્યાં છે એ પાછા આવવાના નથી, પછી ભલે દેશનું ગમે તે થાય. બીજી બાજુ જેણે હિન્દુત્વનો સ્વાદ ચાખી લીધો છે એ લોકો હવે પુનર્વિચાર કરતા થયા છે.
આ સ્થિતિમાં કાઁગ્રેસની કલ્પનાનું ભારત એ હિંદુઓને તો સ્વીકાર્ય છે જ જે ઉદારમતવાદી છે. એ હિંદુઓને પણ અનુભવે સ્વીકાર્ય બનવા લાગ્યું છે જે હાંસિયામાં છે. જેમ કે દલિતો આદિવાસીઓ વગેરે. એ હિંદુઓને પણ હવે સ્વીકાર્ય બનવા લાગ્યું છે જેમણે હિંદુઓના રાજનો સ્વાદ ચાખી લીધો છે. આ સિવાય લઘુમતી કોમને કાઁગ્રેસની કલ્પનાનું ભારત સ્વીકાર્ય હોય એ તો સ્વાભાવિક છે. જો મોટી સંખ્યામાં હિંદુઓ પાછા ફરતા હોય તો તેમની સમક્ષ વિકાસલક્ષી સ્વસ્થ અને સહિયારા ભારતની કલ્પના શા માટે ન રાખવી! આમાં રતીભાર પણ નુકસાન નથી. બીજા શબ્દોમાં કહીએ તો ૧૯૮૭માં શરૂ થયેલો હિંદુ બેકલેશનો યુગ સાડા ત્રણ દાયકા પછી પૂરો થઈ રહ્યો છે. રાહુલ ગાંધી આ જાણે છે અને સમજી વિચારીને નરેન્દ્ર મોદીની જગ્યાએ સંઘ પર હુમલા કરે છે.
રાહુલ ગાંધી આર.એસ.એસ.ને પણ ભીત સરસો ધકેલે છે. જે પ્રત્યક્ષ અનુભવ થઈ રહ્યો છે એ તો માથાભારે હિંદુ રાષ્ટ્રનો થઈ રહ્યો છે. આનાથી જુદા રાષ્ટ્રની જો કોઈ કલ્પના તમારા મનમાં હોય તો કહી બતાવો, એમાં શું હશે અને શું નહીં હોય? તેમણે કહેવું પડશે કે તેઓ કેવા હિંદુ રાષ્ટ્રની કલ્પના કરે છે? સંઘ હિંદુઓનું પ્રતિનિધિત્વ નથી કરતો, ખાસ પ્રકારના હિંદુઓનું કરે છે એમ રાહુલ ગાંધીએ લોકસભામાં પણ કહ્યું હતું.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પહેલીવાર વિચારધારાને લઈને ભીંસ અનુભવી રહ્યો છે. જ્યારે હિંદુતવવાદી શાસકોનું શાસન નજર સામે હોય ત્યાં બોલવું શું?
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 03 ઑક્ટોબર 2024
![]()




આબીદા બાનો બેગમ એ પ્રથમ મુસ્લિમ મહિલા હતી જેમણે સક્રિયપણે રાજકારણમાં ભાગ લીધો હતો અને ભારતને બ્રિટિશ રાજમાંથી મુક્ત કરવાના આંદોલનનો પણ એક ભાગ હતાં. આબીદા બાનો બેગમનો ગાંધી દ્વારા બી અમ્મા તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેનો જન્મ ૧૮૫૨માં ઉત્તર પ્રદેશના અમરોહામાં થયો હતો. બી અમ્માનાં લગ્ન રામપુર રાજ્યના એક વરિષ્ઠ અધિકારી અબ્દુલ અલીખાન સાથે થયાં હતાં. તેમના પતિના અવસાન પછી બાનોએ પોતાનાં બાળકો(બે પુત્રી અને પાંચ પુત્રો)નો ઉછેર એકલા હાથે કર્યો. તેના પુત્રો મૌલાના મોહમ્મદ અલી જૌહર અને મૌલાના શૌકત અલી ખિલાફત ચળવળ અને ભારતીય સ્વતંત્રતા ચળવળના અગ્રણી વ્યક્તિઓ હતા. તેઓએ બ્રિટિશ રાજ સામે અસહકાર ચળવળ દરમિયાન મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
પતિયાળાથી મહાત્મા ગાંધીની ‘દત્તક પુત્રી’ બીબી અમ્તુસ સલામ એક સામાજિક કાર્યકર અને ગાંધીનાં શિષ્યા હતાં જેમણે વિભાજનને પગલે કોમી હિંસા સામે લડવામાં અને ભાગલા પછી ભારતમાં આવેલા શરણાર્થીઓના પુનર્વસનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેણીએ કલકત્તા, દિલ્હી અને ડેક્કનમાં કોમી રમખાણો દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં જઈને પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. બીબી સલામ ગાંધી આશ્રમના મુસ્લિમ કાર્યકર હતાં અને સમય જતાં તે ગાંધીની દત્તક પુત્રી બની ગયાં હતાં. નોઆખલી રમખાણો પછી, ૯ ફેબ્રુઆરી, ૧૯૪૭ના રોજ ‘ધ ટ્રિબ્યુન’માં પ્રકાશિત થયેલા એક લેખમાં નોંધવામાં આવ્યું હતું કે અમ્તુસ સલામે ૨૫-દિવસના ઉપવાસ કર્યાં હતા. અપહરણ કરાયેલી મહિલાઓ અને બાળકોને બચાવવાના પ્રયાસમાં રાજ્ય સત્તાવાળાઓની ‘બેદરકારી’ના વિરોધમાં તેણી બહાવલપુરના ડેરા નવાબ ખાતે અનિશ્ચિત ઉપવાસ પર બેઠી હતી.
૧૮૫૭ના વિદ્રોહની પ્રતિષ્ઠિત વ્યક્તિ બેગમ હઝરત મહેલ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે લડ્યાં હતાં. અવધના શાસક નવાબ વાજિદ અલી શાહની પત્ની બેગમે અંગ્રેજો પાસેથી કોઈ પણ પ્રકારનો ઉપકાર કે ભથ્થાં સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. બેગમે તેના સેનાપતિ રાજા જેલાલ સિંહની મદદથી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે બહાદુરીપૂર્વક લડાઈ લડી હતી. હઝરત મહેલનો જન્મ ૧૮૩૦માં ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં થયો હતો. ગુલામ હુસૈન તેના પિતા છે. તેણીને સાહિત્યની સમજ હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા હાઈવે માટે જગ્યા બનાવવા માટે મસ્જિદો અને મંદિરોના વિનાશ પછી તેઓએ બળવો કર્યો હતો. જ્યારે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ૧૮૫૬માં અવધમાં આક્રમણ કર્યું હતું અને અવધના છેલ્લા નવાબ તેમના પતિને કલકત્તામાં દેશનિકાલ કરવામાં આવ્યા ત્યારે બેગમે તેમના પુત્ર બિરજીસ કાદિર સાથે લખનૌમાં જ રહેવાનો નિર્ણય લીધો. ૩૧ મે, ૧૮૫૭ના રોજ, તેઓએ સ્વતંત્રતાની ઘોષણા કરવા અને અંગ્રેજોને શહેરમાંથી ભગાડવા માટે આહ્વાન કર્યું હતું. ૭ જુલાઈ, ૧૮૫૭ના રોજ, બેગમ હઝરત મહેલે તેમના પુત્ર, બિરજીસ કાદિરને અવધના નવાબ જાહેર કર્યા. તેણીએ ૧,૮૦,૦૦૦ સૈનિકો ઊભા કર્યા અને નવાબની માતા તરીકે લખનૌના કિલ્લાનું ભવ્ય રીતે નવીનીકરણ કર્યું. ૭ એપ્રિલ ૧૮૭૯ના રોજ તેણીનું ત્યાં અવસાન થયું હતું.
અનિસ કિડવાઈ ઉત્તર પ્રદેશ(યુ.પી.)ના રાજકારણી અને કાર્યકર્તા હતાં અને તેઓએ પોતાનું મોટાભાગનું જીવન સ્વતંત્ર ભારતની સેવા કરવા, શાંતિ માટે કામ કરવા અને ભારતના ભયાનક ભાગલાના પીડિતોના પુનર્વસન માટે સમર્પિત કર્યું. તેણીએ ૧૯૫૬થી ૧૯૬૨ સુધી રાજ્યસભામાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ(INC)નું પ્રતિનિધિત્વ કર્યું, સંસદના સભ્ય તરીકે બે વખત સેવા આપી હતી.
બેગમ નિશાતુન્નિસા મોહાનીનો જન્મ ૧૮૮૪માં અવધ, ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેઓએ મૌલાના હસરત મોહાની સાથે લગ્ન કર્યાં હતાં જેઓ બહાદુર સ્વતંત્રતા યોદ્ધા હતા અને જેમણે “ઇન્કિલાબ ઝિંદાબાદ” સૂત્ર આપ્યું હતું. બ્રિટિશ સત્તાના ઉગ્ર વિરોધી બેગમે મુક્તિ સંગ્રામના તત્કાલીન કટ્ટરપંથી બાળ ગંગાધર તિલકને ટેકો આપ્યો હતો.
મોહમ્મદ ઇસ્માઇલ સાહેબની પત્ની, હાજરા બીબી ઇસ્માઇલ, આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લાના તેનાલીના સ્વાતંત્ર્યયોદ્ધા હતાં. ખાદી અભિયાન ચળવળ માટે પોતાને પ્રતિબદ્ધ કરનાર આ દંપતી પર મહાત્મા ગાંધીની નોંધપાત્ર અસર હતી. ગુંટુર જિલ્લામાં, તેમના પતિ મોહમ્મદ ઇસ્માઇલે પ્રથમ ખદ્દર સ્ટોર ખોલ્યો, જેનાથી તેમને ‘ખદ્દર ઇસ્માઇલ’ તરીકે ઓળખવામાં આવે છે. હાજરા અને તેમના પતિએ ગાંધીને ટેકો આપ્યો હોવાથી, તેઓને મુસ્લિમ લીગ તરફથી ઉગ્ર દુશ્મનાવટનો સામનો કરવો પડ્યો હતો. રાષ્ટ્રીય ચળવળમાં તેમની સંડોવણી બદલ તેમના પતિની વારંવાર ધરપકડ કરવામાં આવી હોવા છતાં, હાજરા બીબીએ ક્યારે ય ઉત્સાહ ગુમાવ્યો ન હતો.
૨૧ ઑક્ટોબર, ૧૯૦૦ના રોજ ગુજરાતમાં કુલસુમ સયાનીનો જન્મ થયો હતો. તેણીએ ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લીધો અને સામાજિક અન્યાય સામે લડત આપી હતી. કુલસુમ અને તેના પિતા ૧૯૧૭માં મહાત્મા ગાંધીને મળ્યાં હતાં. ત્યારથી, તેણીએ ગાંધી સાથે સમગ્ર ભારતીય રાષ્ટ્રીય ચળવળ દરમિયાન, સામાજિક ફેરફારોની હિમાયત કરી હતી. ડૉ. જાન મોહમ્મદ સયાની, જે એક જાણીતા સેનાની હતા તેમની સાથે તેણીએ લગ્ન કર્યાં હતાં. તેના પતિના સમર્થન સાથે ભારતીય સ્વતંત્રતા સંગ્રામની સંખ્યાબંધ ઘટનાઓમાં સક્રિયપણે ભાગ લીધો હતો. તેણીએ અભણ લોકો માટે કામ શરૂ કર્યું અને ચરખા ક્લાસમાં જોડાઈ હતી. તેણીએ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના ‘જન જાગરણ’ ઝુંબેશ પર પણ નોંધપાત્ર અસર કરી હતી, જેણે સામાજિક રિવાજો અંગે જનજાગૃતિ વધારી હતી.
સૈયદ ફકરૂલ હાજિયા હસન, જેમણે માત્ર ભારતીય સ્વતંત્રતાની લડાઈમાં જ ભાગ લીધો ન હતો, પરંતુ તેમનાં બાળકોને પણ તેમાં ભાગ લેવા વિનંતી કરી હતી. તેણીનો જન્મ એક એવા પરિવારમાં થયો હતો જે ઇરાકથી ભારતમાં સ્થળાંતરિત થયો હતો. તેણીએ તેનાં બાળકોને સ્વાતંત્ર્ય-સેનાની તરીકે ઉછેર્યાં જેઓ પાછળથી “હૈદરાબાદ હસન બ્રધર્સ” તરીકે પ્રખ્યાત થયા.