આપણી કવિતાની સામાજિક નિસ્બત વિષે વિચારતાં જે કંઈ ઊગી આવ્યું તે આપ સમક્ષ વધુ વિચારાર્થે મૂકી રહ્યો છું. આ અંગત અવલોકનો છે જેના ઉપર વધુ વિચાર થઈ શકે. કશું પ્રતિપાદિત કરવાનો હેતુ નથી.
આઝાદીની ચળવળના કાળમાં પંડિતયુગની ચુસ્ત મરજાદી, દુર્ગમ અને ચોખલી કવિતા આરસનાં પગથિયાં ઊતરી લોકો વચ્ચે, લોકોની બનીને ધૂળમાં બેસી ગઈ હતી. ગાંધીપ્રભાવમાં પ્રવર્તતા લોકજુવાળને, લોકલાગણીને સીધી જ કવિતામાં ઝીલતી કવિતાઓ ગાંધીયુગમાં લખાઈ. આ એવી કવિતા હતી જે ભાવકોને પોતાની જ લાગણીનો પડઘો પાડતી જણાઈ. કેટલીક કવિતાઓ એ યુગના સંઘર્ષનું પ્રતિબિંબ બની ગઈ અને કેટલીક તો યુગપરિવર્તનની પ્રવર્તક પણ બની રહી. આ અગાઉની સુધારાવાદી કવિતાઓ પણ સીધા જ જીવાતા જીવનના સંદર્ભની કવિતાઓ હતી. અહીં કવિ એક કળાકાર હતો અને સાથેસાથે એક દાર્શનિક અને માર્ગદર્શક પણ હતો. પણ આઝાદી મળ્યા પછી પેલી ધૂળમાંથી ઊભી થયેલી, લોકોને પોતાની જ લાગતી ગુજરાતી કવિતા ધીરે ધીરે ફરીથી એકદંડિયા મહેલમાં રહેવા ચાલી ગઈ.
અહીં વાસ્તવવાદ, અતિવાસ્તવવાદ, અસ્તિત્વવાદ, સૌન્દર્યવાદ વગેરે પશ્ચિમી વિચારધારાઓની આંગળી ઝાલીને ગુજરાતી કવિતાએ તેની નિજી આંતરિક અને બાહ્ય સૌન્દર્યની ચરમસીમાઓને સ્પર્શવાના પ્રયત્નો કર્યા. કંઈક અંશે એક આગવી મુદ્રા પણ પ્રાપ્ત કરી. અનુગાંધીયુગ અને આધુનિકયુગમાં ગુજરાતી કવિતાએ તેનાં કલાકીય શિખરો સુપેરે સર કર્યાં અને ગુજરતી કવિતાને ઘણી કલાનિષ્ઠ કલમોએ રળિયાત કરી. ગુજરાતી ભાષાના, કવિતાના અને અભિવ્યક્તિના ઉત્ક્રાંતિગત વિકાસ માટે આ તબક્કો અતિ મહત્ત્વનો ગણાયો છે. આપણે નિશ્ચિતપણે ગુજરાતી કવિતાનો આ સુવર્ણકાળ ગણી શકીએ, જેમાં તેણે વૈશ્વિક ગતિવિધિઓ સાથે કદમ મિલાવ્યાં. પોતાની વૈશ્વિક ઓળખ બનાવી. પણ એ નોંધવું રહ્યું કે આ દરમ્યાન પેલી તેની જીવાતા જીવનના સંદર્ભની પકડેલી આંગળી ક્યાંક છૂટી ગઈ. કવિતાનું સંતુલન મોટે ભાગે (કેટલાક અપવાદોને બાદ કરતાં) કળા અને તેના આંતરિક સૌન્દર્ય તરફ જ ઝૂકેલું રહ્યું, ભાવક જાણ્યે અજાણ્યે વિસરાઈ ગયો.
આધુનિકયુગના ઊંડા પ્રભાવ દ્વારા તૈયાર થયેલી ભૂમિ પર આજનો કવિ ખેડાણ કરી રહ્યો છે. જરા આજની સ્થિતિ પર નજર કરીએ તો જણાય છે કે કવિતાઓમાં વિતેલા આધુનિકયુગના ઓઘરાળા સમા અતિ અંગત અનુભૂતિઓનાં અકળ ગૂંચળાં (નરી Personal Poetry), સપાટી પરના સામૂહિક છબછબિયાં અને કશે જ ના લઈ જતી વંધ્ય સંરચનાઓ વિખરાઈને પડી છે. નવા યુગનો સુરેખ ચહેરો કે સીધી જમીની હકીકતોમાંથી ઊભી થયેલી કોઈ બળકટ વિભાવના ઓછી નજરે ચડે છે.
પ્રશ્ન થાય છે કે શું આપણી સામાજિક ચેતના સતત ઉદ્દીપ્ત અવસ્થામાં નહીં રહેતી હોય ?(કમ સે કમ ગુજરાતી કવિતાની બાબતમાં ?) જોકે આ સામાજિક નિસ્બતના અભાવનું કારણ શું હોઈ શકે તે એક અલગ ચર્ચાનો વિષય છે. એવું પણ નથી કે સામાજિક સંદર્ભ એટલે અભાવ અને સંઘર્ષનો જ સંદર્ભ. ફકત દલિત કવિતા જ સામાજિક નિસ્બતની કવિતા નથી. આમ તો દરેક સાચ્ચી કવિતા એ કોઈ ને કોઈ આઘાતની પ્રતિક્રિયા રૂપે જ સર્જાતી હોય છે. અને કવિની આસપાસ બનતી બાહ્ય કે આંતરિક ઘટનાઓનો પ્રતિઘોષ તેની કવિતામાં પરોક્ષ રીતે પણ પડતો જ રહે છે. એ રીતે તો કોઈ પણ કવિતા જીવાતા જીવનની નિસ્બતની કવિતા ગણી શકાય. જો આમ જ થતું હોય તો તેની કવિતા દરેક ભાવકને પોતાના સંદર્ભની/પોતાની નિસ્બતની કવિતા લાગવી જોઈએ. જે હકીકતે બનતું નથી. અહીં સવાલ ભાવક પક્ષે જરૂરી પ્રતિબદ્ધતાનો તો છે જ પણ સર્જકના અભિગમનો પણ છે. અને અભિવ્યક્તિ બાબતે કેવો અભિગમ અપનાવવો તે દરેક કવિના મૌલિક અધિકારક્ષેત્રની બાબત છે. કવિની ક્ષમતા અને કયા હેતુ ( Motto ) સાથે કવિ કાવ્યસર્જન તરફ જાય છે તે પણ અહીં મહત્ત્વનું બની રહે છે.
બોલકા થઈ જવાના કાલ્પનિક ભયે કે વિવેચકો શું કહેશે એ વિચારે કવિઓ તેમની રચનાઓમાં સીધી સામાજિક નિસ્બતને ધરાર આવતી રોકી રહ્યા હોય તેવું પણ જણાય છે. તેમના આ વલણને શું કહેશું ? ફક્ત કવિતાના સૌન્દર્યની જ ચિંતા કર્યા કરતો આપણો કામઢો કવિ તેની ભીતરી અનુભૂતિને તો ક્યાંક અવગણી નથી રહ્યો ને ? જવાબ ‘ના’માં હોય તો સારું. હકીકતે કવિતાના આંતરિક અને બાહ્ય સૌન્દર્યને લેશમાત્ર હાનિ પહોંચાડ્યા વગર પણ સામાજિક નિસ્બતની સુંદર કવિતા લખી શકાય તેનાં સુખદ ઉદાહરણો કવિ સીતાંશુ યશશ્ચન્દ્ર, કવિ અનિલ જોશી સમેત અનેક કવિઓએ પૂરાં પાડ્યાં જ છે.
હાલ તો, આ ભ્રાંતિના આકાશને ચીરી નાંખતા એકાદ જંગલી બાવળની જરૂરત છે. અને આપણે બધા આવું કશું ના બને ત્યાં સુધી સ્વીકૃતિ અને અસ્વીકૃતિની સીમાઓમાં એક એક પગ રાખીને દહીં-દૂધમાં રમતાં ઊભાં છીએ.
તંત્રી-સંપાદક : “નિસ્યંદન”, 30 સપ્ટેમ્બર 2013
e.mail : mryogi62@gmail.com
![]()


તમે દભોલકર માર્ગના પેન્ટહાઉસ એપાર્ટમેન્ટમાં પગ મૂકો, જૂતાં ઉતારો ત્યારથી તતડામણી શરૂ થાય છે, ‘મોડા મોડા આવો છો!’ તમે ટેક્સી, ટ્રાફિક એવું બોલવા જાઓ ત્યાં તોપચી બોજો ગોળો છોડે છે, ‘વેપુલભાઈના પેપરમાં તારો લેખ વાંચ્યો,’ જે બયાન કરતાં કોઈ છૂપો ગુનો પકડાયાના આરોપની જેમ બોલાય છે. તમારા ખભે હાથ, પછી તમારા હાથમાં બ્લેક લેબલનો પ્યાલો, ‘તેં ગુજરાતી ફોન્ટ બનાવ્યા, પછી શું કર્યું, ભાષા માટે?’ રતિદાદાના કાન અને આંખ ક્ષીણ થતાં ગયાં છે, મોટેથી બોલે છે અને તમારે પણ બૂમ પાડીને જવાબ આપવાનું થાય છે તેથી—ઝડતીનો, આરોપોનો પીરિયડ પૂરો થયા પછી પણ— સામાન્ય વાતચીત તકરાર જેવી લાગે છે. રતિદાદા ઇકારના સ્થાન એકાર બોલતા હોય એવું સંભળાય છે, વેપુલભાઈ, જેવન, સામાજેક. પોતાનો બિઝનેસ કુશળતાપૂર્વક પૃથ્વીના ચારે ખૂણે ને દશે દેશાઓમાં ફેલાવી, ફૂલેલો ફાલેલો કારોબાર પોતાની લૂમે ઝૂમે ઝૂમતી લીલી વાડીને સોંપી રતિદાદા આરંભે છે જાહેર જીવનના, જૈન ધર્મની સંસ્થાઓના, સામાજિક કાર્યોના આદિ શ્રીમન્તોને પરિચિત ભ્રમણકક્ષાઓના રાઉન્ડ. અને ઊતરતી વાનપ્રસ્થ અવસ્થાએ રતિદાદા ફરી પ્રેમમાં પડે છે : જગતમાં પ્રવેશલા એક નવા કૌતુક મેકિનટોશ સાથે! પોતાની લંડન ઓફિસમાં કર્મચારીઓ અને ધબધબતા વાણિજ્યપ્રવાહોની મધ્યે એક નિર્લેપ દ્વીપ જેવા કમરામાં રતિદાદા મેકિનટોશ સાથે રમણ કરે છે. ઓફિસનું કોઈ ખલેલ કરતું નથી, દાદાને ગમતી પ્રવૃત્તિ મળ્યાનો આનંદ તેમના પરિવારજનોને છે. વિન્ડોઝનો જન્મ હજી થયો નથી, મેકિનટોશ એકમાત્ર યૂઝર ફ્રેન્ડલી કમ્પયુટર છે. દાદાને જલસો પડે છે લેખો કાગળો, નોંધો વગેરે મેક ઉપર લખવાનો, પણ બધું અંગ્રેજીમાં?
અચાનક એમના દિમાગમાં કૌંધે છે, આના ઉપર બીજી ઘણી ભાષાઓમાં લખાય છે તો ગુજરાતીમાં લખાય કે નહીં? દાદા મેકિનટોશને અને માઇક્રોસોફ્ટને તતડાવે છે, ગુજરાતી ફોન્ટ કેમ નથી મૂક્યા? દરમિયાન પૂનામાં ભારતીય લિપિ કમ્પયુટર ઉપર મૂકવાનાં સંશોધન ચાલે છે ત્યાં, અને રતિદાદાનાં દુનિયાભરમાં જ્યાં જ્યાં થાણાં છે ત્યાં ત્યાં ગુજરાતી ફોન્ટની તપાસ ચાલે છે. એ ક્રમે લોસ એન્જલસના એક લલ્લુએ મેક માટે વલ્લભ ફોન્ટ બનાવ્યાનું જાણી તેનો સંપર્ક કરે છે, અને ગગનવાલાના જીવનમાં એક ઐતિહાસિક મોડ આવે છે, તથા ‘બીજાં ગુજરાતી કીબોર્ડ કરતાં તારું કીબોર્ડ સહેલું છે’, અને (ગગનવાલાને માનવું ગમે છે કે,) તે શબ્દો સાથે ગુજરાતી ભાષાના ઇતિહાસમાં કમ્પયુટર પ્રવેશનો પ્રથમ પેરેગ્રાફ રચાય છે.
નહોતા એ સર્જક, નહોતા વિવેચક, નહોતા અધ્યાપક, અરે! એ પત્રકાર પણ નહોતા. અને છતાં ગુજરાતી ભાષાને એકવીસમી સદીમાં લઇ જવા માટે તેમણે એ સૌ કરતાં વધુ પુરુષાર્થ કર્યો. એમનું નામ રતિલાલ ચંદરિયા. ૧૯૨૨ના ઓક્ટોબરની ૨૪મી તારીખે નાયરોબીમાં જન્મ. ગયે અઠવાડિયે ૧૩મી ઓક્ટોબરે અવસાન. કોલેજનો અભ્યાસ પણ પૂરો કર્યો નહોતો. કુટુંબનો ધંધો સંભાળીને તેને ખૂબ વિકસાવ્યો, ઉદ્યોગપતિ બન્યા. દુનિયાના ૬૨ દેશોમાં તેમની કોઈ ને કોઈ કંપનીની શાખા છે. પણ એમની શાખ તો પ્રસરેલી છે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં. ખાસ્સી મોટી ઉંમરે તેઓ પ્રેમમાં પડયા – ના, ના. કોઈ વ્યક્તિના પ્રેમમાં નહિ, કમ્પ્યુટરના પ્રેમમાં. બીજાની થોડી અને પોતાની ઝાઝી મહેનતથી કમ્પ્યુટર વાપરતા થયા. પણ સ્ક્રીન પર બધું અંગ્રેજીમાં જ જોવા મળે, એ જમાનામાં. રતિભાઈને થયું : મારી ગુજરાતી ભાષા કમ્પ્યુટરના સ્ક્રીન પર કેમ નહિ? આજે તો માન્યામાં ન આવે તેવા ખાંખાંખોળાં કર્યાં, મથામણો કરી, પરસેવો પાડ્યો. પણ ધીમે ધીમે સાથીઓ મળતા ગયા. દિશા સૂઝવા લાગી. અને જન્મ થયો ‘ગુજરાતીલેક્સિકન ડૉટ કોમ’નો. આપણી ભાષાનો પહેલો ઓનલાઈન શબ્દકોશ. કોઈ પણ ગુજરાતી શબ્દની જોડણી જાણવા, અર્થ જાણવા, તેનો અંગ્રેજી પર્યાય શોધવા હવે મોટાં મોટાં થોથાં ઉથલાવવાની જરૂર નથી રહી. માઉસની એક ક્લિક કરો, જોઈતી જોડણી, અર્થ, પર્યાય જાણો. કહેવાય છે કે સંતોષી નાર સદા સુખી. પણ રતિભાઈનો જીવ જરા ય સંતોષી નહિ. એક ડીક્ષનરીથી કેમ ચાલે? ગુજરાતીનો સૌથી મોટો, સર્વગ્રાહી શબ્દકોશ કયો? ભગવદ્ગોમંડળ કોશ. તે આખેઆખો તેમણે મૂકાવી દીધો વેબસાઈટ પર. પછી પણ વખતો વખત તેમાં નવો ને નવો ઉમેરો થતો જ ગયો છે. હજી થોડા દિવસ પહેલાં જ, તિથિ લેખે રતિભાઈના જન્મ દિવસે ‘જંબલ-ફંબલ’ નામની રસપ્રદ કહેવત–રમત અને ગુજરાતી સુવિચારો ઉપરાંત ગુજરાતી-જાપાનીઝ અને ગુજરાતી-ચાઈનીઝ શબ્દકોશની મોબાઇલ ઍપ્લિકેશન રજૂ કરવામાં આવી છે.