પાકિસ્તાન પંજાબમાં કરતારપુર ખાતે કૉરિડોરનું ઉદ્દઘાટન કરતાં પાકિસ્તાનના વડા પ્રધાને કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં એક જ અડચણ છે, અને એ છે કાશ્મીરની. તેમણે કહ્યું હતું કે ‘હું જ્યારે પણ ભારત જઉં છું ત્યારે ત્યાંના લોકો મને સવાલ કરે છે કે પાકિસ્તાની લશ્કર ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાંતિમાં રોડા નાખે છે. આજે અંગત રીતે હું, પાકિસ્તાનનો વડો પ્રધાન, અમારો પક્ષ અને પાકિસ્તાની લશ્કર એક ભૂમિકાએ રહીને કહીએ છીએ કે એ ભારત સાથે સભ્ય સંબંધ (સિવિલાઈઝ્ડ રિલેશનશિપ) માટે આતુર છીએ.
હવે ઇમરાન ખાનના આ કથન સામે ભારતને વાંધો છે. શા માટે? કારણ કે તેમણે કાશ્મીરનો ઉલ્લેખ કર્યો. એક સત્તાવાર નિવેદનમાં ભારત સરકારે કહ્યું છે કે કરતારપુર કૉરિડોરના ઉદ્દઘાટન જેવા પવિત્ર પ્રસંગે પાકિસ્તાનના વડા પ્રધાને કાશ્મીરનો ઉલ્લેખ નહોતો કરવો જોઈતો. ભારતનાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે કહ્યું છે કે ભારત પાકિસ્તાનમાં યોજાનારી સાર્ક દેશોની પરિષદમાં ભાગ નહીં લે.

સાર્ક દેશોના ચાર્ટર મુજબ સાર્કની શિખર પરિષદ જે દેશ સાર્કનું નેતૃત્વ કરતો હોય એ દેશમાં યોજાય છે અને નેતૃત્વ વારાફરતી દરેક સભ્ય દેશને મળે છે. અત્યારે પાકિસ્તાન સાર્કનું નેતૃત્વ કરી રહ્યું છે. સાર્કની સ્થાપના થઈ ત્યારથી એવું બનતું આવ્યું છે કે જ્યારે પણ પાકિસ્તાન સાર્કનું નેતૃત્વ કરતું હોય, ત્યારે ભારત ત્રાસવાદના વાંધાવચકા કાઢીને શિખર પરિષદનો બહિષ્કાર કરે છે, જેને પરિણામે સાર્કનો રથ આગળ જ નથી વધી શકતો. જગતનાં ઘણાં બ્લોકસ (સમહિતાર્થી દેશોના જૂથ) પરિણામ આપતાં થયાં છે, માત્ર સાર્ક જ તેમાં વાંઝિયું છે અને તેને માટે ભારત અને પાકિસ્તાન જવાબદાર છે.
અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે પાડોશી પૂછીને નથી મળતાં અને તેની સાથેના પ્રશ્નોમાં કોઈ પસંદગી નથી હોતી. તેમણે એ પછી આગળ વધીને કહ્યું હતું કે પસંદગી ઉકેલની હોય છે. ત્યાં નિયતિ કામ નથી કરતી, વિવેક કામ કરે છે. વાજપેયીને કેટલીકવાર નેહરુ સાથે સરખાવવામાં આવે છે, એ આ કારણે. જે પાડોશી મળ્યો એ મળ્યો અને એની સાથેના જે પ્રશ્નો આવ્યા એ આવ્યા. ઉકેલ આપણા હાથમાં છે જો વિવેક હોય તો. બને છે એવું કે ભારત અને પાકિસ્તાન ઘરઆંગણેની રાજકીય જરૂરિયાતને કેન્દ્રમાં રાખીને સાર્કને બાન પકડે છે. જમ્મુ અને કાશ્મીરનો પણ રાજકીય ઉપયોગ કરવામાં આવે છે.
આપણા વડા પ્રધાને ભારત અને પાકિસ્તાન વચ્ચેની બર્લિનની દીવાલ તોડી નાખવાની વાત કરી હતી. બોલવા મળે ત્યારે કાં તો ગાંધી થઈ જવાનું અને અને કાં સીધા લડવૈયા સૈનિક બની લલકારવાનું. વચ્ચેની ભૂમિ શોધવાની જ નહીં. આમ ઇમરાન ખાનનું નિવેદન બર્લિનની દીવાલ જેવું હોઈ શકે છે. ઇમરાન ખાન તોળીને બોલવા માટે અને વિવેક જાળવી રાખવા માટેની કોઈ ખ્યાતિ નથી ધરાવતા. હા, ત્યારે તેઓ વિરોધ પક્ષમાં હતા અને અને અત્યારે તેઓ શાસક છે એટલે ભાષા બદલાઈ હોય એ શક્ય છે. તેઓ કેટલા પોતાના શબ્દોની બાબતે ઈમાનદાર છે એની હવે ખબર પડશે.
સવાલ એ છે કે પ્રશ્નોને હાથ નહીં ધરો તો પ્રશ્ન ઉકેલાશે કઈ રીતે? આપણે જ પ્રશ્ન હાથ ધરવા પડતા હોય છે અને આપણે જ ઉકેલવા પડતા હોય છે. બાકી અત્યારે રાજકીય સ્વાર્થ સાધીને સળગતો પ્રશ્ન સંતાનોને આપી જવા જેટલા સ્વાર્થી બાપ હો તો જુદી વાત છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે દાયકાઓથી આવું જ થઈ રહ્યું છે. બીજું, કોઈ એમ તો કહેતું નથી કે આંખ બંધ કરીને ઇમરાન ખાનના ખોળામાં માથું મૂકી દો. વિદેશ વ્યવહાર સાવધાની સાથેના ભરોસા પર ચાલતો હોય છે. વિદેશ વહેવાર શા માટે, જગતનો દરેક વહેવાર આ રીતે જ ચાલતો હોય છે. પાકિસ્તાનમાં સત્તાપરિવર્તન થયું છે તો ભારતે એક અજમાયશ કરી લેવી જોઈએ.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં એક માત્ર અડચણ કાશ્મીર છે એવું ઇમરાન ખાને કહ્યું છે તો એમાં ખોટું શું કહ્યું છે? ભારતમાં ધાવણું બાળક પણ આ વાત જાણે છે. છાશ લેવા જવું અને દોણી સંતાડવાનો કોઈ અર્થ છે? કાશ્મીરની પ્રજા સાથે વાત કરવાની આવે ત્યારે કહેવામાં આવે કે જમ્મુ અને કાશ્મીર ભારતની અંગત બાબત છે. વિદેશોના મંચ પર કહેવામાં આવે કે જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય પ્રશ્ન છે એટલે ત્રીજા પક્ષકારને એમાં દરમ્યાનગીરી કરવા દેવામાં નહીં આવે. આવું ભારતે એક વાર નહીં સાત દાયકામાં સાતસો વાર કહ્યું હશે.આવાં બે છેડાનાં વલણ ભારત સરકાર સાત દાયકાથી અપનાવતી આવી છે. જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન કાશ્મીરની પ્રજા સાથેનો અંગત પ્રશ્ન છે તો મોટાભાઈ તરીકે કે બાપ તરીકે કાશ્મીરની પ્રજાને હૂંફ આપો ને! આપણા ઘરમાં આપણે આવું વલણ નથી અપનાવતા? હૂંફ આપશો અને કાશ્મીરીઓનાં દિલ જીતી લેશો એટલે આપોઆપ પાકિસ્તાન એક પક્ષકાર તરીકેની અને વિશ્વદેશો મધ્યસ્થ તરીકેની ભૂમિ ગુમાવી દેશે. પણ કાશ્મીરની સળગતી સમસ્યાનો બાકીના ભારતમાં રાજકીય ખપ છે તેનું શું? જો જમ્મુ અને કાશ્મીર એ પાકિસ્તાન સાથેનો દ્વિપક્ષીય પ્રશ્ન છે તો પાકિસ્તાન પક્ષકાર બન્યું કે નહીં? અને જો એમ હોય તો ઇમરાન ખાને શું ખોટું કહ્યું છે? સ્વાભાવિકપણે પાકિસ્તાન સાથે જમ્મુ અને કાશ્મીર અંગે વાત કરવી રહી અને ભારતે ભૂતકાળમાં અનેકવાર કરી પણ છે.
૨૦૧૪માં એક મજેદાર પ્રસંગ બન્યો હતો. ૨૦૧૪ના ઑગસ્ટ મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સચિવ સ્તરે ઇસ્લામાબાદમાં વાતચીત થવાની હતી. બેઠકના બે દિવસ પહેલાં ભારત ખાતેના પાકિસ્તાનના એલચીએ કાશ્મીરના હુર્રિયતના નેતાઓને મળવા બોલાવ્યા. એલચી કહે છે કે હુર્રિયતના નેતાઓ બેઠક પહેલાં તેમનો પક્ષ રાખવા માટે મળ્યા હતા, એટલે એ મિટિંગ હુર્રિયતના નેતાઓના કહેવાથી યોજાઈ હતી. ભારતે આનો વિરોધ કરીને સચિવના સ્તરની મંત્રણા રદ કરી નાખી હતી. શા માટે? કારણ કે જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન ભારત અને પાકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષીય બાબત છે અને તેમાં કાશ્મીરની પ્રજા સુદ્ધાં પક્ષકાર ન હોઈ શકે. એક બાજુ કહો છો કાશ્મીરનો પ્રશ્ન અમારો અંગત પ્રશ્ન છે અને બીજી બાજુ પોતાની જ પ્રજા ત્રીજો પક્ષકાર બની ગઈ? અને પાકિસ્તાન બીજો પક્ષકાર બની ગયું? ત્યારે ભારતના નિર્ણયની ઘણી ટીકા થઈ હતી, કારણ કે વિસંગતિમાં કોઈએ વિચાર્યું નહોતું એવું નવું પરિમાણ ઉમેરાયું હતું. એ પછી ઇન્ડોનેશિયાની મદદ સાથે ત્રીજા દેશમાં છૂપી મંત્રણા કરવી પડી હતી એ જૂદી વાત છે.
રોકડી હકીકત એ છે કે જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન ભારત માટે આંતરિક પ્રશ્ન પણ છે અને પાકિસ્તાન સાથેનો દ્વિપક્ષીય પ્રશ્ન પણ છે. બંન્ને પ્રશ્નો એક સાથે અસ્તિત્વ ધરાવે છે એટલે તેનો એ રીતે સ્વીકાર કરવો રહ્યો. ક્યારેક બર્લિનની દીવાલ જેવો સહેજે તોડી શકાય એવો માખણ જેવો બની જાય અને ક્યારેક માથું અફળાવો તો લોહી નીકળે એવો બની જાય એનો શો અર્થ છે? તેને તેના સાચા સ્વરૂપમાં સ્વીકારોને! અને સાવધાન રહેતા ક્યાં કોઈ રોકે છે? પણ આપણું ઘર બળતું રાખીને રાજકીય લાભ લેવો હોય તો? કાશ્મીર સાથે સાત દાયકાથી આમ કરવામાં આવી રહ્યું છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 30 નવેમ્બર 2018
![]()


નવજીવન પ્રકાશને ‘સત્યના પ્રયોગો’ની સમીક્ષિત આવૃત્તિ બહાર પાડી છે. ગાંધી વિચારના આપણા સમયના ગુજરાતના બહુ જાણીતા અભ્યાસી અને અનુવાદક ત્રિદીપ સુહૃદે તૈયાર કરેલી 685પાનાંની આ આવૃત્તિની એક વિશેષતા હાંસિયા નોંધો છે. અડતાળીસ પાનાંના પુરોવચનને અંતે સમીક્ષક ત્રિદીપ જણાવે છે : ‘એક પ્રકારની નોંધ, અંગ્રેજી અને ગુજરાતી ભાષાની આત્મકથા વચ્ચે પારસ્પર્ય ઊભું કરે છે. બીજા પ્રકારની નોંધ વ્યક્તિ, તારીખ, પ્રસંગ, પુસ્તક, સંસ્થા વિશે છે.’ ‘હિન્દ સ્વરાજ’ અને અંગ્રેજી આત્મકથાની સટીક આવૃત્તિઓ તૈયાર કરનાર ત્રિદીપ એમ પણ જણાવે છે કે ‘આવા ગ્રંથની સમીક્ષિત આવૃત્તિ આપણી ભાષા અને બૌદ્ધિક પરંપરામાં હોવી જોઈએ તેવી માન્યતાથી આ પ્રયાસ પ્રેરાયો છે.’ આવી આવૃત્તિ અત્યાર સુધી કેમ નહોતી એવો અચંબો પણ – જેની મહત્તાનો જોવાથી જ ખ્યાલ આવી શકે તેવું – આ પુસ્તક જોતાં થાય છે.
મેળામાંથી યજ્ઞ પ્રકાશનનાં પુસ્તકો ભેટ મળ્યાં. ‘ગાંધી ઍન્ડ ધ અનસ્પીકેબલ : હિઝ ફાઇનલ એક્સપરિમેન્ટસ વિથ ટ્રુથ’ ગાંધી હત્યાને કેન્દ્રમાં રાખીને મહાત્માનાં જીવનકાર્ય વિશે વાત કરે છે. તેને મુંબઈનાં પત્રકાર, લેખક અને અનુવાદક સોનલ પરીખ ગુજરાતીમાં લાવ્યાં છે. પુસ્તકનું સહુથી લાંબુ પંચોતેર જેટલાં પાનાંનું પ્રકરણ ‘ગાંધી અને તેમના હત્યારા’ પ્રકાશન સંસ્થાનાં સેક્યુલર કૉઝ માટેનાં સરોકાર અને હિમ્મત બતાવે છે. ‘એક અનન્ય મૈત્રી : મહાત્મા અને મીરાં’ સોનલબહેનનું જ મૌલિક હૃદયસ્પર્શી પુસ્તક વિષય માટેના ઊંડા લગાવ, તેના ઘણા અભ્યાસ અને ઉત્કટ અભિવ્યક્તિથી લખાયું છે. મીરાંબહેન તે મેડેલિન સ્લેડ (1892-1982) કહેવાની ભાગ્યે જ જરૂર હોય.
ગાંધી પરનાં હમણાંનાં પુસ્તકોની વાત છે ત્યારે રામચન્દ્ર ગુહા લિખિત ગાંધી ચરિત્રના બીજા ભાગ ‘ગાંધી: ધ યર્સ ધૅટ ચેન્જ્ડ ધ વર્લ્ડ 1914-1948’(પેન્વિન રૅન્ડમ હાઉસ)નો ઉલ્લેખ થવો જોઈએ. મોટાં કદનાં 1150 પાનાંનો આ ગ્રંથ ‘ગાંધી બિફોર ઇન્ડિયા’(2013)નું અનુસંધાન છે. જંગમ સંશોધન, આધાર સાથેની વૈચારિક ભૂમિકા અને વાચનીય રજૂઆત એ ગુહાનાં લખાણોની લાક્ષણિકતા ગાંધી-ગ્રંથોનાં જૂજ પાનાંમાંથી પસાર થતાં ય જણાઈ આવે છે.
ગાંધીજીએ સૉક્રટિસ પર ‘એક સત્યવીરની કથા’ નામની નોંધપાત્ર પુસ્તિકા લખી છે તે પ્રસિદ્ધ કરનાર નવજીવન પાસેથી તાજેતરમાં ‘સૉક્રેટિક ડાયલૉગ્ઝ’ પુસ્તક મળે છે. ગ્રીસના તત્વચિંતક પ્લેટો(ઇ.પૂ. 427-347)એ માર્ગદર્શક સૉક્રટિસ (ઇ.પૂ. 477-399) સાથે કરેલા સંવાદોનું અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ચિત્તરંજન વોરાએ ભાષાંતર કર્યું છે. પ્રાચીન ગ્રીક સાહિત્યમાંથી પ્લેટોનાં ‘રિપબ્લિક’, એરિસ્ટોટલનાં ‘પોએટિક્સ’ પુસ્તકો અને ઇસ્કીલસ-સોફોક્લિઝ-યુરિપિડિઝનાં શોકનાટ્યોના અનુવાદ પછી બહુ લાંબા ગાળે આ વર્ગનું મહત્ત્વનું પુસ્તક આપણી ભાષામાં આવ્યું છે. અંગ્રેજી પાઠ પર સહેજ નજર કરતાં સમજાય છે કે તેને બીજી ભાષામાં લઈ જવામાં ક્લિષ્ટતા કે વિષયને ન છાજે તેવી અણઘડ સાદાઈ પ્રવેશવાની સંભાવના છે. ચિત્તરંજનભાઈએ આમ થવા દીધું નથી. એટલે અનુવાદ સાફસૂથરો બન્યો છે. બધાં પ્રકારનાં વિશેષનામો ગુજરાતીમાં લખવામાં ખાસ કાળજી દેખાય છે. મૂંગા રહીને કામ કરતાં રહેનારા ગાંધીવાદી અર્થશાસ્ત્રના પૂર્વ અધ્યાપક ચિત્તરંજને જૉન રસ્કિનનાં ‘અન ટુ ધિસ લાસ્ટ’ અને લિઓ ટૉલ્સ્ટૉયનાં ‘ધ કિન્ગડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યુ’ (વૈકુઠ તારા હૃદયમાં છે) એવાં ખૂબ પ્રભાવક પુસ્તકોનો અનુવાદ કર્યો છે.
ગુજરાત સાહિત્ય અકાદમીનાં મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’ના યાદગાર પૂર્વ સંપાદક અને કવિ હર્ષદ ત્રિવેદીનું ‘સરોવરના સગડ’ (ડિવાઇન પબ્લિકેશન્સ) એ દિવંગત સાહિત્યકારોનાં શબ્દચિત્રોનો એવો સંગ્રહ છે કે જે પૂરો વાંચ્યા વિના અળગો ન થઈ શકે. અહીં છે : એક પેઢીના ઉમાશંકર, દર્શક, યશવંત શુક્લ, રમણલાલ જોશી અને જયંત કોઠારી; ત્યાર પછીના ભોળાભાઈ, ઉશનસ, રાજેન્દ્ર- નિરંજન; પછીના કવિઓ લાભશંકર, ચીનુ મોદી, જગદીશ વ્યાસ; એકંદરે તળપદના હજારો વાચકો સુધી પહોંચેલા લોકધર્મી સાહિત્યકારો દિલીપ રાણપુરા, મીનપિયાસી અને બાપુભાઈ ગઢવી; પુસ્તકનિર્માણના કસબી રોહિત કોઠારી. લોકસંગ્રહી પ્રેમાળ સર્જક હર્ષદભાઈને ઘડતર અને કારકિર્દીના જુદા જુદા તબક્કે આ સાહિત્યકારોનો સહવાસ થયો છે. તેમને લેખકે ‘અંગત નિસબત, પંચેન્દ્રીયથી જેવા અનુભવ્યા એવા જ આળેખ્યા છે’. વ્યક્તિત્વનાં અનેક પાસાં સિફતથી પકડ્યાં છે, મહત્તા બરાબર ઉપસાવી છે, મર્યાદા ક્યારેક વ્યંજના તો મરમાળા મલકાટથી બતાવી છે. ભાષાની મિરાતથી વાચક ન્યાલ થઈ જાય છે. જૂની મૂડી જેવા શબ્દપ્રયોગોને લેખક માંજીને ચમકાવે છે. આપણાં સમયમાં વાડીલાલ ડગલી, જયંત પંડ્યા, રઘુવીર ચૌધરી અને મનસુખ સલ્લામાંથી દરેક પાસેથી મળેલાં વ્યક્તિચિત્રોનાં એક એક શ્રેષ્ઠ પુસ્તકની સાથે હર્ષદભાઈનું પુસ્તક પણ શોભશે.
તમે રે તિલક રાજા રામના.. ગીત વિશે ગતાંકમાં લખેલા લેખ પછી અનેક વાચકોના અભિનંદન માટેના ફોન કોલ્સ અને મેસેજ આવ્યા. પણ દરેકને પ્રશ્ન હતો કે ‘મારી આંખે કંકુના સૂરજ’ ગીત વિશે ક્યારે લખશો? મેં કહ્યું, "હા ભાઈ હા, એના વિશે તો લખવું જ પડે ને! પરંતુ, આંખે કંકુના … ગીત એવું છે કે એ લખ્યા પછી રાવજીનાં બીજાં કોઈ ગીતની વાત ના થઇ શકે. ગળે ડૂમો બાઝ્યો હોય, હૈયું બોઝિલ હોય અને કલમ અટકી ગઈ હોય ત્યારે બીજાં કયાં ગીતની કથા માંડવી? એટલે પહેલાં જ તમે રે તિલક…ની વાત કરી દીધી. આજે હવે આંખે કંકુના સૂરજની વાત લખતાં પહેલાં જ ઉદાસી ઘેરી વળી છે. કાવ્યનો એક એક શબ્દ એક એક અશ્રુનો મોહતાજ છે. જિંદગીની સફરમાં છેલ્લું સ્ટેશન છે મૃત્યુ. મૃત્યુની ગમગીની વ્યક્ત કરતું આનાથી કરુણ ગીત મેં નથી સાંભળ્યું. આ ગીત જેટલી વાર વાંચ્યું, સાંભળ્યું કે ગાયું છે ત્યારે અશ્રુધારા અટકી નથી. એ કમાલ છે ગીતના શબ્દોની, કારુણ્યસભર રાગ શિવરંજનીના સ્વરોની, અજિત શેઠના સ્વરાંકનની અને ભૂપિન્દર સિંહના ઘેરા અવાજની. અતુલ દેસાઈ, રાસબિહારી દેસાઈ અને ભૂપિન્દર સિંહ એ ત્રણેયના અવાજમાં આ ગીત સાંભળ્યું છે. ત્રણેય સ્વરાંકનો સરસ છે, પરંતુ ભૂપિજીના ઘેરા અવાજનું દર્દ કે પછી રાગ શિવરંજનીના સ્વરો, એ જે હોય તે, પણ હલબલાવી મુકે છે, રડાવી દે છે. શબ્દો અને સંગીત બન્ને હૃદયની આરપાર નીકળી જાય એવાં!
આ ગીતમાં લગ્ન અને મૃત્યુની વાત સમાંતરે ચાલે છે. જીવન હજુ તો શરૂ જ થયું છે અને મોત માથે ભમી રહ્યું છે! કાવ્યનો નાયક પરિણીત યુવાન છે. મૃત્યુને પ્રત્યક્ષ જોતાં જ એને પહેલો વિચાર પત્નીનો આવે છે. પત્નીનું સૌભાગ્યચિહ્ન કંકુનો ચાંદલો. એ ચાંદલો પોતાની ‘આથમતી’ આંખે ભૂંસાઈ જતો કવિને દેખાય છે. પત્નીના વૈધવ્યનું સાક્ષાત્ દર્શન થાય છે. યુવા વયે પત્નીનું વૈધવ્ય, ભુસાંતો ચાંદલો એ હૃદય વલોવી દેનારી ઘટના છે. લગ્નમાં થતી તૈયારીની જેમ જ કવિ મૃત્યુને શણગારવાની વાત કરે છે : ‘મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો, રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!’ આ ‘વીરા’ શબ્દનું અર્થઘટન નિશીથ ધ્રુવ નામના એક ભાવકે સરસ કર્યું હતું એ અહીં યાદ આવે છે. મન્ના ડેનું ગીત લાગા ચુનરી મેં દાગ આપણે સૌ જાણીએ છીએ. એમાં એક પંક્તિ આવે છે, વો દુનિયા મેરે બાબુલ કા ઘર, યે દુનિયા સસુરાલ … એટલે કે પરલોક એ તો મારું પિયર છે. ત્યાં તો ઈશ્વર વસે છે. એટલે અહીં કવિએ વીરા શબ્દ છે પ્રયોજ્યો છે એ માતા પિતા કે ભાઈ સમાન ઈશ્વરની જ વાત હોઈ શકે. આખી જિંદગી વેદના સાથે જીવ્યા છતાં કવિ અહીં જીવનને શણગારે છે! કવિ કહે છે: ‘પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા, ડૂબ્યા અલકાતા રાજ, ડૂબ્યા, મલકાતા રાજ’. પીળો રંગ અહીં પાનખરનો રંગ છે, જિંદગી ખરી પડવાનું પ્રતીક છે, જ્યારે લીલો રંગ વસંતનો, યૌવન અને જિંદગીનો રંગ છે. ભરજુવાનીમાં હણહણતા ઘોડા જેવી શક્તિઓ ક્ષીણ થઈને ડૂબી રહી છે. હણહણતા ઘોડા યૌવનનું પ્રતીક છે. સોનેરી સપનાંઓ જોયાં પહેલાં જ પૂરાં થઈ ગયાં છે. આયુષ્યની પાનખર આંગણે આવી ગઈ છે. કવિ આગળ કહે છે: મને રોકે પંછાયો એક ચોકમાં, અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો, મને વાગે સજીવી હળવાશ. આ પડછાયો પત્નીનો છે જે પતિને રોકી રહ્યો છે. પતિની વિદાય વેળાએ મૃત્યુને અટકાવવા ઊભો થયેલો પત્નીનો હાથ અધવચ્ચે જ અટકી જાય છે. ઝાંઝરની ઘૂઘરીઓનો રણકાર પણ ચોકમાં આવી એને રોકે છે ત્યારે મૃત્યુને પણ એ સજીવી હળવાશ ભોંકાઈ હશે. લગ્નજીવનનો હજુ તો આરંભ છે, કેટકેટલાં ઓરતાં બાકી છે, પણ મૃત્યુનો ઓછાયો એ સપનાંને ટૂંપી રહ્યો છે. છેલ્લા શ્વાસ લઇ રહેલી વ્યક્તિને અંતિમ ક્ષણોમાં સૌથી વધારે દુ:ખ સ્વજનોથી વિખૂટા પડવાનું થતું હોય છે. વ્હાલસોયી કાવ્યનાયિકાના ગળે ડૂમો ભરાઈ ગયો છે, આઘાતને કારણે પગ નથી ઊપડતા. એ રોકી રહી છે પ્રિયજનને …! મૃત્યુના મહોત્સવનું આ કાવ્ય મૃત્યુના દર્દને ય ખુમારીપૂર્વક ગળે લગાડે છે. શું અદ્દભુત કલ્પનો પ્રયોજ્યા છે કવિએ આ કવિતામાં! અહીં કલ્પનો છે, સંવેદના છે, હૃદયમાંથી ઊભરતી ટીસ છે. આ એક જ મૃત્યુ ગીત રાવજી પટેલને અમર કરવા માટે પૂરતું છે.
આ ગીતના સ્વરાંકન વિશે અજીત શેઠના પુત્ર અભિજિત શેઠ જણાવે છે કે "આંખે કંકુના સૂરજ આથમ્યા’ કેસેટનું રેકોર્ડિંગ થઇ રહ્યું હતું ત્યારે હું પપ્પાના આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. આ ગીતને રેકોર્ડ કરતાં ત્રણ દિવસ લાગ્યા હતા, કારણ કે ગીતના આરંભમાં શરણાઈનો જે ટુકડો છે એ પપ્પા જે પ્રકારે ઇચ્છતા હતા એવો આવી રહ્યો નહોતો. શરણાઈ વાદક પાસે કેટલી ય વાર રિહર્સલ કરાવ્યું તો ય એમને ધાર્યું પરિણામ તો ના જ મળ્યું. ગીત ધ્યાનથી સાંભળો તો શરણાઈનો પનો જરાક ટૂંકો જણાઈ આવે છે. છેવટે ત્રીજા દિવસે મોડી રાત્રે ત્રણ વાગે પપ્પાએ ટેક ઓકે કર્યો હતો. બીજા અંતરામાં વાઈબ્રોફોન સ્હેજ મોડું શરૂ થયું હતું. આ બંને ક્ષતિઓ ગીત તમે ધ્યાનથી સાંભળો અને સંગીત જાણતા હો તો ઓળખી શકો. અલબત્ત, ભૂપિજીએ પૂરી તૈયારી કરીને આ ગીતમાં જાન રેડી દીધો હતો. એ પોતે આ ગીતથી એવા પ્રભાવિત થઈ ગયા હતા કે એમણે પોતે આ ગીતમાં ગિટારના સ્ટ્રોક્સ વગાડયા છે.