કોવિડ-૧૯ની સૌથી વધુ અસર મોટી ઉમરની વ્યક્તિઓને થાય છે. એટલે અમદાવાદ મહાનગરપાલિકાએ લૉક ડાઉનના માસિયે વડીલોની સવિશેષ સંભાળ માટેનું અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી. પરંતુ વડાપ્રધાને તો લૉક ડાઉન શરૂ થયું ત્યારથી જ આવું અભિયાન શરૂ કરી દીધું હતું. કોરોના તો એની ગતિએ વધઘટ થયા કરશે, પણ નવરાશ મળી છે તો લાવ, જરી ખબરઅંતર લઈ લઉં — એમ માનીને વડાપ્રધાને વડીલસ્મરણવંદનાનો કાર્યક્રમ શરૂ કરી દીધો.
અખબારી અહેવાલો મુજબ, વડાપ્રધાનનું આ અભિયાન “તને સાંભરે, મને કેમ વિસરે રે” પ્રકારનું છે. અત્યાર સુધી તેમણે ગુજરાત અને ગુજરાત બહાર જેમનો પણ ટેલિફોનિક સંપર્ક કર્યો છે તેને, “તમે મને યાદ કરતા હતા કે નહીં?“ એવું જરૂર પૂછ્યું છે. અહેવાલો મુજબ તો તે, લૉક ડાઉનમાં વડાપ્રધાનની લોકપ્રિયતા માપતી એજન્સીઓની જેમ, “મારા લૉક ડાઉનના પગલાંથી લોકોને કેવું લાગે છે?” તેવું પણ પૂછતા હોવાનું જાણવા મળે છે.
આત્મરાગના જણ તરીકે વડાપ્રધાન માટે આવા સવાલોની નવાઈ ન લાગવી જોઈએ. પરંતુ તેમણે જે લોકોનો સંપર્ક કર્યો છે તે તમામ કાં તો જન સંઘના કે ભા.જ.પ.ના નિવૃત્ત રાજકારણીઓ છે. વડાપ્રધાનને અને તેમના સમર્થકોને તે ભા.જ.પ.ના નહીં, દેશના વડાપ્રધાન છે એમ કહેવડાવવાનું બહુ ગમે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે વડાપ્રધાન જો આખા દેશના હોય તો તેમને શું થોડા ય પોતાના પક્ષ બહારના લોકો આવા આફત કાળમાં ખબરઅંતર લેવા જેવા નથી લાગતા? વળી માત્ર રાજકારણી જ કેમ તેમની યાદીમાં છે? વાંકદેખાઓ તો એમ પણ પૂછી શકે કે નરેન્દ્રભાઈ પંદર વરસ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા ત્યારે, આજે તે જે વડીલોની સ્મરણવંદના કરે છે તેમનો ક્યારે ય ભાવ પૂછ્યો હતો ખરો?
વડાપ્રધાનને રાજકારણના અને તે ય માત્ર પોતાના પક્ષના જ રાજકારણીઓ સાથે સંબંધ હોય તે તેમના પુરોગામી વડાપ્રધાનોનું બૌદ્ધિક કદ જોતાં અનેક સવાલો જન્માવે છે. ૨૦૧૪ પછી પદ્મશ્રી પામેલા ડઝનેક ગુજરાતીઓ વડાપ્રધાનની વડીલવંદનામાં સામેલ થઈ શકે તેવા છે. તેમાંના ઘણા તો વડા પ્રધાને તેમના મુખ્ય મંત્રી અવતાર વખતે અમદાવાદમાં એક સાહિત્યિક કાર્યક્રમમાં જણાવી હતી તેવી વ્યાખ્યા મુજબના રાજકારણીઓ પણ છે. વડાપ્રધાન એમના પણ ખબરઅંતર ન લે એ તો કેવું ? વડાપ્રધાને ભા.જ.પ.ના વડાપ્રધાન મટી ભારતના વડાપ્રધાન થવું હશે તો તે માટેનો પ્રયત્ન તેમણે જાતે જ કરવો પડશે. સૌનો સાથ જ નહીં લો તો સૌનો વિશ્વાસ ક્યાંથી મેળવી શકશો?
e.mail : maheriyachandu @gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 28 ઍપ્રિલ 2020
![]()



ભારતમાં શીતળા માતાને ઓરી-અછબડા, ફોડલાની દેવી કહેવાય છે. ભારતમાં ૨૦૦ વર્ષ સુધી ઓરી-અછબડાની બીમારી રહી હતી. (૧૯૮૦માં વિશ્વ આરોગ્ય સંગઠને પૃથ્વી પરથી તેની સંપૂર્ણ નાબૂદીની જાહેરાત કરી હતી). એ ચેપી રોગ હતો, અને તેમાં બાળકોની ચામડી બળતી હતી અને ગરમ ફોડલા થતા હતા. રોગની કોઈ વૈજ્ઞાનિક સમજ ન હતી, એટલે તેને દેવી માતાનો પ્રકોપ માનવામાં આવતો હતો, અને દેવીને પ્રાર્થના કરવાથી શરીર ઠંડું થાય છે, તેવી માન્યતાથી રોગનું નામ શીતળાનો રોગ અને તેનો ઉપચાર કરાવનાર દેવીનું નામ (શીતળ પરથી) શીતળા માતા રાખવામાં આવ્યું હતું. સ્કંધપુરાણમાં હાથમાં લોટો, પંખો અને ઝાડું ધારણ કરીને ગદર્ભ પર બિરાજમાન દેવી તરીકે શીતળા માતાની કલ્પના કરવામાં આવી છે.
બીજી અને છઠ્ઠી સદીની વચ્ચે. રોમન સામ્રાજ્યમાં અનેક મહામારીઓ ફેલાઈ હતી. ઇસુ પૂર્વે ૧૬૫થી ૧૮૦ વચ્ચે અને ૫૪૧થી ૫૪૨ વચ્ચે યુરોપ અને એશિયામાં પ્લેગનો રોગ પ્રસર્યો હતો. પહેલામાં ૫૦ લાખ લોકો અને બીજામાં ૫ કરોડ લોકો માર્યા ગયા હતા. એમાંથી ભારતમાં દક્ષિણ એશિયાની પહેલી દેવી ‘હરીતી’નો ‘જન્મ’ થયો હતો. પ્રથમ સદીમાં આજના પેશાવરની આસપાસનો વિસ્તાર ગાંધાર કહેવાતો હતો (મહાભારતમાં જેના રાજા શકુની હતા. ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી આ પ્રદેશની હતી), અને ત્યાં બૌદ્ધ પરંપરામાં ‘હરીતી’ની પૂજા શરૂ થઇ હતી. તે રાક્ષસી હતી અને નવજાત શિશુઓને ઉઠાવી જઈને તેમને ખાઈ જતી હતી. બુદ્ધે તેની ભ્રષ્ટ મતિને ઠીક કરી, પછી હરીતી ઓરી-અછબડાથી શિશુઓનું રક્ષણ કરનારી દેવી બની ગઈ.