અધ્યાપનકાળના કેટલાક બનાવો (3) …
સપ્ટેમ્બર ૧૯૭૭માં હું ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનમાં જોડાયો. ૨૭ વર્ષનો મારો દીર્ઘમાં દીર્ઘ અધ્યાપનકાળ ભાષાભવનમાં વીત્યો છે. લૅકચરર તરીકે જોડાયેલો. પછી રીડર થયો, વિભાગીય અધ્યક્ષ થયો, પ્રોફેસર થયો, પ્રોફેસર-ઇમેરિટસ થયો; વક્તા થયો, વિવેચક થયો, વાર્તાકાર થયો, વગેરે વગેરે જે કંઇ થયો, એ સારી પૅઠે અમદાવાદમાં થયો.
જો કે અમદાવાદ કદી પણ મારું સ્વપ્ન ન્હૉતું. મારી પસંદગી ન્હૉતી. મારે જાત પર જોર લાવીને પસંદ કરવું પડેલું. તો પણ એક વાતે છેલ્લે સારું લાગેલું કે ગુજરાતી સાહિત્યને માટેના એક ઉત્તમ વિભાગમાં છું. એમ પણ લાગેલું એ વાતે કે ક્યારેક મારી ભાષાના ઉત્તમ કવિ ઉમાશંકર જોશી વિભાગના અને સમગ્ર ભાષાભવનના અધ્યક્ષ હતા.
યાદ કરતાં યાદ આવે છે કે ભવનના બહુ ઓછા મિત્રો બહુ ઓછી વાર મારા ઘરે આવેલા છે. કોઇ કોઇ તો વારંવાર બોલવવા છતાં નહીં આવેલા. ક્રમે ક્રમે એમ જાણવા મળેલું કે અમદાવાદમાં ભલભલા સાહિત્યકારોના ઘરે ભલભલા સાહિત્યકારો નથી ગયા. એટલું ખરું કે મરણપથારી જેવા છેલવારકા પ્રસંગે ડોકિયું કરી આવ્યા હોય.
મને અને રશ્મીતાને – વડોદરા બાજુના રસિક જીવોને – એ અમદાવાદી લુખ્ખાસ સમજાતી ન્હૉતી. પણ સ્વીકારી લીધેલું કે એવી એમની શૈલી છે. જો કે રાધેશ્યામ શર્મા, ચન્દ્રકાન્ત ટોપીવાળા, ચિનુ મોદી, લાભશંકર ઠાકર અવારનવાર આવતા.
‘શબરી’-માં રહેવા ગયા પછી તો મેં રમૂજમાં કહેવા માંડેલું – અમે તો રાહ જોઇશું જ પણ જ્યારે આવો ત્યારે અમારે ઘરે રામ સ્વરૂપે આવજો. મને જણાવતાં આનન્દ થાય છે કે
વડીલોમાં સૌથી વધુ કોઇ અમારે ત્યાં આવ્યું હોય તો તે ઉમાશંકર જોશી હતા.
એમની સાથેની મારી અંગતતા સાવ વિલક્ષણ હતી. બધું છતાં ઉમાશંકરનું આકર્ષણ રહેતું, મને ગમ્યા કરતા. હું કંઈ ‘સંસ્કૃતિ’-નો લેખક નહીં. અલબત્ત, મારી એક વાર્તા ‘હર્ષદલાલ હ. અને બીજાં’ એમને બહુ ગમેલી. એમણે ‘સંસ્કૃતિ’-માં પ્રકાશિત કરેલી – ૧૯૯૨ જેટલાં વહેલાં. એટલો પૂર્વાનુબન્ધ હતો. બીજો પૂર્વાનુબન્ધ એ હતો કે બોડેલીથી હું પ્રિન્સિપાલની હેસિયતે યુનિવર્સિટી-મીટિન્ગો માટે અમદાવાદ આવતો. ચન્દ્રકાન્ત ટોપીવાળા પણ પ્રિન્સિપાલ, તે એ ય આવતા. અમે બન્ને કવિ-કુલપતિને મળવા જતા. ફાઇલો કોરાણે મૂકીને ઉમાશંકર અમારી સાથે ખુલ્લા મનની ઘણી વાતો કરતા.
એટલે, ભવનમાં જોડાયા પછી મને એક ઇચ્છા બહુ થતી કે એમને એમના ઘરે નિરાંતે મળાય તો કેવું સારું. પણ ભવનના સાથીઓ કહે : એમને ઘેર ઍપૉઇન્ટમૅન્ટ વિના ન જવાય; ફોન કરવો પડે. ત્યારે એઓ વિભાગીય અધ્યક્ષ ન્હૉતા રહ્યા તો પણ એવું કેમ હશે, એવું મને ખૂંચ્યા કરે …
ત્યારે મારે ત્યાં ફોન નહીં, કેમ કે દુર્લભ હતા, ખાસ્સા દુર્લભ. ભવનનો ઑફિસ-ફોન વાપરી શકાતો’તો પણ એ બાપડો એક-નો-એક તે ગિરદી બહુ રહેતી. એટલે ફાવટ ન આવે. મેં નક્કી કરેલું કે મળે ત્યારે પૂછી લેવું – ફોન કર્યા વિના આવી શકાય? એમણે તરત કહેલું : હા-હા, શું કામ નહીં; માત્ર ભાળ મેળવી લેવી કે હું અમદાવાદ બહાર તો નથી ને …
એમની એ સમ્મતિનું પરિણામ એ આવ્યું કે શરૂમાં હું એકલો અને પછીથી રશ્મીતા તેમ જ બન્ને દીકરા – અમે સૌ – એમને ત્યાં જતાં થઈ ગયેલાં. બેસતા વર્ષે અચૂક જઇએ. પણ વળતું પરિણામ અતિ સુન્દર આવ્યું. ઉમાશંકર પણ અમારે ત્યાં, કૅમ્પસના ઘરે, બી-૩માં, આવતા થઈ ગયા.
મારી નવલકથા ‘ખડકી’ પ્રકાશિત થઈ ત્યારે એઓ અમારે ત્યાં પહેલી વાર આવેલા. પુસ્તક પ્રકાશિત થાય એટલે ઘરે મિત્રોને બોલાવવા અને શિરો ખવડાવવો એ મારો શિરસ્તો હતો. મારા ગુરુ સુરેશ જોષી પાસેથી શીખ્યો છું. આજે પણ ચાલુ છે. રશ્મીતા બનાવે. ‘ખડકી’ વિશે મેં થોડી વાત કરેલી. એ સાંભળીને ઉમાશંકરે કહેલું – સુમન પાસેથી આપણને હવે કસબાના જીવનની નવલકથાઓ મળશે. ત્યારે શિરો એમને બહુ ભાવેલો. એટલે આવે ત્યારે દરેક વખતે કહે : થોડો શિરો ખાઈશ : અમને પણ બહુ ઉમળકો રહેતો કે કેટલી સારી વાત છે.
એક સાંજે એવું બન્યું કે હું ને રશ્મીતા સ્કૂટર પર એમને મળવા ગયાં. જવાબ મળ્યો કે – એ તો તમારે ત્યાં આવવા નીકળી ગયા છે …! અમારા આનન્દાશ્ચર્યનો પાર નહીં. ફોન વિનાની એ બિન-તારી દિલ્લ્ગી યાદ આવતાં આજે પણ રોમાંચિત થવાય છે.
જઈને જોયું તો કવિશ્રી બી-૩ના આંગણાંમાં બેઠેલા. બન્ને બાજુ એક એક ઊંચા આસોપાલવ ને વચ્ચે અમારો પાટી ભરેલો જૂનો પણ સારો ખાટલો, તે પર બેઠેલા. ફૂલ-છોડવા, પવન, પંખીઓ, રોડ પરનાં વાહનો ને ઝૂમતાં વૃક્ષો વચ્ચે કવિશ્રી પૂર્વરાગ – મદીર જોડે વાતો કરતા’તા …
ચાલતા આવે. ક્હૅતા – કૅમ્પસમાં નીકળી પડવું પહેલેથી ગમે છે મને. થોડું દૂર પડે, પણ ચાલવાનું તો થઇ જાય …
બન્ને દીકરાને પોતાના મિત્ર ગણતા. મને ઈન્લૅન્ડ લખ્યું હોય તો ડાબી બાજુનો પત્ર અમને બન્નેને સમ્બોધ્યો હોય; ને જમણી તરફનો દીકરાઓને. સ્કૂલ ઑફ આર્કિટૅક્ચરમાં દીક્ષાન્ત પ્રવચન માટે ગયા હશે કોઇ વરસે. ભરી સભામાં અંગ્રેજીમાં પૂછેલું : મારો મિત્ર મદીર શાહ તે તમારે ત્યાંનો જ ને … વગેરે.
એમનો સર્વસંગ્રહ ‘સમગ્ર કવિતા’ પ્રગટ્યો તેને અર્ઘ્ય આપવાના મૂળ ભાવથી મેં પુસ્તિકા લખી – ‘ઉમાશંકર : સમગ્ર કવિતાના કવિ : એક પ્રોફાઇલ’. (૧૯૮૨). પુસ્તિકા પૂરી પ્રકાશિત થાય એ પહેલાં જ કેટલાકોએ ટીકા શરૂ કરી દીધેલી. એની વ્યથાકારક વાર્તા હવે પછી કરીશ.
= = =
(November 29, 2021: Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર
![]()


જેનું છેવટ સારું તેનું સૌ સારું : આ જુગજૂની કેહતી સાંભરી ન સાંભરી ત્યાં તો એ આવી એવી આછરી ગઈ; કેમ કે ભારત સરકારે (વસ્તુતઃ વડા પ્રધાને) ત્રણ કૃષિ કાનૂન પડતા મૂક્યાની જાહેરાત કરી તે સાથે વાર્તા પૂરી થતી નથી.
છેવટે વિવાદાસ્પદ કૃષિકાયદા રદ્દ કરવાની જાહેરાત વડા પ્રધાનશ્રીએ કરી, જે આંદોલનને પૂર્વે વગોવવામાં બાકી રાખવામાં આવ્યું ન હતું એમાં સરકારે પોતાની ભૂલ કબૂલ કરી છે. ખેડૂતોમાં આંદોલનને ખાલિસ્તાન ચળવળ સાથે, આતંકીઓની પ્રવૃત્તિ સાથે અને માઓવાદી સાથે સાંકળવામાં આવ્યું હતું. દેશના ભાગલા પડાવવા માંગતા લોકો આ આંદોલન ચલાવી રહ્યા છે, એમ કહેવામાં આવ્યું હતું. વડા પ્રધાનશ્રીએ પોતે આ ‘આંદોલન જીવી’ લોકો ચલાવી રહ્યા છે એવો આક્ષેપ કર્યો હતો; ટૂંકમાં, જે કાયદાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો, તે ખેડૂતોના હિતમાં ન હતો, એમ સરકાર માનતી હતી – આજે પણ સરકારની પૉઝિશન એ જ છે વડા પ્રધાનશ્રીએ પોતે સરકાર ખેડૂતોને આ કાયદા દ્વારા થનાર લાભ સમજાવી શકી નથી, એવી રજૂઆત કરી છે.