સોશ્યલ મીડિઆ, તેની પાછળ બેઠેલું ઇન્ટરનેટ અને તેની પણ પાછળ બેઠેલી ટૅક્નોલૉજિએ સંક્રમણને વિશ્વવ્યાપી બનાવી દીધું છે. માનવસંસ્કૃતિના ઇતિહાસમાં એને અનેકગણી અપૂર્વ ઘટના ગણવી જોઈશે.
એનું મુખ્ય પરિણામ, ડિઝિટાઇઝેશન છે. ડિઝિટાઇઝેશન સામ્પ્રતમાં થઈ રહેલાં પરિવર્તનોનું ધ્યાનપાત્ર પરિબળ પણ છે.
ડિઝિટાઇઝેશનને કારણે મોટામાં મોટું પરિવર્તન પ્રકાશનક્ષેત્રે આવ્યું છે : હવે પ્રકાશન ઝડપી બન્યાં છે. હાથવગાં પણ થયાં છે – ક્લિક વારમાં વિનિમયો થઈ શકે છે. દાખલા તરીકે, આ લેખ ક્ષણાર્ધમાં વિશ્વના કોઈપણ ખૂણે પ્હૉંચી શકે છે.
ડિઝિટાઈઝેશનને કારણે પ્રકાશનો નવા જ સ્વાંગમાં રજૂ થવા માંડ્યાં છે. સાહિત્યને વિશિષ્ટ હેતુસર અન્ય લલિત કલાઓ સાથે જોડી શકાય છે. જેમ કે, શબ્દ માત્રને તેમ જ સાહિત્યના શબ્દ માત્રને ચિત્ર, ચલચિત્ર, સંગીત સાથે મૂકવાની સગવડ ઊભી થઈ છે.
એ સાયુજ્યથી પ્રગટેલાં પરિણામો આવાં કંઈક છે :
૧ : કૃતિની અર્થવત્તા : હવે જુદા જ સ્વાંગમાં દૃઢ થવા લાગી છે. સાહિત્યનો શબ્દ અર્થસૂચન અને વ્યંજના પરત્વે મૂલ્યવાન હતો જ, પણ તે હવે એવે રૂપે બહુમૂલ્યવાન બની ગયો છે.
૨ : સંક્રમણ : માણસ અભિવ્યક્ત થાય અને સામા વડે તેનું વક્તવ્ય ઝિલાય ત્યારે સંક્રમણનું વર્તુળ પૂરું થયું ગણાય. સામો માણસ પ્રતિભાવ આપે એટલે એ વર્તુળ વિસ્તરે. હવે સંક્રમણ ઝડપી થયાં છે, વેગીલાં. એથી પ્રતિભાવ સુલભ થયા છે, પ્રતિભાવ પણ ઝડપી થયા છે, એ પણ વેગીલા થયા છે. સંક્રમણ-વર્તુળનું વિસ્તરણ અને તેની ઝડપ – ઇમ્મિજ્યસિ – આપણા સમયનાં તમામ સંક્રમણોનું પ્રમુખ લક્ષણ છે.
૩ : ઝડપ : આ ઝડપને કારણે, આ વેગને પ્રતાપે, કેટલાક વિદ્વાનોને એમ લાગે છે કે સાહિત્યનું ભવિષ્ય ભયમાં છે. સાહિત્ય મરી રહ્યું છે. તેનો ક્ષય થવા માંડ્યો છે. આડકતરી રીતે, સાહિત્યના માધ્યમને – સાહિત્યની ભાષાને – પણ રોગ લાગ્યો છે. અને એ રોગ માતૃભાષા લગી વિસ્તર્યો છે. અને માતૃભાષા રોગગ્રસ્ત હોય ત્યારે તે, જે સંસ્કૃતિનો હિસ્સો હોય એ સંસ્કૃતિનું અસ્તિત્વ પણ હાલકડોલક થવા માંડે છે.
સાહિત્યવિચારના ક્ષેત્રે વિવિધ કારણોસર કર્તાનું મૃત્યુ, ભાવકનું મૃત્યુ તેમ જ સિદ્ધાન્તનું મૃત્યુ વિદ્વાનોએ અનુભવ્યું છે અને તેની ઘોષણાઓ કરી છે. હવે સોશ્યલ મીડિઆ અને ડિઝિટાઈઝેશનને કારણે સાહિત્યના મૃત્યુની ઘોષણા ઠેર ઠેર સાંભળવા મળે છે.
પણ અહીં વિવેક કરવાની અથવા જજમૅન્ટ લેવાની જરૂર છે :
૧ : ડિઝિટાઈઝેશનને લીધે જ લખનારા વધ્યા છે તેમ વાંચનારા પણ વધ્યા છે. જેઓ કશા સાહિત્યિક હેતુ વિના લખે છે તેમ કશા જ હેતુ વિના વાંચે છે બલકે જુએ છે, તે દૃશ્યને હું લિટરરી નહીં પણ સોશ્યલ વૅલ્યુ આપું છું. તેવા લેખકો અને વાચકોની હાજરીને હું સાહિત્યક્ષેત્રના અસ્તિત્વ માટે જરૂરી ગણું છું. તેઓને ‘કચરો’ ગણી કાઢવાથી ભૂલ થશે. તેઓ કંઈ નહીં તો સાહિત્યની સમીપે તો છે ! સંભવ છે કે એઓમાંથી જ કોઈ ખરો લેખક કે ખરો વાચક નીપજી આવે.
૨ : સોશ્યલ મીડિઆ અને ડિઝિટાઇઝેશનને કારણે સાહિત્યસ્વરૂપોનો નાશ નથી થયો, તેમાં પરિવર્તનો આવ્યાં છે, તેમાં નવા નવા ઉઘાડ થઈ રહ્યા છે; આત્યન્તિક લાગે તેવું ઉદાહરણ છે, ૬ શબ્દની વાર્તા.
હૅમિન્ગ્વેના નામે ચડેલી એવી એક રચના છે : ફૉર સેલ બેબી શૂઝ નેવર વૉર્ન : વેચવાના છે બેબીશૂઝ કદી નહીં પ્હૅરાયેલા : આમાં સ્ટોરી છે, સ્ટોરી પાછળ વેચનારનો હિસ્ટરી છે, હિસ્ટરીમાં સામાજિક પરિબળો છે. તે ઉપરાન્ત, રચના રસપ્રદ અને સુન્દર અનુભવાય છે. એમાં કલા છે.
૬ શબ્દની વાર્તાને ટૂંકીવાર્તાનો નાશ ગણવાને બદલે કથાસાહિત્યનો સીમાવિસ્તાર ગણવાની જરૂર છે. કથનકલાનો હું એમાં અર્ક જોઉં છું.
૧૯મી સદીમાં, ટૂંકીવાર્તાનો ઉદય થયો ત્યારે તે પોતે જ એક ઉઘાડ હતો, અને એણે નવલકથાના બહુપ્રશસ્ત ગૌરવને ઝાંખું પાડી દીધેલું. એકાંકીના પ્રાદુર્ભાવનો પણ એવો જ ઇતિહાસ છે. આ બન્ને ઉઘાડ વાચકતરફી હતા કેમ કે વાચકો પાસે બસો-ત્રણસો પાનાંની નવલકથામાં પરોવાયેલા રહેવાય એટલો સમય નહોતો.
કહેવાનો મતલબ એ છે કે જિવાતા જીવનનો ઇતિહાસ સાહિત્યને બદલે છે, તેના પ્રકારોને, તેની રીતોને, તેની પદ્ધતિઓને, બદલે છે. જિવાતું જીવન સાહિત્યકારને પણ બદલે છે. સાહિત્યની સમજને પણ બદલે છે.
+ + +
સાહિત્યનું ભવિષ્ય ભયમાં છે એમ કહેવાને બદલે હું એમ કહીશ કે ભવિષ્યનું સાહિત્ય ઘડાઈ રહ્યું છે.
સાહિત્યના ઇતિહાસમાં ક્લાસિસિઝમ, ન્યૂ ક્લાસિસિઝમ, રોમાન્ટિસિઝમ, મૉડર્નિઝમ, પોસ્ટ મૉડર્નિઝમ એમ ઉત્તરોત્તર તબક્કા સંભવ્યા છે. એ ઇતિહાસનો એક સાર એ છે કે સાહિત્ય ક્રમે ક્રમે વ્યાપક થયું; માત્ર સહૃદયભોગ્ય ન રહ્યું, વાચકભોગ્ય થયું.
કૅનન્સને શંકાદૃષ્ટિથી જોવાનું શરૂ થયું. એટલે કે સાહિત્ય વિશેના કોઈ સર્વસામાન્ય કાયદાને સિદ્ધાન્તને, કોઈ સિદ્ધ મતાગ્રહને કે કોઈ પ્રસિદ્ધ સમીક્ષાને વિશે પ્રશ્નો થયા.
સાથોસાથ, ગ્રાન્ડ નૅરેટિવ્ઝને વિશે પ્રશ્નો પણ થયા – જેમ કે, શા માટે નાટ્યકારે ગ્રીક ટ્રેજેડીના સ્વરૂપને કે કૉમેડિના સ્વરૂપને કે તે-તેની ઍરિસ્ટોટલ-કથિત વ્યાખ્યાઓને વળગી રહેવું જોઈએ? કેમ કે આધુનિક મનુષ્યના જીવનમાં ટ્રેજેડિ કે કૉમેડી અકબંધ નથી રહ્યાં. બૅકેટે પોતાના નાટક ‘વેઇટિન્ગ ફૉર ગોદો’-ને ટેગ લગાવી છે, ‘અ ટ્રેજી-કૉમેડી’.

Science Fiction when the future is now
Pic Courtesy : Nature.
સાહિત્યના ઇતિહાસમાં એક બીજી પણ મોટી ઘટના ઘટી છે, સાયન્સ ફિક્શન. હવે, આ અને આવનારી ક્ષણમાં જ ભવિષ્ય જોવાય છે. એ સાહિત્ય રોજે રોજ વિસ્તરી રહ્યું છે, અને વિસ્તરતું રહેશે.
આપણે જાણીએ છીએ કે સાહિત્યકલાના ત્રણ ઉપખણ્ડ છે – ઊર્મિકવિતા – કથનકવિતા – નાટ્યકવિતા. ક્રમે ક્રમે ઊર્મિકવિતા આછરી રહી છે. ખાસ તો કવિતા અને તેમાં રહેલાં અમૂર્ત તત્ત્વ હળવાંથી હળવાં થયાં છે. ઊર્મિ પોતે જ હવે કથનાત્મક અને નાટ્યાત્મક પરિબળોનું ફળ ગણાય છે. તો તે પરિબળોને શા માટે નજરઅંદાજ કરવાં? મહિમા કથા અને નાટ્યકવિતાનો થવા લાગ્યો છે. જીવન એક વાર્તા છે, એક નાટક છે, એની વાત કરીએ, એ વાતમાં જ ઊર્મિની વાત પણ આવી જશે.
ભવિષ્યના સાહિત્યમાં, કૅનન્સ કે ગ્રાન્ડ નૅરેટિવ્ઝ સામે પ્રશ્નો જ નહીં પણ તે-તેનો અનાદર હશે.
દળદાર પુસ્તકો નહીં હોય. એમાં રચનાઓ સંક્ષિપ્ત રૂપની હશે. એમાં અમૂર્ત અને રહસ્ય તત્ત્વોને જગ્યા નહીં હશે. કવિઓએ પણ રચનામાં કથન અમે કથનતત્ત્વ રસવાં પડશે.
ભવિષ્યનું સાહિત્ય પણ એટલું જ અધિકૃત હશે, કેમ કે, જોડણી કે શબ્દાર્થથી માંડીને વ્યાકરણ કે કશી પણ માહિતીનો લેખકોએ લાભ લીધો હશે.
બીજી રીતે પણ અધિકૃત હશે. લેખકે બધા વારાફેરા પછી કલાસૌન્દર્યનું સર્જન તો કર્યું જ હશે. નહીં કર્યું હોય તો સાહિત્યકાર નહીં કહેવાય કેમ કે કલાસૌન્દર્ય સાહિત્યના અસ્તિત્વનું મૂળ અને ચિરકાલીન રસાયન છે. ત્યારે પણ આ ધોરણે અધિકૃત કોણ અને કોણ નહીં એ ખરાખોટાના તોલમોલ તો થતા જ હશે.
***
ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં આપેલા વક્તવ્યની નૉંધ
(March 23, 2022: Ahmedabad)
= = =
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર
![]()


કેન્દ્ર સરકાર હસ્તકના બોર્ડર સિક્યુરિટી ફોર્સનો કાર્યવિસ્તાર વધારતાં રાજ્યો ખફા હતાં જ. પણ તેની લેશ માત્ર તમા વિના કેન્દ્રે રાજ્યો સાથે ટકરામણનો નવો મોરચો ખોલ્યો છે. ભારત સરકારે અખિલ ભારતીય સેવા નિયમો, ૧૯૫૪માં જે સુધારા કરવાનો પ્રસ્તાવ કર્યો છે, તેનો લગભગ સઘળી વિપક્ષી રાજ્ય સરકારો વિરોધ કરે છે. એક માત્ર આંધ્રની વિપક્ષી સરકાર કેટલીક શરતો સાથે સરકારના આ પગલાંનું સમર્થન કરે છે, પણ એન.ડી.એ.ની ગણાતી બિહાર સરકાર વિરોધમાં છે !