મારું મન્તવ્ય છે કે વ્યક્તિઓ કોમો વર્ણો વર્ગો, સહજતા કે માનવ્યથી નથી જોડાયેલાં એટલાં ભેદો અને ભેદભાવથી જોડાયેલાં છે – ડિફરન્સિસ હૅવ મેડ ધ સોશ્યલ ફાઇબર.
અને, મારું બીજું મન્તવ્ય છે કે એ ફાઇબર સહજ સ્પર્શના આપ-લેની ઓછપને કારણે નબળાથી વધારે નબળો પડી રહ્યો છે.
સમાજવ્યાપી એ ભેદબુદ્ધિનાં મૂળ ક્યાં પડેલાં છે? આગળની સદીઓમાં અને અનુવર્તી દાયકાઓમાં.
ભૂતકાળમાં હિન્દુ અને મુસ્લિમ તેમ જ હિન્દુ અને ખ્રિસ્તી પ્રજાસમૂહો વચ્ચે જેટલા કંઈ સંઘર્ષ થયા તેની સ્મૃતિ, સવર્ણો અને દલિતો વચ્ચે ભૂતકાળમાં જે ઘટનાઓ ઘટી એ ઇતિહાસોની સ્મૃતિ, બન્ને, હજી પણ નષ્ટ નથી થઈ. એ દર્દભીની યાદો રહી જ ન હોય, ભુંસાઈ ગઈ હોય, એ હદની સમરસતા હજી સિદ્ધ નથી થઈ.
સમરસતાના વિષયમાં, રાજકીય ઇચ્છાશક્તિ પોતાની ભૂમિકાએથી સક્રિય રહેતી હોય; સામાજિક સંગઠનો શક્ય મથામણ કરતાં હોય; એ સ્વરૂપના બાહ્ય બધા જ ઇલાજોને સલામ ભરીએ.
તેમ છતાં, એ ટ્રૉમા હજી છે. એમાંથી બહાર આવીને આ સમાજ સાવ સાજો નથી થઈ શક્યો. સામાન્યપણે કહી શકાય કે એક મુસ્લિમનાં અમસ્તાં દર્શન થકી – અંગ્રેજીમાં કહેવાય કે વિથ એ ગ્લિમ્પ્સ ઑફ હિમ – સરેરાશ હિન્દુના મનમાં સુષુપ્ત અણગમો સળવળે છે. એ જ ઢબે, મુસ્લિમના મનમાં પણ હિન્દુ માટે અણગમો જ સંભવે છે. આ હકીકત છે અને એને હું એટલા માટે પણ ધ્યાનપાત્ર ગણું છું કે એ અણગમાને સચેત કરીને કોમોને અવારનવાર અથડાવી મારવામાં આવે છે.
બાકી, સમાજની એ રુગ્ણ અવસ્થાને નૃવંશવિજ્ઞાન અને મનોવિજ્ઞાન ઐતિહાસિક ટ્રાન્ઝિટ કહીને ચૂપ રહી જાય છે. અસ્તિત્વવાદી ફિલસૂફ જીવનની કોઈપણ વાતની આરપાર જોઈને કહેતો હોય છે એમ આ પરત્વે પણ કહેવાનો કે બધું મીનિન્ગલેસ છે – ઍબ્સર્ડ, ભૂલી જા.
જ્ઞાનીઓ-વિજ્ઞાનીઓ પાસેથી એવા ખુલાસા ભલે મળી શકે, જેમ રોગીને લાઇલાજ દાક્તર પાસેથી મળતા હોય છે, પણ એથી વર્તમાનમાં કશો સુખદ ફર્ક નથી પડતો. રોગી તો એટલી જ રાહ જુએ છે કે – ક્યારે બેઠો થઈ શકું …
તાત્પર્ય એ છે કે આવી નાજુક બાબતમાં ઍપિસ્ટીમોલૉજિકલ ઍક્સ્પ્લેનેશન્સ નહીં પણ ઑન્ટોલૉજિકલ ડિસ્ક્રીપ્શન્સ મદદ કરી શકે. દાખલા તરીકે, ફિઝિક્સ કહે છે કે સ્પર્શેન્દ્રિય શરીર તેમ જ ચિત્ત બન્ને સ્તરે આપણું રક્ષણ કરે છે અને હું જેને સહજ પ્રેમ વ્હાલ વાત્સલ્ય કે ભેટવાનું કહું છું એ તમામ નૉન-સૅક્સ્યુઅલ ક્રિયાઓ ‘ઑક્સિટોન’ નામનું ‘બૉન્ડિન્ગ હૉરમોન’ પ્રગટાવે છે, જે ‘સ્ટ્રેસ હૉરમોન્સ’-ને ઘટાડી નાખે છે. આવી જાણકારીથી અમુક લોકો જરૂર પ્રેરાતા હોય છે.

SOCIAL FIBER
Pic Courtesy : Screen -Shot
બાકી, આપણા સૌના અનુભવની વાત છે કે સ્પર્શથી વ્યક્તિ હૂંફ અનુભવે છે, એને પોતાનું કોઈક તો છે એવી પ્રતીતિ થાય છે, કેમ કે એકલતા આ સંસારમાં માણસનો મહા શત્રુ છે.
નહિતર, એવા દાખલા નૉંધાયા છે કે સ્પર્શનાં ઉક્ત પરિણામોથી વંચિત રહી ગયેલી વ્યક્તિઓ ન તો પોતાને મદદ કરી શકતી હોય છે, ન તો સામાને. એથી ઊલટું, પ્રેમનાં એ પીયૂષ પીને મોટી થયેલી વ્યક્તિઓનાં આસપાસમાં વર્તન સરળ અને સંતુલિત હોય છે. ઉપરાન્ત, કો’ક શુભ ઘડીએ એમનામાં સમાજપરક મનોભાવ ઝંકૃત થાય છે અને એમને વિકાસને માર્ગે દોરે છે.
પરમ્પરાગત કુટુમ્બોમાં એ સ્પર્શનું હોવું, ન-બરાબર હોય છે એ તો ખરું જ પણ, ઊલટું એને ત્યાજ્ય મનાય છે. સાંભળવા મળે છે – અરેરે, એક પથારીમાં બાપ જોડે જુવાન દીકરીથી સુવાય ! ઘરડેરા તો એમ ક્હૅવાના – એવી જરૂર શાને ભઈલા? એક જ દલીલ જુદા જુદા શબ્દોમાં રજૂ થયા કરે છે – અન્તર રાખવાનું – મલાજો સચવાવો જોઈએ – સંસ્કાર કેળવાવા જોઈએ – ધરમકરમ હચવાવાં જોઈએ. કો’ક જુવાનિયો એમ પણ કહે છે – દેવતા ને ઘી આઘાં જ સારાં.
જુવાનિયાનું એ કહેણ મને નૉંધપાત્ર લાગે છે. કેમ કે એમ કહીને એણે સહજ સ્પર્શને ત્યાજ્ય ગણવા પાછળ સૂતેલી ખરી બીક તરફ ઇશારો કરી દીધો.
સમજીએ કે સંસ્કારપરક એ વ્યવસ્થાથી પ્રાપ્ત શું થાય છે – એક સ્વરૂપનાં રાખરખોપાં – એક જાતની વિશ્વસનીયતા – એક ખાતરી કે કશું અઘટિત નહીં થાય. પણ એ કેળવેલું અન્તર, સ્પર્શનો અભાવ, વ્યક્તિના મનને એની જાણ બહાર જેની સાથે જોડી રાખે છે એ તો છે, વાસના, જાતીયતા કે સૅક્સ !
એ વ્યવસ્થા, સમજાશે કે ઉપર ઉપરનું ઢાંકણ છે, દમ્ભની ચાદર છે. પૈતૃક વર્ચસ્ હેઠળ વિકસેલી પરમ્પરાગત સંસ્કૃતિઓમાં એવી અનેક ચાદરો વણાઈ છે, અને પુરુષપ્રધાન સમાજોએ એને સાચવી છે, જરૂરતે જરૂરતે વાપરી છે.
એ ચાદર ખસી જાય, ઢાંકણ ખૂલી જાય, ત્યારે સમક્ષ થાય છે, વ્યક્તિ, કુટુમ્બ કે સમાજનું નગ્ન સ્વરૂપ. એ વિશે, હવે પછી.
(ક્રમશ:)
(March 7, 23 : A’vad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()











બિજુ પટનાયક સાથે આ મારી પ્રથમ મુલાકાત હતી. બિજુ પટનાયક ઉડિયા હોવા છતાં ખૂબ ઊંચા અને મજબૂત શરીરના માલિક હતા. તેની ઊંચાઈ લગભગ 6 ફૂટ હતી. તેમની ગણતરી પંડિત નેહરુના ખાસ લોકોમાં થતી હતી. તે ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ હતા. એ દિવસોમાં મને ભાત ખાવાની બહુ ચીડ આવતી. કમનસીબે આ મુલાકાત દરમિયાન કાઁગ્રેસ અધ્યક્ષને છેલ્લા 15 દિવસથી રાત-દિવસ ભાત ખાવાની ફરજ પડી હતી. જ્યારે મેં બીજુ પટનાયકના બંગલામાં એક સરદારજીને જોયા, ત્યારે હું તેમની તરફ દોડ્યો અને કહ્યું, ‘સરદારજી, અહીં કોઈ રોટલી મળે?’ સરદારજીએ કહ્યું કે શહેરમાં રોટલી મેળવવી મુશ્કેલ છે, પરંતુ તે મારા માટે તેમના ઘરેથી બનાવીને ચોક્કસ લાવશે. થોડી વારમાં સરદારજી ત્યાંથી ચાલ્યા ગયા. અચાનક એક નોકર મારી પાસે પહોંચ્યો અને કહ્યું કે મેડમ મને બોલાવી રહ્યાં છે. તે મારા માટે આશ્ચર્યજનક હતું કારણ કે ત્યાં કોઈ મને ઓળખતું ન હતું. થોડી વારમાં હું આ નોકર સાથે બંગલાના એક રૂમમાં ગયો. ત્યાં એક વૃદ્ધ સ્ત્રી મારી રાહ જોઈ રહ્યાં હતાં. હું રૂમમાં દાખલ થયો કે તરત જ તેણે મને સ્પષ્ટ પંજાબીમાં પૂછ્યું, ‘કિત્થો આયે હો?’ આ મારા માટે આશ્ચર્યજનક હતું. બાદમાં જાણવા મળ્યું કે આ ભદ્ર મહિલા બીજુ પટનાયકનાં ધર્મપત્ની જ્ઞાન પટનાયક છે, જે પંજાબી છે અને લાહોરનાં રહેવાસી છે. ત્રણ દિવસ સુધી, જ્ઞાન પટનાયકની કૃપાને કારણે, મેં પંજાબી ખાવાની મજા માણી.