‘હું તો બસ ફરવા આવ્યો છું!
હું ક્યાં એકે કામ તમારું…’
વાહ કવિ!
ધરાર આમ અવળું જ …
તમે ભાષા કેવી ખીલવી,
આવનારી પેઢીએ એ જ તો રહી ઝીલવી!
લોકદર્શન પળેપળનું એમાં રહ્યું ફોરી
નગરજીવન દીધું આખું ઝકઝોરી!
વળી પેલા નિરાકારનાં ય કેવાં
ચિતરામણ દીધાં કરી!
એમ વળી ‘ગાયત્રી’નો યુગબોધ દીધો ધરી!
સ્વર્ગ કરતાં ય પૃથ્વીને ચાહી
શબ્દે-શબ્દે એની ઋતુઓ મહેકાવી!
‘પ્રવાલદ્વીપ’માં ભર્યો નર્યો આધુનિક જીવનમર્મ.
ટાગોરનો ય ઘૂંટ્યો મધુરસ, બસ,
શબ્દોને ટેરવે સાચવ્યા કર્યો માનવધર્મ!
… ફરવાને બહાને
તમે છંદનાં ને લયનાં ધરી દીધાં દર્પણ
સહુને કરાવ્યું એમાં જીવનદર્શન!
છેલ્લે-છેલ્લે સાધ્યો-ખીલવ્યો વનવેલ છંદ
કર્યા એમાં સંવાદો મૃત્યુનીનીયે સંગ!
એક થયા’તો સદીઓ પહેલાં નરસિંહ ભગત
એ જ આધુનિક રૂપે
ભાષામાં શું પ્રગટ્યા પાછા નવીન રૂપે
તમે હે નિરંજન ભગત!
શીખવી ગયા કાવ્યવાણી
ભાષા ગુજરાતીની વહ્યા કરશે.
ખળ… ખળ… સરવાણી…
૬ માર્ચ, ૨૦૧૮
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2018; પૃ. 10
![]()


ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની શહાદતને યાદ કરવાનું પ્રમાણ દેશભરમાં વધતું જાય તે આવકાર્ય ગણાય. સોશ્યલ મીડિયા સહિતનાં માધ્યમોમાં અને વિવિધ જાહેર કાર્યક્રમોમાં આ હુતાત્માઓને અંજલિ અપાય છે. પણ એમાંથી કેટલાંકમાં ક્યારેક તો એવું લાગવા માંડે કે ભગતસિંહ એક હાથમાં ભગવો, નીલો, લીલો કે તિરંગો ઝંડો અને બીજા હાથમાં પિસ્તોલ લઈને ‘વંદે માતરમ્’ કે ‘ભારત માતા કી જય’ નારા બોલાવતા શેરીઓમાં કે સરહદ પર દેકારો મચાવતા દેશભક્ત હતા. કાર્લ માર્ક્સના ઊંડા અભ્યાસી ભગતસિંહને કટ્ટર સામ્યવાદી, પ્રખર હિન્દુત્વવાદી કે લડાયક અતિરાષ્ટ્રવાદી તરીકે ચીતરવાના પ્રયાસો થતા રહે છે. ગાંધી એટલે સફાઈ અને ખાદી એમ ગોઠવી દેવામાં અત્યારની સરકાર ભલે ઠીક સફળ રહી; પણ ડૉ. આંબેડકરની જેમ વીર ભગતસિંહને ય સંકુચિત રીતે ખતવવા સહેલા નથી. તેનું એક કારણ એ છે કે આ બંનેએ પોતાના વિચારો મક્કમ અને સાફ રીતે લખી રાખ્યા છે. તેમનાં લખાણોને દેશભરનાં સંગઠનો અને પ્રકાશકો પત્રિકાઓથી લઈને ગ્રંથમાળા સુધીના વિવિધ સ્વરૂપોમાં બહાર પાડીને તેમનો વ્યાપારીક કે વૈચારિક હેતુ સાધતા રહે છે.