થાય છે, ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીને મિશે (વિશે નહીં પણ મિશે) બે શબ્દો લખું. કેમ કે હું ઉમેદવાર હતો, લેખનકારી અંગત વાતોમાં સરી જાય તેવો ભય છે એ હું જાણુંસમજું છું પણ મારું વલણ ને નેમ એક સહૃદય હોઈ શકતા નાગરિકને નાતે કંઈક બિનઅંગત વાનાં જાહેરહિતમાં છેડવા ભણી છે.
મારી દૃષ્ટિએ સાહિત્ય પરિષદની આ વખતની ચૂંટણી જે જાહેર મુદા પર લડાઈ એ સ્વાયત્તતાનો મુદ્દો હતો. આ મુદ્દો, વળી, લાગટત્રીજી ચૂંટણીમાંયે ચાલુ રહ્યો અને ત્રણ વખત વિજયનું પલ્લું સ્વાયત્તતાના હિમાયતી ઉમેદવાર તરફે રહ્યું. એ આપણા અત્યારના જાહેર જીવનની દષ્ટિએ ગુજરાતમાં પ્રવર્તી શકતા એક વિધાયક વિચારની રીતે મને અત્યંત મહત્ત્વનું લાગે છે. રાજકીય વિચારઝોકની દૃષ્ટિએ બે પૂર્વપ્રમુખો અને આગામી પ્રમુખ કદાચ એક જ ખાનામાં ન હોય. પણ સ્વયત્તતાના એકસમાન મુદ્દાએ આ ત્રણેની ઉમેદવારીને ધાર અને આધાર સંપડાવ્યાં. આ વખતની પ્રમુખીય ચૂંટણી ત્રિપાંખી હતી અને સાવ નજીવા અંતરે જિતાઈ એવી છાપ દેખીતી ખોટી નથી પણ તે ઉભડક અને ઉપલક તો બિલકુલ છે. કારણ, ત્રીજા ક્રમે આવેલા ઉમેદવાર પ્રથમ ક્રમે આવેલા ઉમેદવારની જેમ જ સ્વાયત્તતા પરત્વે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ છે.
આ ચર્ચાને કોઈ રાજકીય ધ્રુવીકરણ લેખે ઘટાવવાની જરૂર નથી. સ્વાયત્તતા એ રાજકીય પક્ષપાત બાબત નથી, પરંતુ પ્રજાસૂય વલણ અને બંધારણીય જોગવાઈની બાબત જરૂર છે. એટલે ગુજરાતી સાહિત્ય પરિષદના મતદારો લાગટ ત્રીજી વખત આ રીતે સ્વાયત્તતા પરત ગઠિત અને ઉદ્યુક્ત પેશ આવ્યા એમાં જાહેર જીવનમાં નિરામય મોકળાશ માટે આવતી કાલની ઉજમાળી આશા અવશ્ય છે.
બંધારણીય મર્યાદામાં કામ કરતી ચુંટાયેલી સરકાર અને પ્રજા વચ્ચેના ધોરણસરના સંબંધની એક પદ્ધતિ અલબત્ત સ્વાયત્ત સંસ્થાઓની છે. પણ જેને આપણે પ્રજા – ખરું જોતા જો કે જનતા અગર લોક – કહીએ છીએ તે સૌ પુખ્તવય મતાધિકાર પ્રાપ્ત સમૂહને નાતે એક જરૂર છે, તેમ છતાં ભાષા, પ્રદેશ, નાતજાત, ધરમમઝહબકોમ એમ એમની આગવી ઓળખ પણ છે. જોવાનું એ છે કે ન તો એમની આગવી ઓળખને, એમના સહજ પોતાપણાને આંચ આવે – ન તો તેઓ સામસામે મૂકાઈ જઈ સહિયારી નાગરિક ઓળખ ભૂલવા લાગે બલકે, સહિયારી ઓળખનો એ તકાજો છે કે તે આગઆગવી ઓળખનો લિહાજ કરે અને આ સૌ આગઆગવી ઓળખનું એ ઐશ્વર્ય છે કે એને સાથે હોવાનું સૌંદર્ય સમજાય.
‘સાહિત્ય’ એ શબ્દઓળખના સગડ કાઢતાં આપણી શોધ ‘સહિત’ પર લાંગરે છે. આ સહિતતા અહીં સહિત (હેવ્ઝ) અને રહિત(હેવ નૉટ્સ)ના અર્થમાં અભિપ્રેત નથી. અહીં અપેક્ષિત અર્થ સહિતતાનો – સાથે, રિપીટ, સાથે-હોવાપણાનો છે. આ સાથે હોવાપણાનું કાવ્ય કહો તો કાવ્ય અને વ્યાકરણ કહો તો વ્યાકરણ, શી વાતે છે વારું. તમે અરસપરસ, એકમેકનો, નાનામોટાનો સમાદર કરો, સાથે રહો અને છતાં એક બીજાને સ્પેસ આપો. બીજી પાસ, અધિકારોની સમાનતા જરૂર છે, પણ એના ભોગવટામાં સમાનતા દૂર છે, કેમ કે વિકાસક્રમમાં કે સામાજિક કોટિક્રમમાં કેટલાક પાછળ તો કેટલાક વળી ખાસા પાછળ છે. એમને સાથે લેવાનું માત્ર બંધારણી આદેશ અને જોગવાઈથી ન બની શકે.
એને માટે સમજ અને સહૃદયતાની કેળવણી જરૂરી છે. જેને સાહિત્ય પદારથ કહીએ છીએ એની વશેકાઈ આ સહૃદયતાની કેળવણીમાં છે. સ્વાયત્તતા અને સમાનતા વચ્ચેના સંબંધની રેશમદાર અને સાર્થક રમઝટ, બને કે, સાહિત્યના સેવન અને પ્રસારથી આવે. સાહિત્ય સંસ્થાઓની ઊઠવેઠ આમ તો શેક્યો પાપ ન ભાંગે – પણ આ ઊઠવેઠ આ રમઝટ, બને કે, એક એવી સમજ પ્રસારે જે તમને નવી દુનિયા સારુ કેળવી રહે.
પણ આ બધી કામગીરીના કેટલાક દુનિયાદારી તકાજા પણ છે સ્તો. એને સારું નાણાકીય જોગવાઈ ન જોઈએ એવું તો ક્યાંથી હોય. સરકાર સંસ્થાઓને ગ્રાન્ટ (અનુદાન) આપે છે, પ્રજાના પૈસા પ્રજાકીય સંસ્થાઓને આપે છે પણ એના ચૂકવણાં એટલાં અનિયમિત હોય છે કે તમારે વૈકલ્પિક તૈયારી પણ રાખવી પડે. આ તો ગ્રાન્ટની વાત થઈ પણ બીજા ખર્ચાનું શું? સાહિત્ય પરિષદે અકાદમીની સ્વાયત્તતા હરાઈ ગઈ તે પછી તેની મારફતે જે તે પ્રસંગવશ કે નિમિત્તવશ મળતું નાણું લેવું બંધ કર્યું છે. છેલ્લાં વર્ષોમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી (સુરત), અને વિદ્યામંદિર (પાલનપુર) જેવી શિક્ષણ સંસ્થાઓએ અધિવેશન કે સત્ર અંગેની જવાબદારી ઉઠાવી નાણાં સ્રોતનો પ્રશ્ન બિનસરકારી રાહે ઉકેલી આપ્યો છે અને સરકારી નહીં તે અસરકારી એવી કાકા કાલેલકરની ઉક્તિ અક્ષરશઃ ચરિતાર્થ કરી છે. ગમે તેમ પણ, અકાદમી મારફતે મળતું નાણું જતું કરી જાણતી સાહિત્યસંસ્થાની દાઝ જાણનાર મહાજન ગુજરાત મળતું રહે એ જરૂરી હોવાનું છે.
વિજયી બનેલા ઉમેદવારને સાહિત્યકાર કહેવાય કે નહીં એવો સવાલ ઉઠાવવામાં આવ્યો એમાં પરિષદ એ કેવળ લેખકોની સંસ્થાઓ નથી પણ વ્યાપક સાહિત્યરસિક સમાજની સંસ્થા છે એ મુદ્દો ચૂકી જવાયો એટલું જ નહીં પણ સાહિત્યિક લેખનની જે વ્યાપક વ્યાખ્યા આજે વિશ્વસ્વીકૃત છે જેમ કે ૨૦૧૫નું નોબેલ જેને મળ્યું, રૂસી લેખિકા સ્વેતલાના, એનું તો મુખ્ય કામ જ પત્રકારત્વ છે, એનોયે લિહાજ ન રહ્યો.
ગુજરાતના નાગરિક સમાજની, સવિશેષ એના સાહિત્યરસિક તબકાની ખિદમતમાં આ થોડીએક વાતો, ઊહ અને અપોહની અપેક્ષાએ!
ઑક્ટોબર ૨૬, ૨૦૨૦
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2020; પૃ. 01-02
![]()


ગુજરાતી સાહિત્ય પરિષદની મૂલ્યનિષ્ઠ પરંપરામાં ચંદ્રકાંત ટોપીવાળા અને સિતાંશુ યશશ્ચંદ્ર પછી વર્ષ ૨૦૨૧-૨૦૨૩ માટે ચૂંટાયેલા પ્રમુખ પ્રકાશ ન. શાહના વિજયને આપણે સહુ સ્વાયત્તતાનાં મૂલ્યના વિજય તરીકે જોઈ રહ્યા છીએ અને એ આપણું મૂલ્ય આધારિત દર્શન છે. દેશમાં જ્યારે ચૂંટણીના માહોલમાં રાજકીય પક્ષો. તમે મત આપો-અમે તમને વેક્સિન આપીશું કહી પેંડો આપીને કડું કાઢવી લેવાના ખેલ પાડી રહ્યા છે ત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીમાં મૂલ્ય આધારિત લોકતંત્ર વધુ મજબૂત થતું જોવા મળ્યું છે. અને આવું એક વાર બને તો કોઈ એને અકસ્માત કહે, બીજી વાર બને તો યોગનુયોગના ખાનામાં ખતવી શકે; પણ ત્રણ ત્રણ વખત આવું એક સરખું પરિણામ આવે તો એને એના મૂળ સ્વરૂપમાં સ્વીકારવું પડે. સાહિત્ય પરિષદની આ લાગટ ત્રીજી ચૂંટણી છે જેમાં સાહિત્યકારો, સાહિત્યરસિકો અને નાગરિક સમાજે ગુજરાત મૂલ્ય આધારિત રાજનીતિથી જવાબ આપ્યો છે. ૨૦૧૫માં સાહિત્યકારોની સ્વાયત્ત લોકતાંત્રિક ગુજરાત સાહિત્ય અકાદમીને સત્તાનાં બળ, છળ અને કપટથી ગુજરાત સરકારે હસ્તગત કરી એટલું જ નહીં પણ એનો સાહિત્યનાં પ્રસાર પ્રચારસંવર્ધનનો હેતુ બદલી પોતાની વિચારધારાનાં પ્રચાર પ્રસારસંવર્ધનનુ રાજકીય કામ આરંભ્યું. સરકારની આ પ્રકારની જોહુકમી સામે સાહિત્ય સમાજે અકાદમીની સ્વાયત્તતા માટેનું આંદોલન શરૂ કર્યું અને ગોવર્ધનરામ ગાંધી ઉમાશંકરની મૂલ્યનિષ્ઠ પરંપરા ધરાવતી પરિષદે સ્વાયત્તતાનાં મુદ્દે સરકારને ટપારી ત્યારે સરકારે આ સંસ્થાને પણ અકાદમીની જેમ પોતાનાં કબજામાં લેવાના પેંતરા શરૂ કર્યા. પરિષદ પ્રમુખની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઊભા રાખી પરિષદ પર પોતાનો ઝંડો ફરકાવવાની કોશિશ કરી. વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૩ સુધીના પ્રમુખપદની ચૂંટણીમાં સરકાર પક્ષને પરિષદના મૂલ્યનિષ્ઠ લોકતંત્રે મ્હાત આપી સરકાર સામે એ ઉદાહરણ સ્થાપ્યું છે કે ‘સાહિત્યકારો કોઈપણ વિચારધારાનાં હોય એમની પ્રાથમિકતા મૂલ્ય હોય છે’ અને એ રીતે આ રાજસત્તા સામે સ્વાયત્તતાના મૂલ્યની હૅટ ટ્રિક છે. ગુજરાત સરકાર અને જેમના હાથમાં અત્યારે એનો સૂત્રસંચાર છે એવા ભારતીય જનતા પક્ષે હવે રાજહઠ છોડીને ગુજરાત સાહિત્ય અકાદમી ફરી સ્વાયત્ત કરી લોકતાંત્રિક સરકારને છાજે એવું ઉદાહરણ સ્થાપવું જોઈએ.
તમને ને નવી મધ્યસ્થ સમિતિના મિત્રોને હાર્દિક અભિનંદન આપીને તરત જ એમ કહેવાનું થાય છે કે તમારી સૌની જવાબદારી બેવડી થઈ જાય એવી આજે પરિષદની સ્થિતિ છે. પ્રશ્નો ઘણા છે ને એટલે દૃષ્ટિપૂર્વકનો પરિશ્રમ પણ એટલો જ રહેવાનો …