આ સમાચાર છાપો અથવા આ સમાચાર રોકો, તેવી કોઈ પણ સૂચના વગર પત્રકારત્વ કરવા મળે તો મને લાગે છે કે એક પત્રકારના જીવનમાં તે જીવનનો સુવર્ણકાળ હોય છે, અનેકો હકારાત્મક સ્ટોરી પણ કરી, પણ અનેકો સ્ટોરી સરકારનો કાન પકડનારી હતી, કારણ અમને રોકનાર અને ટોકનાર કોઈ નહોતું, કોઈ પણ શાસન માટે સત્ય લખનાર પત્રકાર તેનો વિરોધી છે, તેવું માની લેવામાં આવે છે. અમે પક્ષના વાડાથી દૂર રહ્યા, પરંતુ શાસકપક્ષે અમને વિરોધી માની લીધા હતા, એટલે સરકારની તપાસનો દોર શરૂ થયો, સરકાર અમારી આર્થિક હેસિયત જાણતી હતી, સરકારને ખબર હતી કે આ પ્રકારનું પોર્ટલ ચલાવવા માટે જે આર્થિક વ્યવસ્થા જોઈએ તે અમારી પાસે નહોતી, સરકાર તો આખરે સરકાર હોય છે, meranewsના માલિકોની વિગતો અને વ્યવસાયની માહિતી પહોંચી ગઈ.
એક તબક્કો એવો આવ્યો કે meranewsના માલિકો સામે તેમના વ્યક્તિગત વ્યવસાય સંબંધી એક પછી એક કેસ થવા લાગ્યો, અનેક માનસિક અને શારીરિક યાતનાઓમાંથી તેઓ પસાર થયા, વાંક તેમનો એટલો જ કે તેમણે એક ડર વગરના પત્રકારત્વનો અવકાશ ઊભો કર્યો! આપણી રાજકીય વિટંબણા એવી છે કે જે પક્ષ વિરોધપક્ષમાં હોય, ત્યારે પ્રામાણિક પત્રકારત્વની અપેક્ષા રાખે છે અને તે જ પક્ષ જ્યારે શાસક બને છે, ત્યારે પ્રામાણિક પત્રકારત્વ કઠે છે. આખરે થાકી meranewsના
માલિકોએ ડિસેમ્બર, ૨૦૧૮માં બંધ કરવાનો ર્નિણય કર્યો. અમારી માટે આઘાતજનક બાબત હતી, વાત માત્ર અમારી રોજગારીની નહોતી, પણ લાંબા સમય પછી ગુજરાતી પત્રકારત્વને ખુલ્લા આકાશ જેવી મોકળાશ મળી હતી. તે છીનવાઈ જવાની હતી.
હું પણ વ્યક્તિગત રીતે દુઃખી હતો, ટૂંકા સમયગાળામાં અમે લાંખો વાચકો અહેસાસ અપાવી શક્ય હતા કે અમે તમારા અને તમે અમારા છો, મારા સાથીઓને પણ ઘરપરિવાર હતો, હવે અમારે બધાએ એક નવી સફર શરૂ કરવાની હતી, પણ કુદરત પણ ક્યારેક કમાલ કરે છે. હું વ્યથિતહૃદયે મારા સાથીઓ પાસે પહોંચ્યો, મેં માલિકોની વ્યથા અને તેમના ર્નિણયની જાણ કરી ત્યારે જવાબ મળ્યો આપણે વગરપગારે કામ કરીશું. હું તેમની સામે જોઈ રહ્યો. કારણ, બોલવું સહેલું હોય છે, જીવવું અઘરું હોય છે, એકાદબે મહિનાની વાત નહોતી, સફર લાંબી હતી, ક્યારે અને ક્યાંથી મદદ આવશે, તેની ખબર નહોતી, મારી આંખો વાંચી તેમણે જવાબ આપ્યો, આપણે meranewsને જિવાડવા બીજી નોકરી કરીશું અને અહીંયાં વગરપગારે કામ કરીશું, બહુ મોટો નિર્ણય હતો. પણ વગરપગારે નોકરીની શરૂઆત થઈ. અમારી પાસે પૈસા નથી તેવી ખબર પડી, ત્યારે સામાન્ય રીતે સાથે ઊભા રહેલા માણસો ભાગી જાય પણ તેના કરતાં વિપરીત થયું. ગુજરાતના પત્રકારસાથીઓએ અમને કહ્યું અમે meranews માટે કોઈ પણ પ્રકારના માનધનની અપેક્ષા વગર લખીશું, આ ઈશ્વરની મોટી મદદ અને આશીર્વાદ હતો, છેલ્લાં ત્રણ વર્ષથી meranews આ પ્રકારે જ ચાલે છે. આજે સફર પાંચ વર્ષ પૂરા કરે છે. માર્ગમાં અવરોધ છે, પણ અવરોધ દૂર કરનાર સાથીઓની મદદ કદરને પાત્ર છે. આ સફર દરમિયાન અનેક સાથીઓ આવ્યા અને ગયા પણ તેઓ આજે પણ અમારી સાથે છે. હું પાંચ વર્ષ પૂરા કરવા માટે માલિકો, મારા સાથીઓ અને અમને પ્રેમ કરનાર અને ઘૃણા કરનાર તમામનો આભારી છું, અમને પસંદ નહીં કરનારનો એટલે વિશેષ આભાર. કારણ તેમણે અમને સતત અમારી જાતતપાસની તક આપી છે, કોઈને વ્યક્તિગત નુકસાન પહોંચાડવાનો અને દુ:ખી કરવાનો અમારો ઇરાદો નહોતો, છતાં સંભવ છે તેવું બન્યું જ હશે. તે તેમની પણ ક્ષમાયાચના છે. આખી સફર તો ત્યારે જ મઝાની બની, જ્યારે લાખો વાંચકો અમારી સાથે જોડાયા, અમે રોજ પ્રયત્ન કરીએ છીએ કે વાંચકોની અપેક્ષામાં ખરા ઊતરીએ.
ખબર નથી આ વિકટ પરિસ્થિતિમાં હું અને મારા સાથીઓ ક્યાં સુધી કામ કરીશું, પણ ઈશ્વરમાં ભરોસો છે ક્યારેક કોઈ દરવાજો ખૂલશે, અમારી હિંમત અને જુસ્સો આમ જ જળવાઈ રહે તે માટે તમે ઈશ્વરને અમારી માટે પ્રાર્થના કરશો, ક્યારેક થાક પણ લાગે અને નિરાશા પણ આવે, પણ થાક અને નિરાશા અમને પરવડે તેમ નથી, કારણ અમારી સમસ્યા કરતાં લોકોની સમસ્યા વધારે મોટી છે, જેઓ પણ એક આદર્શ પત્રકારત્વ કરવા માગે છે, તેમને મન જતાં પહેલાં એક એક માણસના જીવનમાં સારું થાય તેવું કંઈક કરવાની છે, તેવો જ એક નાનકડો પ્રયાસ અમે પણ કરી રહ્યા છીએ બસ આજે આટલું જ.
+
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 07
![]()



નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 કહે છે કે દર હજાર પુરુષે સ્ત્રીઓની સંખ્યા વીસ વધીને 1,020 થઈ છે. આઝાદીના 75માં વર્ષે જ પહેલી વાર પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે તે આવકાર્ય બાબત છે. 2015-16માં 1,000 પુરુષોએ મહિલાઓની સંખ્યા 991ની નોંધાઈ હતી તેમાં સીધો 29નો વધારો સુખદ જ ગણાય. એમ તો આ સર્વે મુજબ જન્મ સમયના જાતિ દરમાં પણ વધારો થયો છે. 2015-16માં 1,000 દીકરાએ, દીકરીઓ 919 જ હતી, તે 2021માં 10 વધીને 929 થઈ છે. એનો અર્થ એ થયો કે દીકરીઓ 2015-16ને હિસાબે 2021માં 10 વધી છે, તો પણ 1,000 પુત્રના જન્મની તુલનામાં પુત્રી 79 ઓછી જ એ ભૂલવા જેવુ નથી. એ એમ પણ સૂચવે છે કે દીકરીઓને હજી જન્મની પૂરતી મોકળાશ નથી. ભ્રૂણ પરીક્ષણ પર પ્રતિબંધ હોય તો પણ, દીકરીનો કોઈક રીતે હજી ક્યાંક નિકાલ થતો હોય એવું લાગે છે. કારણો બીજા હશે જ, પણ દીકરીનો જન્મ દર હજી ક્યાંક ટાંચો પડે છે તે ખરું. એ પણ ખરું કે આ સુધારો શહેરની તુલનાએ ગામડાઓમાં વધુ જોવાયો છે. ગામડાઓમાં 1,000 પુરુષે સ્ત્રીઓ 1,037 છે. જ્યારે શહેરોમાં 985 છે. એનો અર્થ એવો થાય કે ગામડાઓમાં બાળકીના જન્મને અવરોધ ઓછા છે, જ્યારે શહેરમાં વધારે છે. એ પણ છે કે આ આંકડા વસતિ ગણતરીના નથી. આ સેમ્પલ સર્વે છે એટલે અંદાજ તો મળે, પણ ચોક્કસ આંકડા જુદા હોય એમ બને. સર્વે વખતે ઘરમાં મહિલાઓ જ હોય ને પુરુષો કામધંધે બહાર ગયા હોય ને એ સંખ્યા ધ્યાનમાં ન લેવાઈ હોય એ શક્ય છે, છતાં મહિલાઓની સંખ્યા વધે એવી શક્યતાઓ સાવ નકારી શકાય એમ નથી. એવું બન્યું છે કે નોકરીમાં, શિક્ષણમાં, રાજકીય પ્રવૃત્તિઓમાં મહિલાઓની ભાગીદારી વધી છે, મહિલાઓની અનામતમાં ટકાવારી વધી છે, એ ઉપરાંત બાળકીના જન્મને ઉત્તેજન અપાઈ રહ્યું છે, આ બધાંની હકારાત્મક અસર સ્ત્રીઓની સંખ્યા વધારવા પર પડી હોય એમ બને.