પ્રકરણ –
૧૦
વિશ્વની ૧૦ સર્વથા ઉત્તમ નવલકથાઓમાં “વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”-ને કદીપણ ભૂલી શકાશે નહીં.
એના જગવિખ્યાત લેખકનું નામ છે, ગૅબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝ, ૧૯૨૭-૨૦૧૪.
સ્પૅનિશમાં લખાયેલી આ નવલનું ૧૯૬૭-માં બુએનો ઍરિસથી પહેલવહેલું પ્રકાશન થયું ત્યારથી અને ૧૯૭૦-માં થયેલા અંગ્રેજી અનુવાદ પછી દુનિયાની ૪૯ ભાષાઓમાં એના અનુવાદ થયા છે, ૫૦ મિલિયન નકલો વેચાઈ છે. ૧૯૮૨-માં માર્ક્વેઝને નોબેલ અપાયું છે. એના મહિમાની વાતો અપાર છે, હાલ અટકું.
મને ગમતી થોડીક નવલોમાં આ નવલ અગ્ર સ્થાને છે. એ વિશે મેં એકથી વધારે વાર વ્યાખ્યાન કર્યાં છે. મને થયું કે ગુજરાતીમાં એનો અનુવાદ કરું, પણ પરમિશનના કેટલાક પ્રશ્નો અતિ કઠિન હોય છે. એટલે, મન મનાવ્યું કે કંઇ નહીં તો, ભાવાનુવાદની રીતેભાતે અને ક્યારેક કિંચિત્ ટિપ્પણી સાથે, સાર તો આપું.
દરેક પ્રકરણનો સાર આપીશ પણ એક એક કરીને. નથી કહી શકતો કે કેટલી નિયમિતતા જાળવી શકીશ, પણ પ્રયન્ત જરૂર કરીશ.
સૌ મિત્રોને જોડાવા નિમન્ત્રણ છે. આ નવલ વાંચવી માણવી અને એમ એની સાથે જોડાવું એ જીવનનો લ્હાવો છે…
== આ નવલનાં ૯ પ્રકરણનો સારસંક્ષેપ થોડાક મહિના પહેલાં રજૂ કરેલો. આ ૧૦–મું પ્રકરણ છે. ==
અનેક વર્ષો પછી, મૃત્યુશૈયા પર ઓરેલિયાનો સેગુન્દોને જૂનની એ ભીની બપોર યાદ આવી જ્યારે એ પોતાના પહેલા પુત્રને મળવા બેડરૂમમાં ગયેલો. છોકરો સુસ્ત અને રડમસ દેખાતો’તો, બ્વેન્દ્યા પરિવારની કોઈ મોખરાશ પણ હતી નહીં, તેમછતાં, એનું નામ પાડવા ખાસ વિચારવાની એને જરૂરત નહીં લાગેલી.
“આપણે એને જોસે આર્કાડિયો કહીશું,” તેણે કહ્યું.
જે સુંદર સ્ત્રી સાથે તેણે ગયા વર્ષે લગ્ન કરેલાં એ ફર્નાન્ડા દેલ કાર્પિઓને નામ ગમેલું,

પણ ઉર્સુલા અસમંજસમાં પડી ગયેલી. પરિવારના દીર્ઘકાલીન ઇતિહાસમાં, આવાં ને આવાં નામોનું પુનરાવર્તન થયા કરેલું એથી ઉર્સુલા પાસે કેટલાંક ચૉક્કસ તારણો હતાં, એ કે – બધા ઓરેલિયાનો અન્તરમુખી હતા પણ મનના ચોખ્ખા હતા – બધા હોસે આર્કાદિયો આવેશી અને સાહિસિક હતા પણ દુ:ખદ નિશાની સાથે જનમેલા. ઉર્સુલા હોસે આર્કાદિયો સેગુન્દો અને ઓરેલિયાનો સેગુન્દોને, એ બે નમૂનાઓને, કોઈ એક વર્ગમાં મૂકી શકેલી નહીં.
સાન્તા સોફિયા દે લા પિયેદાદ એ બન્નેને જુદા પાડી શકતી નહીં કેમ કે બન્ને જણા એકદમ સરખા દેખાતા’તા, તોફાની પણ એવા જ હતા. એમના બાપ્તિસ્માના દિવસે અમરન્તાએ એમને એમનાં હતાં એ નામોનાં બ્રેસલેટ પ્હૅરાવી દીધેલાં.
પણ શાળાએ જવા લાગ્યા ત્યારે બન્ને જણાએ કપડાં અને બ્રેસલેટની એકબીજા સાથે અદલાબદલી કરી નાખેલી, એટલું જ નહીં, એકબીજાને વિરુદ્ધ નામોથી બોલાવવાનું નક્કી કરેલું.
શિક્ષક, હોસે આર્કાદિયો સેગુન્દોને લીલા ખમીસથી ઓળખતો’તો, પણ ગૂંચવઇ જતો’તો કેમ કે બીજાએ ઓરેલિયાનો સેગુન્દોની બ્રેસલેટ પ્હૅરી હોય, અને બીજો ક્હૅતો હોય કે પોતાનું નામ ઓરેલિયાનો સેગુન્દો છે, પોતે સફેદ શર્ટમાં છે, ભલે બ્રેસલેટ હોસે આર્કાદિયો સેગુન્દોના નામની છે. પરન્તુ શિક્ષક ખાતરીથી કદી કહી શકેલો નહીં કે કોણ કોણ છે.
(ક્રમશ:)
(Feb 17, 24)
ઉર્સુલા અને બીજાં પાત્રો —
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


કહેવત એટલે જીવંત ભાષાના દેહ પરનું અત્તરનું પૂમડું. આજે આપણે જેને ‘અભણ’ કહીએ તેવાં સ્ત્રી-પુરુષો પણ વાતચીતમાં કહેવતોનો છૂટથી ઉપયોગ કરે. પણ હવે શહેરીકરણને પ્રતાપે શિક્ષિત વર્ગની રોજની બોલચાલમાં કહેવતોનો ઉપયોગ ઓછો ને ઓછો થતો જાય છે. પણ આપણે ત્યાં મુદ્રણની સગવડ આવી તે પછી સમાજમાં પ્રચલિત કહેવતોને એકઠી કરીને સાચવી લેવાના ઘણા પ્રયત્ન થયા. આવો પહેલો પ્રયત્ન થયો છેક ૧૮૦૮માં, અને તે પણ એક સરકારી નોકરી કરતા અંગ્રેજ ડોક્ટરને હાથે. મુંબઈ ઇલાકામાં કામ કરતા અંગ્રેજ અધિકારીઓ અને પાદરીઓને મદદરૂપ થવાના ઈરાદાથી ડો. રોબર્ટ ડ્રમન્ડે ગુજરાતી-મરાઠી-અંગ્રેજીનું સંયુક્ત વ્યાકરણ લખીને પ્રગટ કર્યું: Illustrations of the grammatical parts of the Guzerattee, Mahratta & English Languages. ગુજરાતી વ્યાકરણની સોદાહરણ સમજણ આપવા ઉપરાંત આ પુસ્તકમાં તેમણે ૧૭૦ જેટલી ગુજરાતી કહેવતો નોંધી છે અને તેનો અંગ્રેજી અનુવાદ પણ આપ્યો છે.
પણ ડ્રમન્ડનું આ પુસ્તક માત્ર કહેવતોનું પુસ્તક નથી. એવું પુસ્તક આપણને પહેલી વાર મળે છે ૧૮૫૦માં. કંપની સરકારમાં ઉચ્ચ હોદ્દાઓ ધરાવનાર એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સની સૂચનાથી કવીશ્વર દલપતરામે ‘કથનસપ્તશતી’ નામનું પુસ્તક તૈયાર કર્યું. તેમાં ૭૦૦ કહેવતો સંઘરાઈ છે. દલપતરામનું અ પુસ્તક પ્રગટ થયું ત્યારે જ તેની સામે બે ફરિયાદ ઊઠી. એક તો, સાત સોની સંખ્યા ઘણી ઓછી છે. બીજું ઘણી બધી જાણીતી કહેવતો તેમાં જોવા મળતી નથી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(આજની ગુજરાત વિદ્યા સભા)એ દલપતરામનું પુસ્તક પ્રગટ કરેલું. ફરિયાદને ધ્યાનમાં લઈને મગનલાલ વખતચંદને બીજું પુસ્તક તૈયાર કરવા સોસાયાટીએ જણાવ્યું. મગનલાલે પોતાનું પુસ્તક પણ ઉતાવળે તૈયાર કર્યું અને ૧૮૫૧માં તો તે પ્રગટ થઈ ગયું. દલપતરામે નહિ સંઘરેલી એવી લગભગ ૧,૮૦૦ કહેવત મગનલાલે પોતાના પુસ્તકમાં સમાવી છે.
૧૮૬૫માં પ્રગટ થયેલું પેશતનજી કાવશજી રબાડીનું ‘કહેવત મુલ ઇઆને ચાલુ વપરાતી કહેવતોની ઉતપતી અને તવારીખનો મુખતેશર શારાઉંશ’ જરા જૂદી ભાત પાડતું પુસ્તક છે. કારણ, અહીં માત્ર કહેવતો સંઘરાઈ નથી, પણ તેની પાછળની કથાઓ પણ લેખકે આપી છે. ૨૦૭ પાનાંના પુસ્તકમાં લેખકે ૪૩ જેટલી કહેવતો પાછળની કથાઓ સમાવી છે. પુસ્તકની ભાષા, અલબત્ત, પારસી ગુજરાતી છે.
માત્ર ૩૨ વરસની ઉંમરે ૧૮૮૮માં જમશેદજી નસરવાનજી પીતીતનું અવસાન થયું તે પહેલાં તેમણે ‘કહેવતમાળા’નો ઘણો મોટો ભાગ તૈયાર કર્યો હતો. પણ તે પુસ્તક પ્રગટ થયું છેક ૧૯૦૩માં. સ્કૂલમાં ભણતા હતા ત્યારથી જમશેદજીને કહેવતો ભેગી કરવાનો શોખ જાગ્યો હતો. તેમણે એકઠી કરેલી દસ હજાર જેટલી કહેવતો ‘કહેવતમાળા’ એવા મથાળા સાથે એ વખતના જાણીતા સામયિક ‘વિદ્યામિત્ર’માં હપ્તાવાર પ્રગટ થઈ હતી. જમશેદજીના અવસાન પછી તેમના નિકટના મિત્ર જીજીભાઈ પેસ્તનજી મિસ્ત્રીએ એ સામગ્રીને સુધારી, મઠારીને ૧૯૦૩માં બે ભાગમાં ‘કહેવત-માળા’ પુસ્તક પ્રગટ કર્યું હતું. આ પુસ્તકમાં લગભગ ૧૨ હજાર જેટલી ગુજરાતી કહેવતો અકારાદિ ક્રમે ગોઠવી છે. અને સાથોઆથ દેશ અને દુનિયાની બીજી ભાષાઓની સમાંતર કહેવતો પણ આપી છે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ૨૦૦૯માં આ પુસ્તકનું પુનર્મુદ્રણ કર્યું હતું.
જમશેદજીનું પુસ્તક પ્રગટ થયું તે પહેલાં ૧૮૯૩મા દામુભાઈ ડાહ્યાભાઈ મહેતાનું ‘ગુજરાતી કહેવતો’ પુસ્તક પ્રગટ થયું હતું. દામુભાઈનો જન્મ ૧૮૬૨માં. મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજના વિદ્યાર્થી. ૧૮૮૩માં બી.એ. અને ૧૮૮૫માં એમ.એ. અને બી.એસસી. થયા પછી ૧૮૮૭માં એલ.એલ.બી.ની ડિગ્રી મેળવી. પછી વડોદરા ટ્રેનિંગ સ્કૂલના હેડ માસ્ટર તરીકે નોકરીની શરૂઆત કરી. પછી શિક્ષણ ખાતામાંથી ન્યાય ખાતામાં ગયા અને અમરેલી પ્રાંતના જજ બન્યા. આ પુસ્તક પ્રગટ થયું ત્યારે તેઓ વડોદરાના એક્સ્ટ્રા આસિસ્ટન્ટ જજ હતા. પુસ્તકની પ્રસ્તાવના વાંચતાં જણાય છે કે કોલેજના અભ્યાસ દરમ્યાન અંગ્રેજી કહેવાતોના સંગ્રહ તેમના જોવામાં આવેલા. ત્યારથી તેમણે મનોમન નક્કી કરેલું કે ગુજરાતી ભાષાનો આવો કહેવત સંગ્રહ તૈયાર કરવો. એટલે કોલેજમાં ભણતા હતા ત્યારથી જ તેમણે ગુજરાતી કહેવતો એકઠી કરવાનું શરૂ કર્યું. એ માટે ઘણાં પુસ્તકો વાંચ્યાં. વડોદરા રાજ્યની નોકરીમાં જોડાયા પછી પણ તેમણે આ કામ ચાલુ રાખ્યું. “કહેવતોનો સંગ્રહ એટલો મોટો થઈ ગયો કે તેનાં કાગળીઆંઓ સાચવી રાખવાનું કામ પણ કઠણ થવા લાગ્યું.” એટલે આ પુસ્તક તેમણે છપાવવાનું નક્કી કર્યું. પ્રસ્તાવના પછી દામુભાઈએ કહેવત વિષે વિસ્તૃત નિબંધ લખ્યો છે.