નારાયણ દેસાઈ
અલવિદા, લોકાયની ! ગાંધીચરિત્ર તેમનું શિરમોર કામ
લોકાયની ગાંધી કથાકાર નારાયણ દેસાઈ લય પામ્યાનું સાંભળ્યું ત્યારે ઉત્કટપણે થઈ આવેલું સ્મરણ કવિ મૈથિલીશરણ ગુપ્તની એ મતલબની પંક્તિઓનું હતું કે "રામ, તમારું ચરિત્ર સ્વયં એક કાવ્ય છે. તે આલેખતાં કોઈ પણ કવિ થઈ જાય એ સહજ સંભાવ્ય છે.' એમને જ્યારે પિતૃચરિત્ર માટે દર્શક એવોર્ડ મળ્યો ત્યારે એમની અનુપસ્થિતિમાં એમનો પ્રતિભાવ વાંચવાનું મારે હિસ્સે આવ્યું હતું, આ પ્રતિભાવમાં એમણે મૈથિલીશરણની પેલી પંક્તિઓ સંભારી હતી.
દેશની અનવસ્થા વચ્ચે વારણ અને લેપન તેમ નૉળવેલ માટેની મથામણમાં એ સમગ્ર ગાંધીચરિત્રના લેખન તેમજ ગાંધીકથા સરખા લોકમાધ્યમ તરફ વળ્યા હશે એમ સમજાય છે. 2002ના મહાપાતકની સહિયારી જવાબદારીથી માંડી સાહિત્ય અકાદમીની નષ્ટ સ્વાયત્તતા જેવા નિર્દેશો પ્રમુખીય મંચ પરથી એમને કારણે શક્ય બન્યા.
વિદ્યાપીઠના દીક્ષાના સમારોહમાં આત્મનિરીક્ષણપૂર્વક એક પછી એક જે વિષયવસ્તુની ચર્ચા કરી છે તે આ સંસ્થાને સારુ હાથપોથીની ગરજ સારશે. શાંતિ-ન્યાય સાથે ચાલે, ભેદની ભીંતો ભાંગે તે એમની આજીવન મથામણ રહી. શિરમોર કામગીરી જો કે ગાંધીચરિત્રની લેખાશે. આ ચરિત્ર પછી એમની સ્મૃિત બીજા વિધિવત્ સ્મારકની મોહતાજ રહેતી નથી. એ અક્ષરશ: અ-ક્ષર જ હોવાની છે.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 16 માર્ચ 2015