એક તો એ કે આ વખતની સામાન્ય ચૂંટણી દરેક અર્થમાં સામાન્ય છે, અસામાન્ય નથી જે રીતની અસામાન્ય ચૂંટણી ૧૯૭૭માં, ૧૯૮૪માં, ૨૦૧૪માં અને ૨૦૧૯માં જોવા મળી હતી. ૧૯૭૭માં ઇન્દિરા ગાંધી અને કાઁગ્રેસ વિરુદ્ધ જુવાળ હતો. ૧૯૮૪માં રાજીવ ગાંધી અને કાઁગ્રેસ તરફી જુવાળ હતો. ૨૦૧૪ અને ૨૦૧૯માં નરેન્દ્ર મોદી અને બી.જે.પી. તરફી જુવાળ હતો. અત્યારે આમાંનું કશું નથી. નરેન્દ્ર મોદી તરફી જુવાળ નથી તો એવો કોઈ પ્રચંડ જુવાળ તેમની વિરુદ્ધમાં પણ નથી. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે લોકોને એમ લાગતું હતું કે નરેન્દ્ર મોદી નામનો ઐશ્વર્યવાન પુરુષ ગુજરતનું કલ્યાણ કરીને હવે દેશનું કલ્યાણ કરવા આવ્યો છે. તેમની પાસે ઉત્સાહ છે, ધગશ છે, ઉર્જા છે, કલ્પના છે, અનુભવ છે અને ઈમાનદારી છે. આવી એક ઈમેજ વિકસાવવામાં આવી હતી અને તેણે જુવાળ પેદા કર્યો હતો. ૨૦૧૯માં બાલાકોટ અને પુલવામાંને કારણે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન લોકોના મનમાં પેદા થયો હતો અને મતદાતાઓને એમ લાગ્યું હતું કે કોઈ કૃતસંકલ્પ અને શક્તિશાળી નેતૃત્વની દેશને જરૂર છે. નરેન્દ્ર મોદીની ચાલમાં, બોડી લેન્ગવેજમાં, ભાષામાં ખુમારી નજરે પડતી હતી.
આ વખતની ચૂંટણીમાં આમાનું કશું જ નથી. રાષ્ટ્રીય સુરક્ષાની કોઈ વાત કરે છે ત્યારે લોકોને ચીનની યાદ આવે છે. ૨૦૨૦ની સાલથી ચીન ભારતમાં લડાખ અને અરુણાચલ પ્રદેશમાં ભારતની સેંકડો ચોરસ કિલોમીટર ભૂમિ પર કબજો જમાવીને બેઠું છે અને નરેન્દ્ર મોદીએ ચાર વર્ષમાં ચીનનો ચ નથી ઉચાર્યો. ઊલટું ૨૦૨૦ના જૂન મહિનામાં તો દેશની પ્રજાને જૂઠો સધિયારો આપ્યો હતો કે દેશમાં કોઈ પ્રવેશ્યું નથી કે ભારતની કોઈ ભૂમિ પર કોઈએ કબજો કર્યો નથી. ચીને માત્ર ભારતની ભૂમી પર કબજો નથી કર્યો, એ ભૂમિ પર લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે. ચીને નકશા બદલી નાખ્યા છે અને અરુણાચલનાં પ્રદેશો અને કસબાઓનાં નામ પણ બદલી નાખ્યાં છે. શા માટે ભારત આ પ્રશ્ને ઊહાપોહ નથી કરતું? શા માટે વિશ્વમત ભારતની તરફેણમાં બને અને ચીન ઉપર દબાણ પેદા થાય એ માટે પ્રયત્ન નથી કરતું? કારણ કે સાહેબને એમાં ભૂંડા લાગવાની શરમ આવે છે. દેશની ભૂમિ ભલે કોઈ આંચકી જાય અને ભલે છોડાવી ન શકીએ, પણ બોલવાનું નહીં. બોલીએ તો નમાલા દેખાઈએ. તમાચો ખાઈ લેવાનો પણ સિસકારી નહીં કરવાની કે ગાલ પર હાથ નહીં ફેરવવાનો. ગમે તેમ પણ પ્રજાને નમાલાપણું દેખાઈ ગયું છે. હજુ હમણાં જ દેશના વિદેશ પ્રધાને પત્રકારોને કહ્યું હતું કે ચીન વિશ્વની બીજા ક્રમની આર્થિક તાકાત છે, એટલે તેની સામે લડવું શક્ય નથી. વિદેશ પ્રધાને સત્તાવારપણે ચીનને જણાવી દીધું છે કે અમે તમારી સામે કશું કરી શકીએ એમ નથી. હવે તમે જ કહો, ચીન આનો લાભ લેશે કે નહીં?
૨૦૧૪નો વિકાસ તો બિચારો આગળ જવાની જગ્યાએ અવળી દિશામાં પાછો જઈ રહ્યો છે. સ્માર્ટ સિટીઝ, સ્કીલ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા, દરેક હાથને કામ વગેરેને તો જ્યાં હવે વડા પ્રધાન જ ભૂલી ગયા છે ત્યાં બીજાની ક્યાં વાત કરીએ! વિકાસની કોઈ યાદ પણ કરાવે છે તો લોકોને મોંઘવારી અને બેકારીની યાદ આવે છે. અને જો વિકાસની યાદ આવે પણ છે તો એ ભાઈબંધ ઉદ્યોગપતિઓના વિકાસની યાદ અને સામે ઇલેક્ટોરલ બોન્ડ્સની યાદ આવે છે. એક હાથ સે લિયા એક હાથ સે દિયા. આમાં ભ્રષ્ટાચાર વિષે પણ કશું બોલવાપણું રહ્યું નથી.
તો ૨૦૧૪ અને ૨૦૨૪થી ઊલટું આ વખતની ચૂંટણી જુવાળ વિનાની, કોઈ વ્યક્તિ કે પક્ષની તરફેણમાં સ્ટ્રોંગ નેરેટિવ વિનાની સામાન્ય ચૂંટણી છે જેમાં વડા પ્રધાન દેખીતી રીતે બચાવાત્મક ભૂમિકાએ છે. વડા પ્રધાનની દશા જુઓ! ૨૦૧૪ને અને ૨૦૧૯ને તેઓ યાદ પણ કરતા નથી /કરાવતા નથી અને જો કોઈ યાદ કરાવે તો ચહેરાના રંગ બદલાઈ જાય છે. વિકાસ, બહાદુરી, નિસ્વાર્થતા અને પ્રામાણિકતા પરની કલઈ ઉખડી ગઈ છે.
આ વખતની ચૂંટણીનું બીજું લક્ષણ એ છે કે ચૂંટણી લોકોએ હાથમાં લઈ લીધી છે. વિરોધ પક્ષો કરતાં પણ લોકો વધારે સક્રિય છે. વડા પ્રધાન જે ભુલાવા માંગે છે એને લોકો ધરાર યાદ કરાવી રહ્યા છે. ૨૦૧૪ અને ૨૦૧૯માં શાસકોએ સોશ્યલ મીડિયાનો પોતાની તરફેણમાં ઉપયોગ કર્યો હતો અને અત્યારે લોકો તેનો શાસકો સામે ઉપયોગ કરી રહ્યા છે. આને કારણે વિરોધ પક્ષોના સંસાધનોનો અભાવ ઓછો નડે છે અને શાસક પક્ષની સંસાધનોની રેલમછેલ ઓછો પ્રભાવ પાડે છે. આવું આ પહેલાં કર્ણાટકમાં પણ વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળ્યું હતું. વિરોધ પક્ષોને લોકોની જરૂર છે એના કરતાં લોકોને વિરોધ પક્ષોની વધારે જરૂર છે.
પણ આવું કેમ બન્યું? ખોટી ગણતરી અને ગણતરી પરના વધારે પડતા ભરોસાને કારણે. ગણતરી એવી હતી કે વિરોધ પક્ષોને અને વિરોધ પક્ષના નેતાઓને અધમુઆ કરી નાખવાના. તેમની સરકાર આંચકી લેવાની, તેમની અંદર વિભાજન કરવાનું, નેતાઓને જેલમાં નાખવાના. જે જેલ જવાથી બચવા માંગતા હોય તેને ભા.જ.પ.માં લઈ લેવાના, પૈસાના સ્રોત સૂકવી નાખવાના, ઈ.ડી. અને બીજી એજન્સીઓને પાછળ દોડાવવાની, વગેરે વગેરે. જંગલી કૂતરા જેમ શિકાર કરે એમ શિકારને દોડાવી દોડાવીને અધમુઓ કરી નાખવાનો. ૨૦૨૩ના ડિસેમ્બર મહિના સુધીમાં વિરોધ પક્ષોને ખતમ કરી નાખવાના અને પછી ૨૦૨૪ના જાન્યુઆરીમાં અયોધ્યામાં રામમંદિરનું ઉદ્ઘાટન અને દેશને અર્પણ કરવાનું. ચારસો સીટ તો આમ ચપટી વગાડતા મળી રહેશે. સામે મેદાનમાં વિરોધ પક્ષ નામની કોઈ ચીજ હશે નહીં અને હશે તો માંદલા હશે અને આપણા પક્ષે મેદાનમાં હશે સ્વયં ભગવાન રામ અને રામને ભારતમાં લાવનાર દેવતા સમાન નરેન્દ્ર મોદી. અને પછી લોકસભાની ચૂંટણી.
આ ગણતરી પર એટલો બધો ભરોસો હતો કે ધીરેધીરે માનમર્યાદા અને સભ્યતાનો લોપ થતો ગયો. નીચમાં નીચ માણસને ભા.જ.પ.માં લઈ લો એમાં શરમાવાની જરૂર નથી. ભા.જ.પ.માં પ્રવેશેલા માણસ સામેના ભ્રષ્ટાચારના કેસને બંધ કરી દો, ટીકા કરનારાઓની ચિંતા કરવાની જરૂર નથી. ટીકાકારો તો ભસ્યા કરે. રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ અને મકાન છીનવી લો. પહેલવાન છોકરીઓ સાથે બદતમી કરનારા માણસનો વાળ પણ વાંકો નહીં થાય કારણ કે એ અમારો આદમી છે એટેલ થાય એ કરી લો. મણિપુરની અમાનવીયતા વિષે હરફ નહીં ઉચારું, થાય એ કરી લો. આંદોલનકારી ખેડૂતો દિલ્હીમાં પ્રવેશી ન શકે એ માટે રસ્તામાં ખિલા પાથરો. આવી તો દેશભરમાં અનેક ઘટનાઓ બની રહી હતી. ગોદી મીડિયા તો ગોદમાં હતા એટલે ઊહાપોહ થતો નહોતો.
પ્રજા આ બધું ચૂપચાપ જોતી હતી અને મનોમન શાસકોની નિયત અને સંસ્કાર વિષે અભિપ્રાય બનાવતી હતી. એમાં અયોધ્યામાં રામમંદિરનું ઉદ્ઘાટન થયું અને વડા પ્રધાને છાતી ફુલાવીને કહ્યું; ઇસ બાર ચારસો પાર. અને વળી લોકસભામાં કહ્યું કે મોટાં પરિવર્તનો માટે તૈયાર રહેજો.
આમ કહ્યું અને લોકોના મનમાં સાવધાનીની ઘંટડી વાગવા માંડી. જો ૩૦૩માં આ દિવસો જોવા મળી રહ્યા છે તો ૪૦૦ પછી શું થશે? બંધારણ બદલાશે, અનમતની જોગવાઈ જશે, ખેડૂતો લડીને ૨૦૨૧માં તો ફાવ્યા પણ ૪૦૦ પછી ખેડૂતો નહીં ફાવે અને જમીન ગુમાવશે. યુવાઓ નોકરી માગવાના નામે ઊહાપોહ કરશે તો જેલમાં જવાનો વખત આવશે બીજી બાજુ અદાણી-અંબાણીને ધરવવામાં આવશે. સ્ત્રીઓને પહેલવાન છોકરીઓ અને મણિપુરની સ્ત્રીનાં ચહેરા નજરે પડવા લાગ્યા. દેશપ્રેમના નામે, રાષ્ટ્રવાદના નામે, હિંદુ મુસ્લિમના નામે આ બધું થતું રહેશે. પ્રજાના મનમાં જે ઘંટડી વાગવા માંડી એ હવે ઘંટનાદમાં ફેરવાઈ રહ્યો છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 16 મે 2024