આમ આદમી પાર્ટી કૉન્ગ્રેસની જગ્યા લઈ શકશે? અને જો લઈ શકે તો એ દેશના હિતમાં હશે? પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(‘આપ’)ને ભવ્ય વિજય મળ્યો એ પછી આ બે પ્રશ્ને અત્યારે દેશમાં ચર્ચા ચાલી રહી છે. બીજી રીતે કહીએ તો કેવો પક્ષ બી.જે.પી.નો વિકલ્પ હોઈ શકે અને હોવો જોઈએ અને ‘આપ’ આવો હોવો જોઈએ એવો વિકલ્પ બની શકશે?
તાજેતરમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે દેશને સશક્ત કૉન્ગ્રેસની જરૂર છે, કારણ કે લોકતંત્ર માટે મજબૂત વિરોધ પક્ષ જરૂરી હોય છે. તેઓ આમ આદમી પાર્ટીને હજુ બી.જે.પી.ના વિકલ્પ તરીકે જોતા હોય એમ લાગતું નથી. અથવા એવું પણ બને કે તેમને જેવો વિરોધ પક્ષ અભિપ્રેત છે એવો ‘આપ’ નહીં લાગતો હોય. કદાચ ગડકરીને કૉન્ગ્રેસ જેવા વિરોધ પક્ષની જરૂર છે અને ‘આપ’ એવો પક્ષ નહીં લાગતો હોય.
સંસદીય-ચૂંટણીકીય-રાજકીય વિકલ્પ એક વાત છે અને વિચારધારાઓના વિકલ્પ બીજી વાત છે. બી.જે.પી. એક વિચારધારા છે અને તેના વિકલ્પની જરૂર છે. એક જમાનામાં કૉન્ગ્રેસના વિકલ્પે ઘણા રાજકીય પક્ષો રચાયા, થોડો સમય આશા જગાવી અને આથમી ગયા. સમાજવાદી પક્ષ અને સ્વતંત્ર પક્ષનો અહીં ઉલ્લેખ કરવો જોઈએ. સમાજવાદીઓને એમ લાગતું હતું કે કૉન્ગ્રેસ જમણેરી છે, ભદ્રવર્ગનું એમાં વર્ચસ છે અને વંચિતોને કૉન્ગ્રેસમાં ન્યાય મળી શકે એમ નથી. આનાથી ઊલટું સ્વતંત્ર પક્ષના નેતાઓને લાગતું હતું કે કૉન્ગ્રેસ ડાબેરી છે અને સમાજવાદી સમાજ રચનાને નામે વ્યક્તિકીય પુરુષાર્થને રૂંધે છે. વિકાસ માટે મોકળાશ અનિવાર્ય છે. બન્ને પક્ષોના નેતાઓ એક જ સમયે કૉન્ગ્રેસને બે અલગ ચશ્માંથી જોતા હતા. એક દિવસ એવું બન્યું કે સમાજવાદી પક્ષને જ્ઞાતિવાદી રાજકારણ કરનારાઓ ભરખી ગયા અને સ્વતંત્ર પક્ષને જમીનદારો અને રાજવીઓ ભરખી ગયા.
સમાજવાદી પક્ષ અને સ્વતંત્ર પક્ષ કૉન્ગ્રેસનો રાજકીય વિકલ્પ નહીં બની શક્યા અને વિલય પામ્યા, પણ એ જ સમયે સ્થપાયેલો ભારતીય જન સંઘ (અત્યારનો ભારતીય જનતા પક્ષ) પડતા આખડતા એક દિવસ કૉન્ગ્રેસનો વિકલ્પ બની ગયો. વિકલ્પના આ સ્વરૂપને સમજવાની જરૂર છે. સંઘ પરિવાર એક શિસ્તબદ્ધ પરિવાર છે, તેની પાસે કાર્યકર્તાઓની મોટી ફોજ (કેડર) છે વગેરે કારણો આપવામાં આવે છે અને એ મોટી શક્તિ પણ છે, પણ એનાથી વધારે મોટું કારણ એ છે કે બી.જે.પી.ને એક એવું ભારત અભિપ્રેત છે જે કૉન્ગ્રેસની કલ્પનાનાં ભારત કરતાં અલગ છે. સંઘપરિવારે તેની કલ્પનાના ભારતનું નિર્માણ કરવા શિસ્તબદ્ધ કાર્યકર્તાઓની કેડર તૈયાર કરી છે. તેમને માટે સત્તા સાધન છે અને સાધ્ય તેમની કલ્પનાનાનું ભારતનું નિર્માણ છે. સમાજવાદીઓને અને સ્વતંત્ર પક્ષના નેતાઓને કૉન્ગ્રેસની કલ્પનાના ભારત સામે કોઈ વિરોધ નહોતો. સમાજવાદીઓ અને સ્વતંત્ર પક્ષના નેતાઓ પોતાના પક્ષને કૉન્ગ્રેસનો સંસદીય-ચૂંટણીકીય-રાજકીય વિકલ્પ બનાવવા માગતા હતા. કૉન્ગ્રેસ અને અન્ય મધ્યમમાર્ગી પક્ષોની કલ્પનાનું ભારત અને સંઘપરિવારની કલ્પનાના ભારતમાં શો ફરક છે એ વિષે તો હું અનેકવાર લખી ચુક્યો છું, એટલે તેના વિષે વિસ્તારથી લખવાની જરૂર નથી. બી.જે.પી.ને હિંદુઓની સરસાઈવાળું ભારત જોઈએ છે અને બીજાઓને ભેદભાવ રહિત સહિયારું. સુખનો રસ્તો સહિયારાપણાંમાં છે એ સનાતન સત્ય છે. બહુમતી રાષ્ટ્રવાદમાં કોઈનું સુખ તો નથી જ પણ એ બહુમતી કોમને વધારે નુકસાન પહોંચાડે છે. કારણ બહુ સ્પષ્ટ છે. શક્તિ જુદી વસ્તુ છે અને માથાભરેપણું જુદી વસ્તુ છે. માથાભરે લોકો મદ અને મસ્તીમાં તક ગુમાવે અને બીજા આગળ નીકળી જાય.
જો સમાજવાદીઓ અને સ્વતંત્ર પક્ષના નેતાઓ કૉન્ગ્રેસનો સંસદીય-ચૂંટણીકીય-રાજકીય વિકલ્પ આપી શક્યા હોત (અને એ સમયે એની જ માત્ર જરૂર હતી) તો આજે દેશનો ઇતિહાસ જુદો હોત. એક જ દિશાના રાજકીય વિકલ્પના અભાવમાં વિપરીત દિશાના રાજકીય વિકલ્પને જગ્યા બનાવવાની તક મળી. જગતના મોટા ભાગના વિકસિત લોકશાહી દેશોમાં સશક્ત રાજકીય વિકલ્પો છે અને એ એકંદરે એક જ દિશાના છે. ભારતમાં સમાજવાદી પક્ષ અને સ્વતંત્ર પક્ષની નિષ્ફળતાને કારણે વિપરીત દિશાના એટલે કે કૉન્ગ્રેસને અને બીજા રાજકીય પક્ષોને જેવું ભારત અભિપ્રેત છે એનાથી વિપરીત ભારત જેને અભિપ્રેત છે એ લોકોને તક મળી.
આટલી પાર્શ્વભૂમિ પછી સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે દેશને અત્યારે બી.જે.પી.ના સંસદીય-ચૂંટણીકીય-રાજકીય વિકલ્પની જરૂર ઓછી છે, દેશને ભારત અંગે સંકલ્પનાકીય વિકલ્પ આપે એવા રાષ્ટ્રીય પક્ષની વધારે જરૂર છે. બીજા શબ્દોમાં કહીએ તો સહિયારા ભારતને પ્રતિબદ્ધ હોય એવા વિકલ્પની જરૂર છે.
હવે આમ આદમી પાર્ટીની વાત. ‘આપ’ની પક્ષ સ્થાપાયો એ પહેલાંની અને એ પછીની અત્યાર સુધીની યાત્રા ઉપર નજર નાખશો તો ખાતરી થતી નથી કે તેને બી.જે.પી.ની કલ્પનાના ભારત સામે કોઈ વાંધો હોય. એક સમયે સમાજવાદી પક્ષને અને સ્વતંત્ર પક્ષને જેમ કૉન્ગ્રેસની કલ્પનાના ભારત સામે વાંધો નહોતો અને તેઓ કૉન્ગ્રેસનો કેવળ સંસદીય-ચૂંટણીકીય-રાજકીય વિકલ્પ બનવા માગતા હતા એ જ રીતે એમ લાગે છે કે ‘આપ’ને બી.જે.પી.ની કલ્પનાના ભારત સામે વાંધો નથી. એ કેવળ બી.જે.પી.નો સંસદીય-ચૂંટણીકીય-રાજકીય વિકલ્પ બનવા માગે છે. આમ આદમી પાર્ટીએ ક્યારે ય સહિયારા-સેક્યુલર ભારત અંગે સ્પષ્ટ ભૂમિકા લીધી નથી. જે લોકો પક્ષની અંદર ભારતની સંકલ્પના વિષે પ્રશ્ન ઊઠાવે છે તેને અરવિંદ કેજરીવાલ સિફતથી દૂર કરી દે છે.
દેશને બી.જે.પી.ના સંસદીય-ચૂંટણીકીય-રાજકીય વિકલ્પની જરૂર નથી, સહિયારા ભારત અંગેની સંકલ્પનાત્મક ભૂમિકાએ દેશને લઈ જનારા રાજકીય પક્ષની જરૂર છે અને એ પણ રાષ્ટ્રીય સ્તરે. આ દેશની મૂળભૂત જરૂરિયાત છે જેમાં સત્તા અને સત્તાકીય વિકલ્પ ગૌણ છે. આમ આદમી પાર્ટીને જો હિંદુ ભારત સામે વાંધો ન હોય અને જો સહિયારા ભારત માટે પ્રતિબદ્ધ ન હોય તો એ પક્ષ માત્ર સત્તાપરિવર્તનો માટે ઉપયોગી નીવડશે. સમાજવાદી પક્ષને અને સ્વતંત્ર પક્ષને એ સમયે જો સફળતા મળી હોત તો જેમ સહિયારા ભારતને લાભ થયો હોત અને હિંદુ ભારતનો માર્ગ અવરોધાયો હોત એમ જ અત્યારે જો ‘આપ’ને સફળતા મળે તો હિંદુ ભારતને લાભ થશે અને સહિયારા ભારતનો માર્ગ અવરોધાશે.
માટે સહિયારા ભારતને પ્રતિબદ્ધ ભારતીય નાગરિકોએ ‘આપ’ને વિકલ્પ તરીકે સ્વીકારતા પહેલાં ઝીણી નજરે તેનું નિરીક્ષણ કરવું જરૂરી છે. સમરકંદ બોખારા ઓવારી જવાની જરૂર નથી. એ કદાચ સંઘપરિવારની આયોજનપૂર્વકની ‘બી’ ટીમ પણ હોય. ‘એ’ ટીમ પણ તેમની અને ‘બી’ ટીમ પણ તેમની. તમે એક વાત તો નોંધી જ હશે કે નરેન્દ્ર મોદી અને સઘળો સંઘપરિવાર જેટલી ટીકા નિર્બળ બની રહેલા રાહુલ ગાંધીની કરે છે એટલી સબળ બની રહેલા અરવિંદ કેજરીવાલની નથી કરતા. આપણી પોતાની ‘એ’ અને ‘બી’ ટીમ ભલે વારાફરતી રમ્યા કરે, પણ બિલકુલ વિરુદ્ધ દિશાની ‘સી’ ટીમ ન ઘૂસવી જોઈએ. સમાજવાદીઓ અને સ્વતંત્ર પક્ષના નેતાઓએ આપસ-આપસમાં લડીને અને બિલકુલ વિરુદ્ધ દિશાની ‘સી’ ટીમ માટે રસ્તો કરી આપવાની ભૂલ કરી હતી. એ ભૂલ ન થાય તેની યોજનાના ભાગરૂપે ‘આપ’ને એક સમવિચારી વિકલ્પ તરીકે સ્થાપિત કરવામાં આવતો હોય તો આશ્ચર્ય નહીં.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 ઍપ્રિલ 2022
![]()


પ્રલયનો દિવસ, કયામતનો દિવસ, ડૂમ્સ ડે, જજમેન્ટ ડે કે પછી આખેરાતનો દિવસ – આ બધાનો અર્થ આમ તો એક જ થાય છે. મૂળ આ દિવસ સુધી પહોંચવા માટે દુનિયાનો સર્વનાશ થવો જરૂરી છે. અત્યારે જે ચાલી રહ્યું છે તે જોતાં આ દિવસ ભણી માણસ જાત ધીમા (ક્યાંક ઝડપી) પણ મક્કમ પગલાં ભરી રહી છે. વાઇરસ, ક્લાઇમેટ ચેન્જ, રશિયા યુક્રેન, પાકિસ્તાન અને હવે એમાં શ્રીલંકાનો ઉમેરો થયો છે. ૫ એપ્રિલે, મધરાતે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ શ્રીલંકામાં કટોકટી જાહરે કરી. આર્થિક સંકટના બોજમાં પડી ભાંગેલા શ્રીલંકામાં રાષ્ટ્રવ્યાપી વિરોધની પકડ મજબૂત બની છે. ૧૯૪૮માં શ્રીલંકાના આઝાદી મળી, પછી પહેલીવાર આ રાષ્ટ્રએ આટલા ખરાબ દા’ડા જોયા છે. ૧૩ કલાક સુધી વીજળી ન હોય, ખાવા-પીવાનાં સાંસાં હોય, આવામાં આકળી થયેલી પ્રજા કંઇ પણ કરી બેસે અને એવું જ થઇ રહ્યું છે.
શ્રીલંકાની આ હાલત આખરે કેવી રીતે થઇ? શ્રીલંકામાં બેવડી અછત છે. બેવડી અછત એટલે કે જેટલી રાષ્ટ્રીય આવક છે તેના કરતા કંઇ ગણો વધારે રાષ્ટ્રીય ખર્ચ છે. આ સાબિત કરે છે કે એવી માલ-મત્તા અને ઉત્પાદનો જેની પર વ્યાપાર થઇ શકે તથા સેવાઓ જે રાષ્ટ્રની કમાણીમાં ઉમેરો કરે તેવી સેવાઓની શ્રીલંકામાં ભારે અછત છે. જો કે હાલમાં જે સંજોગો ખડા થયા છે તેનું સીધું કારણ છે ૨૦૧૯ની ચૂંટણીમાં મોટી કર છૂટના કરાયેલાં ઠાલાં વચનો. આ પછી ૨૦૨૦માં કોરોનાવાઇરસ રોગચાળાએ શ્રીલંકાના પગ નીચેથી ચાદર ખેંચી લીધી. આ દેશના અર્થતંત્ર પર પાણી ફરી વળ્યું. રોગચાળાને કારણે સહેલાણીઓ આવવાના બંધ થઇ ગયા અને ટુરિઝમ જેની જીવા દોરી હતી તેવા દેશને ક્રેડિટ એજન્સીઝે તળિયો મુક્યો. આખરે શ્રીલંકા આંતરરાષ્ટ્રીય કેપિટલ માર્કેટની સર્કિટમાંથી બહાર ફેંકાઇ ગયો. છેલ્લાં બે વર્ષમાં શ્રીલંકાનાં વિદેશી નાણાં ભંડોળનું પણ તળિયું દેખાવા માંડ્યું. શ્રીલંકામાં ખાદ્ય પદાર્થોની કટોકટી સર્જાઇ તેની પાછળ ૨૦૨૧માં કૃત્રિમ – રાસાયણિક ખાતરના ઉપયોગ પર મુકાયેલા પ્રતિબંધને પણ કારણભૂત ઠેરવી શકાય. જો કે આ પ્રતિબંધ પછી હટાવી લેવાયો હતો, પણ ત્યાં સુધીમાં તો શ્રીલંકા માટે અગત્યના ગણાતા ચોખાના પાકમાં નોંધાપાત્ર ઘટાડો થઇ ચુક્યો હતો.
સંસ્કૃત કાવ્યમીમાંસા રસ-કેન્દ્રે વિકસેલી છે. પશ્ચિમમાં ઍરિસ્ટોટલ-પ્રણીત સાહિત્યમીમાંસા અનુકરણ-કેન્દ્રે વિકસેલી છે.