અવસર
ગીતાંજલિ શ્રી કૃત ‘રેત સમાધિ’ નવલકથાને બુકર પારિતોષિક મળ્યું એ કેવળ હિંદીજગત માટે જ નહીં ભારતીય સાહિત્ય સમસ્ત માટે ગૌરવપ્રદ ઘટના છે, અને સવિશેષ એક અર્થમાં ગુજરાત માટે પણ.
સુધીર ચંદ્ર અને ગીતાંજલિ શ્રી એ દંપતી ગુજરાતના વિદ્યાજગતના એક હિસ્સાને ઠીકઠીક પરિચિત છે. સુરતના સેન્ટર ફૉર સોશ્યલ સ્ટડીઝ સાથે એમનો સુદીર્ઘ સમ્બન્ધ અને એ અરસામાં ગુજરાતી સાહિત્ય સંદર્ભે નોંધપાત્ર નવ્ય તપાસ એ જો સુધીર ચંદ્રનો વિશેષ છે તો ગીતાંજલિ શ્રીએ સેન્ટરમાં નિભાવેલ સ્વાધ્યાય દાયિત્વ અને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ‘સોશિયલ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ ટ્રૅન્ડ્ઝ ઈન કોલોનિયલ ઈન્ડિયા : અ સ્ટડી ઑફ પ્રેમચંદ’નું એમનું ડૉક્ટરલ કામ પણ નોંધપાત્ર છે.
એક સરસ જોગાનુજોગ હમણાં વડોદરાના જ શકીલ કાદરીની નોંધ વાટે સામે આવ્યો : ૧૯૮૦માં ‘હંસ’માં પ્રકાશિત એક વાર્તા એમણે ગુજરાતીમાં શિરીષ પંચાલના સૂચનથી ઉતારી હતી. એ આપણાં ગીતાંજલિ શ્રીની પ્રથમ વાર્તા હતી.
‘હમારા શહર, ઉસ બરસ’ એ એમની નવલકથા સરૂપ ધ્રુવે આ દિવસોમાં સંભારી છે. લેખિકા ગીતાંજલિ સાથેનો મારો કિંચિત્ પરિચય પણ આ નવલકથા નિમિત્તે જ છે. બહોળી રીતે જોતાં અને જાડી રીતે કહેતાં બાબરી ઘટના અને ગુજરાત પ્રકારના કોમી વિધ્વંસક માહોલની એ કથા છે.
‘રેત સમાધિ’(‘ટુમ્બ ઑફ સેન્ડ’)ની બુઝુર્ગ નાયિકા ચંદ્રપ્રભા પતિના અવસાન પછી ભાંગી પડેલી મનઃસ્થિતિમાં પોતે જ્યાંથી ક્યારેક હિજરત કરી હિંદ આવી હતી તે પાકિસ્તાનમાં તે કાળના પ્રેમી અનવરની શોધમાં નીકળી પડે છે. એને એક કિન્નરનો સાથ છે. વિભાજન વેળાનો આઘાત, પ્રેમીથી છૂટાં પડ્યાંનો આઘાત, પતિના અવસાનનો આઘાત, આ બધા વચ્ચે તે કોઈક સમાધાન શોધવા મથે છે. એકાધિક લિંગ, એકાધિક ધર્મ, કુટુંબ અને દેશ આ બધી બહુસ્તરીય દાસ્તાં કંઈક નર્મમર્મ, કંઈક કટુતા-તિક્તતા સાથે ચાલે છે.
બુકર પારિતોષિક માટેની જ્યુરીએ આ નવલકથાને “Urgent and timely protest against the destructive impact of borders and boundaries whether between religions, countries or genders” તરીકે ઓળખાવી છે, અને ‘irresistible’ કહી છે.
ગીતાંજલિ શ્રીની આ અને અન્ય નવલકથાઓ વિશે તેમ બીજા સ્વાધ્યાયવિશેષો વિશે યથાપ્રસંગ નિરાંતે અને વિગતે લખાશે. પણ હમણાં તો બેત્રણ વ્યાપક અવલોકનો કરું તે લાજિમ લેખાશે.
યોગ્ય રીતે જ બુકર ઘટનાને કેવળ હિંદી જ નહીં પણ સમગ્ર ભારતીય સાહિત્યની સિદ્ધિ તરીકે આ દિવસોમાં વર્ણવાઈ છે ત્યારે નોંધવું જોઈએ કે અંગ્રેજી સિવાયની કોઈ ભારતીય ભાષાની કૃતિને બુકર પારિતોષિક મળ્યું હોય એવો આ પ્રથમ પ્રસંગ છે. હિંદી મૂળના કહી શકાય એવા નાયપોલને કે હિંદનાં જ અરુંધતી રોય આદિને આ માન જરૂર મળ્યું છે, પણ તે તો સીધાં અંગ્રેજીમાં લખનારાં છે.
આવે વખતે ‘જય હો’ કરતી એકદમ ટિ્વટતર્રાર પેશ આવતી ભારત સરકાર મોળી ને મોડી પડી એ પણ નિરીક્ષકોએ નોંધ્યું છે. જાહેરાતના છેક ચોવીસ કલાક પછી વડા પ્રધાને તો નહીં પણ રાજ્ય સ્તરના કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ એકાદું ટિ્વટડું કીધું પણ હોજે ગયેલું બુંદે આવ્યું જાણ્યું નથી. કારણ અલબત્ત સમજાય એવું છે, અને તે એ કે જે રાજકીય વિચારધારાકીય સમ્પ્રદાય હાલની કેન્દ્ર સરકારનો છે એને ગીતાંજલિ શ્રીની સ્વતંત્ર સર્જનરમણા સોરવાતી નથી.
પણ ગીતાંજલિ શ્રી તો તમને કહેશે કે “આપ અપને સમાજ ઔર ઇતિહાસસે જુડે હૈ તો યે મુદ્દે આપ કે જીવનકા હિસ્સા હૈ. સાહિત્યિક કૃતિકી માંગ હૈ તો વહાં ભી યહ સહજ આ જાયેંગે.”
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2022; પૃ. 16