Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9385147
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભગતસિંહ અને ગાંધી : કોણ સૌથી લોકપ્રિય?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|25 September 2024

ભગતસિંહ 

(27 સપ્ટેમ્બર, 1907 : 23 માર્ચ, 1931) 

ગાંધીજી 

(2 ઓક્ટોબર, 1869 : 30 જાન્યુઆરી, 1948)

આવતા દિવસો, આપણી સ્વરાજલડત સંદર્ભે એક તબક્કે લગભગ સરખી લોકપ્રિયતાના મોજા પર સવાર હોઈ શકતી બે વિરલ પ્રતિભાઓના જયંતી પર્વના છે : ભગતસિંહ અને ગાંધીજી. 1920ની અસહકાર ચળવળ અને 1930ની દાંડીકૂચ સાથે દેશના રાજકીય જીવનમાં ઊપસી રહેલું કેન્દ્રીય વ્યક્તિત્વ સતત તો સ્વાભાવિક જ ગાંધીજીનું હતું. બીજી સંસ્થાઓ નહોતી એમ તો નહીં કહી શકાય, પણ રાષ્ટ્રીય ચળવળનું પ્લેટફોર્મ ત્યારે અલબત્ત કાઁગ્રેસ જ કાઁગ્રેસ હતું.

પ્રકાશ ન. શાહ

સન સત્તાવનની ધારા એક રોમહર્ષક ઉઠાવ પછી શમી ગઈ હતી, ને 1905માં બંગભંગ સાથે લાલ-બાલ-પાલ ફરતે લોકજુવાળ બાદ રાજકીય તખ્તે 1915માં ગાંધીપ્રવેશ સાથે એક તરેહના નવજીવનનો ઉન્મેષ વરતાવા લાગ્યો. 1920માં તિલક ગયા : એમની અર્થીને ખભો આપનારા પૈકી ગાંધીજી સર્વથી મોખરે હતા. સ્વતંત્રતાના સાદ સાથે હવે સમતાનો મંત્ર પણ ગુંજવા લાગ્યો. દરમ્યાન, ક્રાંતિધારાને નવજીવન મળ્યું તે સાથે ગુંજેલો નારો ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’નો હતો. આ ક્રાંતિધારાનો સ્વાભાવિક જ એવો કોઈ મોટો વ્યાપ હોઈ શકતો નહોતો. એની અપીલ અલબત્ત પ્રભાવક હતી, પણ લોકહિસ્સેદારીનું જે નવું વ્યાકરણ ગાંધીયુગમાં વિકસ્યું એનો આગળ-પાછળ કદાચ કોઈ જ જોટો નહોતો.

1930-31માં ભગતસિંહનો વિરલ ને વિશિષ્ટ પ્રવેશ અલબત્ત એમણે વડી ધારાસભામાં ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ સરખો જે હલકો-ફુલકો બોંબ પ્રયોગ કીધો એને આભારી હતો. અફરાતફરીમાં આઘાપાછા નહીં થતા, કેમ કે અદાલત મારફતે પોતાની ભૂમિકા લોક લગી પહોંચે, એમણે પકડાવું પસંદ કર્યું … જેમ ન પકડાવું તેમ પકડાવું પણ એક ક્રાંતિઘટના હોઈ તો શકે! 

જે સજા થઈ ભગતસિંહને, એ કંઈ બોંબ ઘટનાને કારણે નહોતી. એમાં તો સોન્ડર્સની હત્યાનું નિમિત્ત હતું. એક ગોરા અફસરને બદલે ભળતો ગોરો અફસર ગોળીએ દેવાયો એ ચર્ચામાં નહીં જતાં અહીં આપણે એટલું જ નોંધીશું કે આ હત્યાનો હેતુ લાલા લાજપતરાય પર સાઈમન કમિશન સામેના વિરોધ સરઘસ દરમ્યાન અંધાધૂંધ લાઠીમારથી આગળ ચાલતાં નીપજેલ મોતનો બદલો લેવાનું હતું. 

આ મુદ્દો જરી પોરો ખાઈને સમજવા જેવો છે. લાજપતરાય કાઁગ્રેસ નેતા હતા. એમના રાજકારણના કેટલાક અંશ ભગતસિંહ અને સાથીઓને કંઈક નાપસંદ પણ હતા. પણ રાષ્ટ્રીય ચળવળના એક સન્માન્ય નેતા સાથેના પોલીસ દુર્વર્તાવને કેવી રીતે સાંખી શકાય, એ સવાલ હતો. માટે, ભગતસિંહ ને સાથીઓએ જાન પર ખેલવાનો રસ્તો લીધો.

બાકી, ચંદ્રશેખર આઝાદનો દાખલો તો આપણી સામે જ છે. જ્યારે પોલીસથી ઘેરાયા ત્યારે પકડાવાની પળે પોતે મોત વહોરવું પસંદ કર્યું. અહીં આઝાદ અને બિસ્મિલને સંભારીને એક બીજોયે મુદ્દો કરવા જેવો છે. ક્રાંતિકારી પ્રવૃત્તિના ઉત્તરકાળમાં એ બંને ખુલ્લા શાંતિમય પ્રતિકારના વિકલ્પની તરફેણમાં વિચારવા લાગ્યા હતા. કોઈ પલાયની મનોવલણ એની પાછળ નહોતું, પણ સંદેશો લોકમાં સંક્રાન્ત થવો અને એની ફરતે લોકનું ઉદ્યુક્ત થવું એ ચાલના મુખ્ય હતી.

આરંભે મેં 1930-31ના કેટલાક મહિના ગાંધીજી અને ભગતસિંહની લોકપ્રિયતા સરખેસરખી સરસાઈ પર હતી એમ કહ્યું તે વાસ્તવમાં કાઁગ્રેસના અધિકૃત ઇતિહાસકાર પટ્ટાભિ સીતારામૈયાનું વિધાન છે. સરખેસરખી સરસાઈના, ખાસ તો ભગતસિંહને છેડેથી જોતાં જેટલા ટૂંકા એટલા જ તેજતર્રાર ગાળા બાદ સતત સંકળાયેલો એક વિવાદમુદ્દો ગાંધીજી ભગતસિંહને કેમ બચાવી ન શક્યા એ છે. એને અંગે ચર્ચાને અવશ્ય અવકાશ હોઈ શકે, પણ એ માટે ગાંધીજીને નાના કે ક્ષુદ્ર મનના દેખાડવાની ગણતરીથી ઊંચે ઊઠી ઇતિહાસ સમગ્રને જોવો પડે.

વાત એ છે કે ગાંધી-અરવિન સમાધાનીને અન્વયે જેમને છોડી મૂકવાના હતા એ સૌ શાંતિમય પ્રતિકાર સર પકડાયેલા હતા. એટલે સમાધાન સમજૂતીનો એક હિસ્સો આ માંગ બની શકે નહીં. સુભાષબાબુ જેવાને લાગતું હતું કે ગાંધીજીએ ભગતસિંહની ફાંસી રોકવાને મુદ્દે બાજી ફિટાઉસ કરી નાખવી જોઈએ. જો કે, તેમ છતાં, એમણે પણ નોંધ્યું છે કે ગાંધીજીએ પોતાના તરફથી અરવિનને કહેવામાં કોઈ કસર છોડી નહોતી. એમણે એક વહેવારુ મુદ્દા તરીકે એ પણ ધ્યાન દોર્યું હતું કે ભગતસિંહ અંગેની તીવ્ર લોકલાગણીને તમે માન આપશો તો સમાધાની સાથે અપેક્ષિત પરિસ્થિતિને પણ મદદ મળશે. અરવિનની (લોર્ડ હેલિફેક્સની) એ ગાળાની ડાયરી બોલે છે કે અહિંસાના પૂજારીને એક હિંસાના આરાધકને બચાવવાની આટલી બધી શું કામ પડી છે તે મને સમજાતું નથી.

આંબેડકર ત્યારે મરાઠીમાં ‘જનતા’ પત્ર ચલાવતા. માત્ર, વર્ણવાસ્તવ નહીં પણ વર્ગવાસ્તવને અનુલક્ષીને વ્યાપક – એક અર્થમાં સમાજવાદી રુઝાન – એવી ભૂમિકા હતી. એમણે ફાંસી પ્રકરણની જે ચર્ચા કરી છે તે મરાઠીમાં હોઈ વ્યાપક સમાજનું ધ્યાન એ તરફ ગયું નથી. પણ આનંદ તેલતુંબડેએ તાજેતરનાં વર્ષોમાં એ અંગ્રેજીમાં સુલભ કરી એમાં પ્રધાન મુદ્દો એ છે કે બ્રિટનની તે વખતની સરકાર માટે ઘરઆંગણાના રાષ્ટ્રવાદી ઉછાળ સામે, ચૂંટણીને લક્ષમાં રાખી ભગતસિંહની સજા મોકૂફ રખાવી શક્ય નહોતી. પ્રશ્ન ગાંધી-અરવિનના વશનો નહોતો. હિંદની અંગ્રેજ અફસરશાહી અને બ્રિટનમાં વિરોધમત, એ બે મુખ્ય ચાલક બળ હતાં. ગાંધીજીને છોડવાનું ને મંત્રણા માટે બોલાવવાનું પગલું જ બ્રિટનની સરકારને વિરોધમતની બીકે નામોશીભર્યું લાગતું હતું, અને એમાં જો ભગતસિંહને બક્ષ્યા તો –

વસ્તુત: સ્વરાજલડત અને સ્વરાજનિર્માણની દૃષ્ટિએ લોકહિસ્સેદારીનું વ્યાકરણ ને વિજ્ઞાન કેમ વિસ્તરે અને દૃઢમૂળ બને એ પાયાનો પ્રશ્ન છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 25 સપ્ટેમ્બર 2024 

Loading

25 September 2024 પ્રકાશ ન. શાહ
← લેટરલ એન્ટ્રીથી નોકરશાહીમાં પાર્શ્વપ્રવેશનું સમર્થન અને વિરોધ
ચલતે ચલતે …. યૂ હી કોઈ મિલ ગયા હૈ. →

Search by

Opinion

  • ગૃહસ્થ સંન્યાસ
  • અભી બોલા અભી ફોક
  • માણસ, આજે (૨૯)  
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૫
  • પોતાનું શ્રેષ્ઠ બહાર કાઢવું એ જાત પ્રત્યેની ફરજ છે 

Diaspora

  • આ શિલ્પ થકી જગતભરના મૂળનિવાસીઓ પ્રેરણા મેળવશે !
  • ‘માઉન્ટ રશમોર’ અને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વચ્ચે શું તફાવત છે?
  • ખરાબાનો નેશનલ પાર્ક !
  • કુદરત પ્રદૂષણ કરતી નથી, માણસ જ પ્રદૂષણ કરે છે !
  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’

Gandhiana

  • સેનાપતિ
  • ભગતસિંહ અને ગાંધીજી
  • ‘રાષ્ટ્રપિતાનો વારસો એમના વંશજો જ નથી’ — રાજમોહન ગાંધી
  • સરદારનો ગાંધી આદર્શ 
  • કર્મ સમોવડ

Poetry

  • સાત હાઈકુ
  • હાર
  • વરસાદમાં દરવાજો પલળ્યો
  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved