સંઘનું સમર્થન હટી જાય – એની સંગઠનાત્મક પકડ છૂટી જાય તે પછી વગદાર પક્ષ તરીકે ભાજપનું વજૂદ કેટલું ?
એ પણ દિવસો હતા; આ પણ દિવસો છે: પ્રવીણ તોગડિયાના એક શબ્દે ‘બંધ’ જડબેસલાક ઝળહળતો. આજે એ પોતે એન્કાઉન્ટરનો ભોગ બનવાની આશંકા અનુભવે છે. ક્યારેક હર એન્કાઉન્ટર હર હર મહાદેવની ઘાટીએ દેશભક્તિની ધડબડાટી બનીને આવતો. ક્યારેક, કોઈ પણ સંજોગોમાં અંતિમ અટ્ટહાસ્ય એમને સારુ આરક્ષિત મનાતું. આજે ચાલુ પ્રેસ મીટે અનાયાસ અશ્રુધાર અપરંપાર રેલાય છે. એ પણ દિવસો હતા જ્યારે કથિત પલાયન અગર ગેરિલા ગુમનામી પ્રવીણના પરાક્રમમાં ખતવાઈ હોત; અને આ પણ દિવસો છે જ્યારે એ તોગડિયાના તરકટ કે ત્રાગામાંયે ખતવાઈ શકે છે.
ના, તોગડિયાની દયા ખાવા અગર હાંસી ઉડાવવા વાસ્તે આ ઉપાડ ને ઉઘાડ નથી કીધો. માત્ર, જે પ્રકારની રાજનીતિ સંઘ પરિવારે એંશીનાં વરસો ઉતરતે શરૂ કરી તે દિલ્હી પહોંચતે પહોંચતે પણ (અને પહોંચવાની પ્રક્રિયામાં પણ) એક પછી એક નવું પાતાળ કેવી રીતે હાંસલ કરી શકે છે એનું એક ચિત્ર આપવાનો ખયાલ ખસૂસ છે.
હવે એ હકીકત ખાસ છાની નથી રહી કે સંઘ શ્રેષ્ઠીઓ વિશ્વ હિંદુ પરિષદના શીર્ષસ્થાનેથી તોગડિયા અને એમના ભિલ્લુ રાઘવ રેડ્ડીને હટાવવા ઇચ્છે છે. ડિસેમ્બર ઉતરતે વી. કોકજેને વિ.હિં.પ.ના અધ્યક્ષ બનાવી તોગડિયા મુક્તિમાં આગે બઢવાની સંઘ શ્રેષ્ઠીઓની ગણતરી હતી. હવે ફેબ્રુઆરી ઉતરતે ફેંસલો થઈ જશે, અને એ ઓપરેશન વાસ્તે સર્જરી અને એનેસ્થેિસયા સહિતનો તામઝામ બધો વિશ્વ હિંદુ પરિષદની બોર્ડ મિટિંગમાં સરકાર્યવાહ ભૈયાજી જોશી વગેરે હસ્તક હોવાનો છે. માત્ર વિ.હિં.પ. જ નહીં પણ ભારતીય મજદૂર સંઘે અને ભારતીય કિસાન સંઘે પણ પોતપોતાના સંદર્ભમાં આવી કારવાઈ સારુ તૈયાર રહેવાનું છે એમ જાણકારો કહે છે.
કારણ એટલું જ કે 2019ની લોકસભાની ચૂંટણી આગમચ નાગપુર ઠીક ઠીક વેળાસર મોદી ભા.જ.પ. વિરોધી હોઈ શકતા ચાવીરૂપ સંગઠન-સાથીઓને ખસેડવા માગે છે. મે 2014માં જે હાંસલ થયું તે મે 2019માં જળવાઈ રહે એટલું જ નહીં પણ આગળ વધે એમાં અવરોધરૂપ હોઈ શકતાં વ્યક્તિત્વોને ટાળવાની ગણતરી છે. જનસંઘના વારામાં મૌલિચંદ્ર શર્માથી માંડીને બલરાજ મધોક સહિતનાઓને અને ભા.જ.પ.ના વારામાં ખુદ અડવાણીને ઘેર બેસવાનો કે સાઇડલાઇન થવાનો સિલસિલો આ ક્ષણે સાંભરે તે સ્વાભાવિક છે.
જૂના કેસો અને કિસ્સાઓની તપસીલમાં નહીં જતાં હમણાં તો એટલું જ કહીશું કે સત્તાનો સીધો સ્વાદ લીધા પછી નાગપુર દિલ્હી ખોવા તૈયાર નથી અને આ ક્ષણે આગળ કરી શકાય એવો જે ચહેરો છે એની સગવડ સાચવવા તોગડિયા આદિને ખસેડવા બાબતે એ ચોક્કસ છે. ભારતીય મજદૂર સંઘને હાલના હુકમરાનો સામે કામદારોની છટણી અને બીજી હાલાકીઓ બાબત ફરિયાદ હોય કે ભારતીય કિસાન સંઘ ખેડૂતોની આત્મહત્યા લગીની બેહાલી બાબતે સચિંત હોય અગર તો તોગડિયા ભવ્ય રામ મંદિરના નિર્માણને મુદ્દે આશંકિત અને લાલાયિત હોય, આ ક્ષણે 2019 સંદર્ભે મોદી-અમિતનો રસ્તો સાફ કરવો એ નાગપુરની પહેલી (અને અત્યારે તો એકમાત્ર જેવી) પ્રાથમિક્તા છે. દેખીતું છે કે, 2018ના વરસમાં પ્રવીણ તોગડિયા જો ‘સેફ્રોન રિફ્લેક્શન્સ: ફેઇસિઝ ઍન્ડ માસ્ક્્સ’ લઈને આવવાના હોય તો છેલ્લા અઢી દાયકાનું આરપાર દર્શન એવી વિગતોએ ભરેલું અને ભારેલું હશે જે હિંદુત્વ રાજનીતિના અંતરંગ આટાપાટાની અંગત અંગત વાત સાથે મોહભંગવત્ સોપો પાડી દે.
દેખીતી રીતે જ, ‘હિંદુ’ દૃઢીકરણ અને વિકાસનો વરખ મળીને એકત્રીસ ટકે દિલ્હી સર કરવાની હાલની પરિસ્થિતિમાં ગુજરાતનો તાજો પરચો જોયા પછી – મોદી ભા.જ.પ. કે નાગપુર કોઈ જોખમ લેવા માગતા નથી. રામ મંદિર આદિ પર વધુ ભાર મૂકવાનું વ્યૂહાત્મક રીતે કેટલી હદે પાલવે ન પાલવે (અને આ મુદ્દો કેટલી યારી આપે ન આપે) એ ખબર ન હોય ત્યારે મુદ્દાને ખપ જોગો સળગતો અને ખપ જોગો માપમાં રાખવા રહે. વિ.હિં.પ.-બજરંગ તત્ત્વો વ્યૂહાત્મક સંયમ કેટલો રાખી શકે?
સંઘની મુશ્કેલી એ છે કે ભા.જ.પ.ને કંઈક મોકળાશ આપ્યા વગર ચાલે એમ નથી, અને વિ.હિં.પ.-બજરંગનાં લુમ્પન તત્ત્વો બધો વખત કહ્યામાં રહી શકે એમ નથી. 2002-03 પછી કોઈક તબક્કે શરૂ થયેલું મોદી-તોગડિયા અંતર હવે એક અંતિમે પહોંચવામાં છે એમાં કોઈ જો વિ.હિં.પ.નિરપેક્ષ એવો ભા.જ.પ.વિકાસ કલ્પે અથવા ભા.જ.પ. સંઘ સાથેનો નાભિસમ્બન્ધ તોડી નવેસર વિચાર કરતો થાય એવી શક્યતા કલ્પે તો એ સમજી શકાય એમ છે. પણ કટ્ટર વિચાર અને સુદૃઢ સંગઠન જોતાં આ નાભિનાતો ઢીલો પડતો લાગે તો પણ કોઈ મૂળભૂત પરિવર્તનથી શક્યતા અસંભવવત્ છે.
પૂર્વે બલરાજ મધોક, પછી અડવાણી અને હવે પ્રવીણ તોગડિયા, આ સૌના ઓછાવત્તા દૂરાવ અગર હટાવ પછી અને છતાં આખી ચર્ચામાં પાયાનો વિગતમુદ્દો એ રહે છે કે ત્રણે હિંદુત્વ પરત્વે પ્રતિબધ્ધ છે. એમણે, અડવાણીએ ‘સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ’નું રૂપાળું ઝભલું સજાવ્યું ત્યારે સુધ્ધાં, આ બાબતે કોઈ મૂળભૂત પુનર્વિચારની જરૂરત પ્રમાણી નથી. વાજપેયીએ પ્રસંગોપાત કેટલાંક ઇંગિત કર્યાં હશે, પણ વાત આગળ ચાલી નથી. સંઘનું સમર્થન વાસ્તવમાં હટી જાય અને એની સંગઠનાત્મક પકડ (મધોકે જેને ‘ફાસીવાદ’નું નામ આપ્યું હતું) છૂટી જાય તે પછી ભા.જ.પ.નું એક વગદાર પક્ષ તરીકેનું કોઈ વજૂદ ભાગ્યે જ બચી શકે.
પ્રવીણ તોગડિયા જો ભય અનુભવતા હોય તો એમને એ ખયાલ હોવો જોઈએ કે એક પ્રજા તરીકે આપણે ત્યાં ભયનું અને કેમ જાણે બધો વખત ઘેરામાં (અંડર સીજ) હોઈએ તેવું સમૂહ માનસ એમના પોતાના સંઘ પરિવાર હસ્તક ખાસું બનેલું છે. તે સાથે, લાંબી ચર્ચામાં નહીં જતાં અહીં એ એક નિરીક્ષણ પણ નોંધીશું કે હિંદુ બહુમતી જાણે કે કશાકનો ભોગ બની રહી હોય એવો એક વિક્ટિમાઇઝ થયાનો તેમ જ પરસિક્યુશન કૉમ્પ્લેક્સ કારગતપણે સ્થાયી ભાવ જેવો બની ગયો છે.
મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિને, પછીથી, વાસ્તવિક્તાની ગરજ રહેતી નથી. વસ્તુત: આ પરિવારની પોતાની કમાણી છે. આવું માનસ જેમ બહારનાઓને, બીજાઓને આક્રાન્ત કરે છે તેમ અંદરનાઓને, પોતાનાઓને પણ આક્રાન્ત કરે છે. વણઝારા તોગડિયાની ખબર પૂછવા ગયા હોવાના હેવાલો છે. એમની વચ્ચેની વાતચીત આપણે જાણતા નથી, પણ ફેક એન્કાઉન્ટરો અને દેશભક્તિના રસાયણે ભયના માહોલને કેવો આમળો ચઢાવ્યો કે આથો આપ્યો એની થોડી પર્યાવરણી ચર્ચા એમની વચ્ચે થઈ હોય તો કેવું સારું!
ખબર પૂછવા એમ તો હાર્દિક પટેલ અને અર્જુન મોઢવાડિયા પણ ગયા હતા. બીજાં સમીકરણોનું તો સમજ્યા મારા ભૈ, પણ તોગડિયા અને એમની વચ્ચે હિંદુત્વ રાજનીતિની મર્યાદાઓ વિશે થોડીકે દિલખુલાસ બહસ હમણાં નહીં તો પણ આ ગાળામાં વહેલી તકે થાય તે ઈષ્ટ છે. એક જ રાજનીતિના બે ભાગિયા, ક્યારેક તો બિલકુલ બરોબરીના, આજે એક ટોચ પર ને બીજો પાતાળે ચંપાતો, એવું કેમ. અને હા, નકરું પટેલ દૃઢીકરણ કે મંદિરે મંદિરે ઢૂંકતું સૉફ્ટ હિંદુત્વ, એ પણ ચર્ચાનો વિષય તો ખરો જ ખરો.
સૌજન્ય : ‘નાભિસંબંધ’, “દિવ્ય ભાસ્કર”, 20 જાન્યુઆરી 2018
1કાર્ટૂન સૌજન્ય : 'Business as Usual', EP Unny, "ઇન્ડિયન એક્સપ્રેસ", 18 જાન્યુઆરી 2018