આ 27 પક્ષો માત્ર નહોતા, 27 દાવેદાર હતા, 27 પ્રશ્ન પૂછનાર હતા અને 27 શંકા કરનારા હતા.
ભારતને આઝાદી ત્યાં સુધી મળવાની નહોતી અને ભારતના નેતાઓ હકથી આઝાદીની માગણી કરી શકે એમ નહોતા જ્યાં સુધી આપસી મતભેદનો અંત ન આવે. ભારતના જે તે પક્ષના કેટલાક નેતાઓ પોતે જ અંગ્રેજોને કહેતા હતા કે જો જો હોં અમારી માગણી ન સંતોષાય ત્યાં સુધી આઝાદીની કાઁગ્રેસની માગણી નહીં સ્વીકારતા. અને આમ કહેનારા માત્ર મુસ્લિમ નેતાઓ નહોતા, હિંદુ નેતાઓ પણ હતા. હકીકતમાં હિંદુ અને અન્ય ગૈર મુસ્લિમ નેતાઓની સંખ્યા વધારે હતી. એક માત્ર ગાંધીજી હતા જે એમ કહેતા હતા કે આપણે સંપીને આઝાદી માગવી જોઈએ, આઝાદી મેળવવા સાથે મળીને લડવું જોઈએ અને અંગ્રેજોના ગયા પછી આપસી મતભેદનો અંત લાવવો જોઈએ. આમાં એક ભારતીય હોવાપણાની ગરિમા છે. જેણે તમને ગુલામ બનાવ્યા અને જેની તમે ગુલામી કરી એની પાસે હકની માગણી કરવાની! આમાં વિરોધાભાસ નથી? ઘરની બાબત ઘરમાં ફોડી લેશું, ગુલામ બનાવનારા ન્યાય કરનારા બને એ કેવી રીતે સ્વીકારી શકાય? આમાં એક પ્રજા તરીકે આપણે વામણા લાગીએ છીએ.
પણ ગાંધીજીની વાત કોઈને સ્વીકાર્ય નહોતી. ગાંધી મહાત્મા છે, કાઁગ્રેસ થોડી મહાત્માઓની બનેલી છે. માટે અંગ્રેજો જાય એ પહેલાં સ્પષ્ટતા થઈ જવી જોઈએ. કાઁગ્રેસના નેતાઓને પણ લાગ્યું કે જો બંધારણના ઢાંચા વિષે સ્પષ્ટતા થઈ જાય તો કદાચ માર્ગમાં જે અવરોધ પેદા કરવામાં આવી રહ્યા છે તેનો અંત આવે અને આગળ વધી શકાય. એના ઉપાય તરીકે ૨૮ પક્ષોની દસ દિવસ લાંબી પરિષદ બોલાવવામાં આવી અને મોતીલાલ નેહરુની અધ્યક્ષતામાં એક સમિતિ રચવામાં આવી અને તેણે જે અહેવાલ આપ્યો એ નેહરુ રિપોર્ટ તરીકે ઓળખાય છે.
સમિતિએ ૧૯૨૯માં તેનો અહેવાલ રજૂ કર્યો હતો જેમાં ૨૨ પ્રકરણો હતાં અને ૮૭ આર્ટીકલ્સ હતા. એમાં નાગરિકોના મૂળભૂત અધિકારો વિષે સ્પષ્ટતા કરવામાં આવી હતી. ભારતના દરેક નાગરિકને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય હશે. એ તેનો મૂળભૂત અધિકાર હશે. ભારતનો દરેક નાગરિક કાયદા સામે સમાન હશે. કોઈ વિશેષ અધિકાર નહીં ધરાવે. ભારતના પ્રત્યેક નાગરિકને ધર્મસ્વાતંત્ર્ય હશે અને ધર્મપ્રચાર કરવાનો પણ અધિકાર હશે. ભારતના પ્રત્યેક નાગરિકને પ્રાથમિક શિક્ષણ મફતમાં મેળવવાનો અધિકાર હશે. અધિકાર નહીં, મૂળભૂત અધિકાર. હિંદુ-મુસ્લિમ પ્રશ્ન વિષે અહેવાલમાં સૂચવવામાં આવ્યું હતું કે કોઈને અલગ મતદાર ક્ષેત્ર આપવામાં ન આવે, પરંતુ તેની જગ્યાએ પ્રતિનિધિગૃહોમાં જ્યાં મુસલમાન લઘુમતીમાં છે ત્યાં મુસલમાનોને અનામત બેઠકો આપવામાં આવે અને જ્યાં હિંદુ લઘુમતીમાં છે ત્યાં હિંદુઓને અનામત બેઠકો આપવામાં આવે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ભારત ધર્મનિરપેક્ષ દેશ હશે અને રાજ્યનો કોઈ ધર્મ નહીં હોય અને ન કોઈ ધર્મનો પક્ષપાત કે વિરોધ કરવામાં આવશે.
અને છેલ્લે એ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ભારતનું લોકતંત્ર સંસદીય લોકતંત્ર હશે અને તેમાં દરેક પુખ્ત વ્યક્તિને કોઈ પણ પ્રકારની લાયકાતની શર્ત વિના મતદાનનો અધિકાર હશે. અહીં યાદ અપાવવી જોઈએ કે બ્રિટનમાં ૧૯૧૮માં ત્યાની સંસદની ચૂંટણી લડવાનો અધિકાર મળ્યો હતો અને ૧૯૨૮માં સ્ત્રીઓને ભેદભાવ વિના પુરુષની માફક મતદાન કરવાનો અધિકાર મળ્યો હતો. અમેરિકાએ સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર ૧૯૨૦ની સાલમાં આપ્યો હતો. આની સામે નેહરુ સમિતિએ ૧૯૨૮-૨૯માં સૂચવ્યું હતું કે ભારતના પ્રત્યેક નાગરિકને ભેદભાવ વિના મત આપવાનો અધિકાર હશે.
૨૨ પ્રકરણ અને ૮૭ આર્ટીકલ્સમાં જેને બંધારણીય ભારતનો પ્રાણ કહેવાય એ આ હતું. એમ માનવામાં આવ્યું હતું કે ભારતની પ્રત્યેક વ્યક્તિ, પછી તે ગમે તે ઓળખ ધરાવતી હોય તેને જો નાગરિક તરીકેની ઓળખ આપવામાં આવે, કાયદા સમક્ષ સમાનતા આપવામાં આવે, ભારત એક સેક્યુલર દેશ હોય અને દરેકને મતદાનનો અધિકાર આપવામાં આવે તો પછી ભેદભાવ કે અન્યાય માટે જગ્યા જ ક્યાં બચે છે? બ્રિટિશ સામ્રાજ્યનો ઇતિહાસ લખનારા આર. કુપ્લેન્ડે તેમના ‘ધ કોન્સ્ટીટ્યુશન પ્રોબ્લેમ ઇન ઇન્ડિયા’ નામનાં પુસ્તકમાં લખ્યું છે કે નેહરુ સમિતિએ મતભેદોનું નિરાકરણ લાવવાનો નિખાલસ પ્રયત્ન કર્યો હતો. નિખાલસ. પ્રમાણિક અને શુદ્ધ હ્રદયથી.
પણ નિષ્ઠાપૂર્વકના પ્રયાસને અનુકૂળ પ્રતિસાદ નહોતો મળ્યો. મુસ્લિમ લીગે અને વિશેષ કરીને મહમ્મદ અલી ઝીણાએ વાંધાવચકા કાઢ્યા હતા. તેમણે ૧૪ માગણીઓ અલગથી કરી હતી. તેમને મુસલમાનોના વ્યાપક હિતમાં રસ નહોતો, પણ પોતાનું અભિમાન સંતોષવામાં રસ હતો. અઘરી માગણી કરે, કાઁગ્રેસના નેતાઓ લાચાર થઈ જાય, તેમની કાકલુદી કરે, સમજાવે એ તેમને જોઈતું હતું. આવું થવા પણ લાગ્યું એટલે ઝીણા વધારેને વધારે અકારા થવા લાગ્યા. કેટલાક કાઁગ્રેસીઓ પણ આકરા થવા લાગ્યા અને ઓછામાં પૂરું ૧૯૩૭માં વિનાયક દામોદર નજરબંધીથી મુક્ત થઈને હિંદુ મહાસભાના નેતા બનીને મેદાનમાં આવ્યા. એ પછી ઝીણા અને સાવરકર વચ્ચે બે છેડાની જુગલબંધી રચાઈ. આમાં હિંદુ મહાસભાની તો બહુ કાંઈ રાજકીય વગ કે શક્તિ નહોતી, પણ ઝીણા માટે એ પૂરતી હતી. એ પછી જે બન્યું એ સર્વવિદિત ઇતિહાસ છે.
છેલ્લે નેહરુ રિપોર્ટ તૈયાર કરનારા સભ્યોને ન્યાય આપવા ખાતર એટલું નોંધવું જોઈએ કે નેહરુ રિપોર્ટે ભારતના બંધારણનો અને બંધારણીય ભારતનો ઘાટ ઘડી આપ્યો હતો. ભારતનું બંધારણ કોઈ એક વ્યક્તિએ કમરામાં બેસીને ઘડ્યું નથી.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 12 નવેમ્બર 2023