પરિવર્તન જીવનનો નિયમ છે, પણ પરિવર્તન કયું? સહજ ક્રમે આવે તે, કે કોઈ ખાસ હેતુ માટે થોપવામાં આવે તે? બંનેમાં કશુંક બદલાય છે. બંનેમાં લાભ અને હાનિ છે. ફરક એટલો છે કે એક કુદરતી છે ને બીજું, માનવ સર્જિત છે. સ્ત્રી-પુરુષ વચ્ચે આહાર, નિદ્રા, ભય અને મૈથુન કુદરતી છે. મૈથુન અને બાળજન્મ માટે સમાજે લગ્નની વ્યવસ્થા નક્કી કરી છે. હવે તો સજાતીય લગ્નો પણ સહ્ય ગણાય છે, તો ક્યાંક લગ્ન જ સહ્ય નથી, એવું પણ છે. તે એટલે પણ કે લગ્ન કરતાં લગ્નેતર સંબંધોનું પ્રમાણ વધતું આવતું હોય, તો લગ્નનું મહત્ત્વ કેટલુંક રહે તે પણ પ્રશ્ન જ છે. લગ્નને બંધન માનનારાં પણ લગ્નમાં બહુ સંડોવાતાં નથી અને લિવ ઇન રિલેશનશિપને વધુ સગવડ ભરેલા વિકલ્પ તરીકે જુએ છે. એમાં બંધન નથી, તેથી જવાબદારી નથી એવું નથી. તેમાં સગવડ એ છે કે ફાવે ત્યાં સુધી સાથે રહો ને ન ફાવે તો અલગ થઈ જાવ. મોટે ભાગે આવા સંબંધમાં સંતાન ઇચ્છનીય હોતું નથી, એટલે બાળઉછેરની જવાબદારી પણ રહેતી નથી. એ નથી રહેતી એટલે ઘડપણમાં કેવી રીતે રહેવું તે પણ જાતે જ નક્કી કરવાનું રહે છે. જેમને જવાબદારી વગર એકલાં રહેવાનું ગમે છે તેવા લોકો માટે લિવ ઇન… સારો વિકલ્પ છે, પણ જેમને જવાબદારી ઉપાડવાનો વાંધો નથી, તેવા લોકો માટે લગ્ન એક ઉત્તમ વિકલ્પ છે. લગ્ન સંસ્થાની ઘણી મર્યાદાઓ છે, છતાં એનાથી વધુ સારો વિકલ્પ જગત પાસે બીજો નથી.
લિવ ઇન..માં કે લગ્નમાં બે વ્યક્તિઓ સિવાય બીજું કોઈ સાથે હોતું નથી, ત્યાં સુધી જે વેઠવાનું આવે છે તેની એ બેને થાય તેથી વધુ અસરો બીજાને વર્તાતી નથી, પણ લગ્ન પછી જેમને કુટુંબમાં રહેવાનું થાય છે, તેમની સમસ્યાઓ વ્યાપક અસર પાડતી હોય છે. એવે વખતે પતિ-પત્ની જેટલી સ્વસ્થતા દાખવે એટલો ઉકેલ વધુ હાથવગો હોય છે. લગ્ન બે કુટુંબોની સંમતિથી થાય છે, તેથી સમસ્યાઓમાં કુટુંબો પણ સંડોવાય છે કે ઉકેલ તેમના દ્વારા પણ આવતો હોય છે. બને છે એવું કે સમસ્યાઓ મોટે ભાગે સંડોવાયેલાં કુટુંબોમાં, પ્રમાણભાન કે વિવેક ન જળવાવાને લીધે સર્જાય છે. બંને કુટુંબો પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ વધે એની ચિંતા કરે તો સમસ્યાઓ વકરતી અટકે ને ઉકેલ પણ સરળ થઈ જાય છે. ઘણાં કુટુંબોમાં એ રીતે સમસ્યાઓ દૂર થાય પણ છે, પણ બે કુટુંબો નવ પરિણીતોનો વિચાર કર્યાં વગર કૌટુંબિક અહમ્ વચ્ચે લાવે છે, તેને તો ઈશ્વર પણ બચાવી શકતો નથી.
આટલી ભૂમિકા સાથે એ જોઈએ કે કુટુંબો, પતિ-પત્ની વચ્ચે આવી જઈને કેવી રીતે તેમની વચ્ચેનાં પ્રેમનો સર્વનાશ કરતાં હોય છે. આજે પણ આપણો સમાજ પિતૃસત્તાક છે. લગ્ન કરીને વહુ સાસરે આવે છે, એટલે એનાં કુટુંબને શરૂઆતમાં થોડો ઝૂરાપો લાગે છે, એ પછી એ કુટુંબ દીકરી વગર જીવતાં શીખી જાય છે. એ રીતે કુટુંબમાં બહુ ફેર પડતો નથી, પણ વહુ સાસરે આવે છે તો એક નવું વ્યક્તિત્વ આખા કુટુંબમાં ઉમેરાય છે. તેમાં પણ નોકરી કે વ્યવસાયને કારણે લગ્ન પછી દીકરો-વહુ, બીજે સ્થાયી થવાના હોય, તે સંજોગોમાં પણ, કુટુંબને બહુ ફરક પડતો નથી, પણ વહુ કાયમને માટે સાસરે આવી હોય ત્યાં, કેટલુંક બદલાય છે. એક વાત બહુ સ્પષ્ટ છે કે વહુએ સાસરે રહેવાનું છે ને એડજસ્ટ તેણે જ કરવાનું છે. એ પિયરમાં જે રીતે રહી હોય એમ જ સાસરે રહેવાનું બને તો સારી વાત છે, પણ તેવું ન બને તો સમાધાન તેણે જ કરવાનું આવે છે. બદલાવાનું તેણે છે, સાસરાએ નહીં ! એવે વખતે પિયરની તેણે ભોગવેલી જાહોજલાલીનું કીર્તન કર્યાં કરવાથી તો સાસરાને નીચું દેખાડવા જેવું થશે, એટલું જ નહીં તે સાસરામાં અળખામણી પણ થશે. એ સ્થિતિમાં પતિ જ તેનો આધાર હશે અને એ જો જાણશે કે તેની પત્ની કુટુંબમાં પિયરની કથા કહીને વર્ચસ્વ ભોગવવા માંગે છે, તો તે પણ સાથ નહીં આપે ને એ બંને વચ્ચે માન / મોહભંગ પણ વહેલો થશે.
રહી વાત સાસરાની, તો તેણે એટલું સમજવાનું રહે કે આવનારી વહુ એકાએક સમાધાન ન સાધી શકે કે કોઈ વાતે તેની મુશ્કેલી વધે, તો તેને અનુકૂલન સાધવાનો પૂરતો સમય આપવો જોઈએ. એમાં સૌથી વધુ મદદ સાસુ કરી શકે. એક દિવસ તે પણ આ જ રીતે, આજે જે સૌથી પરિચિત વાતાવરણમાં છે, ત્યાં સાવ નવી હતી ને ધીમે ધીમે તે ગૃહસ્વામિની થઈ શકી. એવી તક સાસુએ વહુને પૂરી પાડવાની રહે. એ તક પૂરી પાડશે, તો અન્ય સભ્યો પણ તેને અનુસરશે. આમ થવું જોઈએ, પણ ઘણાં કુટુંબોમાં થતું નથી. સાસુએ જે વેઠ્યું, તે વહુ પણ વેઠે એ માનસિકતા ઘર કરી ગઈ હોય છે ને તે આગળ જતાં ઘર ભાંગવાનું કારણ બને છે. વહુ, એ બદલો લેવાનું સાધન નથી. આજે ઘણાં કુટુંબોમાં બદલો ન લેવાનો બદલાવ આવ્યો છે એ સારી વાત છે. સાસુ અને મા, સમાન સ્તરનાં મહત્ત્વનાં કૌટુંબિક પદો છે, પણ વહુને મા જેટલી વ્હાલી છે, એટલી સાસુ નથી. એવું જ પુત્રને તેની મા જેટલી વ્હાલી લાગે છે એટલી પત્નીની મા નથી જ લાગતી. જો કે, વહુ સાસરે દીકરી બને એમ પણ થયું છે ને સાસુએ વહુની માનું સ્થાન લીધું હોય એમ પણ થયું છે. વિધવા વહુનું કન્યાદાન સાસુ-સસરાએ કર્યું હોવાના દાખલા નથી એવું નથી, પણ એનું પ્રમાણ ઓછું છે. મોટે ભાગે તો પરસ્પર સ્પર્ધાભાવ અને શત્રુભાવ જ કેન્દ્રમાં રહ્યો હોય છે.
એવું નથી કે વહુ બધે સીધી સાદી જ હોય. તેનાં પેટમાં પણ ઘણા આંટા હોય એમ બને, ખાસ કરીને તે અમીર કુટુંબમાંથી સાધારણ કુટુંબમાં આવી હોય ત્યારે તે વધુ આક્રમક અને વઢકણી બનતી હોય છે. તે ઘણું ખરું એવું માનતી હોય છે કે તે પતિને જવાબદાર છે, એટલી કોઈને નથી. આ ઠીક નથી. આમ થવામાં તેનું પિયર ભાગ ભજવતું હોય એમ બને. પિયરનો ઢંઢેરો સાસરે વગાડવાથી કે સાસરાનો ઢોલ પિયર વગાડવાથી સિલકમાં તો આંસુ જ બચે છે. વહુએ પોતાની સમજદારીથી એ નક્કી કરી લેવાનું રહે કે સાસરામાં પિયરને કેટલું આવવા દેવું ને પિયરમાં સાસરું કેટલું લઈ જવું? કારણ કે દીકરી સાથે મા વધુ સંકળાયેલી હોય છે ને તેને દીકરીની ચિંતા હોય જ છે, તેમાં જો પોતાની અમીરીનો સંસ્પર્શ ભળે તો દીકરી ઓવર પ્રોટેક્ટેડ થઈ જાય છે. આવી વધુ પડતી સુરક્ષામાં માતા દીકરીના સુખમાં ઝેર વાવતી જાય છે. દીકરી બહુ મોટી ફરિયાદ લઈને ન આવે તો મમ્મીએ બને ત્યાં સુધી દીકરીના સાસરામાં માથું ન મારવું જોઈએ. દીકરીને ઘર અને વર જોઈને પરણાવી હોય, પછી તેનાં સાસરા પર ભરોસો રાખવો જોઈએ. દીકરી પણ કોઈ ઉકેલ પૂછતી હોય તો ત્યાં દોડી ન જતાં, તેને તેની રીતે રસ્તો કાઢવાનું સૂચવવું જોઈએ. ઘણી માતાઓ તોરમાં ને તોરમાં દીકરીને પિયર તેડાવી લેતી હોય છે. એમાં ઉતાવળ થતી હોય તો રોકવી જોઈએ. છાશવારે દીકરીને પિયર તેડાવવામાં તેને ખોટી ટેવ પાડવા જેવું ન થવું જોઈએ, કારણ દીકરી પછી તેનો સાસરામાં શસ્ત્ર તરીકે ઉપયોગ કરતી થાય છે. દીકરી સાસરે રહેતી હોય ને મોઢું પિયર ભણી જ રાખતી હોય તો જોખમ બંને પક્ષે રહેતું હોય છે.
એવી ઘણી વહુઓ છે જે વાતે વાતે પિયર જવાની ધમકી આપતી રહે છે. જરા કઈં થયું નથી કે પિયર દોડી નથી. સાસરામાં ગંભીર સમસ્યા ઊભી થઈ હોય ને દીકરી ઝઘડીને આવી હોય તો પિયરે તે તરફ ધ્યાન આપવું જ જોઈએ, પણ સાસરાને બતાવી દેવા, ઇગો સંતોષવા પિયર આવી હોય કે પતિ સાથે કોઈ વાતે ખટરાગ થતાં પિયર દોડી ગઈ હોય ને દેખીતી રીતે જ વાંક દીકરીનો હોય, તો તેને છાવરીને પિયર, દીકરીનું અહિત જ કરે છે. આવે વખતે દીકરીને ઊંડે ઊંડે એવી ખાતરી હોય છે કે તેને તો તેનું પિયર રાખવા તૈયાર જ બેઠું છે, પણ એ મોટે ભાગે ભ્રમ પુરવાર થાય છે. સાચું તો એ છે કે થોડા દિવસ માટે દીકરી પિયર આવી હોય તો માને પાને રહે છે, પણ તે કાયમને માટે આવે તો ત્યાં પણ અનવોન્ટેડ જ બની રહે છે ને ખાસ તો ભાભી સાથે તકરારનું કારણ ઉમેરતી રહે છે. સાસરું છોડીને આવેલી કે સાસરેથી તગેડાયેલી દીકરી, પિયરમાં કદી પણ પૂર્વવત્ માન મેળવી શકતી નથી, એવું ખરું કે કેમ?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 04 ફેબ્રુઆરી 2024