ઘર ખેતર બધું ડૂલ્યા, લ્યા બસ કરો.
ભાન શાન હવે ભૂલ્યા, લ્યા બસ કરો.
વરસ્યો ના વરસાદ ને નદી તળાવ નીર ઓછાં,
મોંધા બિયારણ ખરીદવા રૂપિયા વ્યાજે લીધા,
રાતદાડો કરી મજૂરી અમે વાવ્યું છે પાંચ વીધા,
જાત બળદ હળે ઝૂલ્યા, લ્યા બસ કરો.
ઘર ખેતર બધું ડૂલ્યા, લ્યા બસ કરો.
ભણતર મોંઘું, વળી થાતો ફીનો કાળો કકળાટ,
વીજળીના તો ધાંધિયા, ઉજાગરા થયાં અફાટ,
દાડિયાની ખોટ કાયમ ને માવઠે વાળ્યો છે દાટ,
ભાવ ક્યાં કોઇએ મૂલ્યા, લ્યા બસ કરો.
ઘર ખેતર બધું ડૂલ્યા, લ્યા બસ કરો.
ગામ છોડીને આવ્યા સૌ દિલ્લીમાં ન્યાય કાજે,
કાળા કાનૂન ત્રણેય રદ્દ કરો અમ કિસાન માટે,
રોડે રઝળે આબાલવૃદ્ધ, કૈંક થથરે તમારા પાપે,
દરવાજા મોતનાં ખૂલ્યા, લ્યા બસ કરો.
ઘર ખેતર બધું ડૂલ્યા, લ્યા બસ કરો.
ઉદ્યોગપતિને લ્હાણી ભલે થતાં ખેડૂત ધૂળધાણી
ફંડ ફાળે તિજોરી તમારી જોને કેટલી છલકાણી
આપ્યા વચનો લાખ્ખોના, ના આપી પઇ કાણી
મિલા કયા, બાવા કા ઠૂલ્યા, લ્યા બસ કરો.
ઘર ખેતર બધું ડૂલ્યા, લ્યા બસ કરો.
૧૯/૧/૨૦૨૧
e.mail : naranmakwana20@gmail.com
![]()


મારે એમનાં વિશે એક વાક્ય કહેવું હોય તો હું એમ કહું કે ‘પ્રકાશભાઈ એટલે આપણા જનજીવન, સંસ્કૃતિ અને કલા-સાહિત્યનો જીવંત એનસાયક્લોપીડિયા’, પણ છતાં ય વાત આટલેથી પૂરી ન થાય. પ્રકાશભાઈનો પરિચય ચાર ક્ષેત્રોમાં વિકસેલો અને વિસ્તરેલો છે.
આપણે ત્યાં જમાલપુરમાં ખાંડની શેરી છે, ત્યાં ૧૯૪૬ માં કોમીએખલાસ માટે મરી ફીટનાર વસંત-રજબની ખાંભીઓ છે. તમે આ શેરીમાં જાવ તો અહીંના લોકો પણ પ્રકાશભાઈને ઓળખતા હોય, ઓળખતા હોય એટલું જ નહીં પણ એવો દ્રઢ વિશ્વાસ ધરાવતા હોય કે આ ખાદીનાં લૂગડાં પહેરતો માણસ સગવડ પ્રમાણે પક્ષ બદલતો રાજનીતિજ્ઞ નથી, પણ અમદાવાદનાં જનજીવનમાં વણાયેલી મિલનાં કાપડ જેવી ખજૂરા વિનાની બિનસાંપ્રદાયિક પ્રજાકીય રાજનીતિનો પ્રહરી છે. રાજનીતિના બે છેડા છે. એક છેડો છે મૂલ્ય આધારિત પ્રજાકીય રાજનીતિનો અને બીજો છે પક્ષીય વિચારધારાની રાજનીતિનો. આ બંનેનો ભેદ પણ સમજવા જેવો છે. અને બંને છેડે રહેલા મહાનુભાવોને પણ બરાબર રીતે ઓળખવા જેવું છે. પક્ષીય રાજનીતિ સાથે સંકળાયેલાં લોકોની સમજ એવી હોય છે કે જો મૂલ્ય એમનાં પક્ષે હોય તો તેઓ મૂલ્યના પક્ષે હોય છે. અને પ્રજાકીય રાજનીતિના વિરલાઓ મૂલ્ય જ્યાં હોય ત્યાં, રાજસત્તાની સામે તો સામે, બરાબર કરોડરજ્જુ જાળવીને ઊભા હોય. ૧૯૭૬ માર્ચથી ૧૯૭૭ જાન્યુઆરી સુધી કટોકટી દરમિયાન અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની કરોડરજ્જુ સમાં સ્વાયત્તતાનાં મૂલ્ય ખાતર પ્રકાશભાઈ જેલમાં ગયેલા. આ નવ માસનો જેલવાસ બહુ સૂચક છે. એવું નથી કે બીજા નહોતા ગયાં … પણ આજે એ જ મૂલ્ય એમને વ્યર્થનો વિવાદ લાગે છે. અને પ્રકાશભાઈ આજે પણ એ જ મૂલ્ય માટે કટીબદ્ધ છે. આ ફર્ક છે પક્ષીય રાજનીતિ અને પ્રજાકીય રાજનીતિ વચ્ચેનો. ગુજરાતની કે દેશની એવી એક પણ પ્રજાકીય ચળવળ નથી જેમાં પ્રકાશભાઈ ન જોડાયા હોય. જે.પી. અંદોલનથી લઈને વિ.પી. આંદોલન અને અન્ના આંદોલનમાં પણ એમની સક્રિય ભૂમિકા રહી. એમને સડક પર હાથમાં લાઉડસ્પીકર લઈ સભા સંબોધતા કે સૂત્રોચ્ચાર કરાવતા જોઈએ ત્યારે એમનું પ્રજાકીય રાજનીતિનું પાસું બરાબર સોળે કળાએ ખીલેલું લાગે. હિંદી કે અન્ય ભાષાઓમાં સાહિત્યકારો સહજ રીતે આવી ભૂમિકા લે છે. દિનકરજી તો ‘સિંહાસન ખાલી કરો કઈ જનતા આતી હૈ’ જેવી લોકતંત્રની ધારદાર તલવાર જેવી પંક્તિઓ પણ લખતા, કે નાગાર્જુન સડક પર ઊભા રહી ‘ઇન્દુજી ઇન્દુજી ક્યા હુઆં આપકો, બેટે કે મોહ મેં ભૂલ ગઈ બાપકો’ પોકારે. આપણે ત્યાં આ કમી પ્રકાશભાઈ પોતાનાં લેખન અને જાહેર જીવનની ભૂમિકાથી પૂરી કરે છે. આજ એક્યાશી વર્ષે પણ એમનાં જોમમાં કોઈ નથી. ૪૫-૫૦ વર્ષથી તેઓ રાજનીતિના આ પ્રજાકીય છેડે સન્નાટો નથી છવાવા દેતા.