પડી-આખડીને અરીસો બતાવ્યો,
ચીલો ચાતરીને અરીસો બતાવ્યો.
અરીસો અસલ રૂપ દેખાડે તેથી,
ધૂણી ધાખવીને અરીસો બતાવ્યો.
કવિતાથી કોમળ વધુ કંઈ હતું નહિ,
કવિતા લખીને અરીસો બતાવ્યો.
બરાડા ન પાડ્યા, ન ઝંડા ઉપાડ્યા,
ઝીણું ગણગણીને અરીસો બતાવ્યો.
ખમી લે હજારો કટારી, બીજું શું?
મૂરખ, મેદનીને અરીસો બતાવ્યો!
ચકી સાવ નાની અને ઝાડ મોટું,
અદબ જાળવીને અરીસો બતાવ્યો.
હવે તો સજા ભોગવ્યે છૂટકો છે,
ખતા છે ધણીને અરીસો બતાવ્યો.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 14
![]()


પચીસમી ડિસેમ્બરનું વડાપ્રધાન મોદીનું લખપત વક્તવ્ય સાંભળ્યું તમે? જેમ તે પૂર્વે કાશીમાં તેમ અહીં કચ્છમાં પણ એમણે હજુ ‘ઔરંગઝેબ’ સામેનું જુધ્ધ ચાલુ છે, એ મુદ્દો કર્યો. ગુરુ નાનકે મક્કા જતાં જ્યાં રોકાણ કરેલું તે લખપતમાં એમણે હિંદુમુસ્લિમ સમન્વયનો મહિમા કરવા કરતાં ઓરંગઝેબનાં વરસો પસંદ કરવાનું નક્કી કર્યું એ સૂચક છે એમ જરૂર કહી શકાય. પણ ખરી વાત તો એ છે કે આ પ્રકારના ઉલ્લેખો એમનો ચિરરાબેતો છે. એમાં પણ ખાસ કરીને ૨૦૨૨નું વરસ ઉત્તર પ્રદેશ સહિત સાત રાજ્યોનું ચૂંટણીવરસ છે ત્યારે તો હિંદુમુસ્લિમ ધ્રુવીકૃત કોમી ચશ્મે જોવુંચીતરવું એ એમને સારુ કદાચ તકાજો પણ હશે. સબકા સાથ, સબકા વિકાસ જેવાં સૂત્રો ઉછાળતાં ઉછાળ્યાં હશે, પણ સ્થાયી રાગ તો પેલો અને પેલો જ, બોલ્યે અગર વણબોલ્યે.