courtesy : "The Times of India", 26 June 2017
courtesy : "The Times of India", 26 June 2017
ઉમાશંકરના ‘સંસ્કૃિત’ માસિકના ચારસો પંદર જેટલા અંકોના હજારો લખાણો સૂચિકારોએ સમજપૂર્વક વાંચ્યાં છે…
ઉમાશંકર જોશીએ મહાન સાહિત્ય તો સર્જ્યું જ, પણ તેની સાથે ‘સંસ્કૃિત’ નામનાં સામયિકનું પ્રકાશન-સંપાદન પણ ૧૯૪૭થી ૧૯૮૪ સુધી કર્યું. તેના માટે ‘સમયની સાથે ગાઢ અનુસંધાનપૂર્વક જીવવાની તક મળે તે મુખ્ય પ્રેરણા’ હતી, એમ ઉમાશંકરે નોંધ્યું છે. સાહિત્ય ઉપરાંત અનેક જ્ઞાનશાખાઓને આવરી લેતાં ‘સંસ્કૃિત’ માસિકનો દરેક જ્ઞાનમય અંક ‘જાહેર જીવનના કવિ’ની વૈશ્વિક સંપ્રજ્ઞાનો આવિષ્કાર છે. ‘સંસ્કૃિત’ની આ મહત્તાને છાજે તેવો એક ઉપયોગી, દૃષ્ટિપૂર્ણ અને શ્રમસાધ્ય સંદર્ભગ્રંથ તાજેતરમાં બહાર પડ્યો છે. તેનું નામ છે ‘સંસ્કૃિત સૂચિ’, પેટાનામ ‘સામયિકની વર્ગીકૃત સૂચિ’. આઠસો જેટલાં પાનાંની આ સૂચિ અમદાવાદની હરિવલ્લભદાસ કાળિદાસ આર્ટસ કૉલેજનાં સમર્પિત ગ્રંથપાલ તોરલ પટેલ અને જાણીતાં સાહિત્યકાર શ્રદ્ધા ત્રિવેદીએ તૈયાર કરી છે.
સૂચિ એટલે પદ્ધતિસરની યાદી. ગ્રંથકર્તાઓએ ‘સંસ્કૃિત’ના ચારસો પંદર જેટલા અંકોના પાંચ હજારથી વધુ લખાણો ઝીણવટથી વાંચીને તેમની વિભાગવાર યાદી તૈયાર કરી છે. તેમાં ‘સંસ્કૃિત’માં આવેલાં દરેક લખાણના લેખકનું નામ, તે જે અંકમાં છપાયું તે અંકના વર્ષ-મહિના-પૃષ્ઠની માહિતી મળે છે. તદુપરાંત લખાણના સાહિત્યિક કે સાહિત્યેતર પ્રકાર અને તેના વિષયનો નિર્દેશ મળે છે. સૂચિકર્તાઓએ ‘સંસ્કૃિત’ની સામગ્રીને ત્રીસ વિભાગમાં વહેંચી છે. તે આ સામયિકના ફલકની અને સૂચિકર્તાઓની ચીવટની ઝલક આપે છે. સૂચિની યથાર્થતા સમજવા માટે ‘સંસ્કૃિત’ના અંકો સુલભ હોવા જરૂરી છે. પણ તે આપણાં જાહેર ગ્રંથાલયો કે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં બહુ ભાગ્યે જ હોય છે. ઉકેલ તરીકે, સંસ્કૃિત’ના તમામ અંકો ઉમાશંકરે સ્થાપેલાં ગંગોત્રી ટ્રસ્ટ માટે, મુદ્રણ-પ્રકાશનના કિમિયાગર અપૂર્વ આશરે તૈયાર કરેલી ઉમાશંકર જોશીની અધિકૃત વેબસાઇટ www.umashankarjoshi.in પર વાંચી શકાય છે.
‘સંસ્કૃિત’ સૂચિનો પહેલો જ વિભાગ સૂઝપૂર્ણ છે. આ વિભાગ અંકોનાં ‘આવરણ પૃષ્ઠ’ અંગેનો છે. તેમાં દરેક અંકના મુખપૃષ્ઠ પરનાં ચિત્ર/રેખાંકન/છબીની માહિતી છે. જેમ કે, ‘ગરબો (રસિકલાલ પરીખ) નવે ૫૧’. ત્રીજા કે ચોથા પૂંઠા પર પર મોટે ભાગે કવિતા કે ફકરો છે. તેની નોંધનો દાખલો – ‘ચીનનાં સુવચનો, માર્ચ ૫૦ / પૂ.પા.૪. સૂચિમાં શુદ્ધ સાહિત્યને લગતા વિભાગો આ મુજબ છે : કવિતા, વાર્તા, નવલકથા : અભ્યાસ/સમીક્ષા/સાર/પ્રસ્તાવના, નાટક, નિબંધ, આત્મકથન, ચરિત્રકથન, સાહિત્ય અભ્યાસ: સિદ્ધાન્ત/ ઇતિહાસ/સ્વરૂપ/વિવેચન, ભાષાવિજ્ઞાન, લોકસાહિત્ય, પ્રવાસ.
‘સંસ્કૃિત’ની બહુ મોટી સિદ્ધિ તો સાહિત્યેતર વિષયોને તેમાં મળેલું સ્થાન છે. એટલા માટે સૂચિમાં આ મુજબના વિભાગો પણ છે : જાહેરજીવન-રાજકારણ-ઇતિહાસ, સમાજકારણ, અર્થકારણ, શિક્ષણ, ધર્મ-તત્ત્વજ્ઞાન, કળા-સંસ્કૃિત, પત્રકારત્વ; અને પુસ્તકોને લગતો વિભાગ ‘સ્વાધ્યાય અને સમીક્ષા’. સર્જનાત્મક લખાણો સિવાયનાં લખાણોમાંથી દરેકને એક કે તેથી વધુ વિષયમાં વર્ગીકૃત કરવા એ કસોટીરૂપ બાબત છે. ઉમાશંકર એકંદર જાહેર જીવનના સંખ્યાબંધ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પાસાંને લગતી લાંબી-ટૂંકી પ્રાસંગિક નોંધો લખતા. તેનો ‘સમયરંગ’ નામનો વિભાગ સૂચિમાં બીજા ક્રમે છે. તેના પછીના ‘અર્ઘ્ય’ વિભાગમાં એવાં લખાણોની યાદી છે જે તે તંત્રીએ બીજાં પ્રકાશનોમાંથી લીધેલાંહોય. પત્રમ્-પુષ્પમ્, ‘સંસ્કૃિત’ના વિશેષાંકોના વર્ગ પછી લેખકોના નામોની યાદી છેલ્લા ત્રીસમા વિભાગ તરીકે છે.
છેલ્લેથી બીજો વિભાગ, ‘ઉલ્લેખસૂચિ’ એટલે કે ચાવીરૂપ શબ્દોની યાદી એ આ ગ્રંથની અનોખી સિદ્ધિ છે. તેમાં સર્જનાત્મક સાહિત્ય સિવાયનાં લખાણોમાં આવતાં મહત્ત્વનાં વ્યક્તિ/સંસ્થા/કૃતિ/પારિતોષિકો વગેરેનાં નામ તેમ જ નોંધપાત્ર ઘટનાઓને લગતા શબ્દો છે. વધુ પડકારરૂપ છે તે મુખ્ય વિચાર કે વિષય દર્શાવતા શબ્દો. જેમ કે ‘લોકશાહી’, ‘વિજ્ઞાન’, ‘સમાજ’ વગેરે. એટલે જે લેખોમાં ‘લોકશાહી’ને લગતું કંઈ પણ હોય તે દરેકનું ‘સંસ્કૃિત’ના અંકોમાંનું સ્થાન ‘લોકશાહી’ શબ્દની સામે નોંધવામાં આવ્યું છે. ઉલ્લેખસૂચિ ઝડપી વાચન (સ્પીડ રિડીંગ) અને આકલન પ્રક્રિયાથી તૈયાર થાય છે. દરેક લખાણનું હેતુપૂર્ણ વાચન, તેમાંના કયા શબ્દો ઉલ્લેખ સૂચિમાં આવી શકે તેની તારવણી, અને આવી તારવણી દરમિયાન ઊભો થતો, વધતો શબ્દરાશિ સતત મનમાં જાગતો રાખવાની સતેજતા અનિવાર્ય હોય છે. પાંચેક હજાર ચાવીરૂપ શબ્દોનો આ વિભાગ ‘સંસ્કૃિત’ની ઉપયોગિતા ખૂબ વધારી શકે તેવું મૌલિક પ્રદાન છે.
આવી મૌલિકતા કવિતા વિભાગમાં પણ છે. વિશ્વસાહિત્યના આરાધક ઉમાશંકરના ‘સંસ્કૃિત’માં દેશ અને દુનિયાની ભાષાઓની કવિતાઓના સંખ્યાબંધ અનુવાદ વાંચવા મળે છે. તેમાં ભારતનાં રાજ્યો ઉપરાંત અમેરિકા, આફ્રિકા, એશિયા, ઑસ્ટ્રેલિયા અને યુરોપના દેશોની કવિતાઓના અંગેજીમાંથી થયેલા અનુવાદ પણ છે. સૂચિમાં તેમાંથી મોટા ભાગની કવિતાઓનાં મૂળ શીર્ષક મળે છે. કાવ્યાસ્વાદના વિભાગને પણ બિલકુલ આ જ બાબત લાગુ પડે છે. ‘સંસ્કૃિત’ના પાને ઘણું કરીને અનુવાદનાં અંગ્રેજી શીર્ષકો આપેલાં નથી. દુનિયાભરની આવી સો કરતાં વધુ પદ્યરચનાઓનાં અંગ્રેજી નામ, કોઈ પણ ભાષાના સાહિત્યનો ઔપચારિક અભ્યાસ ન ધરાવનાર, તોરલબહેને શોધ્યાં છે. તેમાં ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનની તેમની તાલીમનો પ્રસ્તુત ઉપયોગ જોઈ શકાય છે. અભ્યાસીઓ સૂચિની મર્યાદાઓ તરફ આંગળી ચીંધી શકશે. પણ તેનાં ઉજળાં પાસાં અનેક છે : એકંદર રચનામાં ડગલે ને પગલે જોવા મળતી સૂઝ, પૃષ્ઠરચના, વિરામચિહ્નોની ઝીણવટ, યુઝર-ફ્રેન્ડલી બનવાની તમામ કોશિશ અને અન્ય. એ પણ નોંધવું જોઈએ કે આ વેબસાઈટનો આ સૂચિની મદદથી કરેલો ઉપયોગ અનેક સંકલનો, સંચયો, સંપાદનો, સંશોધનો અને ઉઠાંતરીઓનો સ્રોત બની શકે એમ છે.
ગુજરાતે ઉમાશંકરને સાહિત્યકાર પૂરતાં જ મર્યાદિત રાખ્યા છે. દુનિયા આખાના જાહેરજીવનના પ્રશ્નો જ નહીં પણ સિવિલાઈઝેશન વિશે નક્કર સંદર્ભમાં સતત વિચારનારા પ્રાજ્ઞજન તરીકે એમની મોટાઈ ચૂકી જવાઈ છે. આ માન્યતા ‘સંસ્કૃિત’ સૂચિમાંથી પસાર થતાં બે રીતે દૃઢ થાય છે. એક, સંસ્કૃિતની પોતાની સામગ્રી; અને બે, સંસ્કૃિત વિષયક લેખોનો અઠ્ઠાવીસમો વિભાગ. તેમાં નોંધવામાં આવેલા મોટા ભાગના અભ્યાસો સાહિત્યકાર ઉમાશંકર વિશે જ લખે છે, સિવિલાઇઝેશનના માનવતાવાદી ચિંતક ઉમાશંકર વિશે નહીં.
ગ્રંથના બહિર-રંગમાં ક્યાં ય નોંધાયું નથી પણ આ વર્ગીકૃત સૂચિ ‘સંસ્કૃિત’ની સૂચિનો બીજો ભાગ છે. પોણા ચારસો પાનાંનો પહેલો ભાગ કાલાનુક્રમિત સૂચિ તરીકે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે ૨૦૧૧માં પ્રસિદ્ધ કર્યો હતો (તેના વિશે છ વર્ષમાં એક પણ લેખ લખાયો નથી). સ્વાભાવિક ક્રમમાં આ બીજો ભાગ વિશ્વકોશ ટ્રસ્ટ જેવી માતબર સંસ્થા તરફથી બહાર ન પડે એ વક્રતા છે. ખંતીલા સૂચિકર્તાઓએ તેના પ્રકાશન માટે ગુજરાત સાહિત્ય અકાદમીને દરખાસ્ત કરી, જે અકાદમીએ અલબત્ત સ્વીકારી. રાજ્ય સરકારે જેની સ્વાયત્તતા છિનવી લીધી છે તે અકાદમી જ, સ્વાયત્તત્તા માટે લડનારા ઉમાશંકર પરનાં અત્યંત મહત્ત્વના ગ્રંથનું પ્રકાશન કરે એ વળી વધુ વિષાદજનક વક્રતા ! જો કે તેને કારણે, સૂચિના સત્ત્વ-તત્ત્વને હાનિ પહોંચતી નથી. ગુજરાતના જૂજ સૂચિકારોની જેમ તોરલબહેન અને શ્રદ્ધાબહેને તેમનાં વ્યવસાય અને વિષયને કૃતાર્થ કર્યા છે.
‘સંસ્કૃિત’ની વર્ગીકૃત સૂચિમાંથી પસાર થતાં વચ્ચે વચ્ચે અને વેબસાઈટ પર લખાણોમાંથી વાંચવા એ રોમાંચક અનુભવ છે. ઉમાશંકરની વિશ્વના આકલન માટેની ઝંખના નતમસ્તક બની જવાય છે. ક્યારેક ભૂલી જવાય છે કે એ કવિ છે. સામે આવે છે તે પોતાના લોકોના વિચારવિશ્વને દુનિયાભરની વિચાર સામગ્રીથી ન્યાલ કરી દેવા માગતો એક અસાધારણ સાક્ષર !
++++++
૨૦ જૂન ૨૦૧૭
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 23 જૂન 2017
એક વાર સ્વામી વિવેકાનન્દ(અથવા સ્વામી રામતીર્થ અથવા કોઈ અન્ય સ્વામી : કારણ કે આવી કથાઓ સાથે સૌ કોઈ મનગમતા સ્વામીને જોડી દે છે !) અમેરિકા જઈ રહ્યા હતા. એમના જમાનામાં અમેરિકા જવા માટે ઘણાખરા લોકો પૂર્વ તરફનો દરિયામાર્ગ લેતા. એટલે કે બર્મા, મલાયા, સિંગાપોર, ચીન, જપાન પછી પ્રશાન્ત મહાસાગર વીંધીને અમેરિકા જવાતું. પ્રવાસ આગબોટથી થતો.
સ્વામીજીએ જોયું કે રંગૂનથી એક જપાની વૃદ્ધ આગબોટ પર ચડ્યા છે. દેખીતી જ એમની ઉમ્મર ૮૫–૮૭ વરસ જેટલી હતી. સ્વામીજીએ એ પણ જોયું કે વડીલ દરરોજ સાંજે આગબોટના તૂતક પરની ખુરસીમાં પાટી–પેન લઈને બેસે છે. સાથે નાનકડી પોથી રાખે છે. તે પોથીમાં જોઈને પાટીમાં લખે છે. ઘણા દિવસ આ જ ક્રમ જોવા મળ્યો. એટલે સ્વામીજીને કુતૂહલ થયું કે વડીલ દરરોજ આ શી મહેનત કરતા હશે?
એક દહાડો કુતૂહલ પ્રગટ થઈ જ ગયું. વૃદ્ધ સમક્ષ જઈને તેમને પ્રણામ કર્યાં અને પૂછ્યું : ‘વડીલ, તમે દરરોજ આ પાટી–પેન અને પોથી લઈને બેસો છો; તે શું છે ?’
‘આ ચીની ભાષાની બાળપોથી છે. હું ચીની ભાષા શીખું છું.’
વિવેકાનંદનું કુતૂહલ હવે આશ્ચર્યમાં ફેલાઈ ગયું. આ વડીલ, આ ઉમ્મરે ચીની ભાષા શીખે છે! ચીની ભાષા જગતની અઘરામાં અઘરી ભાષાઓમાંની એક છે. એની ચિત્રલિપિની 50,000 જેટલી અલગ અલગ આકૃિતઓ શક્ય છે. આપણને માત્ર આકૃિત લાગે એવા એક આકારમાં તો આખું વાક્ય સમાઈ ગયું હોય !
‘પણ વડીલ!’ વિવેકાનન્દ પૂછ્યા વિના ન રહી શક્યા, ‘આવી અઘરી ભાષા આ ઉમ્મરે શીખવાની શી જરુર? એથી શું હાંસલ થશે?’
વૃદ્ધે ફરી વાર હૂંફાળું મીઠું સ્મિત કરતાં કહ્યું, ‘ભાઈ, કોઈ પણ ઉમ્મર, કશું નવું શીખવા માટે વધારે પડતી નથી. માનવી જ્યાં સુધી કાંઈક નવું શીખવા માટે ઉત્સાહી છે, ત્યાં સુધી જ જીવન્ત છે. જો એ ઉત્સાહ ન રહ્યો તો તો પછી શ્વાસ–પ્રાણ ભલે ચાલતા હોય, તોયે માનવી મરેલો જ છે.’
તે દિવસે સ્વામીજીને સમજાયું કે કશું ય નવું કામ કરવા માટે માનવી ‘અતિ વૃદ્ધ’ હોતો જ નથી. દરેક દેશનાં આગવાં કેટલાંક મહાકાવ્ય હોય છે. અંગ્રેજી ભાષા અને ગ્રેટ બ્રિટન માટે આવાં બે મહાકાવ્યો ‘પેરેડાઈઝ લોસ્ટ’ (ગુમાવેલું સ્વર્ગ) અને ‘પેરેડાઈઝ રિગેઈન્ડ’(પુન:પ્રાપ્ત સ્વર્ગ) છે. આ બન્નેના રચનાર મહા કવિ જૉન મિલ્ટન છે. એ ૪૮ની વયે પૂરેપૂરા અન્ધ બની ગયા. એ પછી બાર વર્ષ લગી એમની બન્ધ આંખોની પાછળના દિમાગમાં એક કાવ્ય ઘુંટાતું રહ્યું. છેક સાઠની ઉમ્મર પછી એમણે દીકરીઓને એ કાવ્યનું શ્રુતલેખન કરાવવા માંડ્યું. આ વયે મિલ્ટને, નહોતો પોતાની ઉમ્મરનો ખ્યાલ કર્યો કે નહોતા અપંગાવસ્થાથી નિરાશ થયા.
સાહિત્યની દુનિયામાં આવું જ એક ગૌરવશાળી ઉદાહરણ ‘લે મિઝરાબલ’ અને ‘વિક્ટર હ્યુગો’નું છે. અઢાર–ઓગણીસમી સદીના ફ્રાન્સના શ્રેષ્ઠ લેખકોમાં એક વિક્ટર હ્યુગો છે. પોતાના યુગના એ સાહિત્યસમ્રાટ હતા. અસંખ્ય લેખકોના પ્રેરક હતા. પૂરી ફ્રેન્ચ પ્રજાના માનીતા લેખક હતા. એમનાં લોકલક્ષી લખાણોને કારણે સત્તાધારીઓને ખૂંચતા ય ખરા. શાસકો એમની કદર કરે; પણ એ તો શાસકોની ય ધૂળ કાઢતા! જ્યારે ફ્રેન્ચ ક્રાન્તિ પડી ભાંગી અને નેપોલિયન બોનાપાર્ટ ‘શહેનશાહ’ બની ગયો, ત્યારે અમલદારો તરફથી આ ‘નાફરમાન લેખક’ વિક્ટર હ્યુગોની ધરપકડની દરખાસ્ત આવી. નેપોલિયને અમલદારોને ધમકાવી કાઢ્યા હતા. એણે કહેલું કે, ‘હ્યુગો ફ્રાન્સ છે અને ફ્રાન્સ હ્યુગો છે, તમે ફ્રાન્સની ધરપકડ કેવી રીતે કરી શકો?’
આ હ્યુગો પોતે પણ પોતાની લોકપ્રિયતા અને મહત્તા જાણતા હતા. આથી એક વાર તો ગુમાની લાગે તેવું વિધાન તેમણે કરેલું કે : ‘હવે પેરિસ નગરનું નામ બદલીને ‘હ્યુગો’ નગર રાખવું જોઈએ!’ જે વ્યક્તિ પોતાને વિશે આટલું બધું ગૌરવ ધરાવવા અને વ્યક્ત કરવા તૈયાર થાય તે કેટલી બધી માનસિક અને નૈતિક તાકાત ધરાવતી હોય! હ્યુગો એ તાકાત ધરાવતા હતા.
અને એ તાકાત એમણે જિન્દગીની ઉત્તરાવસ્થા સુધી કેવી જાળવી રાખી હતી એનું જીવન્ત ઉદાહરણ ‘લે મીઝરાબલ’ છે. હ્યુગોની ફ્રેન્ચ ભાષાની જ નહીં; સમગ્ર વિશ્વની શ્રેષ્ઠ દસ–વીસ નવલકથાઓમાં સ્થાન પામે એવી આ નવલકથા લખવાનું કાર્ય, હ્યુગોએ ૭૮ વર્ષની વયે શરૂ કર્યું હતું.
કેટલાક લોકો અમુક ઉમ્મર થતાં જ કશાંયે સર્જનાત્મક કે ઉપજાઉ કામ છોડી દે છે. ઘણાખરા તો સમાજ માટે ભારરૂપ બનવા લાગે છે. કેટલાક વળી, અર્થહિન ક્રિયાકાંડો, પોથીપાઠો અને યંત્રવત્ પ્રવૃત્તિઓમાં ખોવાઈ જાય છે. ‘હવે તો મારાથી શું થાય!’ એવા પ્રશ્નો પૂછતા થઈ જાય છે. એવા લોકોએ વિક્ટર હ્યુગોની તસ્વીર ઘરમાં લટકાવી રાખવી જોઈએ. તમને સ્વર્ગની કલ્પિત (માયારૂપ) સીડી બતાવનાર ‘ગુરુ’ની તસ્વીર કરતાં; હ્યુગોની તસ્વીર વધુ સાર્થક બનશે.
અને તમને હ્યુગોની તસ્વીર ન મળે તો ‘મહાભારત’વાળા ‘વેદ વ્યાસજી’ની તસ્વીર રાખજો. પ્રાચીન વિશ્વની એમની સૌથી મોટી એ કૃિત એમણે રચવા માંડી ત્યારે તે એંશી ઉપરની વયના હતા.
કેટલાક લોકો વળી અમુક વય પછી એમ કહીને રચનાત્મક કામોમાંથી ફારેગ થઈ જાય છે કે, ‘હવે કોને માટે કશું ય કરવું?’ એવા લોકોને માટે ચીનના મહાન ફિલસૂફ કન્ફ્યુશિયસની એક પ્રસંગકથા ઉપયોગી બને એમ છે. લો, સાંભળો :
ચીનના એક સમ્રાટ ઘણા ભલા, ઉદાર, દાની અને પરગજુ હતા. એ જરૂરતમંદોને સદા ય ઉદાર હાથે દાન આપતા, વડીલોની ઉત્તરક્રિયા કે સન્તાનોનાં લગ્ન કે જમીન–મકાનની ખરીદી જેવા હેતુ માટે ધન યાચતાં જે કોઈ આવે એને સમ્રાટ કદી નિરાશ ન કરતા.
ઉદાર અને સમજુ હતા એટલે ચિન્તકો, કવિઓ વગેરેના પણ પ્રશંસક હતા. કન્ફ્યુશિયસ જ્યારે એમના રાજ્યમાંથી પસાર થતા હોય ત્યારે એમને, પોતાને મહેલે રહેવાનો અચૂક આગ્રહ કરતા. દિવસો સુધી એમના સત્સંગનો લાભ લેતા. વળી, પોતે કેવાં દાન અને સત્કાર્ય કરે છે એ કન્ફ્યુશિયસ જુએ, એવી ખાસ જોગવાઈ કરતા. સમ્રાટને આશા હતી કે સંતશિરોમણી પોતાના ઉપદેશમાં કે કાવ્યોમાં મારી યશગાથા વણી લે તો હું અમર બની જાઉં.
આવી મનોદશા વચ્ચે એક દિવસે સમ્રાટથી સંતને પૂછાઈ ગયું, ‘પંડિતવર્ય, આ જગતમાં સૌથી મોટો દાની તમને કોણ લાગે છે?’
આવો પ્રશ્ન કરીને સમ્રાટ આતુરતાથી સંતના ચહેરા સામે તાકી રહ્યા. એમને પૂરી આશા હતી કે સંત મને જ મોટામાં મોટો દાની ગણશે. હું એમની પરોણાગત ખૂબ ભાવથી કરું છું. મારાં દાન પણ તેઓ પ્રત્યક્ષપણે જુએ જ છે.
પણ કન્ફ્યુશિયસે તો જવાબ આપવાને બદલે સમ્રાટને સૂચવ્યું કે મારી સાથે મહેલની છત પર ચાલો.
બન્ને ચાલ્યા. રાજમહેલ એક ઊંચી ટેકરી પર હતો એની છત ઉપરથી સમગ્ર નગર જ નહીં; ફરતી ખેતરાઉ અને વાડીમય જમીન અને ગોચર વગેરે પણ દેખાતાં હતાં. એમાં એક બાજુ ખરાબાની વગડાઉ જમીન પણ હતી. કન્ફ્યુશિયસે આ ખરાબા ભણી આગળી ચિંધીને સમ્રાટને પૂછ્યું, ‘આ તરફ જુઓ : તમને શું દેખાય છે? થોડીક વાર જોયા કરો અને પછી મને કહો.’
સમ્રાટે નજર ખેંચી. ‘અં … ખરાબાની જમીન સાવ બંજર છે. ઘાસનું તણખલુંયે ઊગેલું જણાતું નથી … આ જમીન પર કોઈ માણસ કામ કરતો દેખાય છે. એ વાંકો વળીને, કોદાળી વડે જમીન ખોદી રહ્યો જણાય છે … બરાબર, એ કશોક ખાડો કરતો લાગે છે … અં … ઓહો! એણે આવા તો ઘણા બધા મોટામોટા ખાડા કર્યા છે .. ! અચ્છા, એક બીજો ખાડો કરીને એ ટટાર થયો … ચાલ્યો … ખરાબાને છેડે એક મોટો ઢગલો અને એની બાજુમાં એક નાની ઢગલી છે .. એ શું હશે ?’
‘મોટો ઢગલો ખાતરનો છે, સમ્રાટ’, કન્ફ્યુશિયસે જણાવ્યું ‘અને નાની ઢગલી કેરીના ગોટલાની છે. એ માણસ ગોટલા વાવી રહ્યો છે.’
‘ઓ … હો … ભારે રૂડું કામ કહેવાય!’
‘એ માણસ તમને કેવો દેખાય છે ?’
‘ગરીબ લાગે છે … ઘરડો છે … કમરેથી વાંકો વળી ગયો છે …’
‘સમ્રાટ, આટલે દૂરથી એની ઉમ્મર નહીં કળાય; પરન્તુ એ પંચાણું વર્ષનો છે.’
‘પંચાણું ….?’
‘હા, આજે સવારે વગડામાં આંટા મારતો મેં પોતે એને જોયો. મેં એની ઉમ્મર પૂછી. એ પંચાણુંનો છે.’
‘તો તો હવે તે થોડા જ સમયમાં જ મરણ પામશે, ખરું ને ?
‘હા ખરું, મરણ પામશે, અને છતાં એ આંબા વાવી રહ્યો છે ! સેંકડો આંબા વાવી રહ્યો છે ! ‘શું આ આંબાની કેરી તે ખાવા પામશે કે?’
‘ના, બનવાજોગ તો નથી અને છતાં એ આંબા વાવી રહ્યો છે. મારા ભલા સમ્રાટ ! મારે મતે જગતનો શ્રેષ્ઠ દાનવીર આ વૃદ્ધ માણસ છે.’
સર્જક સમ્પર્ક: 47-A, Narayan Nagar, Paladi, Ahemdabad – 380 007
eMail : yeshwant.mehta.1938@gmail.com
[તારીખ 1-2-2017ના ‘નયા માર્ગ’ પાક્ષીકના પાન 28 ઉપરથી સાભાર]
સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ તેરમું – અંક : 377 – June 25, 2017