એ અદ્ભુત અને વિચિત્ર રાત હતી.
એ રાતે આખા શહેરને એક સરખું સપનું આવ્યું.
આખેઆખું શહેર જાણે એક વ્યક્તિ હોય એમ
એક જ સ્વપ્ન જોતું હતું.
સપનામાં કંઈ દેખાતું નહોતું …
બસ ન કરો મૂંઝારો … મૂંઝારો … મૂંઝારો …
ધૂળધુમાડા અને ગંધનો દબદબો.
જાણે ગરુડપુરાણમાંથી નીકળેલું રૌરવ નરક
સમગ્ર શહેરને ભરડો લઈ ચૂક્યું હતું.
ઊંઘમાં પગની નસો જકડાઈ જાય
ને કોઈ માણસ ચીસ પાડી સફાળો જાગી જાય એમ
આખું શહેર કરાંજતું હતું.
એ ભયાનક સપનું કેટલું લાંબું ને કેટલું ઊંડું હતું,
એની કોઈને ખબર ન પડી.
સવારે સૌ જાગ્યાં ત્યારે
શહેર વચ્ચોવચ્ચ ધીખતો જોયો
કચરાનો ઊંચો ઊંચો પહાડ.
* અમદાવાદ પાસે એકઠો થયેલો કચરાનો પહાડ.
૭, મુક્તાનંદ સોસાયટી, નર્મદાનગર, જિલ્લો ભરૂચ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2019; પૃ. 09
![]()


ભારતીય સંસદની ૨૦૧૯ની ચૂંટણીએ મતદાન અગાઉના ચૂંટણી-તારીખોની ઘોષણાથી માંડીને ચૂંટણીપ્રચારના ઘમાસાણ સહિતના તબક્કાઓમાં એક લોકતાંત્રિક પ્રણાલીની અનિવાર્ય લાક્ષણિકતારૂપ બેહદ ઉત્તેજના અને તીવ્ર રસ જન્માવ્યાં. અગાઉની તમામ ચૂંટણીઓની તુલનામાં આ ચૂંટણી સમૂહ-માધ્યમો અને સામાજિક માધ્યમોના વ્યાપક પ્રસાર અને તદ્નુરૂપ વિનિયોગને કારણે સામાજિક-રાજકીય વિશ્લેષણના દૃષ્ટિકોણથી એક ઉલ્લેખનીય એકમ-અભ્યાસ પુરવાર થાય એમ છે. તો, મતદાન પછીનાં પૂર્વાનુમાનિત – સર્વેનાં તારણો અને ચૂંટણી-પરિણામોએ પણ ચૂંટણીશાસ્ત્રના નિષ્ણાતો, સમાજવિજ્ઞાનીઓ, તેમ જ અન્ય વિચારવંતો અને નિસબતયુક્ત નાગરિકોમાં તેના અર્થઘટન સંબંધે વિભિન્ન મત-મતાંતરોનાં વમળો સર્જ્યાં છે. પ્રસ્તુત લેખ તે સંદર્ભે એક વિનમ્ર ઉમેરણ છે; જે અલબત્ત, સઘન સર્વે આધારિત તો નથી, પરંતુ ખાસ તો, ચૂંટણી સમયાવધિની વિશેષ પરિસ્થિતિ, ઉપરાંત સામાન્ય સમયખંડ દરમિયાનની સામાજિક ગતિવિધિઓ, વ્યવહારો, પ્રક્રિયાઓ અને પ્રતિભાવોના સચેત અવલોકન આધારિત છે. તો, પરિણામો સંબંધિત અન્ય અર્થઘટનોનું વિહંગાવલોકન અને સમાલોચન પણ કરાયું છે.