ઑગસ્ટ પંદરા, ગત તંદ્રા? સ્વરાજનાં શરૂઆતનાં વર્ષોમાં કવિને આવું કાંક પુછવાપણું લાગ્યું હતું એ આ ક્ષણે સહજ સાંભરે છે. કવિનો પ્રશ્ન, ખરું જોતાં યક્ષ-પ્રશ્ન, સાંભર્યો એનો ધક્કો ઑગસ્ટ પાંચમીના રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજનના વારાથી લાગેલો છે, કેમ કે ત્યારે યોજકો તરફથી કરાયેલ સત્તાવાર દાવો એક નવા સ્વાતંત્ર્યદિવસનો હતો.
આ જે નવા સ્વાતંત્ર્યદિવસનો દાવો, એના જેવી જ એક સહજ ધસી આવતી સાંભરણ ‘બીજી આઝાદી’ એવા હર્ષોદ્ગારોની છે : માર્ચ ૧૯૭૭માં પ્રચંડ બહુમતીથી કટોકટીરાજ સામેનો લોકચુકાદો આવ્યો ત્યારે – કેમ કે એને પગલે લોકશાહી પ્રક્રિયાનું પુનઃસ્થાપન શક્ય બનતું હતું – ‘બીજી આઝાદી’ સરખા ઉલ્લાસપ્રયોગનું એક ઔચિત્ય પણ હતું.
તે પછીના દસકાઓમાં ઉત્તરોઉત્તર આપણે શું સમજતા ને શીખતા ચાલ્યા છીએ? ભાઈ, સ્વતંત્રતા એ એક સતત ચાલુ પ્રક્રિયા છે. અધિકારો પોતે કરીને લોકજાગૃતિ અને લોકસંઘર્ષ વગર, રામના પદસંચાર વિનાની શલ્યા પેઠે સૂતેલા રહે છે.
આપણા સમયની વાત કરતે કરતે એક પેરેલલ તરીકે રામ ખરા ચાલ્યા આવ્યા. તાજું નિમિત્ત, પાંચ ઑગસ્ટનું ન હોત તો પણ આવો ઉલ્લેખ સહજ ચાલ્યો આવ્યો હોત કેમ કે ઇતિહાસ પરંપરાની રીતે વાલ્મીકિના વારાથી તુલસી, કંબન આદિના પોતપોતાના સંસ્કરણ સાથે એ ભારતવાસીઓનો સહિયારો વારસો છે, અને ભાવાવરણ(ઈથોસ)નો સહજ હિસ્સો છે. ‘સારે જહાંસે અચ્છા’ – ખ્યાત ઈકબાલના શબ્દોમાં એ ઈમામે હિંદ છે, જેમ બીજે છેડે ‘નમક બિના ખાના ક્યા, કાના બિના ગાના ક્યા’ એ મતલબની રસખાનની સહજોક્તિમાં કૃષ્ણનીયે એક છબિ ઝિલાયેલી છે.
પ્રશ્ન આ છે : જવાહરલાલ નેહરુએ ૧૯૪૮માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને સંબોધતાં કહ્યું હતું તેમ તમે મુસ્લિમ છો અને હું હિંદુ છું, પણ પ્રાચીન ભારતની જે સિદ્ધિઓ – જેમ કે ‘શૂન્ય’ની શોધ- આપણી સહિયારી વિરાસત છે એનો સહજ રોમાંચ તમને ને મને, ચાહે મુસ્લિમ હોઈએ કે હિંદુ, હોય જ ને.
ઊલટ પક્ષે, યહૂદીનિકંદનમાં હિટલરની રાષ્ટ્રનિર્માણ સિદ્ધિ જોતો ગોળવલકરનો પણ એક અભિગમ છે. જો આ અભિગમ બરકરાર રહે તો પછી પેલાં સહિયારાં સ્પંદનનો અભિગમ બેમાની, બેમતલબ બની રહે છે.
૧૯૪૭માં રાષ્ટ્રીય નેતૃત્વ સમસ્ત એકંદરે જે સ્વરાજત્રિપુટીથી પરિભાષિત થતું હતું તે ગાંધીનહેરુ પટેલ હતા. એમની વચ્ચે, બીજા નેતાઓ વચ્ચે, પરસ્પર મતભેદ નહોતા એવું તો નહોતું. પણ જે એક એકંદરમતી ઉપસી રહી, છતે ભાગલે એક રક્તરંજિત માહોલમાં પણ, એ પાકિસ્તાનની પેઠે કોમી ભૂમિકાની નહીં પણ બિનસાંપ્રદાયિક ભૂમિકાની હતી. છાયાભેદે, ઝોકફેરે, પણ દેશને ‘હિંદુ’ ધોરણે વ્યાખ્યાયિત નહીં કરવાની બંધારણીય એકંદરમતી એ હતી.
આ નેતૃત્વે એમાં ગોથાં ખાધાં હશે, ટૂંકનજરી પેચ પ્રસંગો આવ્યા હશે, એમની શક્તિઓ ને મર્યાદાઓ પ્રગટ થઈ હશે, એમનાં સિન્સ ઑફ ઓમિશન્સ ઍન્ડ કમિશન્સ હશે, પણ એમણે એકંદરે પાકિસ્તાનવેડાથી પરહેજ કરી જાણી એ એમનો વિશેષ અને આપણું પ્રજાકીય સદ્ભાગ્ય રહ્યું. વહેવારુ રાજનીતિમાં સોમનાથ અને અયોધ્યા વચ્ચે વિવેક કરી શકતા પટેલનો અભિગમ આ ક્ષણે સાંભરે છે તો ગિરિલાલ જૈનનું (ઉત્તર વર્ષોમાં જે ભા.જ.પ.ના વૈચારિક વ્યાખ્યાકાર તરીકે ઉભર્યા હતા, એમનું) એ અવલોકન પણ સાંભરે છે કે નેહરુ લોક સાથે સંવાદ સાધી સર્વધર્મસમભાવની ગાંધી ભૂમિકા રાજ્ય સ્તરે બિનસાંપ્રદાયિકતામાં કેવી રીતે સંક્રાન્ત થાય છે એ સુપેરે સમજાવી શકતા હતા.
કૉંગ્રેસથી અલગ ભૂમિકાએ મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાના ઉદય સાથે જે લીગી રાજકારણ વિકસ્યું એની સંભાવનાઓ અને મર્યાદાઓ સમજીને રાષ્ટ્રીય નેતૃત્વે જે પ્રતિભાવ આપવાપણું અને પેચપેરવી કરવાપણું જોયું એનો સૌથી પહેલો મોટી કોઈ સીમાસ્તંભ જોવા મળતો હોય તો તે લખનૌ કૉંગ્રેસ પ્રસંગે ૧૯૧૬માં તિલક-ઝીણા વચ્ચેની ઈલેક્ટોરલ બેઠક વહેંચણીની ફોર્મ્યુલા છે. ગાંધીજી ભારતના સીધા રાજકારણમાં હજુ એપ્રેન્ટિસ જેવા ગણાય એ દિવસોમાં તિલક વગેરેને એટલું સમજાઈ રહ્યું હતું કે મામલો એક ‘નેગોશ્યેટેડ સેટલમેન્ટ’ની જેમ માવજત માગી લે છે. એમાં હિંદુ ભારત અને મુસ્લિમ ભારત એમ જુદા પાડવાની વાત નહોતી. એક સંયુક્ત એકમની ભૂમિકા એ હતી.
પછીના દાયકાઓમાં સાવરકરે પરિભાષિત કરેલ મુસ્લિમદ્વેષી હિંદુત્વ અને મુસ્લિમ લીગની પાકિસ્તાનની માંગણી, એ હદે આગળ ચાલ્યાં કે કૉંગ્રેસ અને ગાંધી બેઉ છેડેથી ટીકાસ્ત્રનો ભોગ બનતાં રહ્યાં. દેશમાં એકથી વધુ રાષ્ટ્રો છે – કમ સે કમ હિંદુને મુસ્લિમ બે તો જુદાં રાષ્ટ્રો છે જ – એ સાવરકરે હિંદુ મહાસભાના અમદાવાદ અધિવેશનમાં પ્રગટપણે પ્રતિપાદિત કર્યું તે પછી લીગનો પાકિસ્તાનનો ઠરાવ આવ્યો, એ ઇતિહાસવસ્તુ છે. ઇતિહાસવસ્તુ તો કમનસીબે એ પણ છે કે લીગના લાહોર અધિવેશનમાં પાકિસ્તનનો ઠરાવ રજૂ કરનાર ફઝલૂલ હક્ક બંગાળમાં મુખ્યમંત્રીપદે હતા ત્યારે શ્યામાપ્રસાદ મુખર્જી એમના મંત્રીમંડળમાં હતા અને ‘કિવટ ઈન્ડ્યિા’ના ઐતિહાસિક ઠરાવ પછી પણ એમણે મંત્રીમંડળ છોડવું મુનાસીબ માન્યું નહોતું. બલકે, આંદોલનકારોને બ્રિટિશ સરકારે પકડી લેવા જોઈએ એવી હિમાયત કરતાં સંકોચ કર્યો નહોતો.
આ આખી તવારીખ ઉતાવળે સંભારી આપવા પાછળનો આશય રામ જન્મભૂમિ આંદોલનની ક્ષ-તપાસમાં સહાય થાય તે છે.
૧૯૪૭ પછી આપણે બિનસાંપ્રદાયિક રાહ પર, ‘નેગોશ્યેટેડ સેટલમેન્ટ’ની સમજથી આગળ ચાલ્યા એ ‘હિંદુ’ લાગણીને કેવું ને કેટલું અઘરું લાગ્યું હશે એનો એક અંદાજ એ ઇતિહાસવિગતથી આવશે કે વલ્લભભાઈનું અવસાન થયું ત્યારે હિંદુ મહાસભાની કારોબારી એ માટે શોકલાગણી પ્રદર્શિત કરતો ઠરાવ કરવા સંમત થઈ શકી નહોતી. (અલબત્ત, સંઘ નેતૃત્વે એમને અંજલિ અવશ્ય આપી હતી.)
સંઘ, જનસંઘ, ભા.જ.પ. એ બધી તવારીખમાં નહીં જતાં અહીં એટલું જ કહીશું કે જનતા પક્ષથી છૂટા પડી ૧૯૮૪માં માત્ર બે બેઠકોમાં સમાઈ ગયેલ ભા.જ.પે. અડવાણીની પહેલથી મંદિર મુદ્દો ઊંચકી જે આગેકૂચ કરી એણે જન્માવેલ રાજકારણ કમનસીબે આઝાદીપૂર્વ ઉત્તર ઝીણાના આઝાદી બાદના હિંદુ અડધિયાનું હતું. કૉંગ્રેસ કે બીજા પક્ષોના નિઃશંક સિન્સ ઑફ ઓમિશન્સ ઍન્ડ કમિશન્સથી એબાકપણે આગળ વધી અહીં ખેલાઈ રહેલું રાજકારણ કોમવાદની એક પૂરા કદની રાજકીય વિચારધારા તરીકે પ્રાણપ્રતિષ્ઠાનું હતું. આ પૂરા કદની વિચારધારાને એમણે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ તરીકે વ્યાખ્યાયિત કરી અને એ રીતે આજે કાનૂનન મંદિર નિર્માણનો પથ પ્રશસ્ત થયો ત્યારે એના પર વર્તમાન નેતૃત્વ સાંસ્કૃતિક સ્વતંત્રતાનો થપ્પો મારી રહ્યું છે.
સ્વાતંત્ર્યસંગ્રામ, દાંડી કૂચ, ભગતસિંહની શહાદત, પુના કરાર, કરાચી કૉંગ્રેસનો મૂળભૂત અધિકારોનો ઠરાવ, ૧૫ ઑગસ્ટ ૧૯૪૭, ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ એ જે આખી પરંપરાને હવે કેમ જાણે ઉલટાવવાના (ખરું જોતાં વિપથ પ્રસ્થાનના) સત્તાવાર અભિગમ સાથે આગળ વધવાનું વલણ જણાય છે.
દીનદયાલ ઉપાધ્યાયે એકાત્મ માનવવાદમાં રામરાજ્ય એટલે કે ધર્મરાજ્યના ખયાલને આધુનિક શબ્દાવલીમાં સમજાવતા ‘રુલ ઑફ લૉ’ એવો અંગ્રેજી પ્રયોગ કર્યો છે. અયોધ્યામાં તમે જુઓ કે મુદ્દો ‘ટાઈટલ સુટ’નો અને ૧૯૪૯માં ચોરીછૂપીથી રામ લલ્લાના મૂર્તિસ્થાપનનો હતો. વળી ૧૯૯૨ના છઠ્ઠી ડિસેમ્બરના બનાવ માટે ગુનેગારોને નસિયત બાકી છે, અને ધ્વસ્ત ઈમારતને સ્થાને નિર્માણની શરૂઆત થઈ રહી છે. ના, આ રુલ ઑફ લૉ તો નથી જ.
આપણે આઝાદ થયા અને પ્રજાસત્તાક બંધારણ ઘડ્યું તે ઇતિહાસઘટના હિંદુ કે મુસ્લિમ તરીકેની નથી પણ નાગરિક તરીકેના નવયુગ પ્રવેશની છે. જે તોડફોડની તવારીખ અયોધ્યા કે સોમનાથની છે તેને અંગે ‘નેગોશ્યેટેડ સેટલમેન્ટ’ના રાહે આગળ વધવાની તિલક-ઝીણા સમજૂતી ‘રુલ ઑફ લૉ’ના ખાનામાં પડે છે. તોડફોડનો ભોગ બનેલાં ધર્મસ્થાનકો અંગે યથાસ્થિતિના સ્વીકારનો ૧૯૯૧નો કાયદો (જેમાં અયોધ્યાનો અપવાદ કરાયો હતો) ‘રુલ ઑફ લૉ’ને અન્વયે કરાયેલ ગોઠવણ હતી અને છે.
આ કહેતી અને લખતી વખતે તોડફોડના બચાવનો આશય મુદ્દલ નથી. પણ વાતને એક ચોક્કસ પરિપ્રેક્ષ્યમાં બાંધવાની રીતે, સામાન્ય રીતે, આપણે જે ઇતિહાસવિગતો જાણતા નથી કે જાણતે છતે ભૂલી જવાનું પસંદ કરીએ છીએ એનો ઊડતો ઉલ્લેખ ચોક્કસ કરવા ઈચ્છું છું. મહાકાલેશ્વર (ઉજ્જૈન) પાસે ઓરંગઝેબનું દાનપત્ર છે, અગર તો અમદાવાદમાં ચિંતામણિ પાર્શ્વનાથ(રાજપુર)નું દેરું ધ્વસ્ત કરાયેલું એના નિર્માણની આજ્ઞા શાહજહાંની છે, આ કેવી રીતે ઘટાવીશું? અગર તો, રાણા પ્રતાપ ખ્યાત એકલિંગજીનું દેરું મૂળે જૈન સ્થાન હતું કે પંઢરપુરનું ભારતપ્રસિદ્ધ વિઠ્ઠલ મંદિર મૂળે જૈન મંદિર હતું એ સંશોધનને કેવી રીતે ઘટાવીશું? મહમદ ગઝનીએ મુલતાનની મસ્જિદ તોડી હતી એ બીનાને કેવી રીતે જોઈશું? ધર્મસ્થાનકો બાબતે પરસ્પર તોડફોડ અને છેડછાડ કેવળ હિંદુમુસ્લિમ મામલો નથી. તે માંહોમાંહે પણ ચાલુ છે. ગમે તેમ પણ, આ બધી બાબતને સામસામા રાષ્ટ્રવાદી સંઘર્ષમાં નહીં ખપાવતા સાથે રહેવાની રીતે ‘રુલ ઑફ લૉ’ની બાબત તરીકે અને પરસ્પર સદ્ભાવની રીતે ઘટાવવા અને ગોઠવવાની જરૂર છે.
આ રીતે જોતાં અયોધ્યામાં મંદિરનિર્માણનો પથ પ્રશસ્ત થયો; શુભ આરંભમાં જૂના પક્ષકાર ઈકબાલ અન્સારીએ સામેલ થવું પસંદ કર્યું; સર્વોચ્ચ અદાલતે ટાઈટલ સુટની મર્યાદા લાંઘીને ‘ક્લેક્ટિવ વિઝડમ’ની રીતે પ્રસ્તુત ચુકાદો આપ્યો; મુસ્લિમ સમુદાયે મોટે ભાગે કેવળ ચુમાઈને બેસી રહેવાની રીતે કે પછી ‘કજિયાનું મોં કાળું’ એમ આખી વાતને જોઈ. આ બધું જો સૌના સ્વસ્થ ને ન્યાયી વિકાસ માટેનો રસ્તો ખોલતું હોય તો બાકી ટીકા જરૂર મ્યાન રાખીએ, બલકે ઘૂંટડો ગળી પણ જઈએ. પણ સાંસ્કૃતિક સ્વાતંત્ર્ય એવી નવી આઝાદી તરીકે પાંચમી ઑગસ્ટને ઘટાવી હિંદુત્વ ઉર્ફે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના હર્ષોન્માદી ખ્યાલમાં રાચવું એ ન તો સત્તાપક્ષ સારુ ઈષ્ટ છે, ન તો દેશજનતા સારુ પથ્ય છે.
પાંચમી ઑગસ્ટે દિવાળીના માહોલનું સત્તાવાર પ્રક્ષેપણ ને મીડિયા હાઇપકારાથી ઉફરાટે, મર્યાદા પુરુષોત્તમ અને ઇમામે હિંદની સાખે આ થોડાંએક હિતવચનો, જેથી ‘ગત તંદ્રા?’ એ પૃચ્છાનો વિધાયક ઉત્તર આપવાની શક્યતા ખૂલે.
ઑગસ્ટ, 12, 2020
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2020; પૃ. 01 તેમ જ 10