ધ ઇકોનૉમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (ઇ.આઇ.યુ.) દર વર્ષે વિવિધ દેશોમાં લોકશાહીની સ્થિતિ વિષે એક અહેવાલ તૈયાર કરે છે. વર્ષ ૨૦૨૦ માટેનો અહેવાલ ચાલુ વર્ષની શરૂઆતમાં પ્રકાશિત થયો, તેમાં ભારતનો ક્રમ બે પગલાં પાછળ ગયો છે. વિશ્વમાં ભારતની લોકશાહી ૫૧મા ક્રમે હતી, તે હવે ૫૩મા સ્થાને છે. આમ તો, ભારતમાં લોકશાહીની હાલત નાજુક છે, એ સમજવા માટે ભારે બુદ્ધિ લગાડવાની જરૂર નથી. રોજ બ રોજની ઘટમાળમાં માંડ ટકી રહેવાનો પ્રયત્ન કરી રહેલા નાગરિકો માટે આમાં કોઈ નવા સમાચાર નથી. અહીં પરિસ્થિતિ કેવી કપરી છે, તેનો અંદાજ માંડવા માટે આપણને ઈ.આઈ.યુ.ની જરૂર નથી, એમાં ગ્રીક કે લૅટિન જાણવું પડે એવું કાંઈ નથી. છતાં ગ્રીક-લૅટિનનાં નવાં જોડાણો બહાર આવે છે, જેનાથી આપણી દૈનિક વાસ્તવિકતામાંથી નવા સમાચાર પણ સર્જાય છે. અહીં વાત સંસદમાં જોવા મળતા હૉર્સપ્લે (શું કહીશું, ‘અશ્વક્રીડાઓ’) કે વિધાનસભાઓમાં થતા હૉર્સટ્રેડિંગ (‘અશ્વવ્યાપાર’) વિશે નથી, પણ અશ્વની જ વાત છે, મિથિક અને ઐતિહાસિક બંને પ્રકારના.
ગ્રીક મિથકમાં દરિયાનો દેવ મનાય છે તે પસાઇડોનની સંતતિમાં બે અશ્વ પણ હતા. દેવી ડિમિટરની કૂખેથી અતિ વેગવાન અશ્વ આરાઇનનો જન્મ થયો, અને ગોર્ગોન મેડુસાએ પાંખોવાળી ઘોડીને જન્મ આપ્યો, જેને વાળના સ્થાને જીવંત, ઝેરી સાપો હતા. એના પિતાની દાઢી જેવી શ્વેત કેશવાળી અને એની માતા જેવી પાંખો ધરાવતી આ ઘોડીનું નામ હતું પેગસસ. સદીઓથી ભુલાઈ ગયેલું આ નામ હવે સમાચારોમાં ચમકે છે, એ પણ ગ્રીસથી હજારો માઈલ દૂર, ભારતમાં.
ઘોડા માટેનો લૅટિન શબ્દ છે ‘ઇક્વસ’. આમ તો તે ગધેડાથી લઈને ઝિબ્રા સુધીની ઘોડા જેવી બધી જાતિઓ માટે વપરાતો. ગ્રીક મિથકના ઘોડા પ્રાણઘાતક હતા, પણ લૅટિન ઇક્વસ સંપૂર્ણ શાકાહારી હતો. ઘણી ઘોડીઓ સાથે મળીને એક ઘોડાને પોતાનો સર્વોપરી માનતી, અને નિશ્ચિત વિસ્તારમાં તેમનું ટોળું સાથે રહેતું. ઇક્વસની કમ-સે-કમ થોડી જાતિઓને માનવજાતે આજના યુક્રેન અને કઝાખસ્તાનના વિસ્તારમાં ઈ.સ. પૂર્વે ૪૦૦૦માં પાલતું બનાવી હતી. એ પછીનાં ૨,૦૦૦ વર્ષોમાં પાલતુ ઘોડા માનવજીવનનો ભાગ બની ગયા. સિન્તાશ્તા અને પેત્રોવ્કામાંથી પ્રાગૈતિહાસિક શોધખોળમાં કબરમાં દફનાવાયેલા ઘોડા પણ મળી આવ્યા છે. જનીનવિજ્ઞાની સંશોધન એવી શક્યતા બતાવે છે કે બધા ઘોડા એક જ પેટાજૂથ – ‘હેપ્લોટાઇપ’ –માંથી આવ્યા છે.
અલબત્ત, કોવિડ, બેરોજગારી, ભાવવધારો, લોકતાંત્રિક સંસ્થાઓના પતન અને ચારેકોરથી ભયના વાતાવરણ વચ્ચે આવી પ્રાગૈતિહાસિક વાતો આપણને પ્રસ્તુત ના લાગે. પણ ઇઝરાયલની એન.એસ.ઓ. ગ્રૂપ નામની કંપનીનું એક જાસૂસી સૉફ્ટવેર છે, જે માત્ર સરકારને જ વેચવામાં આવે છે, તેના લીધે પેગસસ સમાચારોમાં છે. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ‘પાશ્ચાત્ય’,‘માક્ર્સવાદી’ અને ‘રાષ્ટ્રવિરોધી’ ઇતિહાસવિદો પર જે ઝનૂનથી હુમલો કર્યો છે, તેના કારણે ઇક્વસ પણ વેબિનાર અને વૉટ્સએપના અપપ્રચારમાં ઝળક્યો છે.
એવા અહેવાલ છે કે જ્યારે ‘ઑપરેશન લોટસ’ હેઠળ કર્ણાટકમાં લોકશાહી ઢબે રચાયેલી સરકારને તોડવા હૉર્સટ્રેડિંગ થયું, ત્યારે ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન જી. પરમેશ્વર, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્દરામૈયાના અંગત સચિવો અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એચ.ડી. કુમારસ્વામીના ફોનનંબર પેગસસના આધારે ટેપ કરવામાં આવ્યા હતા. પાંખોવાળી દરિયાઈ ઘોડીનો આધુનિક અવતાર ઘણા નામધારી ઉપરાંત અમુક કામધારી પર પણ છૂટો મૂકવામાં આવ્યો હતો. ભારતના બંધારણે આપણને રાજ્યસત્તાની ત્રણ પાંખો આપી છે, તો બે પાંખોવાળી ઘોડી ઍક્ઝિક્યુટિવ, લૅજિસ્લેટિવ અને જ્યુડિશિયરી, તે ત્રણેયની મહત્ત્વની વ્યક્તિઓ પર ચાંપ રાખવા મોકલવામાં આવી હતી.
હવે ગ્રીક ઘોડા પરથી લૅટિન ઘોડા તરફ વળીએ. ઘોડા ભારતમાં બહારથી આવ્યા અને સાથે નવી ભાષા, મૌખિક કવિતા અને સંસ્કૃતિ લાવ્યા કે પછી ઘોડા ભારતમાંથી હણહણતા નીકળ્યા અને જેને ‘ઓલ્ડ વર્લ્ડ’ (પુરાતનવિશ્વ) કહે છે, તેના પર આધિપત્ય જમાવ્યું અને આર્ય પ્રજાની ભાષા ત્યાં ફેલાવી – આ બેમાંથી કયો વિકલ્પ સાચો છે, તે પ્રશ્ન ભારતીય ઇતિહાસમાં કદી એટલો મહત્ત્વનો નહોતો, જેટલો આજે છે. ઇક્વસ જાતિની ઉત્ક્રાન્તિ અંગે અત્યાર સુધીમાં થયેલું તમામ સંશોધન આર્યન પ્રજા ભારતની મૂળ રહેવાસી હોવાની ધારણાને ખોટી ઠેરવે છે. પરંતુ, હરપ્પાકાળના અંતિમ તબક્કા વખતનો એક ઘોડાનો દાંત મળી આવ્યો છે, માત્ર તેના આધારે સંશોધકો, ભાષાશાસ્ત્રીઓ, આર્કિયોલૉજિસ્ટ્સ અને ઇતિહાસવિદોએ અત્યાર સુધી સંસ્કૃતની ઉત્પત્તિને જે સમયગાળામાં ઠેરવી છે, તેના કરતાં ઘણી વધારે જૂની હોવાનું માનનારાઓને અચાનક આશા બંધાઈ છે. આ જમણેરીઓની ઇતિહાસસમજ એવી છે કે સરસ્વતી-સિંધુ નદીની સંસ્કૃતિમાં વૈદિક જ્ઞાન પ્રગટ્યું હતું. જો એમ સ્થાપિત કરી શકાય, તો પછી હિન્દુરાષ્ટ્રમાં કોણ મૂળે અંદરના છે અને કોણ બહારથી આવ્યા એ બહુ સરળતાથી સાબિત કરી શકાય. ઘોડા, ઇક્વસ, રથ, શસ્ત્રો, યુદ્ધો, ભાષાઓ એ સઘળી સામગ્રીનો આધાર લઈને ભારતના પ્રાગૈતિહાસિક કાળની નવી સમજ ઊભી કરવાની એમની નેમ છે.
આમાં સાદી મુશ્કેલી એટલી જ છે કે આમ કરવામાં જે બિન-વૈજ્ઞાનિક ધારણાઓ, પુરાવા અને તારણો આવશે, તે ઘોડાના એ તબેલા જેવાં હશે, જેને હક્ર્યુલિસે સાફ કરવા પડ્યાં હતા. વીસમી સદીમાં આપણે જોયું કે જનીની શુદ્ધતાનો આધાર લેતો રાષ્ટ્રવાદ કઈ હદે જઈ શકે છે અને ‘બહારનાં’ ગણાયેલાં પ્રજાજનોને તેમાં શું સહન કરવું પડે છે. હિન્દુત્વ અને મારીમચડીને ઊભા કરેલાં ઇતિહાસનું મિશ્રણ એ ધર્મ-આધારિત રાજ્ય અને વંશીય રાજકારણના મિશ્રણને આમંત્રે છે. આઝાદીનું ૭૫મું વર્ષ નજીક આવે છે, ત્યારે યાદ રાખવું ઘટે કે સ્વાતંત્ર્યસંગ્રામમાં શહીદોએ બલિદાન આપ્યાં તે લોકશાહી વ્યવસ્થા હેઠળની આઝાદી, સામાજિક સમરસતા અને નાગરિક-અધિકારોની સમાનતા માટે આપેલાં, નહિ કે આ અશ્વયુગ લાવવાં, જેમાં પાંખોવાળી ઘોડી જાસૂસી કરે છે, ઘોડાના કાલ્પનિક ઇતિહાસો લખાય છે અને ધારાસભાઓમાં ઘોડાઓને વેપલો થાય છે.
અનુવાદ : આશિષ મહેતા
લેખક રાષ્ટ્ર સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ છે અને પીપલ્સ લિન્ગ્વિસ્ટિક સર્વે ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ છે. (મૂળ લેખ અંગ્રેજીમાં ‘ઇન્ડિયન એક્સ્પ્રેસ'માં પ્રસિદ્ધ થયો હતો.)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2021; પૃ. 08