આપણે જેને ઠગ-પીંઢારા એવા જોડિયા નામથી ઓળખીએ છીએ, તે ઠગ હકીકતમાં કેવા હોય એની ખબર ગુજરાતી વાચકોને 1970 પછી પડી હતી. તે વર્ષે હરકિશન મહેતાની મશહૂર ધારાવાહિક નવલકથા ‘અમીર અલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’ પ્રકટ થઇ. 1968થી એ હપ્તાવાર આવતી હતી એટલે મુશાયરાઓની ભાષામાં કહીએ તો, ‘હવા’ બંધાઇ જ ગઇ હતી અને પુસ્તકરૂપે એની પ્રથમ આવૃત્તિ આવી ત્યારે ઇન્સ્ટંટ હિટ થઇ ગઇ. એ પહેલાં લોકોએ ઠગોની વાતો માત્ર લોકવાયકા મારફતે જ સાંભળી હતી.
હરકિશન મહેતા અને ‘પીળા રૂમાલની ગાંઠ’ વિશે ગુજરાતીમાં બહુ લખાઇ ગયું છે. લોકરંજક વાર્તાઓના ચાહકોને ખબર છે કે હરકિશન મહેતાએ જે પ્રથમ બે માસ્ટર ક્લાસ નવલકથાઓ આપી – ‘જગ્ગા ડાકુના વેરનાં વળામણાં’ અને ‘પીળા રૂમાલની ગાંઠ’- તે અપરાધની દુનિયાના વિષય તરીકે એક નવી શરૂઆત હતી. મતલબ કે અપરાધી તરીકે ડાકુઓ અને ઠગ બંને લોકરંજક વાર્તા સાહિત્યમાં સાવ જ નવો વિષય, એટલે ‘આમાં આવું હોય?’ એવા આશ્ચર્ય સાથે બંને નવલકથાઓ જબરદસ્ત લોકપ્રિય થઈ. ફૉલો-અપમાં તો હરકિશનભાઈ ‘ચંબલ તારો અજંપો’માં ફરી પાછા ડાકુઓને લઇને આવ્યા, અને પછી તો ગુજરાતીમાં બીજા લેખકો પણ ડાકુકથા લાવ્યા.
ઠગનો વિષય પહેલીવાર અને છેલ્લીવાર ‘પીળા રૂમાલની ગાંઠ’માં આવ્યો. ડાકુઓ તો સિનેમામાં પણ આવતા હતા, પરંતુ અપરાધીઓના કબીલા તરીકે ઠગ આટલા બેરહમ, રહસ્યમય, અંધશ્રદ્ધાથી ભરપૂર અને ચકોર હોય એ વાત જ નવી હતી. મધ્યભારતમાં ઠગોની એક સંસ્કૃિત હતી, અને એનાથી સામાન્ય લોકોથી લઇને અંગ્રેજ સરકાર પણ ખાસી પરેશાન હતી. હરકિશન મહેતા અમીર અલી નામના આવા જ એક અત્યંત ઘાતકી અને બુદ્ધિશાળી ઠગની વાર્તા લઇને આવ્યા ત્યારે ગુજરાતી વાચકોને પહેલીવાર મધ્યભારતના બે સદી જૂના અંડરગ્રાઉન્ડ ઇતિહાસની ખબર પડી.
સમાચાર એ છે કે, વાસ્તવિક ચરિત્રો કરવા માટે મશહૂર અામિર ખાને અમીર અલી ઠગની ભૂમિકા સ્વીકારી છે. ‘ઠગ ઑફ હિન્દોસ્તાન’ નામની યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મ આગામી દિવાળીએ રિલીઝ થશે. એમાં આમિર સાથે પહેલીવાર અમિતાભ બચ્ચન પણ છે, જે સંભવત: ઠગ સંસ્કૃિતનો સફાયો કરનાર બ્રિટિશ અફસર વિલિયમ હેનરી સ્લીમેનનો કિરદાર કરે છે, જેણે 1835માં અમીર અલી ઠગને ગિરફતાર કરીને સરકારી સાક્ષી બનાવ્યો હતો.
હરકિશનભાઇના કારણે જે ચરિત્ર ઘરે-ઘરે જાણીતું બની ગયું અને જે હવે સિનેમાના પરદા ઉપર આવીને નવી પેઢીનું રંજન કરશે, તે અમીર અલી અને એની ઠગાઇની દુનિયાને ઓળખવા જેવી છે – જે હરકિશનભાઇની નવલકથાથી પણ આગળ જાય છે. જેમણે ‘પીળા રૂમાલની ગાંઠ’ ધ્યાનથી વાંચી હશે એમને ખબર હશે કે હરકિશનભાઇએ એની પ્રસ્તાવનામાં જ લખ્યું હતું કે ‘પીળા રૂમાલની ગાંઠ’ નવલકથા અંગ્રેજ લેખક કર્નલ મેડોઝ ટેલરે 1839માં લખેલી તથ્યાત્મક નવલકથા ‘કન્ફેશન ઑફ અ ઠગ’ આધારિત છે. ‘પીળા રૂમાલ’ પહેલાં 19મી સદીના બ્રિટનમાં આ ‘કન્ફેશન ઑફ અ ઠગ’ એક બેસ્ટ સેલર પુસ્તક બની ચૂક્યું હતું.
આ કર્નલ ટેલર પંદર વર્ષની ઉંમરે મુંબઇના એક અંગ્રેજ વેપારીના ક્લાર્ક તરીકે આવેલા અને પાછળથી હૈદરાબાદ નિઝામ માટે પૂરી જિંદગી કામ કરતી વખતે હૈદારાબાદની જેલમાં આવેલા અમીર અલી ઠગના પરિચયમાં આવેલા. આ અમીર અલીને કર્નલ સ્લીમને પકડ્યો હતો. જે અંગ્રેજ સરકારે ઊભા કરેલા ઠગ અને ડાકુ વિરોધી વિભાગનો કમિશનર હતો. 19મી સદીના પ્રારંભે ભારતમાં ઠગ લોકોનો આતંક એટલો બધો હતો કે અંગ્રેજોને પણ લાગતું હતું કે ભારતની જનતાનો વિશ્વાસ અને ખુદ ભારતને જીતવું હશે તો આ ઠગોની સફાઇ કરવી પડશે. ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં દર્જ માહિતી પ્રમાણે ઠગ સંસ્કૃિતના 500 વર્ષના ઇતિહાસમાં અંદાજે 10 લાખ લોકોની હત્યા થઇ હતી. કેવી રીતે? ઠગ રસ્તે જતા યાત્રીઓનો વિશ્વાસ જીતીને કાફલામાં સામેલ થઇ જતા અને લાગ જોઇને દરેક યાત્રીની પાછળ ગોઠવાઇ જઇને એના ગળામાં પીળા રંગનો રેશમી રૂમાલ બાંધીને શ્વાસ રુંધી નાખતા, અને પછી કાફલાનો માલ-સામાન લૂંટી લેવાતો.
કર્નલ હેનરી સ્લીમન આમ તો બ્રિટિશ આર્મી ઑફિસર હતો, પણ પાછળથી વહીવટી કામમાં પણ જોડાયેલો. એમાં એની સૌથી મોટી ઉપલબ્ધિ આ ઠગોની ગેંગની સફાઇ કરવાની. ઠગોનો સૌથી વધુ ત્રાસ ઉત્તર અને મધ્ય ભારતમાં હતો. એટલે સ્લીમેને જબલપુર જિલ્લાને એનું વડું મથક બનાવેલું. જબલપુરથી 62 કિલોમીટર દૂર એના નામ પરથી સ્લીમનાબાદ નામનું ટાઉન પણ છે, જ્યાં પોલીસ થાણાના પરિસરમાં પીપળાના ઝાડ ઉપર ઠગોને લટકાવી દેવાતા હતા. કહે છે કે સ્લીમનના ઇંગ્લેન્ડ સ્થિત વારસદાર પાસે આવા જ એક ઠગનો પીળો રૂમાલ આજે ય છે.
આ સ્લીમને ઘણા ઠગોના એન્કાઉન્ટર કરેલાં કે નિષ્કાષિત કરેલા, પરંતુ એમાંથી બે ઠગ સરદાર મર્યા પછી પણ ‘જીવતા’ રહી ગયા. એક, બહેરામ જમાદાર અને બીજો, સૈયદ અમીર અલી. બહેરામ જમાદાર દુનિયાનો પહેલો સિરિયલ કિલર અને માફિયા ગણાય છે. 1790થી 1840 વચ્ચેના ગાળામાં આ બહેરામ કુલ 931 જેટલી હત્યામાં સંડોવાયેલો હતો. સ્લીમનની ટીમના ઑફિસર જેમ્સ પેટોન પાસે આ બહેરામે એવી શેખી મારી હતી કે, ‘મેં મારા હાથે રૂમાલ બાંધીને 125 લોકોની કતલ કરી હતી, અને આવી રીતે બીજા 150 લોકોની કતલ વખતે હું હાજર હતો.’ 1840માં આ બહેરામ જમાદારને અંગ્રેજોએ લટકાવી દીધો હતો.
અમીર અલી વધારે ફેમસ થઇ ગયો, કારણ કે હૈદારાબાદની જેલમાં એણે કર્નલ ટેલરને પોતાની વાત માંડીને કરી હતી. ટેલર સાહેબ ‘કન્ફેશન ઑફ અ ઠગ’માં લખે છે, ‘હું એને 1832માં મળ્યો હતો. એને સાગર(મધ્યપ્રદેશ)માંથી નિઝામનાં રાજ્યોમાં કાઢી મુકાયો હતો અને એ સરકારનો સાક્ષી બની ગયો હતો. એણે જે કબૂલાતો કરી હતી એ રોચક અને ડરામણી હતી. સરકારી રેકોર્ડ, બીજા ઠગોની કબૂલાત અને એની ખુદની વાત પ્રમાણે એ 719 લોકોની હત્યામાં સંડોવાયેલો હતો. એણે મને એકવાર કહ્યું હતું, ‘ઓ સાહેબ, હું બાર વર્ષ જેલમાં રહ્યો ન હોત તો આંકડો એક હજારનો હોત.’
ટેલરસાહેબે આ કબૂલાતને વાર્તામાં ઢાળીને ત્રણ ભાગમાં નવલકથા લખી, જે 1839માં પ્રગટ થઇ. આ પહેલાં અમીર અલીને પકડનાર કર્નલ સ્લીમને 1836માં ઠગો દ્વારા બોલાતી વિશિષ્ટ ભાષા ઉપર ‘રામોસી’ નામના વિચિત્ર ટાઇટલ હેઠળ પુસ્તક લખ્યું હતું. જેમાં સૈયદ અમીર અલી(જેને એ ફિરંગી કહે છે)ની વાત હતી, જેણે જયપુરથી શરૂ કરીને સુરત સુધી જાળ બિછાવતી ઠગોની કામ કરવાની પદ્ધતિ બતાવી હતી.
સ્લીમને ઠગોની દુનિયા ધ્વસ્ત કરી એનાથી ભારતીયોનો બ્રિટિશરાજમાં વિશ્વાસ અને વફાદારી વધી, એ બાબત બહુ ઓછા લોકોના ધ્યાનમાં આવી છે. ઠગોથી રાજા-રજવાડાં યાત્રાળુઓ અને સોદાગરો એટલા પરેશાન હતા કે એમનો આ આતંક ઓછો ન થયો હોત તો કદાચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો ઇતિહાસ જુદો હોત. સ્લીમનાબાદ પોલીસ થાણામાં મોટા બોર્ડ ઉપર અને બહાર વરંડામાં પીપળાના ઝાડ ઉપર આનો ઇતિહાસ આજે પણ ગવાહી પૂરે છે.
‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 09 જુલાઈ 2017
https://www.facebook.com/permalink.php?story_fbid=1848160168845367&id=1379939932334062&substory_index=0