મહારાષ્ટ્રના થાણે જિલ્લાના શાહપુર તાલુકાના રાઠ અંડાલે પાડા ગામની આદિવાસી યુવતી નામે હાલી રઘુનાથ બરાફની ઍવૉર્ડ વાપસીએ ચર્ચા જગવી છે. ૨૦૧૩માં પંદર વરસની હાલીએ અપ્રતિમ સાહસ દાખવીને તેના ભાઈને ચિત્તાનો શિકાર થતો બચાવ્યો હતો. સરકારે તેના આ સાહસને રાષ્ટ્રીય વીરતા પુરસ્કારથી નવાજ્યું હતું. પણ હવે હાલીએ તેનો વીરતા-પુરસ્કાર સરકારને પરત કરી દીધો છે. હાલીની આ ઍવૉર્ડ-વાપસી મોબ લિન્ચિંગ, સી.એ.એ., એન.આર.સી., અનુચ્છેદ ૩૭૦, દિલ્હી હિંસા અને કિસાન-આંદોલનના મુદ્દે નથી, પણ અન્નના દાણા માટેની છે. એટલે તે વિશિષ્ટ છે. થાણે જિલ્લાના તેના ગામવિસ્તારના તેના કુટુંબ સહિતનાં ચારસો આદિવાસી પરિવારોને કોઈ ને કોઈ બહાને જાહેર વિતરણવ્યવસ્થાના અનાજથી બાકાત રાખવામાં આવી રહ્યાં છે. કોરોનાના કપરા કાળમાં જીવવું દોહ્યલું બન્યું છે અને સરકારી અનાજ મળતું નથી, એટલે હાલીએ વીરતાપુરસ્કાર પરત કરીને વિરોધ દર્શાવ્યો છે. ગયા વરસની જેમ આ વરસે પણ આઠ મહિના સુધી દેશના ૮૦ કરોડ ગરીબોને મફત અનાજ આપવાની ‘પ્રધાન મંત્રી ગરીબકલ્યાણ અન્નયોજના’ની વડા પ્રધાને ઘોષણા કરી, તે દિવસોમાં જ અનાજ વિના ટળવળતાં આદિવાસી કુટુંબોની એક દીકરીએ વીરતા ઍવૉર્ડ પરત કર્યો, તેનાથી ગરીબોનાં ભૂખ્યાં પેટની વેદનાનો ખ્યાલ આવે છે.
૨૦૧૩ના નૅશનલ ફૂડ-સિકયૉરિટી ઍકટ હેઠળ ૨૦૧૫થી ગ્રામીણ ભારતના ૭૫ ટકા અને શહેરી ભારતના ૬૦ ટકા લોકોને જાહેર વિતરણવ્યવસ્થાનું રાશન સસ્તાદરે આપવામાં આવે છે. ૨૦૨૦થી અમલી બનેલી ‘પ્રધાન મંત્રી ગરીબકલ્યાણ અન્નયોજના’ હેઠળ રેશનકાર્ડધારકના પરિવારના પ્રત્યેક સભ્યને દર મહિને ૫ કિલો ઘઉં કે ચોખા મફત આપવામાં આવે છે. કોરોનાના કપરા કાળમાં જ્યારે ગરીબોની રોજી છીનવાઈ ગઈ છે, ત્યારે આ મફત મળતા દાણા તેમની ભૂખ થોડી હળવી કરે છે. સુપ્રીમ કોર્ટે તેના હાલના ચુકાદામાં સમગ્ર દેશમાં ‘એક દેશ, એક રાશનકાર્ડ’ની યોજના લાગુ પાડવા આદેશ કર્યો છે. અદાલતે જીવન જીવવાના અધિકારમાં ભોજનનો અધિકાર સામેલ છે, તેમ સ્પષ્ટ કરીને કોરોનાનો સમય ચાલુ રહે, ત્યાં સુધી સરકારોને કોઈ વ્યક્તિ ભૂખી ન રહે તે જોવાની તાકીદ કરી છે. આ માટે સામુદાયિક રસોડા ખોલવાં અને સૂકું અનાજ વિના વિલંબે પૂરું પાડવા પણ જણાવ્યું છે.
ગ્લોબલ હંગર ઇન્ડેક્સ ૨૦૨૦માં વિશ્વના ૧૧૯ દેશોમાં ભારતનો ૯૯મો ક્રમ છે. અઝીમ પ્રેમજી વિશ્વ – વિદ્યાલયના ૨૦૨૧ના સર્વેક્ષણનું તારણ છે કે દેશનાં અતિ ગરીબ ૨૦ ટકા કુટુંબોએ આ દિવસોમાં તેમની તમામ જમાપૂંજી ખર્ચી નાંખી છે, એટલે હવે તે સાવ જ અસહાય છે. અને અર્ધભૂખમરો વેઠે છે. શહેરી સ્થળાંતરિત કામદારો ગામડાંઓમાં પરત જઈને મનરેગામાં મજૂરી કરે છે. ૭૨ લાખ લોકોએ તો આ વરસની ૧૦૦ દિવસની મનરેગા મજૂરી પૂરી કરી દીધી છે. મનરેગાના મજૂરો સતત વધી રહ્યા છે. નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વે દેશની હાલત પોષણના મુદ્દે બદતર હોવાનું જણાવે છે. આ સ્થિતિમાં ભૂખ્યા પેટનો એક માત્ર આશરો સરકારનું સસ્તું ધાન અને રોજી છે.
સરકાર દેશમાં ગરીબો માત્ર ૩૩ કરોડ જ હોવાનું સ્વીકારે છે, પણ મહિને પાંચ કિલો મફત અનાજના ગરીબ લાભાર્થીઓ ૮૦ કરોડ ગણાવે છે (વડા પ્રધાનના વતન રાજ્ય અને મૉડેલસ્ટેટ ગુજરાતમાં તે આંકડો ૩.૫ કરોડનો છે.) તેના પરથી તેની દાનત પરખાય છે. હાલમાં રેશનકાર્ડ પર ગરીબોને એક રૂપિયે કિલો જાડું ધાન, બે રૂપિયે ઘઉં અને ત્રણ રૂપિયે ચોખા આપવામાં આવે છે. ૨૦૨૧-૨૨ના અંદાજપત્રપૂર્વેના આર્થિક સર્વેક્ષણમાં આ સબ્સીડાઈઝ અનાજના ભાવવધારવાની ભલામણ કરવામાં આવી છે.
નીતિ આયોગે ગરીબોને અપાતી ખાદ્ય-સબસિડીમાં રૂ. ૪૭,૨૨૯ કરોડની બચત કરવા માટે એક અફલાતૂન આઇડિયા પેશ કરતાં રાષ્ટ્રીય ખાદ્યસુરક્ષાના ગ્રામીણ લાભાર્થીઓ ૭૫ ટકાથી ઘટાડી ૬૦ ટકા કરવા અને શહેરી લાભાર્થીઓ ૫૦ ટકાથી ઘટાડી ૪૦ કરવા જણાવ્યું છે ! ૩ કરોડ રેશનકાર્ડધારકોનાં કાર્ડ આધારકાર્ડ સાથે લિંક ન થતાં રદ કરાયાં છે. આ બધી બાબતો તંત્રની ગરીબો પ્રત્યેની સંવેદનહીનતાના પુરાવારૂપ છે. તંત્ર જ્યારે અન્ન – સબસિડીમાં સતત વધારાનાં ગાણાં ગાય છે, ત્યારે તેનું કારણ ભાવવધારો હોવાની વિગત ગૂપચાવી દે છે.
એક તરફ દેશ અને દુનિયાના અન્નભંડારો અનાજથી ભરેલા છે અને બીજી તરફ ગરીબો અનાજ વિના ટળવળે છે. વિશ્વની વસ્તી આશરે ૭૫૦ કરોડની છે, પરંતુ વિશ્વનું વાર્ષિક અન્નઉત્પાદન ૧૪૦૦ કરોડની વસ્તીને પહોંચી વળે એટલું છે. ‘ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા’નાં ગોદામોમાં બફરસ્ટોકથી ચાર ગણાં, માર્ચ ૨૦૨૧ની સ્થિતિએ ૮.૦૫ કરોડ ટન ઘઉં અને ચોખા સંગ્રહાયેલા પડ્યા છે. અનાજની બરબાદીની વળી જુદી જ કહાની છે. ગરીબના ભૂખ્યા પેટને અનાજનો દાણો મળતો નથી પણ લગ્નો, સામાજિક-ધાર્મિક પ્રસંગો અને ગોદામોમાં અનાજનો બેફામ બગાડ થાય છે. દુનિયામાં ૨૦૧૯ના વરસે ૯૩ કરોડ ૧૦ લાખ ટન અનાજનો બગાડ થયો હતો. વિશ્વની પ્રત્યેક વ્યક્તિ વરસે ૧૨૧ કિલો અનાજનો બગાડ કરે છે. ધાર્મિક-આધ્યાત્મિક ભારતમાં તેનું પ્રમાણ ૫૦ કિલો અને ભૌતિકવાદી-સામ્યવાદી ચીનમાં ૬૪ કિલો છે. ભારતમાં વાર્ષિક રૂ. ૫૦,૦૦૦ કરોડના અન્નનો બગાડ થાય છે, જે આખા બિહારને એક વરસ પૂરો પડે એટલો છે. ટી.બી., એઇડ્સ અને મૅલેરિયા જેવા રોગો કરતાં વધુ લોકો ભૂખમરાથી મરે છે; બીજી તરફ લાખો ટન અનાજનો બગાડ થાય છે. આ સામાજિક–નૈતિક અપરાધ માટે ક્યારે જાગીશું ?
ભારત સરકાર અને રાજ્ય સરકારો જાહેર વિતરણવ્યવસ્થા હેઠળ જે અનાજ આપે છે, તે પર્યાપ્ત નથી. વ્યક્તિ દીઠ મહિને ૧૫ કિલો અનાજની જરૂરિયાત સામે ૫ કિલો જ મફત અનાજ મળે છે. ગત વરસે અનાજ સાથે કુટુંબ દીઠ એક કિલો દાળ અપાતી હતી, જે આ વરસે બંધ કરી દીધી છે. જાહેર વિતરણવ્યવસ્થાનો ભ્રષ્ટાચાર અને વિતરણની ખામીઓ ગરીબો સુધી અનાજ પહોંચવા દેતાં નથી. ક્યારેક બાયોમૅટ્રિકનો પ્રશ્ન થાય છે, તો ક્યારેક આધાર સાથે લિંકનો. પૂરતો અને સમયસર પુરવઠો અને તે પણ ગરીબની સવલતે કદી મળતો નથી. વળી, તેલ, ઈંધણ, દાળ અને કઠોળના અભાવે માત્ર શરીર ટકે છે, તે રોગ સામે લડવા પર્યાપ્ત નથી.
જો સરકાર પાસે અનેક ગણો વધારાનો અનાજનો પુરવઠો સરકારી ગોદામોમાં સડતો હોય, તો મહામારીના કાળમાં તે ગરીબોને આપવો જોઈએ. મનરેગાની મજૂરીના દિવસો પણ વધારવાની જરૂર છે. જાહેર વિતરણવ્યવસ્થાના લાભાર્થીઓની તમામ યાદી દુરસ્ત કરવામાં આવે, યોજનાનો દાયરો અને અનાજનો જથ્થો વધારવામાં આવે, ઘઉં, ચોખા ઉપરાંત તેલ અને કઠોળને સામેલ કરી, ગુણવત્તાયુક્ત અનાજ લોકોને આપવું તે મહામારીના વર્તમાન સમયની તાકીદની જરૂરિયાત છે.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2021; પૃ. 12