આપણા વડા પ્રધાન રવિવારે દેશને સંબોધી રહ્યા હતા તેના થોડા કલાકો પહેલાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પત્રકાર પરિષદ બોલાવી હતી અને તેમાં પત્રકારોએ તેમની રેવડી દાણાદાર કરી નાખી હતી. અમેરિકન મીડિયા હજુ ગોદી મીડિયા નથી જ્યારે આપણે ત્યાં તો ન્યાયતંત્ર પણ ગોદી ન્યાયતંત્ર બની રહ્યું છે. ટ્રમ્પ બે વાતે ઘેરાઈ ગયા હતા. એક તો તેમને ભાન નથી કે અમેરિકન પ્રમુખની સત્તાનો ક્યાંથી પ્રારંભ થાય છે અને તેનો ક્યાં અંત આવે છે. તેમને એટલું ભાન નથી કે તેમની પાસે કેટલો અખત્યાર છે અને કેટલો નથી. જે છે એનો ઉપયોગ કર્યો નથી અને જે નથી એમાં પોતે સર્વસત્તાધીશ છે એનો દેખાડો કરવા અનધિકૃતપણે હાથ મારે છે અને બદનામ થાય છે. ટ્રમ્પ બદનામ થઈ રહ્યા છે એની ચિંતા નથી, ટ્રમ્પના અજ્ઞાન અને અડાણીપણાને લીધે સંકટ સમયે મૂલ્યવાન સમય વેડફાઈ રહ્યો છે એ વાતની ચિંતા છે.
પત્રકારોએ આ પ્રશ્ને જ્યારે ટ્રમ્પને ઘેર્યા ત્યારે ટ્રમ્પનો પ્રતિસાદ શું હતો જાણો છો? ટિપીકલ ટ્રમ્પને શોભે એવો. થોડી વાર બચાવ કર્યો, પછી ગલ્લાતલ્લાં કર્યાં, પછી વિરોધીઓ ઉપર કાવતરાંનો આરોપ કર્યો, મીડિયા પર ફેક ન્યુઝનો આરોપ કર્યો, ‘આપણી’ સામે ‘બીજા’ઓનાં કાવતરાંની વાત કરી અને પછી જ્યારે કોઈ ઉપાય બચ્યો નહીં ત્યારે ચિડાઈને કહ્યું કે, ‘હા હું જ સર્વસતાધીશ છું, થાય એ કરી લો.’
ટ્રમ્પ ખરાબ રીતે ઘેરાઈ ગયા એનો બીજો મુદ્દો હતો ભૂતકાળમાં બતાવેલા ખોટા આત્મવિશ્વાસનો અને તેના દ્વારા દેશની પ્રજાને ગેરમાર્ગે દોરવાનો. પોતે બધું જ જાણે છે, પોતે સર્વશક્તિમાન છે, આવડતનો અંબાર છે, ચપટી વગાડતા સંકટને હેન્ડલ કરી શકે છે, કોરોના ચીન પૂરતું સ્થાનિક સંકટ છે, કોરોનાની સંક્રમણશક્તિ મર્યાદિત છે, એવા અનેક પ્રકારના દાવાઓ તેમણે કર્યા હતા અને પરિણામે અમેરિકનો રાજ્ય પર ભરોસો રાખીને છેતરાઈ ગયા હતા. પત્રકારોએ તેમને પૂછ્યું હતું કે જ્યાં લોકશાહી નથી એવા ચીને નાછૂટકે સંકટનો સ્વીકાર કરવો પડ્યો હતો, તેણે વિશ્વ આરોગ્ય સંસ્થાને જાણકારી આપવી પડી હતી, કોરોનાના સંક્રમણના સ્વરૂપની જાણકારી આપી હતી, ચીનના પાડોશી દેશમાં વાઈરસ ફેલાઈ ગયો હતો અને દૂર યુરોપમાં ઇટલીમાં ૩૧મી જાન્યુઆરીએ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી ત્યારે અમેરિકન પ્રમુખ કોના ભરોસે કોરોનાના સંકટને હસી કાઢતા હતા? કોના ભરોસે દેશની પ્રજાને સધિયારો આપતા હતા અને કોના ભરોસે નીરો વાંસળી વગાડતો હતો?
પત્રકારોએ ભારત પાસેથી ધમકાવીને હાઇડ્રોક્સીક્લોરોક્વીન નામની દવા મગાવી એ વિશે પણ સવાલ પૂછ્યો હતો. તેમને પૂછવામાં આવ્યું હતું કે મલેરિયા માટેની આ દવા કોરોના માટે અકસીર છે એવી કઈ આરોગ્યસંસ્થાએ તમને સલાહ આપી હતી? જે દવાની પરિણામકારકતા સિદ્ધ જ નથી થઈ એને રાતોરાત મગાવવામાં આવે એ રઘવાયાપણું નથી સૂચવતું તો બીજું શું સૂચવે છે? આ રઘવાટનું કારણ એ છે કે અમેરિકન પ્રમુખે તૈયારી માટેનો મૂલ્યવાન સમય ‘મેં હું ન!’ એમ કહીને વેડફી નાખ્યો હતો.
અમેરિકાને અને અમેરિકન પ્રમુખને જગતના લોકો ધિક્કારતા હોય એવું તો દાયકાઓથી જોવા મળી રહ્યું છે, પણ એ છતાં ય જગતના ટીકાકારો અત્યાર સુધી અમેરિકાની દક્ષતાનો અને ક્ષમતા(કૉમ્પીટન્સ)નો સ્વીકાર કરતા હતા. ટ્રમ્પની સિદ્ધિ એ છે કે તેમણે અમેરિકાની જે એક માત્ર વિશ્વમાન્ય લાયકાત હતી એ પણ ગુમાવી આપી. વ્હાઈટ હાઉસમાં પત્રકારોએ ટ્રમ્પને પાણીપાણી કરી નાખ્યા એનું કારણ આ છે.
અમેરિકન લોકતંત્રનું આ સ્વરૂપ જોઇને મોઢામાં પાણી આવવું જોઈએ. મીડિયાની ખુદ્દારી જોઈને સલામ કરવાનું મન થવું જોઈએ. પ્રમુખને પાણીપાણી થતો જોઇને અમેરિકનોની મીઠી ઈર્ષ્યા થવી જોઈએ. મારી વાત ખોટી છે?
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 ઍપ્રિલ 2020