શિક્ષણ અને રાજકીય સત્તાના કેફમાં ગુલતાન દલિત સમાજ માટે સંઘર્ષશીલ આંબેડકર વિસ્મૃત લાગે છે
ડો. બાબાસાહેબ આંબેડકરને જાતિભેદ અને આભડછેટના કારણે વડોદરા રાજ્યની નોકરી છોડવી પડેલી તે ઘટનાને આ દિવસોમાં સો વરસ થશે. 23મી સપ્ટેમ્બરે વડોદરાની સંકલ્પભૂમિમાં લોકો સંકલ્પ દિન મનાવશે. ડૉ. આંબેડકરનો સંકલ્પ અને દલિતોની વર્તમાન સ્થિતિ વિશે ગંભીર વિમર્શનો આ અવસર છે.
ઈ.સ. 1907માં ભીમરાવ આંબેડકર ભેદભાવો, કારમી ગરીબી અને અભાવો છતાં મેટ્રિક થયા તે મોટી સિદ્ધિ હતી. પિતા રામજી સુબેદારના માસિક 50 રૂપિયાના પેન્શનમાં માંડ નિર્વાહ ચાલતો હતો એટલે વધુ અભ્યાસ શક્ય નહોતો. પરંતુ કૃષ્ણાજી કેળુસકરની મદદથી વડોદરાના સુધારાવાદી મહારાજા સયાજીરાવ ગાયકવાડની શિષ્યવૃત્તિ મળી એટલે ભણી શક્યા અને 1912માં ગ્રેજ્યુએટ થયા. વડોદરા રાજ્યની શિષ્યવૃત્તિની શરત મુજબ આંબેડકર વડોદરામાં નોકરી કરે તે પિતા ઈચ્છતા નહોતા.
પિતાની ઈચ્છાની ઉપરવટ જઈને 23મી જાન્યુઆરી 1913ના રોજ આંબેડકર વડોદરા નોકરી અર્થે આવ્યા. જો કે, તેમના રહેવાની કોઈ વ્યવસ્થા નહોતી. શરૂમાં બે-ત્રણ દિવસ તે વડોદરાની દલિત વસ્તીમાં રહ્યા. આર્ય સમાજી આત્મારામે તેમની રહેવાની સગવડ આર્ય સમાજના કાર્યાલયમાં કરી, જે સ્થળ તેમને અનુકૂળ ન આવ્યું. આવી હાલતમાં એમના પિતાની ગંભીર બીમારીના ખબર આવ્યા એટલે તે મુંબઈ જતા રહ્યા. તે મુંબઈ પહોંચ્યા પછી પિતાનું અવસાન થયું. જીવનઘડવૈયા પિતાની વિદાયના દુ:ખ વચ્ચે તેમણે મુંબઈ આવેલા મહારાજા સયાજીરાવની મુલાકાત લીધી. તેમને પડેલી મુશ્કેલીઓથી માહિતગાર કરી વધુ અભ્યાસ માટે વિદેશ જવાની માગણી કરી. ચાગદેવ ભવાનરાવ ખૈરમોડે લિખિત મરાઠી આંબેડકર ચરિત્રમાં જણાવ્યા મુજબ એ સમયે આંબેડકરે સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને જાહેર નાણાંનો અભ્યાસ કરી દલિતોની સ્થિતિ સુધારવાનો પોતાના અભ્યાસનો ઉદ્દેશ મહારાજાને જણાવ્યો હતો.
1913માં આંબેડકર ઉચ્ચ અભ્યાસ અર્થે અમેરિકા ગયા. અમેરિકાની મુક્ત હવા અને લોકશાહી વાતાવરણનો એમને અનુભવ થયો. સ્નાતક થયા સુધી સરેરાશ વિદ્યાર્થી રહેલા આંબેડકરનું આંતરસત્વ અહીં પૂર્ણપણે બહાર આવ્યું. કોલંબિયા યુનિવર્સિટીમાંથી તે અર્થશાસ્ત્રમાં એમ.એ. અને પીએચ.ડી. થયા. એમનું આરંભનું છતાં ખૂબ પાકટ અને મૌલિક વ્યાખ્યાન ‘કાસ્ટ ઈન ઈન્ડિયા’ અહીં જ લખાયું હતું. આંબેડકરની ઈચ્છા હતી કે તેઓ લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં વધુ અભ્યાસ કરે અને બેરિસ્ટર બને. પરંતુ વડોદરા રાજ્યની શિષ્યવૃત્તિની મુદત પૂરી થતાં લંડનનો અભ્યાસ અધૂરો છોડી અમેરિકા અને ઈંગ્લેન્ડની મુક્ત હવા શ્વાસમાં ભરીને, ડોક્ટરેટ મેળવીને, 21મી ઓગસ્ટ 1917ના રોજ આંબેડકર મુંબઈ આવ્યા. ધનંજય કીર લિખિત આંબેડકર જીવનીમાં જણાવ્યા મુજબ 1917ના બીજા અઠવાડિયામાં ડૉ. આંબેડકર મોટાભાઈ બાલારામ સાથે વડોદરા આવ્યા હતા.
વડોદરા રાજ્યમાં ડૉ. આંબેડકરને અજમાયશી ધોરણે લશ્કરી સચિવ બનાવવામાં આવ્યા. મુંબઈ-કલ્યાણની સભામાં અને આત્મકથનાત્મક લખાણ ‘વેઈટિંગ ફોર વિસા’(ડૉ. આંબેડકર રાઈટિંગ એન્ડ સ્પીચીઝ, ખંડ-11, ભાગ-5, પ્રકરણ-1, પૃ, 659-691)માં ડૉ. આંબેડકરે વડોદરાના કટુ અનુભવો જાતે જ વર્ણવ્યા છે. ડૉ. આંબેડકર વડોદરા રાજ્યના ઉચ્ચ હોદ્દે પહોંચે તે પહેલાં તેમનું દલિત હોવું ત્યાં પહોંચી ગયું હતું. ભારે મેધાવી અને વિશ્વની પ્રસિદ્ધ યુનિવર્સિટીઓની ડિગ્રી છતાં તેમનું જન્મે અસ્પૃશ્ય હોવું તેમના માર્ગમાં આડે ઊભું હતું. ઑફિસમાં પટાવાળા કે સાથી કર્મચારીઓ માન ન જાળવે અને આભડછેટયુક્ત વ્યવહાર કરે. રાજ્યની ઑફિસર્સ ક્લબમાં પણ જુદાપણું દેખાય. રહેવાનું કોઈ ઠેકાણું નહોતું. એટલે પારસીની વીશીમાં જાત છુપાવીને રહ્યા પણ તે લાંબું ન ટક્યું. પારસીઓને તે અછૂત હોવાની ખબર પડી ગઈ. એટલે હિંસક ટોળું તાત્કાલિક જગ્યા ખાલી કરાવવા આવ્યું. રાજ્યના અને મહારાજાના કાને વાત નાખી પણ પરિણામ શૂન્ય આવ્યું. કોઈ મિત્રોએ પણ આશરો ન આપ્યો. એટલે હાલના સયાજીબાગના એક વૃક્ષ નીચે એ પાંચેક કલાક બેસી રહ્યા ને પછી ચોધાર આંસુએ રડતાં રડતાં વડોદરા છોડી દીધું.
ડૉ. આંબેડકરે એમની 1913 અને 1917ની વડોદરા રાજ્યની બંને નોકરીઓ વખતે તેમને અસ્પૃશ્ય તરીકે પડતી મુશ્કેલીઓ સાથે રહેવા મકાન આપવા મહારાજાને અને દીવાનને અનેકવાર રજૂઆતો કરી હતી. જે રાજ્ય આંબેડકરને ભણવા સ્કોલરશિપ આપે – નોકરી આપે તે રહેવા ઘર ન આપે એટલે મજબૂરીવશ એમને વડોદરા છોડવું પડે. અને ત્યારે રાજ્ય કંઈ ન કરે તે સમજવું અઘરું છે. સયાજીરાવ ગાયકવાડની સુધારક રાજવીની છાપ હતી. તેમણે જમાનાથી આગળ દલિતોદ્ધારનાં ઘણાં પગલાં લીધાં હતાં. તેમના વડોદરામાંથી આંબેડકરને અપમાનિત થઈ ઉચાળા ભરવા પડે તે રહસ્ય ન સમજાય તેવું છે.
વડોદરાના સયાજીબાગમાં અનુભવેલું મંથન કે સંકલ્પ બાબાસાહેબે સ્પષ્ટ નથી દર્શાવ્યો. ‘વેઈટિંગ ફોર વિસા’માં ‘વડોદરાની નોકરી મેં શા માટે છોડી એ વાત અહીં અપ્રસ્તુત છે. માટે એમાં ઊંડો ઊતરતો નથી’ એમ લખ્યું છે. આંબેડકરના જીવનીકારો ધનંજય કીર, ખૈરમોડે અને ગેઇલ ઓમવેટ પણ તેમના મનોમંથન કે સંકલ્પ અંગે મૌન છે. જો કે બાબાસાહેબના ગુજરાતી જીવનચરિત્રના લેખક ડૉ. પી.જી. જ્યોતિકરે લખ્યું છે, ‘વડોદરાના એ વૃક્ષ નીચે તેમણે સમાજસેવાનો સંકલ્પ કરી પ્રતિજ્ઞા લીધી કે, ‘જે સમાજમાં હું જન્મ્યો છું તે (દલિત) સમાજ ઉપરના અમાનવીય, અન્યાયી, ઘૃણાજનક, ગુલામીયુક્ત અત્યાચારો દૂર કરીને જ જંપીશ અને તે અત્યાચારો દૂર કરવામાં હું નિષ્ફળ નીવડીશ તો બંદૂકની ગોળી વડે મારા દેહનો અંત આણીશ.’
આજે આંબેડકરને વડોદરા છોડાવ્યાની શતાબ્દીએ, આંબેડકરે ચાહ્યો હતો તેવો દલિત અત્યાચાર મુક્ત અને સમાનતાયુક્ત ભારતીય સમાજ હજી રચાયો નથી. બીજી તરફ ખુદ દલિતો સંઘર્ષસેનાની આંબેડકરને વિસારે પાડી બંધારણના મસીહા આંબેડકરને વળગી રહ્યા છે અને સરકારી નોકરીઓ અને અનામતને જ ઉદ્ધારની એક માત્ર ગુરુચાવી માની બેઠા છે. વડોદરાના અનુભવ અંગે, હુમલો કરવા સજ્જ પારસીઓનું ટોળું અને તેમની સામે દયાની ભીખ માંગતા ભીમરાવ માટે ‘તે દૃશ્ય ક્યારે ય ધૂંધળું પડ્યું નહોતું અને તેના સ્મરણ માત્રથી આંખમાં આંસુ આવી જતાં’ હોવાનું બાબાસાહેબે બહુ દુ:ખી દિલે લખ્યું હતું. આ બધું સંભારીએ છીએ ત્યારે શિક્ષણ અને રાજકીય સત્તાના કેફમાં ગુલતાન દલિત સમાજ માટે સંઘર્ષશીલ આંબેડકર વિસ્મૃત લાગે છે. પિતાએ તો ભીમરાવને ‘છાંયડામાં થાય તેવું કામ કરતાં શીખજે’ની સલાહ આપી હતી. આંબેડકરે સ્વમાનહીન થઈ વડોદરા રાજ્યની નોકરી કરી ખાવાને બદલે તે સ્થિતિને પડકારવા લડી લેવાનું નક્કી કર્યું હતું. તે માટે ભારે અભાવોમાં અંગત જીવન વિતાવ્યું હતું. માત્ર દલિત સમાજ નહીં, સમગ્ર ભારતીય સમાજ આંબેડકરના સંઘર્ષનો માર્ગ ભૂલી ગયો છે તે તેમના જીવનની મોટી કરુણતા છે.
સૌજન્ય : ‘સ્મરણ’, “દિવ્ય ભાસ્કર”, 21 સપ્ટેમ્બર 2017