સતીશ વ્યાસ લિખિત અને કમલ જોષી દિગ્દર્શિત-અભિનિત નાટક ‘જળને પડદે ગયા શુક્રવારે 21 ફેબ્રુઆરીએ માતૃભાષા દિનની ઉજવણી નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદના રા.વિ. પાઠક સભાગૃહમાં અમદાવાદનાં ઓમ કમ્યુનિકેશનનાં નેજા હેઠળ ભજવાયું. આ એકપાત્રી પ્રયોગમાં નાટ્ય, શબ્દ, અભિનય, સંગીત, નૃત્યના સમન્વયનો રમણીય આલોક રચાય છે. તેમાં પ્રતિભાવાન નટ કમલ જોશીએ જે પરિશ્રમ લીધાં, પડકારો ઝીલ્યા અને પ્રતિભાવો મેળવ્યા તેના પ્રસંગો અચંબો પમાડનારાં છે
અઢી કલાક સુધી રંગકર્મી કમલ જોષી એકલા જ, ‘જળને પડદે’ નાટક એવા કીમિયાથી ભજવે છે કે નાટ્યરસિકો તેને લગભગ અપલક આંખે જુએ છે. આવું અભિનય-શિખર છે હોવા ઉપરાંત ‘જળને પડદે’ ગુજરાતની ધરતી પર લખાયેલું, તૈયાર થયેલું અને ગયાં પંદર વર્ષથી ભજવાઈ રહેલું એકમાત્ર પૂરાં કદનું એકપાત્રીય નાટક છે.
નાટ્યકાર સતીશ વ્યાસે આ નાટકમાં ઓગણીસમી સદીના ઊર્મિકવિ મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’નાં જીવન-કવનને મંચ પર મૂક્યું છે. એમ કરવામાં બિનવ્યાવસાયિક રંગભૂમિનાં પ્રિય લેખક સતીશ વ્યાસની સમૃદ્ધ નાટ્યકળા પૂરી ખીલી ઊઠી છે. તેનાં બે અંકમાં ગદ્ય અને પદ્ય ભાષા, વાચિક અને આંગિક અભિનય, શાસ્ત્રીય સંગીત અને નૃત્ય, ધ્વનિ અને પ્રકાશના સમન્વયનો નયનરમ્ય આલોક રચાય છે.
‘કાન્ત’ ઉપનામ ધારણ કરનાર મણિશંકર રત્નજી ભટ્ટ (1867-1923) ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકાવ્યના ઉદ્દગાતા ગણાય છે. તદુપરાંત તેમની પાસેથી સંખ્યાબંધ ઊર્મિકાવ્યો, કેટલાંક નાટકો, વૈચારિક પદ્યલેખન અને અનુવાદ પણ મળ્યાં છે. કવિ દેખિતી રીતે સુખી હતા. ધોરણસરની આવકવાળી નોકરીઓ, પદ-પ્રતિષ્ઠા, બે સંતોષકારી દામ્પત્યજીવન અને સમાનશીલ મિત્રો હતાં.
પણ બીજી બાજુ, વ્હાલાં સ્વજનોનાં મૃત્યુએ તેમને વ્યથિત કર્યા હતા. પિતા, પત્ની નર્મદા, મોટો પુત્ર પ્રાણલાલ, મિત્રો એવા કવિ કલાપી તેમ જ રાજા ભાવસિંહ, અને બીજાં પત્ની નર્મદાને ગુમાવ્યાં હતાં. તેમના હૃદયનો એક ખૂણો ‘કરુણાજન્ય સ્નેહની અપેક્ષાએ ખાલી જ રહ્યો’ એમ જણાવીને લેખક નાટકનાં પ્રકાશિત પુસ્તક(અરુણોદય પ્રકાશન, 2004)નાં નિવેદનમાં કહે છે : ‘આ ખાલીપાને સમજવાનો મારો એક પ્રયાસ અહીં છે’. કવિ ‘જળને પડદે’ એટલે કે સજળ નયને દુનિયાને જુએ છે, પણ તેમને સ્નેહ મળતો નથી. એટલે તોટક છંદમાં એ લખે છે :
જળને પડદે સઘળું નીરખું
નીરખું નહીં નેહ જરાય સખે.
નાટકનો બીજો મહત્ત્વનો વિષય કાન્તનું ધર્માન્તર છે. તે અત્યારે દેશમાં વ્યાપેલા નાતજાતના ભેદ તેમ જ ધાર્મિક ઓળખને આધારે નાગરિકત્વના વિવાદમાં પણ તે પ્રસ્તુત છે. કવિએ તેંત્રીસ વર્ષની ઉંમરે ખ્રિસ્તી ધર્મ અંગિકાર કર્યો. સખત સામાજિક બહિષ્કાર વેઠ્યો, અને બે વર્ષ બાદ હિન્દુ ધર્મમાં પાછા આવ્યા. સતીશભાઈ લખે છે : ‘મને કાન્તનાં જીવનમાં અને વિશેષે એમના ધર્માન્તરમાં રસ પડ્યો.’
આ પાસાં વિશે તેમણે જે ‘ક્ષેત્રકાર્ય’ કર્યું તે વિશે ટૂંકમાં વાત કરીને સતીશભાઈ નિવેદનમાં લખે છે : ‘પણ ધર્માન્તર કરવાનાં સબળ કારણો એમાંથી પ્રગટતાં-ઊપસતાં નહોતાં. કાન્તની આત્મપ્રતીતિનું તાર્કિકીકરણ એમાંથી સાંપડતું નહોતું. છેવટે મેં મારી રીતે ત્રણ-ચાર ધરીઓ પર ધર્માન્તરનાં તત્ત્વને સ્પષ્ટ કરવા આ નાટ્યપ્રયોગ દ્વારા કામ કર્યું. એ ધરીઓ આ પ્રમાણે છે : (1) ખ્રિસ્તી ધર્મનો કરુણાજન્ય સ્નેહનો ખ્યાલ (2) કાન્તનો વ્યક્તિસ્વાતંત્ર્યનો ખ્યાલ (3) જન્મે ધર્મ-વર્ણ નહીં પણ કર્મે ધર્મ-વર્ણની વિભાવના (4) સ્વીડનબૉર્ગ અને રત્નજી ભટ્ટ(કાન્તના પિતા)ની છબીઓ વચ્ચેનું સામ્ય (5) ખ્રિસ્તી ધર્મની પુનરુત્થાનની વિભાવના.
ધર્માન્તરના બંને પ્રસંગો નાટકમાં જોવા મળે છે. તદુપરાંત મણિશંકરના પિતાનું મૃત્યુ, પત્નીઓ સાથેના ઉત્કટ પ્રેમપ્રસંગો, સમકાલીન કવિમિત્રો સાથે ગોપનાથના દરિયાકિનારે કાવ્યશાસ્ત્રવિનોદ, પુત્રનું મૃત્યુ જેવાં પ્રસંગો મંચ પર ભજવાય છે. રસોઈ બનાવનાર અને ભાંગ ખાનાર કાન્ત પણ આપણને મળે છે. રાજાને રોકડું પરખાવી દેનાર, પત્રો ફોડીને વાંચનારને ફટકારનાર અને લખાણમાં ફેરફાર કરવાની માગણી કરનારને ફટકારીને ઘરમાંથી ભગાડી દેનાર કાન્ત પણ અહીં છે.
નાટક બે પાત્રો થકી આગળ ચાલે છે – એક કવિ પોતે, અને બીજું પાત્ર તે કથક. આ કથક અથવા નરેટર સમયાંતરે નાટકની કથા કહેતો રહે અને ટિપ્પણી કે ચિંતન વ્યક્ત કરતો રહે છે. દિગ્દર્શક અને અભિનેતા કમલ જોષી માટેનો પડકાર અહીંથી શરૂ થાય છે. કથક અને કવિ બંને એણે જ ભજવવાનાં છે. ‘ખેસ ને પાઘડી’ પહેરે એટલે કથક અને એ કાઢે ત્યારે કવિ. પણ વાત આટલી સાદી નથી.
દિગ્દર્શક કમલે પુસ્તકમાં ‘આ કૃતિની પ્રસ્તુતિ’ મથાળા હેઠળ લખ્યું છે : ‘કથકને જળસ્વરૂપે રજૂ કરવાનું વિચાર્યું’. એટલે તખ્તા પરની તેની હાજરીમાં જળની ગતિ અને તેનાં લય એમ બંનેને બતાવીને સિન્ક્રોનાઇઝ કરવાંનાં હતાં. લય સતીશભાઈએ કથક માટે લખેલાં મુખ્યત્વે અનુષ્ટુપ છંદના પદ્યમાં છે. જ્યારે ગતિ કથક કમલની સતત હલચલમાં – મૂવ્હમેન્ટમાં છે. તે વિશેષ લાવણ્યપૂર્ણ છે કારણ કે તે ભરતનાટ્યમ્ પર આધારિત છે. કમલ તેના માટે દોઢ વર્ષ પદ્ધતિસર ભરતનાટ્યમ્ શીખ્યા !
મંચ ઉપર કથક કે કવિ બેમાંથી કોઈ એક તો પળેપળ ક્રિયામાન છે જ, એટલે કમલ તો છે જ. અઢી કલાક સુધી માત્ર પોતાની સામે જોઈ રહેલી હજારો આંખોને કંઈક ઉત્તમ બતાવતા રહેવામાં કમલે લગભગ નજરબંધી સાધી છે. આમ કરવામાં અભિનય કલા તો જોઈએ, પણ ખૂબ શારિરીક ઊર્જા અને સ્ટૅમિના જોઈએ. આ ઊર્જા, ખૂબ સિગારેટો પીનારા કમલે, સંપૂર્ણ નિર્વ્યસની થઈને પ્રાપ્ત કરી.
નાટકમાં નક્કર વસ્તુઓનો ઉપયોગ નથી. એટલે તેમનો ઉપયોગને મૂક અભિનય અર્થાત્ માઇમીન્ગથી બતાવવાનો છે. નાટકમાં કાન્તનાં સિતારવાદનનાં બે દૃશ્યો છે. જેમાં કમલ સિતાર વિના પણ સિતાર વગાડતા હોવાનો બેનમૂન અભિનય કરે છે. તેના માટે તે ચાર-પાંચ દિવસ સુધી નિષ્ણાત સિતારવાદકની સામે બેસીને ભૈરવી અને કેદાર રાગમાં સિતારના તાર પર આંગળીઓ કેવી રીતે ફરે છે તેની આબાદ નકલ શીખીને અનેક રિહર્સલ કર્યાં હતાં.
જો કે રસોઈ બનાવવામાં પાવરધા કાન્તને સેવો પાડતા બતાવવામાં કમલને કોઈ મુશ્કેલી પડી ન હતી. તેમને રસોઈ બનાવતાં આવડે છે. ‘ઘરમાં દિવાળી પર ભાઈ-બહેનો મોડી રાત સુધી બેસીને સેવો પાડતા’. નાટકમાં અનેક પાત્રો છે પણ તે સદેહે હાજર નથી, પણ કાન્ત સમક્ષ તે હોય એ રીતે કમલે અભિનય કરવાનો છે. તે માટે પહેલાં પાત્રોની જગ્યાએ સાથીઓને રાખીને દૃશ્યરચના તેમ જ અભિનય કર્યાં, અને ત્યાર બાદ તેમના વિના રિહર્સલ કર્યાં.
પ્રકાશ આયોજન અને સંગીતને નાટકનાં બે પાત્રો ગણીને જ કમલે કામ કર્યું. મૃદંગ અને સિતાર સહિત અનેક વાદ્યોના વિશ્વાસપાત્ર સંગીત સાથે સંગીતકારો સમીર રાવલ અને નિરજ પરીખે અગિયાર દિવસ સ્ટુડિયોમાં રેકૉર્ડિંગ કર્યું. સ્થિર નહીં પણ પાત્રો સાથે ગતિ કરતી પ્રકાશરચના માટે હૅરિ સાથે ખૂબ કામ કર્યું.
‘જળને પડદે’ને એક ‘સ્પિરિચ્યુઅલ જર્ની’ ગણાવતા કમલ માટે કેટલાક અનુભવો કમાલના હતા. તેમાં એક કૉમન ફૅક્ટર એ હતું કે નાટકના અત્યાર સુધીના ઇઠોતેર પ્રયોગોમાંથી કોઈ પ્રયોગ હેમખેમ ન હતો. ‘દરેકમાં ફિઝિકલ ફિટનેસનો કે પછી હેક્ટિક શેડ્યુલનો કે કોઈક પ્રકારનો પ્રૉબ્લેમ હતો’.
અમદાવાદમાં નટરાણીના પ્રયોગના થોડા જ દિવસ પહેલાં એક ફિલ્મ-શૂટીન્ગમાં કમલને મણકામાં ઇજા થઈ, પગે ફ્રૅક્ચર થયું ને ગોઠણ સુધી પ્લાસ્ટર, ડૉકટરે લાંબા સમય માટે સંપૂર્ણ આરામનું કહ્યું. પણ શોના દિવસે કમલે મેકઅપ કરીને પાટો કાપ્યો, સાથીદારોને ટેકે વિન્ગ સુધી પહોંચ્યા, પછી એકલા મંચ પર ગયા અને શો કર્યો. એક વાર કાંડું તૂટી ગયું હતું ને નાટક ભજવ્યું.
પાટણના પ્રયોગના એક અઠવાડિયા પહેલાં હોઠથી પેટ સુધી ચાંદા. બોલાય નહીં, ખવાય નહીં, પાણી ય પીવાય નહીં. શો ખાતર સાજા થવા માટે ત્રણ દિવસ સુધી સ્ટિરૉઇડનાં રોજનાં ત્રણ ઇન્જેક્શન નસમાં લીધાં. પાંચ દિવસમાં સાજા થઈ ગયા. સવારે નવના શો પહેલાંની મધરાતે સતત ભારે એડકીઓ શરૂ થઈ. અટકાવવા માટે પરોઢે છએક વાગ્યે એક એવું ઇંજેક્શન અને ગોળી લેવાં પડ્યાં કે જેને કારણે ઓછામાં ઓછા છ કલાક ગાઢ ઊંઘ આવશે એમ ડૉક્ટરે કહ્યું હતું. શો પહેલાં સ્નાન કરતાં ઠંડા પાણીનો લોટો માથે રેડ્યો ને કમલની ‘સ્મૃતિ અટકી ગઈ’. આખો શો કેવી રીતે કર્યો તેની તેમને આજ સુધી ખબર નથી !
રૂપાલી બર્ક અને દર્શના ત્રિવેદીએ ‘મિસ્ટ ઑફ ટિઅર્સ’ (ગુજરાત સાહિત્ય અકાદમી) નામે કરેલાં નાટકનાં અંગ્રેજી અનુવાદના એક પ્રયોગની પહેલાંની રાતે કમલના એક આદરપાત્ર ઉપરીએ તેમને નાટકનો પહેલો અંક અંગ્રેજીમાં અને બીજો અંક ગુજરાતીમાં કરવાનો આગ્રહ રાખ્યો. કમલને પહેલાં અશક્ય લાગેલી વાત પછી શક્ય બનીને પ્રશંસા પણ પામી.
વડોદરાનો એક પ્રયોગ કાન્તના પરિવારના તમામ સંબંધીઓએ ગોઠવ્યો. આખી ભજવણી દરમિયાન બધાં રડતાં હતાં. પ્રયોગ પછી નટને પગે પડ્યા કારણ કે કમલ કહે છે કે ‘મારામાં તેમને કાન્ત દેખાયા !’ કમલ કહે છે : ‘આ નાટકના દરેક પ્રયોગ વખતે બીજા-ત્રીજા દૃશ્ય પછી એમ થાય કે હવે નથી કરવો, ને થઈ જાય, સરસ રીતે થાય.’ કમલને પૂર્ણ પ્રતીતિ છે : ‘આ હું નથી કરતો રંગદેવતા, કોઈ બીજી શક્તિ મારી પાસે આ કરાવે છે.’
આલેખ અને અભિનયમાં ઉદાત્તને આંબતી ક્ષણો છે. તેમાં શરીર તેમ જ મનનાં અત્યુત્કટ પ્રેમ અને અસહ્ય આત્મઘાતી વિરહની કાન્તની રચના ‘ચક્રવાકમિથુન’ને કમલ જે અપ્રતીમ રીતે મંચ પર મૂકે છે તે ગુજરાતી રંગભૂમિ પરનું ચિરકાલીન સંભારણું બની રહે તેવું છે.
‘કાન્ત’ જાણીતી રચના ‘સાગર અને શશી’ શંકરાભરણ રાગમાં સુંદર પ્રકાશરચના સાથે ગવાય છે તે પણ રમણીય દૃશ્ય બને છે. તેમાંના શબ્દો સહેજ બદલીને સતીશ વ્યાસ અને કમલ જોશીને કહેવાનું મન થાય : ‘આજ મહારાજ ! મંચ પર નાટ્યપ્રયોગ જોઈને આપનો, હૃદયમાં હર્ષ જામે … !
24 ફેબ્રુઆરી 2020
[“નવગુજરાત સમય”, શુક્રવાર, 21 ફેબ્રુઆરી 2020ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટારની વિસ્તૃત અને સંવર્ધિત રજૂઆત]
https://www.youtube.com/watch?v=Gn9fTIn3bFU