અદાલત તિરસ્કારના કેસ ભૂતકાળમાં સર્વોચ્ચ અદાલત તેમ જ દેશની વિવિધ વડી અદાલતોમાં અનેકવાર ઉપસ્થિત થયા છે. પરંતુ દેશના ટોચના ધારાશાસ્ત્રી અને માનવ અધિકારોના મશાલચી પ્રશાંત ભૂષણ સામેના અદાલત તિરસ્કારના બે કેસોએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે અને સુપ્રીમ કોર્ટ બાર એસોસીએશનના પ્રમુખ દુષ્યંત દવે સહિત દેશના ટોચના અનેક બુદ્ધિજીવીઓ પ્રશાંત ભૂષણના સમર્થનમાં બહાર આવ્યા છે.
પ્રશાંત ભૂષણ સામેના અદાલત તિરસ્કારનો એક કેસ છેક 2009ની સાલનો છે. હાલની કટોકટીમાં સર્વોચ્ચ અદાલત સહિત દેશભરની અદાલતોમાં માત્ર તાકીદના કેસોમાં વીડિયો મારફત સુનાવણી થાય છે. સર્વોચ્ચ અદાલતનું વલણ સ્પષ્ટ છે કે માત્ર તાકીદના અને અગત્યના કેસોની જ વીડિયો સુનાવણી કરવી. તેથી કરીને જમ્મુ-કાશ્મીરમાં નજર કેદ કરાયેલા અનેક નેતાઓની મુક્તિ માટે હેબિયસ કોર્પસની રીટ પિટિશનની સુનાવણી ટાળવામાં આવી છે. કોરોના વાઇરસ મહામારીના ભય વચ્ચે પ્રશાંત ભૂષણ સામે 11 વર્ષ જૂનો કેસ કોઈ પણ જાતની પૂર્વ નોટિસ વગર કેમ અચાનક જ હાથ ધરવામાં આવ્યો, તે દેશભરના લોકો માટે આશ્ચર્યની ઘટના છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશન પ્રમુખ દુષ્યંત દવેએ The Wire સાથેની મુલાકાતમાં જણાવ્યું કે આ સુપ્રીમ કોર્ટના નિયમો અને પ્રણાલિકા વિરુદ્ધ છે.
અદાલત તિરસ્કાર કાનૂન મૂળ બ્રિટનનો એક સદી જેટલો જૂનો કાનૂન છે. ભારતીય કાનૂન-ન્યાયવ્યવસ્થા બ્રિટિશ મૉડેલ પર આધારિત છે. બ્રિટન ખુદે આ કાનૂન વર્ષ 2013માં રદ્દ કર્યો છે. તે સમયે બ્રિટિશ કાયદા પંચે નોંધ્યું “અદાલત તિરસ્કાર કાનૂનનો હેતુ ન્યાયાધીશો વિશે ખોટા ખ્યાલો ઉત્પન્ન થતા અટકાવવાનો જ નથી, પરંતુ તેની સાથે જાહેર જનતાને ન્યાયાધીશો વિશે સાચો ખ્યાલ પ્રાપ્ત થતા અટકાવવાનો છે. અદાલત તિરસ્કાર ખ્યાલને પારદર્શિતા અને વાણીસ્વાતંત્ર્ય સાથે મેળ ખાતો નથી. એટલે કે તેની સાથે સંઘર્ષ થાય છે.” 20મી સદીના ખ્યાતનામ ન્યાયશાસ્ત્રી લોર્ડ ડેનીંગે 1968માં કહ્યું હતું કે “અદાલત તિરસ્કાર કાનૂનનો ઉપયોગ અમે ક્યારે ય અદાલતનું ગૌરવ જાળવવા માટે કરીશું નહીં. તે જ રીતે, અમારી સામે ટીકા કરનારાઓ સામે પણ તેનો ઉપયોગ કરીશું નહીં. અમારી સામે થતી ટીકાની અમને બીક કે તેનો અફસોસ પણ નથી. તેના કરતાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય વધારે અગત્યની બાબત છે. દરેક વ્યક્તિને સંસદમાં કે સંસદ બહાર, અખબાર, રેડિયો કે ટી.વી. પર જાહેર મહત્ત્વની બાબતો ઉપર ટિપ્પણી કરવાનું સ્વાતંત્ર્ય છે.” વર્ષ 1987માં એક કેસના ચુકાદા બાદ ‘ડેઇલી મિરર’માં ન્યાયાધીશો વિશે ‘યુ ઓલ્ડ ફૂલ્સ’ (બુઢ્ઢા મૂરખો) જેવી ટીકા પ્રગટ થઈ હતી. વર્ષ 2016માં બ્રેક્ઝિટ કેસના ચુકાદા બાદ ‘ડેઇલી મેઇલ’માં ન્યાયાધીશોને ‘એનીમીઝ ઑફ પીપલ’ (જનતાના દુશ્મન) તરીકે વર્ણવેલા. તે વખતે આ અખબારો સામે અદાલતી તિરસ્કારનો કોઈ કેસ થયો ન હતો. લૉર્ડ ટેમ્પલ્ટને જવાબમાં જણાવ્યું હતું કે “હું વૃદ્ધ છું તેનો ઇનકાર કરી શકું તેમ નથી. પરંતુ, હું મૂર્ખ છું કે નહીં, તે કોઈના અભિપ્રાયનો સવાલ છે. માટે તેની સામે અદાલતી તિરસ્કારનો કેસ કરવાની જરૂર નથી.”
ભારતની સર્વોચ્ચ અદાલતના તત્કાલીન જસ્ટિસ કાત્જુએ વર્ષ 2008માં આવો જ અભિગમ અપનાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે “કોઈ વ્યક્તિ મને અદાલતમાં કે અદાલતની બહાર મૂર્ખ કહે, તો હું તેની સામે કોઈ પગલાં લઈશ નહીં. કારણ કે આ ટિપ્પણી મને મારું કામ કરતા અટકાવતી નથી. હું તેની ઉપેક્ષા કરીશ અથવા કહીશ કે દરેકને પોતાનો મત પ્રગટ કરવાનો અધિકાર છે. શબ્દોથી કોઈ હાડકાં ભાગી જતાં નથી.” તેમણે કહ્યું કે “કોઈ બાબત અદાલત તિરસ્કાર બને છે કે કેમ તે નક્કી કરવાની કસોટી એ છે કે શું તેનાથી ન્યાયાધીશ માટે કામ કરવાનું મુશ્કેલ બની ગયું છે? ગમે તેમ હોય, મારે મારા પગાર પ્રમાણે કામ કરવું જ જોઈએ.” અદાલત એટલા માટે સર્વોચ્ચ નથી કે તેની કોઈ ભૂલ થતી નથી કે થઈ શકે નહીં. જ્યારે ન્યાયતંત્રની ભૂલ થાય ત્યારે વિવેકપૂર્ણ રીતે અને અદાલતનું ગૌરવ જાળવીને તેની ટીકા થઈ જ શકે છે.
‘ઇન્ડિયન એક્સપ્રેસ’, ૧૦-૦૮-૨૦માં પ્રગટ થયેલા લેખનો મુક્ત અનુવાદઃ અશ્વિન કારીઆ
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 17 ઑગસ્ટ 2020; પૃ. 15-16