યુપીની કારમી હાર પછી પણ પરંપરાગત બૌદ્ધિકો સેલ્ફ-ઍનાલિસિસની મુદ્રામાં આવ્યા હોય એવું નથી દેખાતું, અને ભાજપની સત્તા સામે લડવા તૈયાર થયેલો નવ્ય બુદ્ધિજીવી યુવા વર્ગ કાં તો ઘર તરફ પાછો વળી રહ્યો છે અથવા ભાજપ દ્વારા પ્રચારિત ‘સહુનો સાથ, સહુનો વિકાસ’નું સૂત્ર પકડી ભાજપને ગ્રાસરૂટ લેવલે વધારે દૃઢ બનાવી રહ્યો છે. આમ, ચિત્ર સ્પષ્ટ છે. ભાજપ જેને આપણે કટ્ટર હિંદુવાદી પક્ષ કહી રહ્યા છીએ, તે સુદૃઢ-સુસજ્જ અને સંખ્યાબળની દૃષ્ટિએ સ્પષ્ટ બહુમતી તરફ અગ્રેસર છે અને પ્રગતિશીલ પરિબળો નામશેષ થવાના આરે છે. કારણ ન સમજાય એવું નથી. ભાજપના સામા છેડા પરની વિચારધારાઓ નવું લોહી ન આવવાના કારણે એનિમિક બની ગઈ છે. વારેવારે એને નાનામોટા રોગ ઘેરી વળે છે. હવે નુસખાઓથી નહીં, નસ્તરથી જ અર્થ સરે એમ છે. આ બધી ચિંતાના કારણે લાંબી મથામણ પછી આ લેખ લખી રહ્યો છું.
છેલ્લા બે દાયકાની રાજકીય સ્થિતિ – આંદોલનો અને વૈચારિક ઊથલપાથલોને ધ્યાનથી જોઈશું તો કેટલીક જન્મજાત આનુવંશિક ઊણપો ચોક્કસ જોવા મળશે. એની ચર્ચાવિચારણા કે સુધારણા સિવાયનો વિકલ્પ છે જ નહીં અને એનાથી ભાગવાનો અર્થ છે નામશેષ થવું. આપણી સહુથી મોટી ઊણપ એ કે આઝાદી પછી આપણે ભાગ્યે જ સિદ્ધાંત કે મૂલ્ય માટે લડ્યા છીએ. ટેવ પડી છે આપણને સત્તા માટે લડવાની – ન લડવાની, બોલવાની – ન બોલવાની, લખવાની – ન લખવાની, જાગવાની – ને ખૂલી આંખે ન જાગવાની. બધું માત્ર સત્તા માટે થાય છે. અહીં સત્તાનો અર્થ માત્ર ચૂંટણી થકી મળતી રાજસત્તા જ નથી, એ રાજસત્તાના ટેકેટેકે જે ખાબોચિયાં જેવી સંસ્થાઓ ઊભી થાય છે, જેના હોદ્દાઓ વેઢા જેટલી સત્તા-પ્રતિષ્ઠા આપે છે. અને એ વેઢા જેટલી સત્તા-પ્રતિષ્ઠા માટે કંઈ કેટલા ય એકલવ્યોના અંગૂઠા કપાઈ જાય છે, પણ આપણે એટલાં સ્થિતપ્રજ્ઞ બની જઈએ છીએ કે આંખ સામે બનતી આવી ઘટનાઓ જોવા-જાણવા-સમજવા-છતાં ય એના પ્રત્યે બધિરતા સેવીએ છીએ. વિરોધમાં રહીને પણ વિવાદો અને ચર્ચાઓ દ્વારા જે સત્તા કે ઇજારો મળે છે, એની ટેવ એ હદે વકરી છે કે માંડ-માંડ ભાજપ સત્તાપ્રતિષ્ઠાન સામે મૂલ્ય કે સિદ્ધાંત આધારિત વિરોધનું વાતાવરણ સર્જાયું હોય, ત્યારે ધર્મ અને જાતિના મુદ્દા ઉછાળીને બધું ઠેરનું ઠેર કરી દેવામાં આવે છે. આને કારણે નવ્ય બુદ્ધિજીવી યુવા વર્ગમાં એક પ્રકારનો અવિશ્વાસ જન્મે છે. ભાજપ સત્તાની વિરૂદ્ધમાં લડવા તૈયાર થતો નવ્ય બુદ્ધિજીવી એમ માનીને ઘર તરફ પાછો વળી જાય છે કે પહેલા સંસદ શાહબાનો વારામાં મુસ્લિમ તુષ્ટીકરણથી અભડાઈ હતી ને હવે એની મિરર ઇમેજ સ્વરૂપે પ્રક્ટ્યાં છે યોગી આદિત્યનાથ. આ નવ્ય યુવા બૌદ્ધિકો એમ માનીને પણ ભાજપ તરફ વળી રહ્યા છે કે ભાજપ વિરોધી ખેમા પાસે કોઈ મૂલ્ય કે સિદ્ધાંતોની લડાઈ નથી પણ એનું એ કમઠાણ છે. ગરીબ જનતા આશાભરી આંખે આપણા મન-વચન-કર્મને નિહાળે રાખે છે, જેનું સહુથી મોટું અજ્ઞાન એ છે કે એને એ સમજાતું નથી કે જે પોતે અંદરથી સડી ગયા છે એ શું સુધારવાના હતા?
તમને થશે કે આટલી કડકાઈ અને કડવાશ શા માટે? તો એટલા માટે કે આપણો આ ‘ધડો’ કશા જ ઢંગધડા વિના આ અંત તરફ ક્યારનો ય ઢસડાઈ રહ્યો છે, એવું ઘણા બધાને દેખાતું હતું પણ એનો અંદેશો આપનારા કે સાયરન વગાડનારાઓને આ ધડાએ કટ્ટરતાથી બહારનો રસ્તો દેખાડી દીધો. જે વિધારધારામાં નવા વિચારો માટે જગ્યા જ ન હોય, મોવડીઓ ભીતર ચાલતી આથો આવી ગયેલી પરંપરાગત રાજનીતિના કેફમાં જ રહેતા હોય અને એ રાજનીતિનો જરા જેટલો પણ વિરોધ જોતાં જ છળી મરતા હોય, આ બધી બાબતોએ ખાસ કરીને પ્રગતિશીલ ખેમાના મંકોડા ઢીલા કરી નાખ્યા. મને બરાબર યાદ છે કે ઓગણીસસો બાણુના બાબરી ધ્વંસના વિરામ પછી જ્યારે બે હજાર બેમાં આ ધાર્મિક રાજનીતિનો બીજો અંક નવેસરથી શરૂ થયો, ત્યારે કેટલાક સમજદાર પ્રગતિશીલોને એ સમજાઈ ગયેલું કે હવે એવું ધ્રુવીકરણ થવાનું છે, જેમાં કિનારે બેઠેલો તટસ્થ બહુમતી સમાજ કે લઘુમતી સમાજ હિંદુમુસ્લિમ કે દલિત હોવાના કારણે નહીં, પણ હિંદુ વિરોધના આંધળા અતિરેકને કારણે હિંદુત્વના ઘોડાપુરમાં તણાઈ જવાનો છે.
મને બરાબર યાદ છે કે પ્રગતિશીલ લેખક સંઘના રાષ્ટ્રીય મહામંત્રી કમલાપ્રસાદે આ સ્થિતિને પામીને દેશના યુવા નવ્ય બુદ્ધિજીવી વર્ગને પ્રગતિશીલ વિચારધારા સાથે જોડવા લગભગ બે હજાર ત્રણના ‘વસુધા’(પ્રગતિશીલ લેખકસંઘનું સામયિક)ના સંપાદકીયમાં પ્રગતિશીલ વિચારધારાના વિકાસ અને વિસ્તાર માટે આ મુજબનું વિધાન કર્યુંઃ ‘અગર મુસ્લિમ, મુસ્લિમ હોકર ભી પ્રગતિશીલ હો સકતે હૈ તો હિંદુ-હિંદુ રહકર પ્રગતિશીલ ક્યોં નહીં હો સકતે.’
આ કમલાપ્રસાદમાં મારા જેવા અનેક લોકો બેધડક ભરોસો કરતા. એ શમશેર-મુક્તિબોધના સાહિત્યથી ઘડાયેલા હિંદીના વિદ્વાન અને પરિપક્વ પ્રગતિશીલ હતા. અહીંના પ્રગતિશીલ લેખકસંઘની રચના એમની પ્રેરણાથી જ થઈ હતી. પણ કમલાપ્રસાદના આ વિચાર સામે એ વખતે પ્રગતિશીલ ખેમામાં બહુ ઊહાપોહ થયો. એમની વાતને ખારિજ તો કરી દેવામાં આવી પણ ભૂલેચૂકે ય બીજું કોઈ આ પ્રકારના વિધાનનું સમર્થન કરવાની જુર્રત ન કરે, એની તકેદારી રૂપે આ પ્રકારનું ખુલ્લાપણું જ્યાંજ્યાં દેખાય ત્યાં લાલ આંખ કરવામાં આવી. બારણું એવા ધડાકા સાથે બંધ થયું કે પાછલું બારણું એના ધક્કાથી ખૂલી ગયું. આ નવ્ય યુવા બુદ્ધિજીવીવર્ગના મનમાં એમ થાય કે મૂકને પઈડ મારા ભાઈ, આમને જનવાદી આંદોલનો અને જનવાદી વિચારધારાને પણ ‘મૉનોપોલાઇઝ’ કરવી હોય, તો ભલેને કરતા. આપ જોઈ શકશો કે અહીં મારે પ્રગતિશીલ વિચારધારા કે ગાંધીવિચારધારા માટે ‘મૉનોપોલી’ શબ્દ વાપરવો પડ્યો છે. આ તો બજારની પરિભાષા છે. બજારની વિરોધી એવી વિચારધારામાં આ શબ્દ અને વિચાર કેવી રીતે ઘૂસી ગયો એનો કોઈને વિચાર સુદ્ધાં નથી આવતો. જેમ બજારની ગળાકાપ હરીફાઈમાં ટકવા માટે વેપારી ભેળસેળનો સગવડિયો અને સસ્તો રસ્તો અપનાવે, એવી સ્થિતિ અહીં સર્જાઈ. આ પરંપરાગત બૌદ્ધિકોએ સત્તાપ્રતિષ્ઠાનના વિરોધની સ્પેસમાં પોતાની સત્તાના તંબુ તાણ્યા. જે એમની સ્કૂલનો ન હોય, જે એમના કુળનો ન હોય, અથવા જે એમનો અનુયાયી ન હોય, એવો યુવા નવ્ય બૌદ્ધિક એમને સ્વીકાર્ય નથી. કેમ? તો, એટલા માટે કે સત્તાપ્રતિષ્ઠાનના વિરોધની આ સ્પેસમાં રહેવાથી પણ કેટલીક સત્તા મળે છે, અને એ આપણને સમર્પિત ન હોય એવા કોઈના ય હાથમાં કેમ જવા દેવાય!
હું ઉદાહરણથી બચવા માંગતો હતો પણ અહીં છૂટકો નથી. છેલ્લા ઘણા સમયથી હું જોઈ રહ્યો છું કે રાજુ સોલંકી નામના આપણા દલિત અધિકાર સાથે નિસબતથી સંકળાયેલા કવિમિત્રની અવગણના થાય છે. આપને જો ખ્યાલ ન હોય તો જણાવી દઉં કે ભાજપ સરકારે જ્યારે મહા દલિત કવિસંમેલન યોજ્યું. ત્યારે એના વિરોધમાં દલિત કવિ રાજુ સોલંકી હૉલની બહાર કેટલાક સાથીઓને લઈને વિરોધ સાથે ઊભા હતા. ત્યાર પછી એ ગાંધીનગરમાં દિવસોના દિવસો દલિતોના પ્રશ્નોને લઈને ધરણા પર ઊતર્યા. આ આછી-પાતળી હાજરી સાથેના એમના વિરોધની નોંધ લેવાવી જોઈતી હતી, પણ દલિતો વિશે કૉલમો લખતા કૉલમવીરોમાં એકાદ-બે અપવાદને બાદ કરતાં બધાએ મૌન પાળ્યું. બાબાસાહેબે જે જાતિનિર્મૂલનની વાત કરી છે, તેના માટે રાજુ ઓગણીસસો એક્યાશીના અનામત-આંદોલન પછી ખૂબ સક્રિય છે. એમણે કર્દમ અને નયન જેવા સાથીઓ સાથે ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં એવી યાત્રાઓ પણ કાઢી છે, જેમાં દલિત કાર્યકર્તાઓ ચાની હોટલો અને કીટલીઓ પર દલિતો માટે રાખવામાં આવતાં ચપ્પણિયાં તોડી નાખતાં. રાજુ કાર્લ માર્ક્સથી પ્રભાવિત છે. પણ આપણે ત્યાં દલિત રાજનીતિની મૉનોપોલી કરતા મિત્રોએ રાજુની ક્યારે ય ચર્ચા ન કરી એ તો સમજ્યા, પણ આજના આ ભાજપ સત્તા પ્રતિષ્ઠાન સાથે જોડાનારા દલિત કવિઓને જ પ્રતિષ્ઠિત કરવાનું કામ કર્યે રાખ્યું, અથવા અવારનવાર સડક પર આવી અખબારની હેડલાઇન બનનાર નવજાત દલિતનેતાની જ ચર્ચા કર્યે રાખી, જેમનું સહુથી મોટું ક્વૉલિફિકેશન તેઓ અમુક સ્કૂલના કે અમુક પ્રોફેસરના વિદ્યાર્થી છે, એ ગણાવાય છે નહીં કે એમણે દલિતસમાજના તળિયે જઈને કરેલાં કામ. આવું થવા પાછળનો જો કોઈ તર્ક હોય, તો માત્ર એટલો જ કે વિરોધની રાજનીતિમાં પણ પોતાની મૉનોપોલી ટકાવી રાખવી. પોતે પૂરી તાકાત અને દૃઢતાથી લડવું નહીં પણ બીજાને લડવાય ન દેવા. હા, રાજુ સોલંકી કડવા છે, પણ સત્ય મીઠું જ હોવું જોઈએ, એવી શરત સાથે આપણે ચાલીશું તો કેમ ચાલશે?
મને તલવાર અને ત્રિશૂળ બંને હથિયાર સ્વરૂપે જ દેખાય છે. હું મુંબઈમાં ઉત્તરપ્રદેશ અને બિહારના શ્રમિકો પર પ્રાદેશિક અસ્મિતાના નામે થતા અત્યાચારોને અનૈતિક-અલોકતાંત્રિક- અસંવેધાનિક-ઝનૂની પ્રદેશવાદ ગણુ છું, તો ‘બિહારી અને બાહરી’ કે ‘યુ.પી. કે લડકે’ ‘બાહરી મોદી’ જેવાં સૂત્રોને પણ હિંદુવાદીઓને હરાવવાની પી.કે. છાપ વ્યૂહરચના નથી ગણી શકતો. એ પણ પ્રદેશવાદ જ છે. બે હજાર ઓગણીસ કે બે હજાર ચોવીસ, કોણ રહેશે ને કોણ જશે, એન.ડી.એ. ભૂંડી રીતે પટકાશે કે યુ.પી.એ. ફરી તખ્તનશીન થશે, આ માટે રાજનીતિના પંડિતો ભલે અખાડામાં દંડ પીલે રાખે. એવું નથી કે હું એનાથી અલિપ્ત છું, પણ આપણી બિરાદરી પાસેથી જનતાની બે અપેક્ષા છે. એક, આપણામાં આનુવંશિક ઊણપો છે, એને આપણે સમજવી-સ્વીકારવી-સુધારવી રહી. જો એમ થશે તો નવ્ય બૌદ્ધિકો માટે સ્પેસ સર્જાશે અને વિચારધારા વિકાસ-વિસ્તાર પામશે. બે, અંદરનું ઇવીએમ ઠીક કરવાની જરૂર તો છે, છે ને છે જ. આપણે જો ગુજરાતની ભાજપ સરકાર સામે અકાદમીની સ્વાયત્તતા માટે હોંશે-હોંશે લડતા હોઈએ, તો પછી અકાદમીના જે પ્રમુખને આપણે અસંવૈધાનિક ગણીએ છીએ, એના હાથે કેડેથી ઝૂકીને પુરસ્કાર ન લેવાય. આવી છુટછાટ કે આવા અપવાદ સ્વાયત્તતા જેવા સિદ્ધાંત માટે ચાલતી એક ગંભીર લડતને ફ્રૅન્ડલી મૅચમાં બદલી કાઢે છે. આપણે રાષ્ટ્રીય સ્તરે આ ભાજપ સરકાર સામે દક્ષિણાયન જેવું વૈચારિક આંદોલન ચલાવીએ, એ સારી બાબત છે, પણ એમાં એવા સાથીઓ કેવી રીતે હોય, જે રાષ્ટ્રીય સ્તરે ભાજપ સરકારના વિરોધમાં ઝંડા ઉપાડે અને અહીં એ જ સરકારનું સમર્થન કરે. તમારું આવું કેવું દક્ષિણાયન કે જે દિલ્લીમાં પોતાની હાજરી દર્જ કરાવવા તત્પર હોય અને અહીં સ્વાયત્તતાના આંદોલનમાં જોડાવાથી પરહેજ કરે, એટલું ઓછું હોય તેમ ગુજરાત સરકારની ‘સરકાદમી’નું સમર્થન કરે?
મને ખબર છે કે આ મેં જે લખ્યું છે, તેનાથી મારાં આપ્તજનો-મિત્રો આહત થવાનાં છે, પણ મારો આશય એમને સહેજ પણ આહત કરવાનો નથી. આશય પરિસ્થિતિનું ખરું મૂલ્યાંકન કરી એમાંથી રસ્તો કાઢવા તરફનો છે. મને એવા ઘણા લોકો મળે છે, જે એમ કહે છે કે આમ વારે- વારે લડ્યા વિના હારી જવું. મરી-મરીને જીવવા જેવું લાગે છે. આપણે જો ખરા અર્થમાં દેશમાં આમૂલ પરિવર્તન ચાહતા હોઈએ તો ‘હેવ નોટ’ના પક્ષે રહી લડવા માંગતા નવ્ય બુદ્ધિજીવી યુવાવર્ગ માટે કમલાપ્રસાદે કહ્યું હતું એ તર્જ પર ધર્મ-જાતિના પક્ષપાતથી ઉપર ઊઠીને સ્પેસ ઊભી કરવી પડશે. એમની અંદર એવો વિશ્વાસ જગાવવો પડશે કે દોસ્ત, આ સ્વાયત્તતા-સમાનતાના સિદ્ધાંત અને મૂલ્યોને અંકે કરવાની જ નહીં પણ જીવી જવાની, લડાઈ છે. માત્ર પરાપૂર્વથી ચાલ્યું આવતું ધર્મ-જાતિના પક્ષપાતમાં ગંઠાઈ ગયેલું પોલિટિક્સ નથી. રાજુ સોલંકી જેવા અનેક મિત્રો છે, જેમને સાંભળવા-સમજવાની સહિષ્ણુતા પ્રગતિશીલ, ગાંધીવાદી અને સમાજવાદી ધડાએ દાખવવી પડશે. આપણને અનુકૂળ હોય એવી ચર્ચાઓ ડ્રૉઇંગરૂમમાં કે ટેલિવિઝન ચૅનલના ચોકઠામાં કરીને જે આત્મસંતોષ અનુભવી રહ્યા છીએ, એમાંથી બહાર આવી આપણને થોડો કડવો લાગે કે ખૂંચે એવો વ્યાપક વિમર્શ રચવા આપણે તૈયાર થવું પડશે. પરંપરાગત બૌદ્ધિકોએ સત્તાપ્રતિષ્ઠાનના વિરોધની સ્પેસમાં પોતાની સત્તાના જે તંબુ તાણ્યા છે, એ સંકેલીને નવ્ય યુવા બૌદ્ધિકોને સમાનતાના ભાવથી સાથે રાખી ગંભીરતાપૂર્વક લડાયક મુદ્રા ધારણ કરવી પડશે.
આ દિવસોમાં મને પ્રેમચંદની ‘શતરંજ કે ખિલાડી’ બહુ યાદ આવે છે.
તા. ૨૫-૩-૨૦૧૭
E-mail : pjagjivandas@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2017; પૃ. 08-09