ધાર્મિક ગુરુઓ; ભક્ત પુરુષો / મહિલાઓનું કઈ કઈ યુક્તિઓથી શોષણ કરતા હતા, તે જાણવા માટે ‘મહારાજ લાઈબલ કેસ’ તથા ‘પોલ કેસ’નો અભ્યાસ કરવો પડે. મહારાજ લાઈબલ કેસમાં ફરિયાદી હતા વૈષ્ણવ મહારાજ જદુનાથજી બ્રિજરતનજી અને આરોપી હતા પત્રકાર / સમાજ સુધારક કરસનદાસ મૂળજી [25 જુલાઈ 1832 – 28 ઓગષ્ટ 1875]. કપોળ જ્ઞાતિના કરસનદાસ ‘સત્યપ્રકાશ’ નામનું સામયિક ચલાવતા હતા. કરસનદાસે 21 ઓક્ટોબર 1860ના રોજ ‘હિન્દુઓનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો’ લેખ પ્રસિદ્ધ કર્યો હતો. જેના કારણે ‘મહારાજ લાઈબલ કેસ’ ઊભો થયો હતો. વલ્લભ સંપ્રદાયમાં ગુરુઓ પોતે કૃષ્ણ છે; તેમ કહીને ભક્ત મહિલાઓ સાથે વ્યભિચાર કરતા હતા; તે બાબત તેમણે ખૂલી પાડી. મહારાજોએ કપોળ જ્ઞાતિપંચ ઉપર દબાણ કરીને કરસનદાસને નાત બહાર કાઢી મૂક્યા ! એટલું જ નહીં, જે કોઈ ભાટિયા સ્ત્રી/પુરષ મહારાજો વિરુદ્ધ જુબાની આપશે તેમને નાત બહાર કરવામાં આવશે; તેવી ધમકી પણ આપી ! તે અંગે ફોજદારી કેસ થયેલ; જે ‘ભાટિયા કોન્સ્પિરસી કેસ’ [1861] તરીકે જાણીતો છે. તેનો ચૂકાદો 12 ડિસેમ્બર 1861ના રોજ બ્રિટિશ ન્યાયાધીશ સર જોસેફ આર્નોલ્ડે આપ્યો હતો. મહારાજો અને તેમના ભાટિયા ભક્તોને ગુનેગાર ઠરાવીને દંડ કર્યો હતો.
મહારાજ લાઈબલ કેસ 25 જાન્યુઆરી 1862ના રોજ શરૂ થયો હતો. કેસ ચાલુ હતો તે દરમિયાન મહારાજોના ભક્તોએ કરસનદાસ ઉપર હુમલા કર્યા હતા. મહારાજો કેવી કેવી યુક્તિથી વ્યભિચાર કરતા હતા, તેની વિગતો અદાલત સમક્ષ જાહેર થઈ. ભાટિયા/વાણિયા જ્ઞાતિના ભક્તો પોતાની દીકરીઓ/પત્નીઓને સંભોગ માટે મહારાજોને સોંપતા હતા. મહારાજોના ચાવેલાં પાન-સોપારી ભક્તો ખાતા ! મહારાજોના ધોતિયાને નિચોવીને પાણી પીતા ! મહારાજોની પગની રજકણ ચાટતા ! મહારાજોનું એંઠું અન્ન ખાતા ! મહારાજો અને ભક્તાણીઓ વચ્ચેની રતિક્રીડાના ‘દર્શન’ માટે શ્રદ્ધાળુઓ પાસેથી મોટી રકમ વસૂલ કરવામાં આવતી ! આ કેસ 40 દિવસ ચાલ્યો; 24 દિવસ સાંભળવામાં આવ્યો. વાદી તરફે 42 સાહેદો અને પ્રતિવાદી તરફે 30 સાહેદોને તપાસવામાં આવ્યા. કેસનો ચૂકાદો 22 એપ્રિલ 1862ના રોજ આપવામાં આવ્યો; [ગાંધીજીનો જન્મ થવાને 7 વરસની વાર હતી; 2 ઓક્ટોબર 1869] જેમાં કરસનદાસને નિર્દોષ ઠરાવેલ. અદાલતે કરસનદાસને રૂપિયા 11,500 જદુનાથજી પાસેથી અપાવેલ. આ કેસમાં એ સિદ્ધાન્ત સ્થાપિત કરવામાં આવ્યો કે ‘જે બાબત નીતિથી નઠારી હોય તેને ધાર્મિક રીતે માન્યતા આપી શકાય નહીં !’
‘મહારાજ લાઈબલ કેસ’ અને ‘ભાટિયા કોન્સ્પિરસી કેસ’ અંગે મુંબઈની ‘દી. લખમીદાસ કંપની’એ પુસ્તક બહાર પાડ્યું હતું. આ પુસ્તકની 1911માં ચોથી આવૃતિ બહાર પડી હતી. તેની પ્રસ્તાવનામાં પ્રકાશકે લખ્યું હતું : “જાહેર પ્રજાનો એક વર્ગ સવાલ કરશે કે ‘મહારાજ લાઈબલ કેસ’ના પાને પાને વલ્લભી સંપ્રદાયના કેટલાંક આચાર્યોની અનીતિ તેના ખરાબમાં ખરાબ આકારમાં કોર્ટમાં પુરવાર થયેલી છે, તે ફરી છપાવવાની શી અગત્ય હતી; અમે કહીશું કે તેની ઘણી જ જરૂર હતી. જે સંપ્રદાયની જાળમાં લાખો વૈષ્ણવો પોતાના ધર્મથી વિમુખ થઈ, ફક્ત ટીલાં ટપકાં ખોટા આડંબર અને ‘જે જે’ કરવામાં; જૂઠણો ખાવામાં અને ગોકુળનાથજીની ટીકાવાળા બ્રહ્મસંબંધ [વ્યભિચાર] કરવામાં જ ધર્મ સમજે છે, તેમને પોતાના ગુરુઓના ગુપ્ત ચરિત્રો બતાવવાની ખાસ અગત્ય છે. હજુ પણ આ આચાર્યોમાંના કેટલાંક સુધર્યા હોય તેમ લાગતું નથી !” 1860માં ગુરુઓની કામલીલા ખૂલી પડી છતાં 51 વર્ષ બાદ 1911માં પ્રકાશકે લખ્યું કે ‘કેટલાંક ગુરુઓ હજુ સુધર્યા નથી !’ આ એ બાબત સૂચવે છે કે ધર્મની આડમાં ગમે તેવી અનીતિને પોષણ મળે છે !
ગુજરાતના લોકો ‘પોલ કેસ’ અંગે જાણતા નથી. 26 જુલાઈ 1926ના રોજ ‘પોલ કેસ’નામનું પુસ્તક પ્રસિદ્ધ થયું હતું. આ પુસ્તક વડોદરા પાસે પુનિયાદ ગામે કબીર આશ્રમની લાઇબ્રેરીમાંથી મળ્યું હતું. તેમાં વૈષ્ણવ ધર્મગુરુઓની અનીતિ સામે સંઘર્ષની વિગતો છે. આ સંઘર્ષ કરનાર હતા, ‘પ્રવાસી પાગલ’ ! તેમનો જન્મ 1886માં વડોદરા ખાતે થયો હતો. તેઓ દશા શ્રીમાળી વણિક જ્ઞાતિના હતા. 1926માં તેમની ઉંમર 40 વરસની હતી. 17 વર્ષની ઉંમરે તેમણે ઘર છોડ્યું હતું; 1908-10 સુધી ગુજરાત/કાઠિયાવાડમાં ખૂબ ભટક્યા બાદ મુંબઈ રહેતા હતા, અને મોતીનો ધંધો કરતા હતા. 1917માં તેઓ સિંધ તરફ ગયા. કરાંચીમાં રહેતા હતા. તેઓ રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેતા હતા. 1920માં પૂર્વ બંગાળમાં ગયા. અસહકાર/સ્વદેશી/ગૌરક્ષા ઉપર 5થી 6 હજાર ભાષણો તેમણે આપ્યા હતા. નાગપુર કૉન્ગ્રેસમાં, નાસિકથી નીકળી, ગુજરાત થઈ 67 દિવસે પગે ચાલીને નાગપુર પહોંચ્યા હતા. પગની મુસાફરીના કારણે તેઓને ‘પ્રવાસી પાગલ’ તરીકે ઓળખવામાં આવતા હતા ! તેમનું મૂળ નામ હીરાલાલ મંગળદાસ હતું ! અસહકારની ચળવળ વેળાએ, સરકારે તેમને IPC કલમ-124A હેઠળ એક વર્ષ જેલમાં રાખ્યા હતા. પ્રવાસી પાગલે જોયું કે મહારાજ લાઈબલ કેસ પછી પણ પુષ્ટિમાર્ગના ધર્મગુરુઓમાં અતિશય વ્યભિચારનો સડો છે, વળી એ પંથના કેટલાંક પુસ્તકોમાં વ્યભિચાર સેવવા ઉપદેશ આપેલો છે ! તેમણે પુષ્ટિ પંથ વિરુદ્ધ ‘પોલ’ નામનું છાપું કાઢ્યું. બ્લાક્ટાનંદ સ્વામીના પુસ્તક ઉપરથી મહારાજ દેવકીનંદન ઉપર આક્ષેપો મૂક્યા. શેઠ પ્રાગજી સૂરજીએ ફરિયાદ કરી. ‘પોલ કેસ’ 1925માં થયો હતો; 65 વરસ પછી પણ વૈષ્ણવ ગુરુઓનો ધર્મના ઓઠા હેઠળ વ્યભિચાર ચાલુ રહ્યો હતો. પ્રવાસી પાગલે જુદા જુદા 13 પુસ્તકો લખ્યા હતા. તેમની સામે કુલ 14 કેસો થયા હતા; જેની વિગતો મળતી નથી. ‘પોલ કેસ’માં પ્રવાસી પાગલની હાર શા માટે થઈ હતી, તે જાણવું જરૂરી છે. સવાલ એ છે કે લોકોની આંખો કેમ ખૂલતી નથી? ધર્મશ્રદ્ધા માણસની વિવેક શક્તિ છીનવી લે છે. ‘લોભી ગુરુ, લાલચી ચેલા’ના કારણે વ્યભિચાર અટકતો નથી. કોર્પોરેટ કથાકારો/ધર્મ ગુરુઓનો ઇતિહાસ વ્યભિચાર/અનીતિ/હત્યાથી ખરડાયેલો હોય છે. 2021માં પણ આ સ્થિતિ છે.
આ બન્ને કેસોમાંથી એ બોધપાઠ લેવાનો કે ધર્મશ્રદ્ધા માણસને આંધળો કરી મૂકે છે. ધર્મગુરુઓ ઈશ્વર નથી કે ઈશ્વરના એજન્ટ પણ નથી. પોતે કૃષ્ણ છે, તેમ કહેનાર પાક્કો ઠગ હોય છે. ફેસબૂક ઉપર લખેલા આ લેખો બિલકુલ ટૂંકા; સરળ શૈલીમાં લખેલા હતા. ભવિષ્યની પેઢીને મદદરૂપ થાય તે માટે ‘લોભી ગુરુ, લાલચી ચેલા’ ઈ.બૂક; ‘અભિવ્યક્તિ બ્લોગ’ના ગોવિંદભાઈ મારુએ ભારે જહેમત ઊઠાવીને તૈયાર કરી છે; તેમનો આભાર માનું છું. આ બન્ને કેસો આપણી આંખો ખોલશે?
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દિવાલેથી સાભાર